મધ એ કુદરતી ગળ્યો પદાર્થ હોવા સાથે આયુર્વેદિક દ્રષ્ટીએ ઉત્તમ ઔષધ મનાય છે આથી જ તે ખાંડનો સર્વશ્રેષ્ઠ પર્યાય છે. મધમાં કુદરતી ખાંડ, જરૂરી વિટામિન, મિનરલ્સ, પ્રોટિન અને સારા પ્રમાણમાં પાણી હોય છે. આ કુદરતી અમૃત લોહીનો પ્રવાહ વધારે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે. લોહી શુદ્ધ કરવાની સાથે એ તમને સામાન્ય શરદી અને ઉધરસ જેવાં રોગોથી પણ બચાવે છે. આથી જ ભોજનમાં મધનો ઉમેરો કરવાથી માત્ર સ્વાદ જ નહીં પણ તંદુરસ્તી પણ વધશે.
ખાંડનો સૌથી નજીકનો પર્યાય કોઇ હોય તો એ ગોળ છે. ભારતમાં તો પ્રાચીનકાળથી ગોળનો ઉપયોગ થાય છે. વળી, ખાંડની મોટા ભાગની મીઠાઈઓ પણ ગોળનો ઉપયોગ કરી બનાવી શકાય છે. ગામડાંઓમાં તો હજુય ગોળના વપરાશનું પ્રમાણ ખાંડ કરતાં વધુ છે. ગોળ ખાંડ કરતા વધુ ગળ્યો અને સ્વાદિષ્ટ હોય છે. ગોળને તમે ખાંડની જેમ પણ વાપરી શકો અને પ્રવાહી સ્વરૂપમાં પણ વાપરી શકો છો. કબજિયાત, અપચો અને કફ જેવા અનેક રોગોને મટાડનાર ગોળને મીઠી દવા તરીકે પણ ઓળખવામાં આવે છે.
તમને જ્યારે મીઠાઇ ખાવાનું મન થાય ત્યારે મીઠાઇને બદલે સૂકામેવાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય. જે ભોજનમાં થોડા પ્રમાણમાં ખાંડની જરૂર હોય તેમાં તમે ખાંડને બદલે સૂકોમેવો ઉમેરી શકો. તમે ખજૂરનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરી શકો, ભોજનમાં કિસમીસ ઉમેરી શકો, અંજીર લૂખા ખાઇ શકો, સૂકા આલુબુખારાને સલાડમાં કે સ્વીટ ડિસમાં ઉમેરી શકો, સુકા મેવામાં ગળપણની સાથે સાથે શરીરને ઉપયોગી અન્ય ઘટક તત્વો પણ સમાયેલા હોવાથી તે ખાંડ દ્વારા થતું નુકશાન તો બચાવે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે સકારાત્મક અસરો ઉપજાવે છે.
સ્ટેવિઆએ આયુર્વેદમાં વપરાતો એક છોડ છે અને સામાન્ય રીતે મીઠા પાન તરીકે ઓળખવામાં આવે છે. તેના પાનનો સ્વાદ મીઠો હોય છે. સ્ટેવિઆનો ઉપયોગ પણ તમે ખાંડના પર્યાય તરીકે કરી શકો. લો કેલેરીવાળા હોવાને કારણે વજન ઘટાડવા માગતા લોકો અને ડાયાબિટીસવાળાને આ પાન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ છોડના પાનનો ભૂકો આયુર્વેદની દુકાનોમાં આસાનીથી મળતો હોય છે. દાંત સડતા રોકે છે, પેટમાં એસિડિટી ઘટાડે છે અને બ્લડ સુગર ઘટાડે છે. જાપાનમાં દાયકાઓથી આ છોડનો ઉપયોગ સ્વીટનર તરીકે કરવામાં આવે છે.
કેરી, કેળા, ગાજર, પપૈયા, સફરજન અને તરબુચ ખાંડના ઉત્તમ પર્યાય તરીકે વાપરી શકાય. આ ફળોમાં માત્ર ખાંડ જ નહીં પણ અન્ય પ્રોટિન પણ ભર્યા પડયા છે. ફળો ખાવાથી બ્લડ સુગર પર તો તમે કાબુ મેળવી જ શકશો પણ એ સાથે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.
હવે, ડોકટર આપણને ખાંડ સંપૂર્ણ બંધ કરાવે અથવા બનાવટી સ્વીટનર ફરજીયાત ખાવા પડે તેના કરતા જુદી જુદી પરિસ્થિતિમાં ખાંડના અનુકુળ પર્યાયો વાપરી સ્વાસ્થ્ય જાળવવું શક્ય હોય તો પછી શા માટે માંદા પડવું? મને લાગે છે કે આ ગળ્યા પદાર્થો વાપરી તેટલા પ્રમાણમાં ખાંડનો ઉપયોગ ઘટાડીએ તો જરૂર તેની વિપરીત અસરોથી બચી પણ શકાય અને સ્વાદ સાથે સમજુતી કરવાપણું પણ ના રહે.
સ્ત્રોત: જીગ્યા બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020