કેસર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો ધરાવતું હોવાથી ખીલ-ફોડકીઓને દૂર કરવા માટે ઘણું કારગત છે. તેના ઔષધીય ગુણો ખીલ-ફોડકીનો નાશ કરે છે. વળી, અત્યંત સંવેદનશીલ ત્વચા પર પણ કેસરને લગાવી શકાય છે. આ માટે કેસરના દસ તાંતણા અને પાંચ-છ તુલસીનાં તાજાં પાન લો અને તેને સ્વચ્છ પાણીમાં વાટી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રોજ ખીલ-ફોડકી પર લગાવો. ત્રણ-ચાર દિવસમાં જ ખીલ ગાયબ થઈ જશે.
કેસર એ પિગ્મેન્ટેશન, બ્રાઉન સ્પોટ્સ અન દાગ-ધબ્બાને દૂર કરવા માટે ઉત્તમ અને અકસીર છે. ચોખ્ખા પાણીમાં કેસરના થોડા તાંતણા ભેળવો, તેમાં ચપટી હળદર ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દાગ-ધબ્બા કે બ્રાઉન સ્પોટ્સ પર લગાવી વીસ મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો.
કેસરમાં હિલીંગ એજન્ટ છે, જે ત્વચાની પુન: સ્વસ્થ થવાની પ્રકિયાને ઝડપી બનાવે છે. જે જગ્યાએ ઘા કે ઈજા થઈ હોય ત્યાં કેસરનો લેપ કરવાથી ઘા જલદી રુઝાય છે અને તેના નિશાન રહી ગયા હોય તો તે ધીરે ધીરે ઝાંખા થાય છે. આ માટે કેસરનાં થોડા તાંતણાને પાણીમાં ભેળવો અને પછી તેને વાટીને પેસ્ટ બનાવો. તેમાં અડધી ચમચી નાળિયેરનું તેલ(કોપરેલ) ઉમેરો અને પછી તેને ઘાના નિશાન ઉપર લગાવી હળવે હાથે થોડું માલિશ કરો. થોડા દિવસ નિયમિતપણે આમ કરવાથી ઘાના નિશાન હળવા થશે.
પ્રદૂષણ, ઠંડી અને અન્ય કારણો ત્વચાને શુષ્ક અને બેજાન બનાવી દે છે. કેસરનો નિયમિત પ્રયોગ ત્વચામાં નવી જાન ફૂંકે છે. અડધો કપ કાચા દૂધમાં થોડું કેસર પલાળો. આ ઘોળને રૂની મદદથી ચહેરા પર લગાવો. પંદર મિનિટ પછી પાણીથી ચહેરો સ્વચ્છ કરી લો. તમને મળશે દમકતી ત્વચા.
પ્રાચીન સમયથી કેસર એ ત્વચાની રંગત નિખારવા માટે વપરાતું આવ્યું છે. તે ત્વચાને પોષણ પણ આપે છે. કેસરના કેટલાંક તાંતણા લઈ તેને બારીક ફૂટી લો. તેમાં એક ટેબલસ્પુન ચંદન પાઉડર અને થોડું ગુલાબજળ ભેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને વીસ મિનિટ રહેવા દો. પછી ચહેરો સાફ પાણીથી ધોઈ નાંખો અને મેળવો ઉજળી અને કોમળ ત્વચા.
ત્વચાને ઠંડક પહોંચાડવાનો અને રંગત નિખારવાનો કેસરનો ગુણ ત્વચા પરથી ટેનિંગને દૂર કરવા માટે પણ ઉપયોગી નીવડે છે. આના માટે દૂધમાં કેસરના થોડા તાંતણા નાંખી થોડી વાર રહેવા દો. ત્યાર પછી તેમાં બે ટીપાં લીબુંનો રસ નાંખી ચહેરા પર લગાવો. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી ત્વચા પરનું ટેનિંગ ધીરે ધીરે ઓછું થશે.
કેસર એ ઉત્તમ સ્કીન ટોનર છે. તે ત્વચાને પોષણ પ્રદાન કરી તેને તાજગી બક્ષે છે. ગુલાબજળમાં થોડા કેસરના તાંતણા નાંખી તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો. તમને મળશે તાજગીસભર, સુંગધિત ત્વચા.
એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ કેસર ત્વચાની સાથે વાળને પણ પોષણ આપે છે. તે વાળને સ્વસ્થ અને ચમકતા બનાવે છે. તમારા હેર ઓઈલમાં કેસરના થોડાં તાંતણાં નાંખો અને પછી તેને થોડુંક ગરમ કરો. આ હૂંફાળા હેર ઓઈલથી વાળમાં મસાજ કરો. નિયમિતપણે આમ કરવાથી તમારા વાળ મજબૂત, સ્વસ્થ અને ચમકતા બનશે.
સ્ત્રોત: ફેમિના નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019