એકબાજુએ વસ્તીના વધારા સાથે પાણીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુએ વિવિધ જળ સંસાધનોમાંથી પ્રાપ્ત થતા જળના પ્રમાણમાં દિનપ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. વિરોધાભાસી પરિસ્થિતિ વચ્ચે સ્થાપિત કરવા માટે ખરેખર તો પાણીના વપરાશમાં કાપ મૂકવો જોઈએ. પરંતુ તેમ કરવાને બદેલ વિવિધ હેતુઓ માટે બિનજરૂરી રીતે બેફામ ઉપયોગ કરીએ છીએ. તેથી પાણીની દિવસે દિવસે ખેંચ વરતાય રહી છે. પાણીના વપરાશમાં દુરુપયોગ કરી રહ્યા છીએે
ખેતીમાં સિંચાઈ દ્વારા નહેરોથી પાણી મેળવવામાં આવે છે. તેમાં મીટર પદ્ધતિ ન હોવાથી તે ગમે તેટલું વાપરવામાં આવે તો પણ તેનો વાર્ષિક ફિક્સ ચાર્જ જ ભરવાનો હોય છે, તેથી ખેડૂત જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ કરીને બહુ મોટો બગાડ કરે છે. આ મૂલ્યવાન જળનો દૂર ઉપયોગ છે.
ઔદ્યોગિક ક્ષેત્રનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ તેની પાણીની જરૂરિયાતો સંતોષવા માટે પાણીની માંગમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જુદા જુદા ઉદ્યોગ ધંધાઓમાં આ પાણીની માંગ જુદી જુદી હોય છે તે ખરું, પરંતુ એકંદરે આ માંગ ખૂબ મોટી હોય છે, તેથી તેમાં કરકસરની ખૂબ જરૂર છે, પરંતુ કારખાનાના માલિકો અને શ્રમિકો પાણીના મૂલ્યને સમજતા નથી. તેથી જરૂર કરતા તેનો અનેકગમો ઉપયોગ કરે છે. આ અનેકગણો ઉપયોગ એ પાણીનો દૂરઉપયોગ છે. માનવી ઉપરોક્ત વિવિધ હેતુ માટે જરૂર કરતાં અનેકગણું પાણી વાપરીને પાણીનો દૂર ઉપયોગ કરે છે.
લોકભોગ્ય પાણી વરસાદથી મળે છે. તેથી વરસાદ એ પાણીનો એકમાત્ર સ્ત્રોત છે. નદીઓ, તળાવો, સરોવરો, ડેમો જળ સંસાધનો દ્વારા આપણે જે જળ પ્રાપ્ત કરીએ છીએ તે બધાનો આધાર વરસાદ પર રહેલો છે. આ વરસાદ વર્ષમાં અમુક ઋતુમાં જ આવે છે. તેથી પાણીની ખેંચ પેદા ન થવા દેવી હોય તો વરસાદ આવે ત્યારે તેનો કૃત્રિમ રીતે શક્ય એટલો સંગ્રહ કરવો જોઈએ. ૮૫ ટકા જળ રાશિ ભૂમિ પર પડીને નદીનાળાઓ દ્વારા સમુદ્રમાં ભળી જાય છે. ઈઝરાઈલ ૩ થી ૪ ઈંચ વરસાદથી સમગ્ર દેશને હરિયાળો બનાવી શક્યો તેનું કારણ માત્ર તેઓ વરસાદના એકેએક ટીપાને સંગ્રહિત કરીને તેનો સદ્ઉપયોગ કરે છે. વરસાદના પાણીને સંગ્રહિત ન કરવાને કારણે પાણીનો બહુ મોટો દુર ઉપયોગ થાય છે.
માનવ દ્વારા વિવિધ હેતુઓ માટે જે જળની માંગ કરવામાં આવે છે તે શુધ્ધ જળની છે. પરંતુ માનવીએ પ્રગતિના બહાના તળે સ્વ સ્વાર્થને પોષવા નદી, નાળા, સરોવરો, તળાવો, કૂવાઓ દ્વારા પ્રાપ્ત થતા અમૃત રૂપી જળને પ્રદૂષિત કરીને ઝેર બનાવી દીધું છે. પાણીમાં બહારના પદાર્થો ભળતા તંદુરસ્તી માટે તે ભયજનક અને નુકસાનકારક બને છે. જે પાણી તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને તેને પ્રદૂષિત જળ કહેવાય છે. નેચરલ એન્વાયરમેન્ટલ એન્જીનિયરિંગ એન્ડ રિસર્ચના અહેવાલ મુજબ ભારતમાં પ્રાપ્ય પાણીનો ૯૦ ટકા જથ્થો પ્રદૂષિત છે. આમ કુદરતે જે જળ શુદ્ધ સ્વરૂપે આપણને આપ્યું છે. તે શુદ્ધ જળમાં પ્રદૂષણસર્જક તત્વોને ઠાલવીને તેને બિનઉપયોગી બનાવી તેનો દુરુપયોગ કરી રહ્યા છીએ. પાણીને પ્રદુષિત કરતા માનવસર્જિત પાણી પ્રદૂષકોને વર્ગીકૃત કરી શકીએ.
નદી, નાળા, સરોવરો અને તળાવોના પાણીમાં શહેરી-ગ્રામીણ ગટરોના ગંદા પાણી ઠલવાતા જૈવિક પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. તેથી તે જળ માનવને માટે ઉપયોગપાત્ર રહેતું નથી.
મુખ્યત્વે ઉદ્યોગો અને શહેરોના નકામા પદાર્થો, બિનજરૂરી રાસાયણિક આડપેદાશો અને સર્વ પ્રકારના કચરાઓ જળાશયોમાં નાખીને તેનો નિકાલ કરવાનો જાણે કે સામાન્ય શિરસ્તો બની ગયો છે. આથી આ બધા પ્રદૂષિત પદાર્થો જળમાં ઠલવાતા તે પ્રદૂષિત બને છે અને પછી તે જળ માનવને માટે ઉપયોગી રહેતું નથી. તેનો દુરુપયોગ થાય છે.
ઉષ્મા પાવર સ્ટેશનોમાં યંત્રોને ઠંડા પાડવા માટે અથવા બિનજરૂરી ઉષ્માને દૂર કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને ગરમ થયેલ પ્રદૂષિત જળ નજીકના જળાશયોમાં છોડી દેવામાં આવે છે તેથી તે પ્રદૂષિત બને છે અને માનવના ઉપયોગને પાત્ર રહેતું નથી. તેનો દૂર ઉપયોગ થાય છે.
પરમાણુ શક્તિને શાંતિમય ઉપયોગો માટે નાથવા માટે જે કાર્યક્રમોનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેને કારણે રેડિયો એક્ટિવ પદાર્થોના વપરાશમાં વધારો થઈ રહ્યો છે. રેડિયો એક્ટિવ પદાર્થો પાણી ભળતા તે પ્રદૂષિત થાય છે અને તે જળ ઉપયોગ પાત્ર રહેતું નથી. તેનો દુરુપયોગ થાય છે.
પર્યાવરણની પ્રાકૃતિક સમતુલા એ આદર્શ સ્થિતિ છે. કારણ કે તે પર્યાવરણનું શુદ્ધ સ્વરૂપ હોવાથી માનવી અને અન્ય જીવસૃષ્ટિને માટે ઉપકારક છે. પરંતુ માનવી એ જળ જે પર્યાવરણના વિવિધ સંસાધનોનો દુરુપયોગ સર્જીને જળ પ્રદૂષણનું સામ્રાજ્ય પેદા કર્યું છે. માનવી અને જીવસૃષ્ટિનું સુખમયજીવન દુઃખમય પરિસ્થિતિમાં પરિવર્તિત થઈ ગયું છે. માનવીએ કરેલ જળ સંસાધનોના દૂર ઉપયોગ આદર્શ પર્યાવરણની પ્રાકૃતિક સમતુલાને ખંડિત કરી છે તે તેની માઠી અસર ગણાવી શકાય.
