অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્લાન્ટર ફેસાઇટીસ -વારંવાર સતાવતો પગની પાની અને એડીનો દુખાવો

પ્લાન્ટર ફેસાઇટીસ -વારંવાર સતાવતો પગની પાની અને એડીનો દુખાવો

પગની એડીનો દુખાવો એ ઘણા લોકોને વારંવાર સતાવતી તકલીફ હોય છે. ચાલવામાં પગ લથડાય એટલી હદે કયારેક દુખાવો થઈ શકે અને એક વાર શરૂ થયા પછી છ-બાર મહિના સુધી આ એડીના દુખાવાની તકલીફ સતાવ્યા કરે છે. કયારેક તો થોડા થોડા મહિને કે વરસે વારંવાર દુખાવાની તકલીફ થયા કરતી હોય છે.
તાજેતરમાં અમેરિકન પોડીયાટ્રિક મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ ઇન્ટરનેટ સર્વે મુજબ આ એસોસીએશનની વેબસાઈટની મુલાકાત લેનારા ૧૮૦૦ વ્યકિતઓમાંથી ૩૦% લોકોને છેલ્લા ત્રણ મહિના દરમ્યાન પગની એડીનો દુખાવો થયો હોવાનું જાણવા મળ્યું હતું. અલબત, આ વેબસાઇટની મુલાકાત લેનારાઓમાંથી ઘણા લોકો પોતાના દુખાવાની તકલીફની માહિતી મેળવવા માટે જ વેબસાઇટ ખોલતા હોય છે. એટલે આ ટકાવારી ઘણી ઊંચી આવે છે. તે છતાં સમાજમાં દિન-પ્રતિદિન એડીના દુખાવાની તકલીફ વધતી જતી હોય એવું અનુભવાય છે. ભારતમાં કેટલા ટકા લોકોમાં આ તકલીફ થાય છે એના કોઈ અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી.

એડીનો દુખાવો થવાનું કારણ શું?

એડીનો દુખાવો ઘણાં બધાં જુદાં જુદાં કારણોસર થઇ શકે પરંતુ સૌથી સામાન્ય કારણ “પ્લાન્ટર ફેસાઇટીસ” તરીકે ઓળખાતો પગની પાનીની અંદર આવેલ પડનો સોજો હોય છે. દરેક તંદુરસ્ત વ્યકિતમાં પગની પાનીની અંદર રહેલ હાડકાંઓ અને હાડકાં દ્વારા બનતી કમાનને આધાર અને રક્ષણ આપવાનું કામ પ્લાન્ટર ફેસીયા નામનું જાડું પડ કરે છે. પગ ઉપર વારંવાર આવતા દબાણ અને ખેંચાણ ને કારણે આ પાનીની અંદરનું પડ નુકસાન પામે છે. આ પડ પર વારંવાર થતી ઇજા છેવટે એનો સોજો કરે છે અને કાયમી દુખાવો શરૂ થઈ જાય છે. ક્યારેક એડીના છેલ્લા હાડકાંનો થોડો ભાગ વધતો (હાડકી વઘતી) હોય તો પણ એને કારણે પાનીના પડને ઇજા પહોંચે છે.

આ ઉપરાંત, સ્નાયુઓની આસપાસના આવરણનો સાજો કે સ્નાયુઓનો સોજો પણ એડીનો દુખાવો કરી શકે. અહીં એડીના દુખાવાના સૌથી વધુ જોવા મળતા કારણ પ્લાન્ટર ફેસાઇટીસની જ ચર્ચા મુખ્યત્વે કરી છે અને અંગ્રેજી શબ્દને બદલે સરળતા ખાતર “એડીનો દુખાવો શબ્દ જ વાપર્યો છે.

એડીનો દુખાવો કોને થાય છે?

એડીનો દુખાવો થવાની શકયતા

  1. ગાદી વગરના બૂટ/ ચંપલ પહેરનારા
  2. લાંબો સમય કઠણ સપાટી પર ઊભા રહીને કામ કરનારાઓ
  3. લાંબો સમય દોડનારાઓ
  4. વધુ વજન ધરાવનારાઓ અને
  5. જેમના પગના સ્નાયુઓ અક્કડ હોય અથવા પગના હાડકાંની કમાન વધુ સપાટ કે ઊંડી હોય એમને વધુ રહે છે.

પ્લાન્ટર ફેસાઇટીસને કારણે એડીના ક્યાં ભાગમાં દુખાવો થાય?

