অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાય-ભેસમાં ઋતુકાળ અને ઋતુચક્ર

ગાય-ભેસમાં ઋતુકાળ અને ઋતુચક્ર

ગાય-ભેસમાં ઋતુકાળ અને ઋતુચક્ર

આપણે સૌ જાણીએ છીએ કે, પશુપાલન હાલ એક પૂરક વ્યવસાય ન રહેતા સ્વતંત્ર વ્યવસાય તરીકે મક્ક્મ પણે ધીરે-ધીરે આગળ વધી રહ્યો છે. તે માટે સમયસર વિયાણ અને દર વિયાણ દીઠ વધુ દુધ ઉત્પાદન મેળવવું એ ખુબ જ અનિવાર્ય બની ગયું છે અને તો જ પશુપાલન આર્થિક રીતે નફાકારક થઇ શકે. સમયસર વિયાણ ત્યારેજ શક્ય બને છે જ્યારે ગાય-ભેંસ યોગ્ય ઉંમરે ઋતુકાળમાં આવે અને ગર્ભ ધારણ કરે. સંવર્ધન ઋતુમા વધુમા વધુ પશુઓ જ્યારે ગાભણ થાય તો તે ડેરી ફાર્મના નફા ઉપર સીધી અસર કરે છે. માટે જ પશુપાલકે પશુના ઋતુચક્ર અને ઋતુકાળની સાદી સમજ ખુબ જ જરુરી છે જેનાથી પ્રજનન વ્યવસ્થામા સુધારા-વધારા કરીને પ્રજનનક્ષમતા/ગર્ભધારણનો આંક/દર ઊંચો લાવી શકાય.

ઋતુચક્ર અને ઋતુકાળ

દરેક વર્ગના માદા પ્રાણીઓમાં પ્રજનન ક્રીયા નિયનિત રૂપે ચક્રીય રીતે થયા કરતી હોય છે. આવા એક ચક્રને ઋતુચક્ર કહે છે. ઉપરોક્ત ઋતુચક્રનાં તબક્કાઓ નિયત સમયે ચાલુ રહેતા હોય છે, સિવાય કે કોઇ રોગ/ઉણપ અથવા ગર્ભધારણ થાય તેવા સંજોગોમાં ચક્ર અટકી જાય છે. આખાય વર્ષ દરમિયાન માત્ર એકજ ઋતુચક્ર દર્શાવતા પ્રાણીઓને એક ઋતુચક્રી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ ઘણા ઋતુચક્રો દર્શાવે છે તેઓ બહુ ઋતુચક્રી પ્રાણીઓ કહેવાય છે. ગાય - ભેસ બહુ ઋતુચક્રી પ્રાણીઓ કહે છે અને દર એકવીસ (૨૧) દિવસને ગાળે તેનું ઋતુચક્ર ચાલ્યા કરે છે. વાછરડી અને પાડી જન્મ બાદ તરત જ ઋતુચક્રમાં આવતી નથી.પરંતું જેમ જેમ મોટી થાય તેમ તેમ તેના શરીરમાં વિવિધ અંત:સ્ત્રાવોનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થાય છે સાથે સાથે પુખ્ત ઉમર થતાં તેના જનનઅંગોનો વિકાસ પણ થાય છે અને આ વિકાસ પામેલા અંગો ગર્ભધારણ કરવા સજ્જ હોય છે. ગાય/ભેંસની વોડકી/જોટી જ્યારે યુવાવસ્થા પાર કરીને પુખ્ત અવસ્થાએ પહોચે છે ત્યારે સમયસર ઋતુચક્રની શરૂઆત થાય છે જે દર ૧૮ થી ૨૪ દિવસના (સરેરાશ ૨૧ દિવસ) અંતરાળે જોવા મળે છે. આવા સમયે જો ગર્ભધારણ ન થાય ત્યા સુધી દર ૨૧ દિવસે પશુ ઋતુકાળમા આવતુ જ રહે છે. આથી એક ઋતુકાળથી બીજા ઋતુકાળના વચ્ચેના સમયગાળાને ઋતુચક્ર કહેવાય છે.
હા, પશુ જો ગર્ભધારણ કરે તો વિયાણબાદના ઋતુકાળમાં ના આવવાના સમયગાળા (પોસ્ટપાર્ટમ એનઈસ્ટ્રસ) બાદ તે ફરીથી ઋતુચક્રમાં આવે છે. સામાન્ય રીતે વિયાણ બાદ ગાય-ભેંસ ૬૦ થી ૯૦ દિવસની અંદર ફરીથી ઋતુચક્રમાં આવી જાય છે. ઋતુચક્ર દરમિયાન જુદાં –જુદાં દિવસોએ ડિમ્બગ્રંથી પર જોવા મળતા વિવિધ અંગો નીચે દર્શાવેલ છે જેની વિગતવાર માહિતી તેના તબક્કાઓમાં આવરી લીધેલ છે. ઋતુચક્રનુ સંપૂર્ણ નિયમન શરીરની જુદી-જુદી ગ્રંથી અને જનનઅંગો દ્વારા થાય છે. ઋતુચક્ર એ ચાર તબક્કાઓમાં વહેચવામાં આવે છે. જેમ કે,

  1. પ્રઆવર્તકાળ,
  2. આવર્તકાળ,
  3. પશ્વઆવર્તકાળ અને
  4. ઋતુકાળવિશ્રાંતિ.

ઋતુકાળના દિવસો

૧૦

૧૧

૧૨

૧૩

૧૪

૧૫

૧૬

૧૭

૧૮

૧૯

૨૦

૨૧

ઋતુકાળ/

આવર્તકાળ (૧૨-૧૮ કલાક)

પશ્વ-આવર્તકાળ

(૨ થી ૧૬ દિવસ એટલે ૧૨ દિવસ)

ઋતુકાળવિશ્રાંતિ (૨ થી ૧૬ દિવસ એટલે ૧૨ દિવસ)

પ્ર-આવર્તકાળ (૧૭ થી ૨૧ દિવસ એટલે ૫ દિવસ)

પ્રઆવર્તકાળ/પ્રોઇસ્ટ્રસ :

  • ઋતુચક્રનો આ પ્રથમ તબક્કો છે
  • ૧૭ થી ૨૧ દિવસના સમયગાળાને પુર્વ ઋતુકાળ કહેવાય છે.એટલે કે આ સમયગાળો ૩ થી ૫ દિવસનો છે.
  • આ સમયગાળાને અંડપિંડનો પૂટકીય ગાળો (ફોલીક્યુલર ફેજ) પણ કહેવાય છે.
  • આ  સમયગાળામા અંડપિંડ ઉપર અંડ/પુટક/સ્ત્રીબીજનો જડપી વિકાસ થાય છે.
  • વિકાસ/વિકસિત થયેલ અંડ/પુટક/સ્ત્રીબીજ દ્વારા ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે.
  • આ ઇસ્ટ્રોજનનું પ્રમાણ રુધિરમાં વધવાના કારણે પ્રજનન અંગો ઉપર તેની વિવિધ અસરો જેવા મળે છે
  • જેવી કે, ડિમ્બવાહીનીનાં આંતરીક કોષો કાર્યરત થાય છે. ગર્ભાશયની ગ્રથીઓનો વિકાસ થાય છે.ગર્ભાશયનાં સ્નાયુઓનુ કદ વધે છે. ગ્રંથીઓ ઉત્તેજીત થતાં સ્ત્રાવમાં વધારો થાય છે. યોનીની દિવાલમાં રુધિર પ્રવાહ વધે છે. ભગોષ્ઠોમાં ધીમે ધીમે શોથ ઉદ્ભવે છે.
  • પીળા મસાનું વિલયન થવાના કારણે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઘટે છે.

આવર્તકાળ/ઋતુકાળ/ગરમી/ઇસ્ટ્રસ:

  • ઋતુચક્રનો આ બીજો  અને બહુ જ અગત્યનો તબક્કો છે.
  • જે દરમિયાન માદા ગાય કે ભેસ નર પશુ સાથે સમાગમ માટે ઉત્સુક/તૈયાર થાય છે અને તેને સ્ટેંડીગ હીટ પણ કહેવાય છે.
  • આ તબક્કાને અવધિ ૧૮ થી ૨૪ કલાકની હોય છે. ભેંસોમા ખાસ કરીને ઉનાળાની ઋતુમા આ સમયગાળો ટુંકો હોય છે અને વાતાવરણીય ગરમીના કારણે મહત્તમ ભેંસો ગરમીમા નથી આવતી અથવા તો છની આવે છે.
  • આ સમય દરમિયાન ગાય-ભેંસમાં શારીરિક અને માનસિક ફેર-ફારો જોવા મળે છે.
  • શારીરિક ફેર-ફરોમાં જોઇએ તો,

-     ગર્ભાશયની ગ્રંથીમાંથી ચીકણો સ્ત્રાવ યોની મારફતે બહાર પડે છે.

-     ગર્ભાશયનાં સ્નાયુઓની સંકોચન ક્રીયામાં વધારો થાય છે.

-     આ સમયે થતા ચીકણા સ્ત્રાવથી યોની ભીની અને લીસી બને છે. અને સંભોગ વખતે ઇજાઓ થતી અટકે છે.

-     ભગોષ્ઠો સુજાયેલા દેખાય છે. તેમાં રુધિર પ્રવાહ વધી જાય છે. તેથી તેની શ્વેત ત્વચા ગાઢ લાલ રંગની દેખાય છે.

-     બે ભગોષ્ઠ વચ્ચેના ભાગમાંથી ગર્ભાશય તથા યોનીનું ચીકણું પ્રવાહી પડે છે.

  • માનસિક ફેર-ફારોમાં જોઇએ તો,

-     પશુ બેચેની દર્શાવે છે તેમજ દોડા-દોડ કરી મુકે છે.

-     તે બીજા પ્રાણીઓ સાથે ચરવાનું બંધ કરે છે.

-     પશુ વારંવાર ભાંભરે છે.

-     પશુ ઘડી-ઘડી પેશાબ કરે છે

-     દુધ ઉત્પાદન ઘટે છે-ડબકાવે છે, અથવા દુધ નથી આપતુ.

-     અન્ય પશુ ઉપર ઠેકે છે, અથવા અન્ય પશુને પોતાના પર ઠેકવા દે છે/ સંવનન કરવાની ચેષ્ટા કરે છે.

-     પૂછડું સતત ઉંચુ રાખે છે.

-     ગર્ભાશય ગ્રીવાનું મુખ ખુલ્લું હોય છે.