જળ સંસાધનો જેવા કે નદી, નાળા, સરોવરો, તળાવો માનવ દ્વારા અનેક પ્રકારના પ્રદૂષકો ઠાલવવામાં આવે છે. પ્રદૂષકોની માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો પેદા થઈ છે.
નદી, નાળા, સરોવર અને તળાવોના પાણીમાં શહેર અને ગ્રામીણ ગટરોના અશુદ્ધ પાણી ઠલવાતા જૈવિક પ્રદૂષણ પેદા થાય છે. ગટરોના ગંદા પાણીમાં રહેલા મળમૂત્રને કારણે અનેક પ્રકારના રોગોને ફેલાવનારા બેકટેરિયા, પ્રોટોઝોઆ અને જીવાણુઓ પણ શુદ્ધ પાણીમાં ઠલવાય છે. માનવી આ અશુદ્ધ પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે. તેથી માનવના સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પહોંચે છે. કોલેરા, ટાઈફોઈડ, આંતરડાનાં દર્દો પ્રદૂષિત પાણી પીવાથી તથા તેનો ઉપયોગ કરીને ઉગાડેલા શાકભાજી અનાજ ખોરાકમાં ઉપયોગ કરવાથી થાય છે. ગટરોના ગંદા પાણીમાં રહેલ જૈવિક પ્રદૂષકો માનવ સ્વાસ્થ્યને નકુસાન પહોંચાડે છે.
ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતા બિનકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફલોરાઈડ એસિડ, ક્લોરિન, મરક્યુરી અને કેટલી ભારે ધાતુઓ જેવી કે, ઝિંક, ક્રોમિયમ, નિકલ, સાઈનાઈડ પાણીમાં ભળે છે. આ ઉપરાંત કાદવ, રાખ, કોલસી જેવી અદ્રાવ્ય પદાર્થો પણ તેમાં ઉમેરાય છે. રાસાયણિક પ્રદૂષકો જળાશયોના પાણીને પ્રદૂષિત કરી નાખે છે. તે વાપરવા માટે બિનઉપયોગી બની જાય છે. પરિણામે અનેક પ્રકારના રોગોનો તે ભોગ બને છે. રાસાયણિક પ્રદૂષકો માનવીના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પેદા કરે છે.
સ્ટેશનોમાં યંત્રોને ઠંડા કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણ યુક્ત ગરમ પ્રદૂષિત પાણી જળાશયમાં ઠલવાતા તેનું ઉષ્ણતામાન વધી જાય છે. આવા ગરમ પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવાથી માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે અને માનવી અનેક રોગોનો ભોગ બને છે.
પરમાણુ શક્તિને શાંતિમય ઉપયોગો માટે નાથવાના જે કાર્યક્રમોનો અમલ થાય છે તેને કારણે રેડિયો એક્ટિવ પદાર્થોના વપરાશમાં વધારો થાય છે. તે પાણીમાં ભળતા પાણી પ્રદૂષિત થાય છે. કેટલાક રેડિયો એક્ટિવ પદાર્થો પાણી વાટે માનવીના શરીરમાં દાખલ થાય છે. આથી શરીરના વિવિધ અંગો પર અનેક પ્રકારની હાનિકારક અસરો ઉત્પન્ન થાય છે.
પર્યાવરણમાં માનવની માફક અન્ય જીવસૃષ્ટિમાં પાલતુ પશુઓ, જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને અગણિત જીવજંતુઓ પણ રહેલાં છે. પીવામાં ઉપયોગ કરે છે. તેથી માનવીની માફક જે તેના સ્વાસ્થ્ય પર પણ તેની પ્રતિકૂળ અસરો પડે છે. અને તે બધા અનેક રોગોનો ભોગ બને છે. અન્જ જીવસૃષ્ટિ પર પણ જળ સંસાધનોના ખોટા ઉપયોગની પ્રતિકૂળ અસરો પડે છે.