પ્લાન્ટર ફેસાઇટીસને કારણે એડીના તળીયામાં પાછલા છેડાથી બે-ત્રણ સે.મી. આગળ અને પાનીના અંદર તરફના અડધિયામાં દુખાવો થાય છે. વહેલી સવારે ઉંઘમાં ઉઠ્યા પછી તરત અથવા લાંબો સમય આરામ કર્યા બાદ ચાલવાનું શરૂ કરવાથી શરૂઆતનાં થોડાં પગલા માંડતા ખૂબ જ દુખાવો થાય છે. થોડાં ડગલા ચાલ્યાં પછી દુખાવો ઓછો લાગે છે પણ શરૂઆતનાં થોડાંક ડગલાં ઘણી વખત અસહ્ય દુખાવો કરે છે. એડીના ભાગ પર અંગુઠા વડે દબાવવાથી પણ દુખાવાનો અનુભવ થાય છે.

એડીના દુખાવાનું નિદાન પાકું કરવા કઇ તપાસ કરવામાં આવે છે?

એડીના દુખાવાનું નિદાન મુખ્યત્વે દર્દીનાં લક્ષણો અને સાદી દાક્ટરી તપાસની મદદથી થઈ શકે છે. હાડકી વધે છે કે નહીં તે જાણવા અને અન્ય દુખાવા માટે કોઈ કારણ છે કે નહીં તે નક્કી કરવા માટે ઊભા રહીને પગના પંજા અને એડીના ભાગનો એક્ષ-રે મદદરૂપ થઇ શકે છે.

એડીના દુખાવાની સારવાર શું?

એડીનો દુખાવો શરૂ થયા પછી જેટલી જલદી સારવાર શરૂ કરવામાં આવે એટલી જલદી દુખાવો મટી જાય છે. સારવાર મોડી શરૂ કરવાથી પરિણામ પણ મોડું મળે એવું બને છે. એડીના દુખાવા માટે જવાબદાર કારણની તલસ્પર્શી તપાસ દર્દીએ જાતે જ કરી લેવી જોઇએ. દદી,ના શુઝ અને ચાલવા-દોડવાની ટેવમાં કંઇક તકલીફ નથી એ ચકાસી લેવું પડે છે. પગના પંજાની અંદરની બાજુ વધુ વજન લેવાની ટેવ આ તકલીફને આમંત્રણ આપી શકે છે. સાથે સાથે શરૂઆતના થોડા સમય માટે એડીને આરામ આપવો જરૂરી છે. દોડવા કે ઝડપથી ચાલવાને બદલે તરવાની કે સાઇકલ ચલાવવાની કસરત કરી શકાય. દુખાવામાં રાહત મેળવવા ઠંડા પાણી કે બરફને દુખાતા ભાગ પર પાંચ થી પંદર મિનિટ સુધી લગાવવાથી ફાયદો થાય છે.

દુખાવો ખૂબ વધારે હોય તો દર્દશામક દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ થોડા દિવસો સુધી કરવાથી દુખાવા અને સોજા બંનેમાં રાહત મળે છે. ઘણી વખત એક-બે મહિના સુધી નિયમિત પણે, ડોક્ટરની સલાહ મુજબ, દર્દશામક દવાઓ ચાલુ રાખવાથી દુખાવો દૂર થઇ જાય છે.

એડીના દુખાવામાં રાહત મેળવવા માટે બૂટ, ચંપલની ડિઝાઇનમાં ફેરફાર કરવાથી ઘણો ફાયદો થાય છે. બૂટ-ચંપલનો અંદરનો ભાગ (ડાબા ચંપલનો જમણો ભાગ અને જમણા ચંપલનો ડાબો ભાગ) સહેજ ઊંચો હોય એ જરૂરી છે. એવાં છુટાં પેડ પણ મળે છે જે બૂટમાં નાંખીને પહેરી શકાય. પગના પંજાના હાડકાંને વધારાનો આધાર આપતાં આ પેડ નિયમિત વાપરવાથી પણ એડીનું ભારણ ઘટે છે અને દુખાવામાં રાહત થાય છે. આવા એડીની ગાદીવાળા અને પગના પંજાના હાડકાંની અંદરની કમાનને આધાર આપતાં પગરખાં તૈયાર પણ મળે છે. જેનો ઉપયોગ કાયમ માટે એડીના દુખાવાની સમસ્યા દૂર કરી આપે છે. જો આનાથી ફરક ના પડે તો રાત્રે પગ પર બાંધવાનો પ્લાન્ટ લગાવવાથી અમુક દર્દીઓને રાહત મળી રહે છે.

એડીના દુખાવાથી છુટકારો મેળવવા કઈ કસરત કરવી?

પગના અને પંજાના સ્નાયુ તથા સાંધાની નિયમિત કસરત ખૂબ જરૂરી છે. સ્નાયુઓને ખેંચાણ આપવા માટે ડોકટરની સલાહ હોય તો નીચેની કસરત કરી શકાય,

  1. તમે દીવાલ તરફ મોં રાખીને એક પગ દીવાલથી અડધો ફૂટ દૂર અને બીજો પગ દીવાલથી બે ફૂટ દૂર રહે એમ ઊભા રહો. હવે બંને પગની એડી જમીનને અડેલી રહે એમ રાખીને દીવાલ તરફ ઝૂકો અને પછી પાછા ટટ્ટાર સીધા થઇ જાવ. આ રીતે વારાફરથી બંને પગને આગળ-પાછળ રાખીને કસરત કરો.
  2. પગથિયાની કિનારી કે ઉબરાની કિનારી પર પંજાના સૌથી આગળના ભાગના સહારે ઊભા રહો. હવે ધીમે ધીમે તમારા શરીરને તમારા પગની આંગળીઓના જોરથી ઊંચું કરો. પાંચ-દસ સેકન્ડ આ રીતે ઊંચા રહ્યા પછી ફરી નીચા થાવ. અને દસ વખત આ પ્રમાણે પંજા પર ઊંચા થવાની કસરત કરો.
  3. ચત્તા સૂતાં સૂતાં પગના પંજાના આગળના ભાગને ટુવાલ વડે ઉપર ખેંચવાનો પ્રયત્ન કરો.
  4. જમીન પર પડેલ કપડાને પગના અંગૂઠા વડે પકડીને ઊંચકવાનો પ્રયત્ન કરો.

એડીમાં ઇજેક્શન મૂકવાની જરૂર ક્યારે પડે?

એડીના ભાગમાં આ બધું કરવા છતાં દુખાવામાં કોઈ ફરક ન પડે તો છેલ્લાં રસ્તા તરીકે એ ભાગમાં સ્ટીરોઇડનાં ઇજેક્શન મૂકાવવામાં આવે છે. આ રીતે ઇજેક્શન મૂકવાથી તાત્કાલિક ફાયદો થાય છે. પરંતુ વારંવાર ઇજેક્શન મૂકાવવાથી પગને નુકસાન થવાની શક્યતા રહે છે.

એડીનો દુખાવો દુર કરવા ક્યારે ઓપરેશન કરવું પડે?

એડીનો દુખાવો ઉપર દર્શાવેલ બધા ઉપાયો કરવા છતાં ન મટે અને નિદાન પાકું હોય તો બહુ ભાગ્યે જ ઓપરેશન કરીને પાનીની નીચેના પડ પર ચીરો મૂકી એની પર આવતું દબાણ ઘટાડી શકાય અને દર્દીને રાહત આપી શકાય. અલબત્ત, બહુ ભાગ્યે જ આવી જરૂરિયાત ઊભી થાય છે. ૯૮ ટકા કિસ્સામાં દુખાવો ઓપરેશન વગર જ મટી જાય છે.

એડીનો દુખાવો અટકાવવા અથવા ન થાય એ માટે શું કરવું?

  1. કઠણ સપાટી ઉપર ખુલ્લા પગે ચાલવાનું ટાળો.
  2. સારા, પોચી ગાદીવાળાં અને પગની અંદરની બાજુએથી આધાર આપતાં ચંપલબૂટ પહેરવાનું રાખો.
  3. ઘરની અંદર પણ લાંબો સમય ઊભા રહીને કે ચાલીને કામ કરવાનું હોય તો સ્લીપર પહેરવાની ટેવ રાખો.
  4. પથરાળ, કાંકરાવાળી, ઉબડખાબડ જમીન પર ચાલવાનું ટાળો.
  5. એક્યુપ્રેશરનાં ચંપલ પહેરવાનું ટાળો.
  6. કોઇ પણ નવી કસરતની શરૂઆત ધીમે ધીમે કરો અને ધીમી ઝડપે કસરત વધારો.
  7. દુખાવો થતો હોય ત્યારે વધુ પડતી કસરત કરવાનું ટાળો.
  8. તમારું વજન વધે નહીં એની કાળજી રાખો. તમારી સે.મી. માં માપેલ ઊંચાઇમાંથી સો બાદ કરતાં જે આંક મળે એટલા કિલોથી વધુ તમારું વજન ન હોવું જાઇએ.

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate