‘શું જે કારણોથી મનુષ્ય-પ્રાણી ઉત્પન્ન થયા છે, તે જ કારણોથી રોગ પણ ઉત્પન્ન થાય છે?'
કોન્ફરન્સમાં આ વિશે અનેક જ્ઞાનીઓએ અલગ-અલગ મંતવ્યો જણાવ્યા. અંતે ચર્ચાના સારરૂપે પુનર્વસુ આત્રેયે કહ્યું; ‘જે બધા જ કારણો તેમની સાત્મ્ય (ઉત્તમ, ઉપયોગી) અવસ્થામાં મનુષ્યનાં જન્મ માટે કારણ બને છે, તે બધા જ કારણો અસાત્મ્ય (અયોગ્ય, બિનુપયોગી) અવસ્થામાં હોય, તો રોગ કરે છે'.
અહીં જન્મ માટે કારણભૂત કારણોમાં ‘સાત્મ્ય આહાર'ને મહત્વનું કારણ કહ્યું, ત્યારે એ જાણવું જરૂરી બને કેવા આહાર સાત્મ્ય બની રોગ થતાં અટકાવે ?
શરીરને નિરોગી રાખવું હોય તો એવો આહાર લેવો જોઈએ જે પ્રકૃતિને અનુરૂપ શરીરના દોષો અને ધાતુઓને યોગ્ય પોષણ આપી શકે. આથી ખોરાકનો પ્રકાર જ નહીં પરંતુ ખોરાક કોણ ખાય છે, તેની પાચનશક્તિ કેવી છે ? રોજબરોજની કાર્યપ્રવૃત્તિ શું કરે છે ? ખોરાક કઈ ઋતુમાં ખાવામાં આવે છે ? તથા જે તે પ્રદેશમાં ત્યાંના વાતાવરણ અનુસાર તે ખોરાક ખાવો યોગ્ય છે કે કેમ? તે ધ્યાનમાં રાખવાથી આહારની સાત્મીયતા જળવાઈ રહે. ગમે તેટલો પૌષ્ટિક ખોરાક હોવા છતાંપણ વ્યક્તિની પાચનશક્તિ અને પ્રકૃતિ-બળને અનુરૂપ ખોરાકની વ્યવસ્થા કરવી જોઈએ. પચવામાં ભારે ખોરાકનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. જલ્દીથી પચી જાય તેવા ખોરાક તીવ્ર પાચનશક્તિવાળા વ્યક્તિએ વધુ માત્રામાં ખાવો પડે છે. આમ માત્ર ખોરાકનો પ્રકાર, પ્રમાણ જ નહીં વ્યક્તિની પાચનશક્તિ તથા ઉર્જાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ખોરાક ખાવાથી શરીર નિરોગી રહે. આ ઉપરાંત જે તે પ્રદેશમાં, જે તે ઋતુમાં મળતાં અનાજ, શાક, ફળ વગેરે ત્યાં રહેતા વ્યક્તિઓ માટે વધુ અનુકૂળ રહે છે.
શરીરની વ્યાધિક્ષમતા જાળવવા માટે આહાર મહત્વપૂર્ણ છે. આયુર્વેદ ઓજોબળ વધારે તેવા ખોરાક અને ઔષધો વિશે માર્ગદર્શન કરે છે..
ઘી, દૂધ, છાશ જેવા આહાર દ્રવ્યો ઓજ વધારનારા છે. આ ઉપરાંત પ્રત્યેક આહાર દ્રવ્યના પંચભૂતાત્મક ગુણોથી તેમાં વિશિષ્ટ ખારો, ખાટો, તીખો, ગળ્યો, તુરો અને કડવો એવા સ્વાદ હોય છે. આયુર્વેદાનુસાર-‘સર્વ રસાભ્યાસી બલકારણમ્' છ રસોનું નિયમિત સેવન થાય તે માટે છયે સ્વાદના આહારદ્રવ્યો ખોરાકમાં આવે તે મુજબનો ખોરાક ખાવાથી બળ-ઓજોબળ જળવાઈ રહે છે.
આથી ખાંડ, ગોળ કે અન્ય મીઠાઈઓ કે પછી ખટાશ, ખારાશ કે તીખાશ યુક્ત ખાદ્યપદાર્થો સાથે રોજબરોજના ખોરાકમાં મેથીના દાણા કે કસૂરી મેથીની સૂકવણી કે પછી કારેલા, મેથી જેવા કડવાશવાળા ખોરાક ઉમેરવા જોઈએ. તુરિયા, ગલકા, પરવરમાં રહેલી થોડી તૂરાશ થોડી કડવાશ ખાવાથી પંચભૌતિક શરીરના પોષણ-સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
રસાયન ઔષધોથી વ્યાધિક્ષમત્વ રસાયનએ આયુર્વેદનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ છે. રસાયન એટલે – યત્ જરા વ્યાધિ નાશનમ્ તત્ રસાયનમ્. જે વૃદ્ધાવસ્થાજનિત ફેરફાર તથા રોગનો નાશ કરે છે તે રસાયન છે. આયુર્વેદમાં રસાયનક્રિયા વિશે ખૂબ જ વિગતે માર્ગદર્શન કરવામાં આવ્યું છે જેમાં થોડા સરળતાથી લઇ શકાય તેવા રસાયન ઔષધો વિશે પણ જણાવ્યું છે. રસાયન કરવાવાળી ઔષધિઓ જેવીકે આંબળા, ગળો, અશ્વગંધા, જેઠીમધની શરીર પર થતી અસર વીશેનાં સંશોધનો જણાવે છે કે, રસાયન ઔષધિઓ Immunodulatory Effect ધરાવે છે. જેના ઉપયોગથી ઈમ્યુનિટી માટે જરૂરી ફેરફાર કરવા શરીરને બળ મળે છે..
જેમ કેટલાંક ખોરાકથી ઈમ્યુનિટી વધે છે. તેવી જ રીતે દહીં સાથે ફળો, પચવામાં ભારે વાનગી, કોમ્પ્લેકસ પ્રોસેસથી ઘણાબધા ખાદ્યપદાર્થો ભેળવીને બનાવેલી વાનગીઓ ઈમ્યુનિટી ઓછી કરે છે. વિરૂદ્ધાહાર વિષયક I A Myles એ લખેલા રીસર્ચ આર્ટીકલ ‘વેસ્ટૅન ડાયેટ ઓન ઈમ્યુનિટી' માં લખ્યું છે કે, Omega 6 ફેટી એસિડ, સોલ્ટ અને સિમ્પલ સુગર ઇન્ફ્લેમેશન માટે જવાબદાર વાતાવરણ પૂરું પાડે છે, પ્રોઇન્ફ્લેમેટરી છે. આથી તે ખાવાથી ઈમ્યુનરિસ્પોન્સ નબળો પડે છે. આનો સાર એ કે વધુ માત્રામાં ખવાતી ખાંડ, નમક, ચરબીની આડઅસર ઈમ્યુનિટી પર થાય છે.
એવા કેટલાંક ખોરાક છે જે ઈમ્યુનિટી માટે જરૂરી વાતાવરણ જાળવવા માટે શરીરને મદદ કરે છે. હાઈકોમ્પ્લેકસ કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર ધરાવતા અનાજ, ઘઉં, જવ, હાથછડનાં ચોખા તથા ફળો કે જેમાં રેસા અને ખાંડ પાચન બાદ છુટી પડતી હોય જેમકે કેળા, ચીકુ, સફરજન, કેરી તથા ખજૂર, અંજીર જેવા ડ્રાયફ્રૂટ્સ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ ઘટાડીને રોગ અટકાવવામાં મદદ કરે છે. ઈમ્યુનિટી વધારે છે..
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2019