સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તાર ગુજરાત રાજ્યની પશ્ચિમ દિશાએ આવેલ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, જામનગર, દેવભુમી દ્વારકા, અમરેલી અને પોરબંદર નો સમાવેશ થાય છે. જેની સાથે વિશાળ દરીયા કિનારો જોડાયેલ છે. સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તારની જમીનમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં ઘણા નાના મોટા ડુંગરો આવેલા હોઇ જમીનની ઉંડાઇ ઓછી જોવા મળે છે. સમગ્ર વિસ્તારની જમીનની ભૌતિક પરિસ્થતિનું વર્ણન ટૂંકમાં આપવામાં આવેલ છે.
સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં છિછરી એટલે કે ૨૫ થી ૭૫ સે.મી ની ઉંડાઇ અને સાધારણ છિછરી એટલે કે ૫૦ થી ૭૫ સે.મી ની ઉંડાઇ ધરાવતી જમીન આવેલ છે. જ્યારે ક્ચ્છ વિસ્તારમાં સાધારણ ઉંડી એટલે કે ૭૫ થી ૧૦૦ સે.મી ની ઉંડાઇ અને ઊડી જમીન એટલે કે ૧૦૦ થી ૧૫૦ સે.મી ની ઉંડાઇ ધરાવતી જમીન આવેલ છે. સૌરાષ્ટ્રના ઉમરીય વિસ્તારમાં છિછરી ઉંડાઇ અને દક્ષિણ વિસ્તારમાં સાધારણ છિછરી ઉંડાઇ અને ગીર વિસ્તારમાં એક્દમ છિછરી ઉંડાઇ ( ૧૦ થી ૨૫ સે.મી. ) વાળી જમીન આવેલ છે. ક્ચ્છના રણની નજીક આવેલ અમુક વિસ્તારમાં ખૂબજ ઉંડાઇ એટલે કે ૧૫૦ સે.મી થી વધારે ઉંડાઇ ધરાવતી જમીન આવેલ છે
જમીનનું પોત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિના વિકાસ સાથે સંકળાયેલ છે. જમીનના પોતને ઘણું કરીને ત્રણ ભાગમાં વહેચવામાં આવેલ છે. એટલેકે કાળી- ગોરાળુ અને રેતાળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટાભાગમાં કાળી જમીન આવેલ છે અને ક્ચ્છ વિસ્તારમાં ગોરાળુ જમીન આવેલ છે.
નિતાર જમીન,પાણી અને હવાનુ પ્રમાણ જાળવવા અને જમીન ની અંદરના મુળીયાઓની જરુરી માત્રામાં પ્રાણવાયુ મળવા બાબતે અસરકારક છે. સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તારમાં મોટાભાગમાં સારો નિતાર ધરાવતી જમીન આવેલ છે. અમુક છુટાછવાયા ભાગોમાં વધારે નિતાર ધરાવતી જમીન પણ આવેલ છે.
જમીનનો મહત્તમ ઉપયોગ કરવા માટે જમીનની ખારાશ અને ભાસ્મિક્તાની જાણકારી જરુરી છે. ખારાશ અને ભાસ્મિક્તા જમીનની ગુણવત્તાને અસર કરતુ મહત્વનું પરીબળ છે. સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તારમાં મોટાભાગની જમીનની ખારાશ ધરાવતી નથી.
સૌરાષ્ટ્ર અને ક્ચ્છના દરીયાકાંઠાના વિસ્તારમાં ખારાશ ધરાવતી જમીન છે. ક્ચ્છના રણની નજીક નો અમુક વિસ્તાર, પોરબંદર અને ભાવનગર જીલ્લાના દરીયાકાંઠાના અમુક વિસ્તારમાં તીવ્રથી અતિતીવ્ર ખારાશ ધરાવતી જમીન છે. ક્ચ્છના ઉત્તર- પશ્ચિમ વિસ્તાર અને ભાવનગરના દરીયાકાંઠાના વિસ્તારમાં સાધારણ ખારાશ ધરાવતી જમીન આવેલ છે. ક્ચ્છના રણની નજીક આવેલ રાજકોટ જીલ્લાના અમુક વિસ્તાર, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગર જીલ્લાના અમુક છુટાછવાયા વિસ્તારમાં સહેજ ખારાશ ધરાવતી જમીનઆવેલ છે.
અમરેલી અને ભાવનગર જીલ્લાના અમુક અંદરના વિસ્તાર તેમજ રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જીલ્લાના દરીયાકાંઠાના વિસ્તારમાં અને ક્ચ્છનાં પશ્ચિમ ભાગમાં સામાન્ય ભાસ્મિક્તા ધરાવતી જમીન આવેલ છે. ભાવનગર જીલ્લાના ભાલપ્રદેશમાં વધારે ભાસ્મિક્તા ધરાવતી જમીન છે. પોરબંદર જીલ્લાના દરીયાકાંઠાના વિસ્તારમાં મધ્યમ ભાસ્મિક્તા ધરાવતી જમીન આવેલ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020