સપાટી પરના જળપ્રદૂષણો ધીમે ધીમે ભૂમિના પેટાળમાં રહેલા ભૂગર્ભ જળસંગ્રહ સુધી પહોંચે છે અને ભૂગર્ભ રહેલા શુધ્ધ જળસંગ્રહને તે પ્રદૂષિત કરે છે. જળનો જ્યારે ઉપયોગ કરવામાં આવેલ છે ત્યારે તે સમગ્ર જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે.
સપાટી પરના જળથી માનવીની પાણીની જરૂરિયાતો સંતોષાતી નથી. તેથી તે ધીમે ધીમે પેટાળના ઉપયોગ કરવાનું શરૂ કરે છે. કૂવાના પાણી ખલાસ તથા તે પાતાળ કૂવા દ્વારા પાણી મેળવે છે. પાતાળ કૂવા દ્વારા જે પાણી મેળવવામાં આવે છે તે ભૂગર્ભનું સંગ્રહિત જળ જ હોય છે અને તેનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આ જળ પૃથ્વીના ઉપલા પડનો આધાર છે. પરંતુ જ્યારે આ જળને ખેંચી લેવામાં આવે છે. ત્યારે ત્યાં નીચેની જમીન અને પૃથ્વીની ઉપરની જમીનની વચ્ચે ગેપ પેદા થાય છે આથી ઉપલી જમીન આધાર રહિત બની જાય છે. આમાંથી ધરતીકંપ અને જ્વાળામુખી જેવી પ્રાકૃતિક આપત્તિઓનો જન્મ થાય છે અને તે પૃથ્વીના આંતરસ્તરીય બંધારણને ખંડિત કરે છે. જળ સંસાધનોના દુરુપયોગથી પૃથ્વીના આંતરસ્તરીય બંધારણ પર પ્રતિકૂળ અસર પડે છે.
સમુદ્રના જળમાં માછલી, કાચબા, મગરમચ્છ અને એવા અન્યઅંશ્કય જીવો રહેલાં હોય છે, પરંતુ આ સમુદ્રી જળમાં પ્રદૂષિત નદીનાળાઓનું જળ અને સીધેસીધું શહેરી ગટરોનું પ્રદૂષિત જલ અને કચરો ઠલવાય છે. આ ઉપરાંત સમુદ્ર કાંઠે કરવામાં આવતા તેલ સંશોધન માટે હાથ ધરેલા ડ્રિલિંગમાંથી નીકળતું તેલ, તેમ જ સમુદ્રમાં તેલ લઈ જતી સ્ટીમરો ડૂબવાથી અને તેને સમુદ્રના પાણીથી સાફ કરવાથી સમુદ્રમાં તેલ ઠલવાય છે. સમુદ્રનું જળ પ્રદૂષિત અને ઝેરીલું બને છે આની જળ જીવસૃષ્ટિ પર પ્રતિકૂળ અસર પડે છે. સમુદ્રોના કિનારાના જળ પ્રદૂષિત થવાથી જ કિનારાના નજીકના સમુદ્રમાં મત્સ્ય ઉત્પાદનમાં બહુ મોટા પ્રમાણે ઘટાડો થયો છે. ઉપરાંત સમુદ્ર વનસ્પતિ પર પણ પ્રદૂષિત જળની પ્રતિકૂળ અસર પડે છે. જળ સંસાધનોનો ખોટો ઉપયોગ થવાથી સમુદ્રિજળ જીવસૃષ્ટિ ઉપર તેની ખૂબ જ પ્રતિકૂળ અસરો પડી રહી છે.
ડૉ. સોંદરવા નાનજી -લેખક ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગરમાં અર્થશાસ્ત્ર વિભાગના વ્યાખ્યાતા છે.
સંકલનઃકંચન કુંભારાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020