આ લેખમાં માત્ર શાક વિષયક માહિતી આપવાનો ઉદ્દેશ્ય એ છે કે, પરંપરાગત વપરાતાં શાક ઉપરાંત કેટલાંક ઓછા પ્રચલિત અને અવગણવામાં આવતા શાક અને તેમનાં આરોગ્યલક્ષી મહત્વ વિશે જાણી શકાય. ઓછા પ્રચલિત શાક જેવા કે, અળવીની ગાંઠ, કાચા કેળા, શક્કરિયા, સફેદ અને પીળું કોળું, કેળાના ફુલ, કમળકાકડીની દાંડી, સરગવાના પાન વગેરે આરોગ્યપ્રદ ગુણો ધરાવે છે. ઉપયોગમાં ઓછા લેવાતાં હોવાથી બજારમાં ઓછા દેખાતા આ બધા શાકનો સ્વાદ અને ગુણ પારખી ગયેલા લોકો તેનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી.
શક્કરિયાઃ શક્કરિયાને બાફીને શિવરાત્રીના દિવસે ફરાળમાં વાપરવાની પ્રથા છે. શક્કરિયા બાફી તેનાં માવાને ઘીમાં શેકી સાકર-એલચી ભેળવી શીરો બનાવાય છે. બાફેલા શક્કરિયાને દહીંમાં મીઠું-મરી-લાલ મરચાની ભુકી ભભરાવી રાયતું પણ બનાવાય છે. પરંતુ શક્કરિયામાં રહેલાં રેસા, તેમાં રહેલાં ૨૦% કાર્બોહાઈડ્રેટ ઉપરાંત થોડી માત્રામાં પ્રોટીન, વિટામીન A, B અને E ઉપરાંત કેલ્શ્યમ, આર્યન, મેગ્નેશ્યમ, પોટેશ્યમ, ફોસ્ફરસ જેવા ખનીજોથી ભરપૂર છે. ત્વચા, વાળ, હાડકાઓના પોષણ માટે સારો ખોરાક છે. શક્કરિયા ઉનાળાની ગરમી દરમ્યાન તથા પિત્તના રોગોથી પીડાતા હોય તેમને માટે ઠંડક કરતો ખોરાક છે. નાના બાળકોને બાફેલા શક્કરિયાનો માવો દુધ, સાકર, એલચી નાંખી ખીરની માફક ખવડાવી શકાય. શક્કરિયા છોલી, કાપી અને બટેકાના શાકની માફક વઘારી-મસાલા નાંખી રસાવાળું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય.
કાચાં કેળા: કેળાનો ઉપયોગ પાકા થયા બાદ ફળ તરીકે થાય છે. કાચા કેળાનો શાક તરીકે ઉપયોગ જૈન પરંપરામાં અમુક તિથિ દરમ્યાન થાય છે. કાચા કેળામાં રહેલાં રેસા, વિટામીન્સ, પોટેશ્યમ, કેલ્શ્યમ, ફોસ્ફરસ જેવા મિનરલ્સ તેને સહેલાઈથી પચે તથા ખૂબ જ પૌષ્ટિક બનાવે છે. કેટલાંક લોકો પૌષ્ટિક એટલે વજન વધારે તેવું માને છે. પરંતુ કાચા કેળામાં રહેલાં ક્ષાર, રેસા વગેરેથી સહેલાઈથી પચી જાય છે. શરીરમાંથી ટોક્સિક મટીરીયલ્સ બહાર કાઢવામાં મદદ કરે છે. સંતોષની લાગણી થાય છે, જેથી ખોરાકનાં પ્રમાણમાં નિયંત્રણ આવે છે. તેમાં રહેલું ગળપણ પિત્તને સુધારે છે. નબળું પાચન, કબજીયાત, ત્વચા-વાળની રૂક્ષતા, સ્પર્મકાઉન્ટ ઓછા હોય, નબળાઈ રહેતી હોય તેવા રોગમાં કેળાનું શાક સમયાંતરાલે ખાતા રહેવાથી ફાયદો થશે.
સફેદ-પીળું કોળું: કોળાના કંદ રેસા ઉપરાંત પાણીથી ભરપૂર હોય છે. કોળાના ટુકડા કરી થોડા પાણીમાં મીઠું નાંખી બાફી અને વઘાર અને સ્વાદ મુજબ મસાલા ઉમેરી ખૂબ સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. કોળાને ડુંગળી, લસણ, ટમેટા, તજના ટુકડા સાથે બાફી, ક્રશ કરી તેમાં મીઠું-મરી ઉમેરી સૂપ તરીકે પણ પી શકાય. વિટામીન-A અને પોટેશ્યમથી ભરપૂર કોળામાં કેલ્શ્યમ અને વિટામીન-C પણ છે. કોળું ઉનાળા દરમ્યાન હાથ-પગના સ્નાયુમાં થતાં દુખાવા, ખેંચાણ, કબજીયાત, પાચનના રોગમાં ફાયદો કરે છે. સ્ત્રોત: સ્ત્રોત: ફેમિના,નવગુજરાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020