-     ખોરાક લેવાનો ઘટી શકે છે.

-     યોનીમાથી લાળી જેવો ચિકણો, તેલની ધાર જેવો, સ્વચ્છ પારદર્શક પ્રવાહી જરે છે.

-     યોનીના/ભગોષ્ટ સુજેલા અને અંદરનો ભાગ રતાશ/લાલાશ પડતા જણાય છે.

-     ભગોષ્ટ/શરીરનુ તાપમાન સહેજ (૦.૫_ થી ૦.૮_ સેં.) વધે છે હાથથી પણ તાપમાનના ફેર-ફારનો અણસાર આવે છે.

-     સાંઢ કે પાડાની પાસે પહોચીને શાંત ઉભી રહે છે, સંભોગ થયા પછી આ માનસિક ફેરફારો અદ્રશ્ય થાય છે અને પશુ શાંત બને છે.

-     પશુમાં ઋતુકાળ/ગરમીનાસમયને નીચે મુજબના ત્રણ ભાગમાં વહેંચી શકાય

  1. ગરમીનો પૂર્વભાગ/ અગ્રભાગ – જે ૦ થી ૧૧ કલાક્નો હોય છે
  2. ગરમીનો મધ્યભાગ – જે ૧૨ થી ૧૭ કલાક્નો હોય છે જ્યારે
  3. ગરમીનો અંતભાગ – જે ૧૮ થી ૨૪ કલાક્નો હોય છે

ગરમીના આ વિવિધ તબ્બકાઓમાં ગરમીના ચિન્હો/ લક્ષણો નીચે મુજબ જોવા મળે છે

ગરમીના ચિન્હો

પૂર્વભાગ

મધ્ય ભાગ

અંતિમ ભાગ

બીજા પશુઓ સાથેનું વર્તન

બીજા પશુઓથી અલગ થવાની ઈચ્છા રાખે છે.

બીજા પશુઓમાં ભળી જાય છે.

બીજા પશુઓમાં ભળી જઈ સામાન્ય વર્તન કરે છે.

ભૂખ

ખોરાક ઓછો લે છે.

ખૂબ જ ઓછો ખોરાક લે છે.

સામાન્ય ખોરાક લે છે.

સ્વભાવ

સ્વભાવ શરૂઆતમાં નરમ લાગે છે પછી ઉગ્ર બને છે.

ઉગ્ર સ્વભાવ લાગે છે. બીજા જાનવરોને પોતાના ઉપર ઠેકવા દે છે.

શાંત જણાય છે.

ભાંભરવું

કોઈકવાર

વારંવાર

ભાગ્યે જ જોવા મળે

શરીરનું ઉષ્ણ તાપમાન

સહેજ વધારે

એકદમ વધે છે.

ધીરે ધીરે સામાન્ય થાય છે.

પીઠના ભાગના સ્નાયુઓનું ખેંચાણ, ખાસ કરીને સંકર ગાયોમાં

સહેજ વધારે જોવા મળે છે.

દેખીતી રીતે જ વધારે જણાય છે.

ભાગ્યે જ જોવા મળે

યોનિ (ભગ)

સોજો દેખાય છે, ઓછી કરચલીઓ દેખાય છે.

દેખીતી રીતે સોજો જોવા મળે છે.

સામાન્ય થતી જણાય છે.

યોનિનો અંદરનો ભાગ

થોડી લાલાશ પડતી જોવા મળે છે.

લાલાશ જોવા મળે છે.

ઘીરે ઘીરે સામાન્ય થાય છે.

યોનિમાંથી ઝરતી લાળી

ટુટક ટુટક લાળી

તેલની ધાર જેવી ચીકણી, સ્વચ્છ અને પારદર્શક

ખૂબજ ઓછી માત્રામાં અને ઘટ્ટ

ગર્ભાશયની પરિસ્થિતી

ગર્ભાશય કડક બન

વધુ કડક લાગે છે.

સામાન્ય હોય છે.

વધુમાં આ તબ્બકાઓ દરમિયાન લાળીના ગુણધર્મો પણ અલગ-અલગ જોવા મળે છે જે નીચે મુજબ છે.

લાળીની સ્થિતિ

પૂર્વ ભાગ

મધ્યભાગ

અંતિમ ભાગ

રંગ

પાણી જેવો

તેલની ધાર જેવી ચીકણી,

સ્વચ્છ પારદર્શક પરંતુ ધટૃ

પીળાશ પડતો

ઘટૃતા

પાતળી

ઘટ્ટ

અતિ ઘટ્ટ

જથ્થો

વધુ

ઓછો

અતિ ઓછો

સ્થિતિસ્થાપકતા

ઓછી સ્થિતિસ્થાપક

અને જલદી તુટી જાય છે.

પાતળી દોરડા જેવી અને સ્થિતિસ્થાપક યોનિમાર્ગથી નીચે સુધી લટકતી રહે છે.

અવક્ષેપન પ્રકાર

ગાય અને ભેંસોમાં ગરમીના ચિન્હ્‌ોમાં જોવા મળતો તફાવત.

ગાય

ભેંસ

ગરમીનો  સમય ટૂંકો હોય છે. (૧ર થી ર૪ કલાક)

ગરમીનો સમય લાંબો હોય છે. (ર૪ થી ૩૬ કલાક)

ગરમીના ચિન્હો  વધુ પ્રબળ જોઈ શકાય છે.

ચિન્હો  મોટા ભાગે ઓછા પ્રબળ હોય છે અને શાંત ગરમી જોવા મળે છે.

લાળીનો જથ્થો વધુ હોય છે.

લાળીનો જથ્થો ઓછો જોવા મળે છે.

ભાંભરવાનું  સામાન્ય હોય છે.

લાંબા સમય સુધી હોઠ ઉંચા કરી દાંત દેખાય તે રીતે ભાંભરે છે.

એક ગાય બીજી ગાય ઉપર ઠેકે છે.

આ ભાગ્યે જ જોવા મળે છે.

વધુમાં ઉપરોક્ત જણાવેલ ચિંહો ગાય/ભેંસો ઓછ-વત્તા પ્રમાણમા બતાવે છે. કેટલાક પશુઓ ઓછા ચિંહો જણાવે છે અને કેટલાક મુંગી ગરમી/ઋતુકાળ દર્શાવે છે. આવા પશુઓને ઘણા જિણવટથી તપાસ કરવી પડે. જેમ કે સવારે દાતણ કરતા-કરતા પશુ પાસે જવુ, સવારે પશુઓ લગભગ બેઠા હોય છે, ત્યારે લાળી કરેલ હોય તો પણ પકડી શકાય અને મહદઅંશે ઠંડો પહોર હોવાથી, પશુ ગરમીમા હશે તો ઓળખવાની સહેલાઇ રહે છે. ખાસ- પશુઓની સંખ્યા વધુ હોય તો સારો નસબંધી કરેલો અથવા સારી ઓલાદનો આખલો/પાડો રાખી શકાય. તો પશુ ગરમી છે કે નહી તેની તેના દ્વારા ઓળખાણ કરી શકાય.
  • પીચ્યુટરી ગંથીના અગ્રભાગમાંથી લ્યુટીંનાઇઝીંગ હોર્મોન (LH)નામના અંતસ્ત્રાવનો ટુક સમયમાં વધુ પ્રમાણમાં (LH surge)  સ્ત્રાવ થાય છે. જેનાથી ઋતુકાળ પછીના પશ્વ આવર્તકાળ ભાગમા અંડમોચન/ડીમ્બક્ષરણ થાય છે.  આથી પશુપાલકોને પશુનુ ગરમીમા આવ્યાના ૧૨ થી ૧૮ કલાકમા ફળાવવાની સલાહ આપવામા આવે છે.

પશ્વ-આવર્તકાળ/મેટઇસ્ટ્રસ:

  • આનો સમયગાળો 3 થી ૫ દિવસનો હોય છે. એટલે કે ૩ દિવસનો છે.
  • આ તબક્કામાં અંડમોચન/ડીમ્બક્ષરણ થાય છે
  • થયેલ અંડમોચન/ડીમ્બક્ષરણ જગ્યાએ પીળો મસો/પીત્તપીંડ/સીએલ બને છે. જે  પ્રોજેસ્ટેરોન નામનો અંત:સ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને ઈસ્ટ્રોજનનુ પ્રમાણ ઘટે છે જેની અસર તળે,

-     ઋતુકાળ સમયે જોવા મળતા બધા જ માનસિક ફેર – ફરો અદ્રશ્ય બને છે.

-     શ્લેષ્મય સ્ત્રાવ પણ ઘટી જાય છે.

-     ભગોષ્ઠોનો શોથ ઘટી જાવાથી તેની ત્વચા ઉપર કરચલીઓ પડે છે.

  • વળી, આ કાળમાં ફલીનીકરણ શક્ય બને તો સગર્ભાવસ્થાની શરૂઆત થાય છે અને જો ફલીનીકરણ ન થયુ હોય તો  ઋતુકાળવિશ્રાંતિની શરૂઆત થાય છે.

૪) ઋતુકાળવિશ્રાંતિ:

  • આ કાળનો ઋતુચક્રનો સૌથી લાંબો કાળ છે જે ૫ થી ૧૬ દિવસનો છે. એટલે કે ૧૫ થી ૧૬ દિવસ જેટલો લાંબો હોય છે.
  • આને લ્યુટીયલ ફેજ પણ કહેવાય છે.
  • આ સમયગાળામા પીળો મસો/પીત્તપીંડ/સીએલ પુર્ણ રીતે વિકસીત થાય છે. જે પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે
  • પ્રોજેસ્ટેરોનની અસર નીચે ગર્ભાશય, ડિમ્બવાહીની, યોની, પીચ્યુટરી  ગ્રંથી અને હાયપોથેલેમસ ગ્રંથી ઉપર પ્રભુત્વ/અસર કરે છે.
  • આ પીળો મસો/પીત્તપીંડ/સીએલ, ૧૫ થી ૧૭ દિવસ સુધી ગાય અને ભેંસમા કાર્યરત રહે છે. અને પછી પુર્વઋતુકાળ આવે તેમ તે ધીરે-ધીરે વિલયન થવા માંડે છે.
  • આ સમયમાં જનનઅંગોમાં ઋતુકાળ કરતા વિપરીત શારીરિક ફેર – ફારો ઉદભવે છે, જે પ્રોજેસ્ટ્રેરોન નામાનાં અંત:સ્ત્રાવ તળે ઉદ્ભવે છે.
  • વળી, ગર્ભાશયની ગ્રીવા (કમળ) બંધ રહે છે અને ગ્રાથીઓ સ્ત્રાવ કરતી નથી.

ઋતુચક્ર દરમિયાન અંડાશય ઉપર જોવા મળતા અંગો: મુખ્ય બે અંગો જોવા મળે છે. જે ઋતુચક્રના નિયમનમાં પણ મહત્વની ભુમિકા ભજવે છે.

  • ડિમ્બ/પુટક : કે જે પાણીના પરપોટા જેવુ હોય છે અને તેના અંદર અંડકોષ હોય છે. તે “ઇસ્ટ્રોજન”  નામનો અંત્રસ્તાવ ઉત્પન્ન કરે છે.  “ઇસ્ટ્રોજન” નુ વધુ પ્રમાણ એ સ્ટેંડીગ હીટ અને અંડમોચન માટે જવાબદાર છે
  • પીળો મસો (કોર્પસ લુટીયમ) અને તેનુ નિયમન:એ કઠણ પીળા કલર નો હોય છે. પીળો મસો પુટક અંડમોચન થાય ત્યાં બને છે. તે “પ્રોજેસ્ટ્રેરોન”  નામનો અંત્રસ્તાવ ઉત્પન્ન કરે છે.  તે ગર્ભને જાળવી રાખવા માટે જવાબદાર છે તે ૧૦ દિવસની અંદરએ પુખ્ત વયનો થાય છે. તેમજ, ઋતુચક્રનાં પાછળના દિવસોમાં ગર્ભાશયની દિવાલમાંથી પ્રોસ્ટગ્લાંડીન નામનો અંત:સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે પીળા મસાનુ વિલયન કરે છે.

પુટકોનો વિકાસ: ઋતુચક્ર દરમિયાન બીજાશયનું સમયસર સોનોગ્રાફી સ્કેનીંગ દ્વારા જાણવા મળેલ કે તેના ઉપર પુટકો યોગ્ય ક્રમમાં વિકસતા રહે છે જે અંત:સ્ત્રાવો પર આધારી છે.

પુટકોનો વિકાસ અને પુટકીય તરંગો: સામાન્ય રીતે ગાયો – ભેંસોમાં ઋતુકાળ દરમિયાન ૨ થી ૪ પુટકીય તરંગો જોવા મળે છે તેમા જ પુટકીય તરંગો દરમિયાન નીચે મુજબની ઘટનાઓ જોવા મળે છે જેવી કે, ભરતી (Recruitment), પસંદગી (Selection), વૃધ્ધી (Growth), વર્ચસ્વ (Dominance) અને પીછેહઠ (Regression).

ઋતુચક્રના દિવસો

૨ પુટકીય તરંગો

૩ પુટકીય તરંગો

  • સામાન્ય રીતે ગાયો અને ભેસોમાં જોવા મળે છે
  • આ ૨ પુટકીય તરંગોમાં ઋતુચક્રની લંબાઇ ૧૮ થી ૨૦ દિવસની હોય છે. જે  ૩ પુટકીય તરંગોથી ટુંકી હોય છે.
  • સામાન્ય રીતે ગાયોમાં જોવા મળે છે
  • આ ૩ પુટકીય તરંગોમાં ઋતુચક્રની લંબાઇ ૨૦ થી ૨૪ દિવસની હોય છે.
આમ ૨ પુટકીય તરંગોને આધરે સ્પષ્ટ થાય છે કે, ધણી વાર પશુને બીજદાન કરાવ્યા પછી આશરે ૧૦ થી ૧૨ દિવસ પછી ફરીથી ગરમીના લક્ષણો બતાવે છે જેનુ કારણ એ ઋતુકાળના ૧૦ થી ૧૨ દિવસ બાદ ગાય-ભેસના ડિમ્બગ્રંથી ઉપર પીળા મસાની સાથે સાથે મોટા પુટક/ડિમ્બનો પણા વિકાસ થયેલો હોય છે. જે થોડા ઘણા અંશે ઇસ્ટ્રોજન અંત:સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જેના કારણે થોડા ઘાણા ગરમીના બાહ્ય અને આંતરીક લક્ષણો જોવા મળે છે. જેથી, ખોટી ગરમી પણ નિદાન થવાની શક્યતા રહેલી છે. આમ, ઉપરના ચાર તબક્કાઓમાં વહેચાયેલા ઋતુચક્ર દરમિયાન પશુના શરીરમાં થતા શારીરિક અને માનસિક ફેર – ફારો ઉપર ધ્યાનમાં રખાવામાં આવે તો પશુ ગરમીમાં છે કે નહી તે જાણી શકાય છે. ઉપરોક્ત ફેરફરો તરફ બરોબર ધ્યાન ન અપાય તો ખેડૂતોને ઘણું નૂકશાન થાય છે, કારણકે તે ઋતુકાળ જતાં બીજા ૨૧ દિવસ રાહ જોવી પડે છે. તેમજ તેટલા જ દિવસ ગાય કે ભેસ મોડી ગાભાણ થાય છે. વળી, તે સમય દરમિયાન તેના માટેનો ખોરાકી તથા અન્ય ખર્ચ વધી જાય છે. ગાભણ મોડી થવાથી તેનું બચ્ચું પણ મોડુ જન્મે છે અને તેના બચ્ચાનું દુધ ઉત્પાદનપણ મોડું શરૂ થાય છે. દુધ ઉત્પાદનમાં ખોટ આવે છે. આમ, ઘણું બધુ આર્થિક નૂકશાન પશુપાલકોને વેઠવુ પડે છે. તેથી ઋતુકાળના ફેરફારોને ધ્યાન પૂર્વક સમજવાની ખુબજ જરૂરી છે. સમયસરનું ઋતુકાળ અંગેનુ નિદાનએ પશુપાલકો માટેની સૌથી મોટી સેવા છે. પશુપાલકોએ આ બાબતમાં વધુને વધુ સજાગ થવું જરૂરી છે.

ઋતુકાળનુ વિવીધ અંત્ર:સ્ત્રાવો દ્વારા નિયમન

આગળ જોયુ કે ગાય – ભેસમાં ઋતુચક્રએ દર ૧૮ થી ૨૧ દિવસો એ સામાન્ય રીતે ગરમીમાં આવતુ હોય છે જેને  ઋતુચક્ર કહે છે. જેનું પાડી/વાછરડીના જન્મ પછી શરૂઆત અને પુખ્ત વયનું થાય ત્યારબાદ સંપૂર્ણ નિયમન અંત:સ્ત્રાવો ને આભારી છે. અંત:સ્ત્રાવોએ રાસાયણિક મુજબ જુદા-જુદા પ્રકારના (પેપ્ટાઇડ, ગ્લાયકોપ્રોટીન અને સ્ટીરોઇડ) તેમજ તેમનુ કામ પણ બહુ જ ચોક્ક્સ અને સુનિશ્વ્ચિત તાલબધ્ધ હોય છે. તે પશુના શરીરના જુદી-જુદી ગ્રંથીઓમાં રહેલ ચોક્ક્સ કોષોમાંથી ઉત્પન્ન થાય છે જે તેની સુનિશ્વ્ચિત અંગ પાસે લોહીની નલીકા મારફેતે પહોચી તેનુ કાર્ય કરે છે.

ગાય – ભેંસમાં ઋતુચક્રનું અંત:સ્ત્રાવો દ્વારા નિયમન:

સામાન્ય રીતે આ ઋતુચક્રની પ્રક્રીયા શરૂઆત થવા માટે જ્યારે ગાય કે ભેસના બચ્ચાંની જેમ જેમ ઉમર વધે તેમ મગજમાં આવેલ હાઇપોથલેમસ (ઉપચેતક), પિયુષિકા ગ્રંથી અને માદા પ્રજનનતંત્રની રજગ્રંથી – ડિમ્બગ્રંથી જેવા અંગો દ્વારા ઉદ્ભવતા વિવિધ અંત:સ્ત્રાવીય ફેરફારો અને સંકલન તાલબધ્ધ ઋતુચક્ર કે વેતરે આવવા માટે જવાબદાર છે.

પશુની હાઇપોથલેમસમાંથી જુદા-જુદા વિમુક્ત પરીબળોનો (Releasing factors) સ્ત્રાવ થાય છે જે પિચ્યુટરી ગ્રંથી પર અસર કરીને જુદા – જુદા અંત:સ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. પશુપ્રજનનની વાત કરીયે તો, ગાય-ભેસની હાઇપોથલેમસમાં રહેલ ચેતાકોષો (GnRH neuron) માં ગોનાડોટ્રોપીન નામક વિમુક્ત પરીબળનો સ્ત્રાવ થાય છે જે ઉપચેતક-પિયુષિકા અંત:સ્ત્રાવ વહન માર્ગ દ્વારા પિયુષિકાગ્રંથીના આગળના ભાગ ઉપર પહોચી તેમાં રહેલા જુદા-જુદા કોષો ઉપર અસર કરી તેમાંથી જનનગ્રંથીપ્રેરક અંત:સ્ત્રાવો (પુટક વૃધ્ધિ પ્રેરક- FSH અને પિત્તકાય વૃધ્ધિ પ્રેરક – LH) ઝરતા કરે છે. પુટક વૃધ્ધિ પ્રેરક અંત:સ્ત્રાવ ડિમ્બગ્રંથી ઉપર રહેલા અવિકસિત પુટકો ઉપર અસર કરે છે. જન્મ સમયે સામાન્ય રીતે માદા પશુના ડિમ્બગ્રંથીમાં ૭૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ જેટલી સંખ્યામાં અવિકસિત પુટકો જોવા મળે છે. પુટક વૃધ્ધિ પ્રેરક અંત:સ્ત્રાવની અસર હેઠળ દરેક ઋતુચક્ર વખતે આ અવિકસિત પુટકોમાંથી અમુક પુટકો (Recruitment) વિકસવાનુ શરુ થાય છે. વિકાસ/વૃધ્ધિ પામેલા (Development) આ પુટકો પૈકી માત્ર એક જ પુટક  ઋતુકાળ સમયે પુર્ણતયા વિકસિત (Graafian follicle) અવસ્થાએ પહોચે છે. જે ઇસ્ટ્રોજન નામનાં અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ઇસ્ટ્રોજનનું લોહીમાં મહત્તમ પ્રમાણ વધતા પિયુષિકા ગ્રંથીના આગળના ભાગમાંથી પિત્તકાય વૃધ્ધિ પ્રેરક અંત:સ્ત્રાવનો એકાએક વધુ સ્ત્રાવ કરવા પ્રેરે છે. જેની અસર હેઠળ ડિમ્બગ્રંથી ઉપર રહેલ પુર્ણતયા વિકસિત પુટકનો વિકાસ તેમજ તેમાં રહેલ અંડકોષ/ડિમ્બનો વિકાસ કરી પશ્વઆવર્તકાળમાં  અંડમોચન/વોમોચન (પુટકનું તુટવું) કરે છે.

વધુમાં, ડિમ્બગ્રંથી ઉપર અંડમોચન થયા પછી તે જગ્યામાં આવેલ કોષોનો વિકાસ કરીને ત્યાં પિત્તકાય ગ્રંથી (પિત્તપિંડ/પીળો મસો) નામની થોડા સમય પૂરતી કાર્યકારી અંત:સ્ત્રાવી ગ્રંથી ઉદ્ભવે છે. જે ધીરે ધીરે પ્રોજેસ્ટેરોન નામનો અંત:સ્ત્રાવનો સ્ત્રાવ શરૂ કરે છે. ઋતુકાળ પછીના એટલે કે પશ્વાઅવર્તકાળ અને ઋતુકાળવિશ્રાંતિ ના ૧ થી ૧૬ દિવસ સુધી કાર્ય કરે છે. જ્યારે સૌથી વધુ કાર્ય ઋતુકાળવિશ્રાંતિના ૫ થી ૧૬ દિવસો દરમિયાન કરે છે. જો ગાય કે ભેસ ગાભણ ન થાય તો ૧૬ થી ૧૭ મા દિવસે માદા પિત્તકાય ગ્રંથીમાંથી ઓક્સીટોસીન નામનો વધુ એક અંત:સ્ત્રાવ ઉત્તપન્ન થાય છે જે ગર્ભાશયની દિવાલને ઉત્તેજીત કરી તેમાંથી પિત્તકાયભંજક (પ્રોસ્ટાગ્લાન્ડીન) નામના રસાયણને લીધે  પિત્તકાય ગ્રંથી ક્ષીણ થવાનુ ચાલુ થાય છે. આથી તેમાંથી ઉદ્ભવતા પ્રોજેસ્ટેરોન અંત:સ્ત્રાવનો સ્ત્રાવ ઘટવા માંડે છે. તે ઘટવાની સાથે જ પિયુષિકા ગ્રંથીમાંથી પુટક પ્રેરક અંત:સ્ત્રાવનો પ્રઆવર્તકાળ  દરમિયાન સ્ત્રાવ શરૂ થવાનું ચાલું થઇ જાય છે. ફરીથી નવા ઋતુચક્રની શરૂઆત થાય છે. વધુમાં નવીન સંશોધનોના આધરે જણવા મળેલ કે આ પુટકોનો વિકાસની પ્રક્રીયા ઋતુચક્ર દરમિયાન એકવારના થતા સામાન્ય રીતે ગાય-ભેસમાં બે થી ત્રણ વાર જુદા જુદા સમયાંતરે થતા રહે છે. જે નીચેની આકૃતિમાં ખુબ જ ઝીણવટ પૂર્વક નિરૂપેલું છે.

ઋતુચક્ર દરમિયાન પુટકો, પીળો મસો અને અંત:સ્ત્રાવોની સ્થિતિ

ગર્ભાશયની આંટી (Torsion)

ગર્ભાશયની આંટી એ કોઈ પ્રકારનાં જીવાણું વિષાણું, કરમીયાં કે પ્રજીવથી થતો રોગ નથી. ઘણાં પશુપાલક મીત્રોમાં આવી ગેર સમજ હોય છે, પરંતુ ગર્ભાશયની આંટી એટલે ગર્ભાશયનું તેની ધરીની ડાબી અથવા જમણી બાજુ ૪પડિગ્રી  થી ૩૬૦ ડિગ્રી  ના ખૂણે વળી જવાની શારીરિક ઘટના છે. ગાભણ પશુઓમાં ગર્ભકાળ દરમિયાન ગર્ભાશયની આંટીની સમસ્યા જોવા મળે છે. ગર્ભાશયની આંટી મુખ્યત્વે ગર્ભાઅવસ્થાના અંતિમ તબકકા માં જોવા મળે છે. આશરે ૯૦% જેટલા કિસ્સાઓ વિયાણ સમયે જ જોવા મળે છે. ગર્ભાશયની આંટી બે કે તેથી વધુ વેતરવાળી ગાય કે ભેંસમાં વધારે જોવા મળે છે.

કારણોઃ ગર્ભાશયની આંટી પડવાના કારણો ઘણા હોય શકે , જેવાકે બચ્ચાનું ગર્ભાશયમાં ઝડપથી અને શકિતશાળી રીતે ફરવું, ગાભણ પશુ ઉભું થતા, બેસતી વખતે અથવા ચરવા ગયેલુ હોય ત્યારે લપસી કે પડી જવાથી, ગાભણ ભેંસ તળાવમાં નાહવા ગઈ હોય ત્યારે , ગાભણ ગાય કે ભેંસને બાંધવાની જગ્યા સાંકળી હોય ત્યારે, ગર્ભાશયમાં પાણીની અછત હોવી, ખાસ કરી દુદ્યાળ પશુને લાંબા સમય સુધી સાંકડી જગ્યામાં બાંધી રાખવાથી વગેરે કારણોસર પશુઓમાં ગર્ભાશયમાં આંટી પડવાની સમસ્યા જોવા મળે છે.

પ્રકારઃ ગર્ભાશયમાં પડતી આંટી ગર્ભાશય પર પડેલી આંટી તેના સ્થાનનાં આધારે મુખ્યત્વે બે પ્રકારની હોય છે.

૧. પ્રિસર્વાઈકલ યુટેરાઈન ટોર્શનઃ આ પ્રકારની ગર્ભાશયની આંટીમાં ગર્ભાશયનાં મુખની આગળની બાજુએ આંટી પડે છે. જેથી તપાસ દરમ્યાન ગર્ભાશયનાં મુખને સ્પર્શ કરી શકાય છે.

૨. પોસ્ટ સર્વાઈકલ યુટેરાઈન ટોર્શનઃ આ પ્રકારની આંટીમાં ગર્ભાશયનાં મુખની પાછળની બાજુએ આંટી પડે છે. જેથી ગર્ભાશયનું મુખ તપાસ દરમ્યાન સ્પર્શી શકાતુ નથી.

ગર્ભાશયમાં પડતી આંટી ગર્ભાશય પર પડેલી આંટી તેની દિશાના આધારે મુખ્યત્વે બે પ્રકારની હોય છે.

  1. રાઈટ સાઈડ યુટેરાઈન ટોર્શન (ઘડિયાળનાં કાંટાની દિશામાં) આ પ્રકારની આંટીમાં ગર્ભાશય તેની ધરીની જમણી બાજુ ૯૦  ૩૬૦ ના ખૂણે વળેલું હોય છે. આ પ્રકારની આંટી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
  2. લેફટ સાઈડ યુટેરાઈન ટોર્શન (ઘડીયાળનાં કાંટાની વિરૂધ્ધ દિશામાં) આ પ્રકારની આંટીમાં ગર્ભાશય તેની ધરીની ડાબી બાજુ ૯૦  ૩૬૦ ના ખૂણે વળેલું છે.

લક્ષણોઃ જો ગર્ભાશયની આંટી ૪પ૯૦ ડીગ્રી હોય તો વિયાણ પહેલાં આ પરિસ્થિતિનાં લક્ષણો મહદ્દઅંશે જોવા મળતાં નથી. પરંતુ જો આટીની તીવ્રતા વધુ હોય તો ગાભણ પશુઓ ખોરાક પાણી ઓછા કરે અને વાગોળવાનું (ઓગાળ) બંધ કરે, બેચેની અનુભવે. પશુમાં પેટમાં દુઃખાવા જોવા લક્ષણો જોવા મળે છે જેવા કે પશુ જમીન પર આળોટે, પાછળના પગ ખેંચે,પછાડે, પેટ પર મારે,પશુ વારંવાર પોતાના પેટ તરફ જોયા કરે વગેરે, પશુ થોડા થોડા સમયે પેશાબ કરે અને કબજીયાત પણ જોવા મળે છે. જો ઉપર મુજબના લક્ષણો આપના પશુમાં જોવા મળે અને  આપનું પશુ ગર્ભાવસ્થાનાં ત્રીજા તબકકામાં એટલે કે છેલ્લાં ત્રણ મહિના બાકી હોય તો તરતજ નજીકનાં પશુચિકિત્સકનો સંપર્ક સાધી સારવાર કરાવવી ખૂબજ જરૂરી છે. ઘણી વાર નકારાયેલા કિસ્સાઓમાં ર૪-૭ર કલાકમાં જ પશુનુ મોત નિપજે છે.

નિદાનઃ આ સમસ્યાનું નિદાન પશુના યોની માર્ગની તપાસ દ્રારા જ કરી શકાય છે.

સારવારઃપશુચિકિત્સક આપનાં પશુની સારવાર માટે આવે ત્યારે તેઓને વૈજ્ઞાનિક પધ્ધતિથી સારવાર કરવા દેવી. કારણ કે આ એક એવી સમસ્યા છે કે જેની સારવાર ગાભણ પશુને શેફર પધ્ધતિ દ્રારા પલટી મરાવવાથી કરવી પડે છે. આ પધ્ધતિમાં ગાભણ ગાય કે ભેંસને સપાટ જમીન પર ગર્ભાશયની આંટીની દિશાના આધારે તેના ડાબા અથવા જમણાં પડખે સુકવવકમાં આવે છે. પશુના આગળનાં બન્ને પગને એક સાથે અને પાછળનાં બન્ને પગને એક સાથે અલગ અલગ જાડી રાસ વડે બાંધી રાખવવામાં આવે છે અને એક છેડો લાંબો રાખવામાં આવે છે. જેથી પશુને પલટી ખવડાવતી વખતે સરળતા રહે છે. પલટી મરવતી વખતે પશુના માથાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. માથાને જેમ જેમ પશુનું શરીર ફરે તે પ્રમાણે પલટી મારવાની દિશામાં ફેરવતાં રહેવું જોઈએ. ત્યાર બાદ આશરે ૧ર૧પ ફુટ લાંબુ, ૧.રપ૧.પ૦ ફૂટ પહોળું અને ર૩ ઈંચ જાડા પાટીયાને પશુના પેટના ભાગે મુકવામાં આવે છે. આ પાટીયા પર ચારની પાંચ વ્યકિતને ઉભા રાખવામાં આવે છે. આમ વજન રાખવાથી ગર્ભાશય એની એજ સ્થિતિમાં રહે છે અને સાથે સાથે પશુને પલટી મારવાથી ગર્ભાશયની આંટી નીકળી જાય છે. પશુને ગર્ભાશયની આંટીની તીવ્રતા(૯૦૩૮૦) ના આધારે પલટીઓ મારવામાં આવે છે. પશુને વધુમાં વધુ ૪૬ પલટી યોગ્ય દિશામાં ખવડાવવાથી ગર્ભાશયની આંટી નીકળી જાય છે. ગર્ભાશયની આંટી નીકળી ગયા બાદ જો ગર્ભાશયનું મુખ ખુલ્લું હોય તો બચ્ચાંને જન્માવી શકાય છે. જો મુખ ખુલ્લું ના હોય તો પશુચિકિત્સક દ્રારા ગર્ભાશયનું મુખ ખોલવા માટેની દવા કરાવવી જોઈએ. તદઉપરાંત જો ગર્ભાશયનાં મુખને ખોલવા માટેની યોગ્ય સારવાર કરાવ્યાં છતાં જો મુખ ના ખૂલે તો સીઝેરીયન ઓપરેશન કરવું આવશ્યક છે. નહિતર માતાનાં અને બચ્ચાંના એમ બન્નેનાં જીવનને જોખમ વધે છે. ઝડપી/વહેલાં નિદાન થયેલાં કેસમાં બચ્ચું જીવતું હોઈ શકે છે.

શેફર પધ્ધ્તિ દ્વારા ગર્ભાશયની આટીની સારવાર

પૂર્વાનુમાન પશુની ભાવિ સ્થિતિની રૂપરેખાઃ ગર્ભાશયની આંટીનું પૂર્વાનુમાન આંટીની તીવ્રતા(૪પડિગ્રી ૬૦ડિગ્રી)ના આધારે તથા વિયાણ પહેલાંના લક્ષણો અને આંટી પડયાના સમયને આધારે કરી શકાય છે. જે કેસમાં ગર્ભાશયની આંટીની તીવ્રતા ૯૦ડિગ્રી  કે તેથી ઓછી હોય તો પૂર્વનુમાન સારૂ કહી શકાય. ૪પડિગ્રીથી ૯૦ડિગ્રી ની આટી સામાન્ય રીતે ગર્ભાવસ્થાના શરૂઆતના સમયે જોવા મળે છે જે આપમેળે સારી થઈ જતી હોઈ સારવારની ખાસ જરૂર પડતી નથી. ૯૦ડિગ્રી થી ૧૮૦ડિગ્રીકે તેથી વધુની ગર્ભાશયની આટી ગર્ભાવસ્થાના છેલ્લા તબકકામાં જોવા મળે છે. ૧૮૦ડિગ્રીથી ૩૬૦ડિગ્રીની આટીના કિસ્સામાં સચોટ લક્ષણો જોવા મળતાં હોય અને ઝડપી નીદાન બાદ સારવાર થાય તો માતા અને બચ્ચાંનાં જીવનને બચાવી શકાય છે. ખૂબજ જુના અને નકારાયેલા કિસ્સાઓમાં પૂર્વનુમાન ખૂબજ નિરાશાસ્પદ હોય છે. આવા સંજોગોમાં બચ્ચું તો મૃત્યુ પામે જ છે. સાથોસાથ માતાનો જીવ પણ જોખમાય છે અને પશુની પ્રજનન ક્ષમતાને પણ માઠી અસર પહોંચે છે.

બચાવઃગાભણ પશુને આ સમસ્યાથી બચાવવા માટે ગાભણકાળનાં અંતિમ સમય દરમ્યાન યોગ્ય સારસંભાળ રાખવી એ ખૂબજ મહત્વની બાબત છે. પશુને ગર્ભાશયની આંટી પડવાથી  બચાવવા નીચે મુજબના પગલાં લઈ શકાય.

  • ગાભણ પશુઓને બાંધવા માટેની જગ્યા પુરતી હોવી જોઈએ બહું સાંકડી હોવી જોઈએ નહિ.
  • ગાભણ પશુને અન્ય જાનવરોની અલગ બાંધવું.
  • પશુનું રહેઠાણનું તળીયું લપસી પડાય તેવું ન હોવું જોઈએ.
  • ગાભણ પશુને ચરવા લઈ જવું નહિ પરંતુ તેને ઘરેજ રાખીને ચારો અને પાણી પૂરતાં પ્રમાણમાં આપવું
  • ગાભણ ભેંસને તળાવમાં નહાવા માટે મોકલવી નહિ.
  • ગર્ભાવસ્થાનાં ત્રીજા તબકકાનાં પશુઓને હળવી કસરત કરાવવી નહિં, કે આખો દીવસ વગડામાં કે ડુગરાળ પ્રદેશમાં ચરાવવું.

જેવી રીતે દોરીમાં પડેલી ગાંઠ હાથ વડે જ ઉકેલી શકાય, તેવી જ રીતે ગર્ભાશયની આંટીની સારવાર પણ પશુને શેફર પધ્ધતિ દ્રારા પલટી મરાવવાથી જ કરવી પડે છે. આમ પશુપાલક મીત્રોએ ગર્ભાશયની આંટી પડવાને લગતી ગેરસમજ દૂર કરી, સતેજ અને ચાલાક રહેવુ જોઈએ તથા પીડીત પશુની યોગ્ય સમયે પશુચિકિત્સક દ્રારા જ સારવાર કરાવવી જોઈએ. જેથી કરીને પશુપાલક પોતાના મહામૂલા પશુધનને બચાવી શકે અને ઉત્તરોત્તર ઉત્પાદનમાં વધારો કરી પોતાનુ આર્થિક જીવન ધોરણ ઉંચુ લાવી શકે.

વાતાવરણના ફેરફારની પ્રજનન પર અસર

વાતાવરણમા ફેરફાર અનેક જાતિઓ, જીવસૃષ્ટિના અસ્તિત્વ અને વિશ્વના ઘણા ભાગોમાં પશુધન ઉત્પાદન માટે મુખ્ય જોખમ તરીકે જોવામાં આવે છે. ગ્રીનહાઉસ વાયુઓ  વાતાવરણ બંને કુદરતી સ્રોતો અને માનવ દ્વારા સંબંધિત પ્રવૃત્તિઓમાંથી ઉત્પ્પન્ન થાય છે. ભારતમાં સાંસ્ક્રૃતિ, ખોરાક, રહેણીકરણી, પોષાકથી માંડી વાતાવરણમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. અતિશય થીજવી નાખે તેવી ઠંડી અને દઝાડી દે તેવી ગરમી આપણા ભારતીય ઉપમહાદ્વિપમાં જોવા મળે છે. તેથી પશુધન ઉદ્યોગમા પર્યાવરણના ફેરફારની અસરો દ્વારા મોટા પ્રમાણમાં અસર થવાની શક્યતા છે. ઉનાળાના ધોમધખતા તાપથી વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓની ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગ ગ્રીન હાઉસ વાયુઓ વાતાવરણમાં એકાગ્રતા ઔદ્યોગિક ક્રાંતિ થી માનવ પ્રવૃત્તિઓ પરિણામે વધારો આભારી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે થતો તાપમાનમાં વધારો પશુધન પ્રજાતિઓની તરુણાવસ્થા પ્રાપ્ત કરવા માટે, વૃદ્ધિ માટેના સમય પર નકારાત્મક અસર કરશે. સંકર ઢોર તાપમાન અને ભેજના વધારાથી વધુ સંવેદનશીલ હોવાનું જોવા મળ્યું છે. વાતવરણનાં તાપમાનમાં અતિશય વધારો થવાના કારણે પશુઓના શરીરમાં ઉષ્માનું પ્રમાણ વધે છે અને ઉષ્માનો નિકાલ ઓછો થવા પામતા પશુ હિટ સ્ટ્રેસની સ્થિતિ અનુભવે છે.

બધા પ્રાણીઓ આસપાસના પર્યાવરણના તાપમાન શ્રેણીને થર્મો ન્યુટ્રલ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. આ તાપમાન પશુ આરોગ્ય અને ઉત્પાદન પરના પ્રભાવ માટે કારણભૂત છે. જો વતાવરણનુ તાપમાન આ શ્રેણી કરતા વધે તો પશુમા ગરમી તણાવ અસરો જોવા મળે છે. કારણા કે પશુ આ વાતાવરણના વધેલા તાપમાન સમે પોતાના શરીરને સામાન્ય સ્થિતિમા જાળવિ શકતુ નથી અને ઉત્પાદન પર અસર થાય છે. પશુઓમાં વાતાવરણમાંથી ઉષ્મા મેળવવા તથા ગુમાવવાનો આધાર નીચેના પરિબળો પર આધારિત છે.

  • વાતાવરણનું તાપમાન અને ભેજનું સાપેક્ષ પ્રમાણ
  • સૂર્યના કિરણોનો જથ્થો
  • દિવસ અને રાત્રિ દરમિયાન ગરમી અને ઠંડીનું પ્રમાણ
  • પશુના રહેઠાણમાં હવાની અવરજવર

વાતાવરણનુ વધતા તાપમાન (હિટ સ્ટ્રેસ/ગરમીનો તણાવ) ની પશુના સ્વાસ્થ્ય પર થતી અસર

  • સ્ટ્રેસ પશુના શરીરમા વિવિધ કોષોને ઓક્સિડેસન પ્રક્રિયા સામે રક્ષણ માટે ઉત્પન થતાં ઉદ્દિપકોનુ ઉત્પાદન ઘટાડે છે અને શારીરીક નુકશાન પહોચાડે છે.
  • જ્યારે વાતાવરણનું તાપમાન ખૂબ જ વધારો હોય ત્યારે પશુ પોતાના શરીરનુ તાપમાન જાળવી રાખવા માટે પોતાનો ખોરાક(2) ઘટાડે છે. પરિણામે હિટ સ્ટ્રેસનો ભોગ બનેલ પશુ દુધ ઉત્પાદન તથા અન્ય દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી ઉર્જા મેળવી શકતું નથી.
  • હિટ સ્ટ્રેસના કારણે પશુના શરીરમાં કાર્ટીઝોલ નામના અંતઃસ્ત્રાવનું પ્રમાણ સામાન્ય કરતા દશ ગણુ વધુ જોવા મળે છે. આ અંતઃસ્ત્રાવ પશુની ઉત્પાદન અને પ્રજનન ક્ષમતા પર માઠી અસર કરે છે.
  • હિટ સ્ટ્રેસ દરમ્યાન શરીરમાં વધેલાં કાર્ટિઝોલ અંતઃસ્ત્રાવનાં કારણે પશુઓ બરોબર દુધનો પાનો મુકી શકતા નથી પરીણામે પશુઓમાં સંપુર્ણ દુધ દોહન શક્ય બનતું નથી. આમ, ૧૦-૧૫% દુધ આંચળમાં રહી જવાથી આંચળ બગાડવા (ગળીયો) જેવા રોગ થવાની શક્યતાઓ રહેલી હોય છે. અપુર્ણ દોહન થવાથી ઉત્પાદીત દુધમાં ફેટનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે અને પશુપાલકને આર્થિક નુકશાન થાય છે.
  • પશુ કોઈ પણ ચેપ સામે રક્ષણ મેળવવામાં અસમર્થ થતા રોગનો ભોગ બને છે એટલે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
  • પશુમાં માદા અંડકોષમાંથી બીજ છુટુ પાડવાના સમય તથા પ્રક્રિયામાં ફેરફાર થાય છે જેથી, ઉનાળાની ઋતુ દરમ્યાન પશુની પ્રજનન ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે.

ક્ષેત્રિય વ્યવસ્થાપન

  • પશુઓમાં હિટ સ્ટ્રેસ નિવારવાનો સસ્તામાં સસ્તો ઉપાય પશુઓને યોગ્ય હવા-ઉજાસવાળા વાડા-શેડમાં કે જ્યાં સૂર્યના કિરણો દિવસ દરમ્યાન યોગ્ય માત્રામાં આવાતા હોય એવા આવાસમાં રાખવાથી હિટ સ્ટ્રેસના મુખમાં ધકેલાતા બચાવી શકાય છે.
  • અન્ય બીજી યુક્તિઓમાં પશુઓના પાકા વાડા બનાવેલા હોય તેમાં ઠંડા પાણીના સ્પ્રેયર અથવા ફોગર લગાવી ગરમી સામે રક્ષણ આપી શકાય છે. અથવા તો વાડાને કંતાન કે ગ્રીન નેટ વડે ઢાંકી પશુને ગરમ લૂ થી બચાવી શકાય.
  • ઉનાળાના દિવસોમાં વાડામાં રખાતા પશુઓને સવારે વહેલા પોરે ખોરાકનુ નિરણ કરવુ જોઈએ.
  • બપોરના સમયે ગરમ વાતાવરણમાં પશુઓને ખુલ્લામાં ચરવા માટે છોડવાથી પશુઓમાં હિટ સ્ટ્રેસ થવાની શક્યતાવધે છે, જેથી પશુને સવારે કે સાંજના ઠંડા પોરના સમયે જ ચરવા માટે  છોડવાનો આગ્રહ રાખવો જોઈએ.

પશુ પોષણ

  • ગરમ વાતાવરણ દરમ્યાન પશુને ૭૫% જેટલો લીલો ચારો આપવો જોઈએ. લીલો ચારો પશુની પાચન ક્ષમતાને વધારે છે, સાથોસાથ શરીરમાં ઉત્પન્ન થતી ઉષ્માનું પણ નિયમન કરે છે.
  • સપ્રમાણ સંમિશ્રીત ખોરાકનો ઉપયોગ પણ પશુને હિટ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે (લીલો ચારો, સૂકોચારો, દાણ, મિનરલ મિક્ષર અને પૂરતુ પાણી).
  • ઉનાળાનાં દિવસોમાં ઠંડા સમયગાળા દરમ્યાન પશુના  નિરણમાં વધારો કરવો જોઈએ કરણ કે બપોરની ગરમીમાં પશુ પુરતો આહાર ગ્રહણ કરતુ નથી.
  • બાયપાસ પોષક તત્વોનો પશુના ખોરાકમાં ઉપયોગ વધારવાથી દુધ ઉત્પાદન જળવાઈ રહે છે.
  • હિટ સ્ટ્રેસ દરમ્યાન ઓક્સિડેશન વડે શરીરના કોષોનુ નુકસાન અટકાવવા પશુના ખોરાક્માં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, ઝીંક વિગેરેનો સમાવેશ કરવો.
  • પશુના શરીરમાંથી પ્રસ્વેદન, લાળ તથા શ્વાસોસ્વાસ દ્વારા ઉર્જા દૂર થતા એસિડ-બેઝનું સમતોલન જાળવવા માટે ખોરાકમાં બાયકાર્બોનેટ અને મીઠાના મિશ્રણનો પણ ઉપયોગ કરવો જોઈએ.

અંતહસ્ત્રાવોનો ઉપચારમા ઉપયોગ

  • વધેલી વાતાવરણની ગરમી ના કારણે થયેલ પ્રજનનની ખામીઓની સારવારા માટે માટે વૈકલ્પિક અભિગમ પ્રજનન અંતહ્સ્ત્રાવોનો ઉપયોગ છે. જે પ્રજનન ને ઉત્તેજીત કરવા માટે છે. નિયત સામયિક કૃત્રિમ બીજદાન- રુતુકાળ સમકાલીનીકરણ પધ્ધતિનો ઉપયોગ પણ પશુઓમાં પ્રજનન ક્ષમતા સુધારવા કરી શકાય છે.

આમ, ઉષ્ણકટિબંધમાં આવેલા ભારત જેવા દેશમાં હિટ સ્ટ્રેસ એ વધુ ઉત્પાદન આપતાં પશુઓ માટે એક કરવેરા સમાન છે. હિટ સ્ટ્રેસ ખોરાક ગ્રહણ નો ઘટાડો કરે છે, પશુના શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર કરે છે, રોગપ્રતિકારક શક્તિમાં ઘટડો કરે છે, પરિણામે તંદુરસ્તિ અને  દુધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. હિટ સ્ટ્રેસની અસર પશુઓમાં ઉનાળામાં વધુ જોવા મળે છે પરંતુ તેની અસર આગળની ઋતુમાં પણ જોવા મળી શકે છે. અસરકારક વ્યવસ્થાપન સાથે સાથે પશુનાં ખોરાકને ધ્યાનમાં રાખી આપણે પશુને હિટ સ્ટ્રેસથી બચાવી શકાય છે.

પશુપાલનમાં રોજનિશિ-નોંધણીનો પ્રજનાનમાં ફાળો

દુધાળા પશુધણનો આર્થિક મદાર પશુઓની ઉત્પાદન ક્ષમતાની જાળવણી પર રહેલો છે. ધનિષ્ઠ નિરિક્ષણ પધ્ધતિ દ્વારા પશુધણમાંથી બિનફળદ્રુપ હોવાનું જાણવા મળે છે પરંતુ જો મોટી સંખ્યામાં પશુઓમાં બિનફળદ્રુપતા જોવા મળે તો તેવા પશુધણમાં આર્થિક નુકશાન આવે છે. પશુધણની જાળવણીમાં નર અને માદા પશુની જાતીય તંદુરસ્તી ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. પશુના સ્વસ્થ અને પ્રજનનતંત્રને લગતાં અવલોકનોનુંુ સમયાંતરે નોંધણી કરવી ખૂબ જ જરૂરી છે. અવલોકનોની નોંધણીના સંદર્ભમાં પશુઓ માટે હીસ્ટ્રી શીટ( જન્મથી લઈ જયાં સુધી જીવે ત્યાં સુધી) માં વિવિધ ક્રિયાઓની નોંધણી કરવી જોઈએ.

મહત્તમ ઉત્પાદન મેળવવા સારૂ માદા પશુની પુખ્તવયે પહોંચવાનો અને ગાભણ થવાનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે. જેની સારૂ પશુના ગરમીમાં આવવાના લક્ષણો, આંચળના રોગ, વિયાણનો સમય અને લક્ષણો, મેલ પડવાનો સમય વિગેરે અંગે પશુપાલકને જ્ઞાન હોવું જોઈએ. ઉપરોકત મુદ્દાઓને અનુલક્ષીને પશુપાલકે પોતાના પશુની હિસ્ટ્રી શીટમાં નોંધણી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે ગરમીમાં આવવાનો અને ફેળવવાની (કુદરતી અથવા કૃત્રિમ( બય)) તારીખ અને સમયની નોંધ કરવી, ત્યાર બાદ જો પશુ ફરીથી ગરમીમાં આવે ત્યારની તારીખ અને  લાળીનો રંગ અને પ્રકારની પણ નોંધ કરવી જોઈએ. જો પશુ ગરમીમાં ન આવે તેવા સંજોગોમાં પશુચિકિત્સક દ્વારા ર મહિના પછી ગર્ભનિદાન કરાવવું અને જો પશુગાભણ જણાય તો ૩ માસ પછી પશુની ગાભણ અવસ્થાની ખરાઈ કરાવવી જોઈએ. જો પશુ ફરીથી વેતર આવે અને લાળી સામાન્ય ન હોય તો પશુચિકિત્સક દ્વારા પશુના જનનાંગોની તપાસ કરાવવી સારવાર કરાવવી જોઈએ અને તેની પણ નોંધ રાખવી જોઈએ. તેવી જ રીતે પશુમાં વિયાણની પણ નોંધ રાખવી ખૂબ જ અગત્યની છે. જેમાં પશુના વિયાણની તારીખ, ગર્ભધાન કાળ( ફેળવવાની તારીખવિયાણની તારીખ) તથા અગાઉના વેતરના કુલ વસુકેલા દિવસો ( વસુકાવાની તારીખ વિયાણની તારીખ) ની નોંધણી પણ મહત્વની છે. તેવી જ રીતે અગાઉના વેતરનું કુલ દુધ ઉત્પાદન અને બચ્ચાંની જાત (નર/માદા) ની નોંધ પણ કરવી જરૂરી છે. દરેક વેતરનાં અને પશુના કુલ દુધાળા દિવસો, કુલ ઉત્પાદન તથા ગાભણ થવાનાં સમયગાળાની નોંધ પણ હિસ્ટ્રી શીટમાં કરવી જોઈએ.  (બે વિયાણ વચ્ચેનો સમયગાળો) પશુઓની ટીલી, જેડી ટયુબરકલુલોસીસ, જહોન ડીસીસ, બ્રુસેલોસીસ તપાસ તથા ખરવાસા મોવાસા ગાળસૂંઢો, બીકયું, રોગો સામેની રસીકરણની પણ માહિતી રાખવી જરૂરી છે. વિયાણ સમયેની તફલીકો (ડિસ્ટોકીયા, મરેલાં બચ્ચાનો જન્મ, તરોવાઈ જવું, મેલી ન પડવી) ની નોંધ રાખવી જોઈએ.

જો ઉપરોકત ક્રિયાઓની નોંધ હોય તો જયારે પણ પશુચિકિત્સક પશુધણની તપાસ કરવા માટે આવે ત્યારે તેઓ પશુની બિમારીનું સચોટ નિદાન લઈ શકે અને યોગ્ય સારવાર આપના પશુને સમયસર મળી રહે છે.

જો પશુને ફેળવવા માટે પાડા/આખલા દ્વારા ગાભણ થયેલ પશુઓની ટકાવારીને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે એક પાડા/આખલાને કેટલી વખત ફેળવવાથી પશુ ગાભણ થાય છે. પશુધણમાં નવો પાડો/આખલો સંપુર્ણ વૈજ્ઞાનિક તપાસ બાદ જ સામેલ કરવો. કુદરતી રીતે પશુને ફેળવવાની વખતે માદા પશુને ફેળવવાની પહેલાં અને ફેળવ્યાં બાદની વર્તન અને નિરિક્ષણ કરવું જોઈએ. પાડા/આખલાના કિસ્સામાં વૃષણ કોથળીનાં કદ અને સ્થાનનું નિરિક્ષણ અગત્યનું છે. પાડા/ આખલાનું પ્રજનન દરમ્યાન વર્તનનું નિરિક્ષણ કરવું જોઈએ. જયારે પણ કોઈ રોગચાળો ફળી નિકળ્યો હોય ત્યારે પાડા/આખલાને કુદરતી સમાગમ માટે ઉપયોગમાં લેવા જોઈએ નહિ. ઉદાહરણ તરીકે જો ખરવાસા  મોવાસા રોગાનો ફેલાવો હોય તો તે નર પશુના વૃષણને અસર કરે છે અને ત્યાર બાદ તે નર પશુને સામાન્ય વીર્ય ઉત્પન્ન કરવા માટે ૩૪ મહિના જેટલો સમયગાળો લાગે છે.

પાલતુ દુધાળા પશુઓમાં પ્રજનન ક્ષમતા વધારવાની યુકિતઓ

પ્રજનન ક્ષમતાની  જળવણી માટેની વિવિધ પદ્ધતિઓનું અનુસરણ આ પદ્ધતિઓનો પ્રાથમિક હેતુ પશુધણની પ્રજનન ક્ષમતા વધારી મહત્તમ ઉત્પાદન મેળવવાનો છે. પશુ બાદ ઝડપી વેતર આવે, કુશળતા પુર્વક પશુના વેતરનું નિરીક્ષણ કરવું, પશુ યોગ્ય ઉંમરે ગાભણ થાય, ધણનાં બધાંજ પશુઓનાં ૠતુચક્ર(વેતર) ને સમકાલીન કરવાથી ઉપરોકત ધ્યેય સિદ્ધ કરી શકાય છે.

વિયાણ બાદની તફલીકોની ઝડપી સારવાર તથા વેતરનું ચોક્કસ સમયે પશુને ફેળવવું (કુદરતી અથવા કૃત્રિમ) એ પશુઓમાં પ્રજનનન ક્ષમતા વધારવાની ચાવીઓ છે. વિવિધ સંશોધનો દ્વારા પુરવાર થયું છે કે પશુઓના વેતરે આવવાની સુધારેલી પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી પશુની પ્રજનન ક્ષમતા અને ઉત્પાદનમાં વધારો નોંધાયો છે

પશુઓમાં વેતનનાં નિરિક્ષણ માટેનાં વિવિધ સાધનો

વ્યકિતગત પશુનાં નોંધ :આ પદ્ધતિ ખુબ જ ઓછી ખર્ચાળ છે. આ પદ્ધતિનો ઉપયોગીથી પશુનો બીજી વખત વેતરે આવવાની તારીખ સરળતાથી અનુમાન કરી શકાય. જેથી પશુપાલક કોઈ પણ પશુને કયારે વેતર માટે નિરિક્ષણ કરવું તે જાણી શકે છે અને પરિણામે ટૂંકા ગાળાનો કે નબળો વેતરનો સમય પણ સરળતાથી જાણી શકાય છે અને પશુને ફેળવી શકે છે.

જનનંગોની તપાસ : નિયમિત રીતે  પશુનાં જનનાંગોની તપાસ કરાવતાં રહેવું જોઈએ. પશુના વિયાણ બાદ ૩૦ થી ૪૦ દિવસ બાદ જનનંગોની તપાસ કરાવવી તથા વિયાણનાં ૭૦ દિવસ સુધી જો પશુ ગાભણ ન થાય તો જનનાંગોની પશુચિકિત્સક પાસે તપાસ કરાવવી જોઈએ. જેથી આપણે જાણી શકિયે કે પશુનો જનનાંગો સામાન્ય છે કે નહિ અને પશુ કયારે  વેતર આવશે એનું પણ અનુમાન કરી શકાય.

પશુઓનું એકબીજા પર ટપવું : વેતર આવેલાં પશુની ઓળખ માટે બે પદ્ધતિનો ઉપયોગ થાય છે.

  • દબાણ માપવાનું સાધન (પ્રેશર સેન્સેટીવ ડિવાઈસ)
  • પૂંછડીનાં ઉપરનાં ભાગે રંગ લગાવવો :

જો જાનવર પર બીજું જાનવર ટપે તો તેના દબાણની નોંધ મશીનમાં જોવા મળે અને જાનવર વેતરે આવેલું છે કે એમ કહિ શકાય છે.

પૂંછડીનાં ઉપરનાં ભાગે રંગ લગાવેલો હોય અને બીજું જાનવર તેના પર ટપે ત્યારે આ રંગ ભૂસાઈ જાય છે. આમ આ ફેરફારો પરથી પશુ વેતરે આવેલું છે કે કેમ તે નક્કિ કરી શકાય છે.

ટીઝર બુલનો ઉપયોગ : નર પશુને પશુધણમાં કોઈ માદા વેતરે આવેલ છે કે નહિ તે જાણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પુખ્ત વયના નર પશુને વાઢકાપ દ્વારા આ ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે.

વેતરની નોંધ : ઈસ્ટર્ન એઆઈ કો ઓપરેટીવ અને કોર્નેલ યુનિવર્સિટીએ કરી હતી. જે પશુધણમાં વેતરની નોંધ કરવામાં મુશ્કેલી પડતી હોય તેવાં પશુઓમાં વેતરની નોંધ કરવાની કાર્યપ્રણાલીની શરૂઆત કરી હતી. જે પશુધણમાં એકથી વધુ વ્યકિત વેતરની નોંધ કરતા હોય તેવી પરિસ્થિતિમાં આ કાર્યપ્રણાલી ખૂબજ ઉપયોગી છે. આવા પશુધણમાં જે વ્યકિત સચોટ રીતે વેતરનું નિરિક્ષણ કરતી હોય તેને આખા પશુધણનાં વેતરનું નિરિક્ષણ અને પ્રજનને લાગતી નોંધ રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે.

ઈલેકટ્રોનિક પ્રોબ : જયારે પશુ વેતર આવે છે ત્યારે ગર્ભાશય સ્ત્રાવ (લાળી)નાં જથ્થા અને આર્યનમાં ફેરફાર જોવા મળે છે. આ ફેરફાર લાળીના વિધુતકીય પ્રવાહ વહનને ઓછો કરે છે. ઈલેકટ્રોનિક પ્રોબ આ ફેરફારને વિધુત અવરોધનાં રૂપમાં માપવા માટે બનાવેલ છે.

પીડોમીટર :પીડોમીટર એવું સાધન છે કે જે પશુની પ્રવૃતિની નોંધ કરે છે. વેતર દરમ્યાન પશુ વધારે ચપળ અને કાર્યશીલ થાય છે. જેની નોંધ પીડોમીટર પર થતાં જે તે પશુ વેતરે આવેલું હોવાની જાણ થાયછે.

પશુપાલન માટે સરકારીશ્રીની વિવિધ યોજનાઓ

પશુપાલનની યોજનાઓ : ખેડુતોએ આઇ-કિસાન પોર્ટલની વેબસાઇટ ખોલી યોજનાઓનો ઓપ્શન સિલેક્ટ કરવો. ત્યાર બાદ કૃષિ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓ આવશે તે પૈકિ પશુપાલનની યોજના પર ક્લિક કરવાથી નીચે મુજબની યોજનાઓ આવશે, જે પૈકિ આપની યોગ્યતા મુજબ અને જરૂરી યોજના સામે ક્લિક કરી અરજી કરી શકાય છે. જે ઘટકોમાં અરજી લેવાનું ચાલુ હશે તેમાં અરજી કરોતા બટન આપોઆપ આવી જશે.

ઘટકનું નામ : ૧ થી ૪ દુધાળા (ગાય/ભેંસ) પશુઓના ફાર્મની સ્થાપના માટે વ્યાજ સહાય

સહાયનું ધોરણ : ANH-8 - નાબાર્ડ દ્વારા નકકી થયેલ પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.

રિમાર્ક્સ : આ યોજનાનો લાભ તમામ પશુપાલકો ને મળવા પાત્ર છે. લાભાર્થીને રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે. લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૩૦૦

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : આજીવન એક વખત

ઘટકનું નામ : અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય

સહાયનું ધોરણ : ANH-9 - આ સહાય લાભાર્થી દીઠ રૂપિયા ૨૫૦૦/- (કુલ ખરીદીના ૭૫%પ્રમાણે) ની મર્યાદામાં મહત્તમ એક ગાભણ પશુ દીઠ સમતોલ પશુદાણના રૂપે આપવામાં આવશે. જે પશુપાલકે પોતે ખરીદ કરી બીલ રજુ કરે ,અને ખરીદીના જથ્થાની ચકાસણી કર્યા બાદ જ મળવાપાત્ર રહેશે.

રિમાર્ક્સ : આ યોજના ફક્ત અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે છે. લાભાર્થી પશુપાલકે ikhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૩૦૦૦

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : ૦૧ વખત

ઘટકનું નામ : કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી ના બાંધકામ તથા પાણીની ડોલ માટે સહાય(ICDP)

સહાયનું ધોરણ : ANH-9 -કૂલ મંજૂર ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂા. ૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

રિમાર્ક્સ : ફક્ત અનુસુચિત જાતિનાં પશુપાલકો માટે, કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી ના બાંધકામ તથા પાણીની ડોલ માટે સહાય મેળવવા માટે iKhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૪૦૦

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : આજીવન એક વખત

ઘટકનું નામ : કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય

સહાયનું ધોરણ

રિમાર્ક્સ

ANH-9 (૧૦ પશુઓ માટે કેટલ શેડ)
૧૦ પશુઓ માટે કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકો માટે - મૂળ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦/-

કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકોએ iKhedut Portal પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૭૩

ANH-9 (૧૫ પશુઓ માટે કેટલ શેડ)
૧૫ પશુઓ માટે કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકો માટે - મૂળ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦/-

કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકોએ iKhedut Portal પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૫૮

ANH-9 (૨૦ પશુઓ માટે કેટલ શેડ)

૨૦ પશુઓ માટે કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકો માટે - મૂળ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧,૦૦,૦૦૦/-

કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકોએ iKhedut Portal પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૪૫

ANH-9 (૨૫ પશુઓ માટે કેટલ શેડ)
૨૫ પશુઓ માટે કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકો માટે - મૂળ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧,૨૫,,૦૦૦/-

કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકોએ iKhedut Portal પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:૪૪

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં): આજીવન એક વખત

ઘટકનું નામ : કૃત્રિમ બિજદાનથી જન્મેલ વાછરડીઓની પ્રોત્સાહન યોજના

સહાયનું ધોરણ : ANH-5 - રાજ્યના પશુપાલકોને તેમની પોતાની દેશી (ગાય)માં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીનાં જન્મ થયેથી રૂ.૩૦૦૦/- રોકડ સહાય સ્વરૂપે. પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ વાછરડીઓ માટે સહાય મળવાપાત્ર રહેશે.

રિમાર્ક્સ : કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીનાં જન્મ થયા પછી લાભાર્થીએ iKhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. (૨).  આ યોજનાનો લાભ પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત મળવા પાત્ર છે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: ૩૬૬૬

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : ૦૧ વખત

ઘટકનું નામ : ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ખાણ-દાણ, મીનરલ મીક્ષર, બિયારણના સાધનો અને માઈક્રો એ. ટી. એમ (નાબાર્ડ દ્વારા) માટે ગોડાઊન બનાવવા માટે સહાય

સહાયનું ધોરણ : DMS-1(સામાન્ય) -રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ ને એકમ કિંમત રૂ.૯.૦૦ લાખ અથવા બાંધકામ માટે થયેલ ખરેખર કુલ ખર્ચના ૫૦% સુધી કે વધુમાં વધુ રૂ.૪,૫૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય.

રિમાર્ક્સ : રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો છે તેવી ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને આ યોજનાનો લાભ આપવાનો રહેશે. • આ ગોડાઉન માટેના લે-આઉટ અને ધારાધોરણ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફૅડરેશન, આણંદ તૈયાર કરે અને સરકારશ્રીની મંજુરી મુજબનો જે તે દૂધ સંઘના એન્જિનિયરની દેખરેખ હેઠળ તૈયાર કરવાનું રહેશે. • આ બાંધકામ માટે સંબધિત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને /અથવા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા ઈ-ટેન્ડીંગ થકી એમ્પેનલમેંટ દ્વારા માન્ય થયેલ કોંટ્રાક્ટર એજન્સી પાસેથી કામગીરી કરાવવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક : ૫૦૦

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : આજીવન એક વખત

૭) ઘટકનું નામ : પશુ વિમા સહાય

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : આજીવન એક વખત

ઘટકનું નામ : મહિલા મંડળી માટે દૂધઘર સહાય

સહાયનું ધોરણ

રિમાર્ક્સ

DMS-1(મહિલા)
દૂધઘર સ્થાપના પર એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં સહાય વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરનું બાંધકામ જી.સી.એમ.એમ.એફ., આણંદ દ્વારા નક્કી થયેલ લે-આઉટ અને ધારાધોરણો મુજબ સંબંધિત ડેરી સંઘના સિવિલ એન્જિનિયરની દેખરેખ હેઠળ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: ૨૫૦

DMS-3
રાજ્યની આદિજાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ માટે દૂધઘર સ્થાપના પર એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં સહાય વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરનું બાંધકામ જી.સી.એમ.એમ.એફ., આણંદ દ્વારા નક્કી થયેલ લે-આઉટ અને ધારાધોરણો મુજબ સંબંધિત ડેરી સંઘના સિવિલ એન્જિનિયરની દેખરેખ હેઠળ તથા આદર્શ દૂદઘરની ડીઝાઈન મુજબ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:૨૫

DMS-1 (અ.જા.)
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ માટે દૂધઘર સ્થાપના પર એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં સહાય વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરનું બાંધકામ જી.સી.એમ.એમ.એફ., આણંદ દ્વારા નક્કી થયેલ લે-આઉટ અને ધારાધોરણો મુજબ સંબંધિત ડેરી સંઘના સિવિલ એન્જિનિયરની દેખરેખ હેઠળ તથા આદર્શ દૂદઘરની ડીઝાઈન મુજબ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૧૨

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : આજીવન એક વખત

ઘટકનું નામ : માનવ સંચાલિત ચાફકટર સહાય

સહાયનું ધોરણ : ANH-9 -ખરીદ કિંમતના ૭૫% અથવા રૂા.૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

રિમાર્ક્સ : માનવ સંચાલિત ચાફકટર લેવા ઇચ્છતાં અનુસુચિત જન જાતિનાં પશુપાલકે ikhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ નજીકના પશુદવાખાને રજુ કરવાની રહેશે. લાભાર્થીએ માનવ સંચાલિત ચાફકટર ખરીદી અંગેનું બીલ રજુ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૩૦૦

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : ૫

ઘટકનું નામ : માનવ સંચાલિત ચાફકટર સહાય (ICDP)

સહાયનું ધોરણ : ANH-9 - ખરીદ કિંમતના ૭૫% અથવા રૂા.૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

રિમાર્ક્સ : માનવ સંચાલિત ચાફકટર લેવા ઇચ્છતાં અનુસુચિત જાતિનાં પશુપાલકે ikhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે. લાભાર્થીએ માનવ સંચાલિત ચાફકટર ખરીદી અંગેનું બીલ રજુ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૩૦૦

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : ૫

ઘટકનું નામ : મિલ્કીંગ મશીન ખરીદી પર સહાય

સહાયનું ધોરણ

રિમાર્ક્સ

DMS-1(મહિલા)
રાજ્યના મહિલા સભાસદ પશુપાલક માટે મીલ્કીંગ મશીનની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૩૩,૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

પશુપાલન નિયામકશ્રી / GCMMF દ્વારા એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકનાં અધિકૃત વિક્રેતા પાસેથી મિલ્કિંગ મશીનની ખરીદી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક:૫૦૦

DMS-1 (અ.જા.)
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે મીલ્કીંગ મશીનની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૩૩,૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૧૧૦

DMS-3
રાજ્યની આદિજાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે મીલ્કીંગ મશીનની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૩૩,૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી કરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:૨૦૦

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : આજીવન એક વખત

ઘટકનું નામ : રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના (ANH-14)

સહાયનું ધોરણ : ANH-14 -(૧). તાલુકા કક્ષા એવોર્ડ - (કુલ તાલુકા ૨૪૮ x તાલુકા દીઠ ૨ ઇનામ = કુલ ઇનામ ની સંખ્યા ૪૯૬ ) - પ્રથમ ઇનામ - રૂ. ૫૦૦૦, દ્વિતીય ઇનામ - રૂ. ૩૦૦૦ (૨). જીલ્લા કક્ષા એવોર્ડ - (કુલ જીલ્લા ૩૩ x જીલ્લા દીઠ ૨ ઇનામ = કુલ ઇનામ ની સંખ્યા ૬૬ ) - પ્રથમ ઇનામ - રૂ. ૭૦૦૦, દ્વિતીય ઇનામ - રૂ. ૫૦૦૦ (૩). રાજ્ય કક્ષા એવોર્ડ - પ્રથમ ઇનામ - રૂ. ૨૫૦૦૦, દ્વિતીય ઇનામ - રૂ. ૧૫૦૦૦, તૃતીય ઇનામ - રૂ. ૧૦૦૦૦ કુલ એવોર્ડ = ૫૬૫ (તાલુકા ના કુલ ઇનામ = ૪૯૬ + જીલ્લા ના કુલ ઇનામ =૬૬ + રાજ્યના ના કુલ ઇનામ =૩)

રિમાર્ક્સ : (૧). તાલુકા કક્ષાના એવોર્ડ જિલ્લા પશુપાલન શિબિરમાં એનાયત કરવામાં આવશે (૨). રાજ્ય કક્ષાના એવોર્ડ અને જીલ્લા કક્ષાના એવોર્ડ કોઈપણ એક વિભાગીય કક્ષાએ કાર્યક્રમ રાખી એનાયત કરવામાં આવશે. (3). શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ યોજનાનો લાભ લેવા ઈચ્છતા પશુપાલકે iKhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે. • નોંધ:- વિજેતા પશુપાલક વિજેતા થયાના ત્રણ વર્ષ સુધી ફરીથી રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ માટે ઓન લાઈન અરજી કરી શકશે નહિ.

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : ૩

ઘટકનું નામ : વિધુત સંચાલિત ચાફકટર

સહાયનું ધોરણ

રિમાર્ક્સ

ANH-9
ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

પશુપાલન નિયામકશ્રી / GCMMF / ખેતી નીયામકશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલ્ડ ઉત્પાદક/અધિકૃત વિક્રેતા પાસેથી વિદ્યુત સંચાલિત ચાફકટરની ખરીદી કરવાની રહેશે.  રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: ૬૧૫

DMS-1(મહિલા)
રાજ્યના મહિલા સભાસદ પશુપાલક માટે વિધુત સંચાલિત ચાફકટરની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

પશુપાલન નિયામકશ્રી / GCMMF /ખેતી નીયામકશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલ્ડ ઉત્પાદક/અધિકૃત વિક્રેતા પાસેથી વિદ્યુત સંચાલિત ચાફકટરની ખરીદી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક:૭૫૦

DMS-3
રાજ્યની આદિજાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે વિધુત સંચાલિત ચાફકટરની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF /ખેતી નીયામકશ્રી દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:૫૦૦

DMS-1 (અ.જા.)
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે વિધુત સંચાલિત ચાફકટરની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF /ખેતી નીયામકશ્રી દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:૨૫૦

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : ૫

સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate