অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાની ઉંમરે થતી સાંધાનીની તકલીફો

નાની ઉંમરે થતી સાંધાનીની તકલીફો

સામાન્ય રીતે સાંધાનો ઘસારો ઉંમર સાથે સંબંધ ધરાવે છે. ઉંમરની સાથે ઘસાયેલા સાંધાને લીધે થતા દુઃખાવાને લીધે દર્દીને રોજિંદા હલન ચલનમાં મુશ્કેલી પડે છે. આવા દર્દીઓમાં બીજી સામાન્ય સારવારથી જરૂરી ફાયદા ન થાય ત્યારે સાંધા બદલવાનું ઑપરેશન હવે સામાન્ય થયી ગયું છે. સુંદર, લાંબા સમયનું, સંતોષકારક પરિણામ આપતું આ ઑપરેશન ૫૫-૬૦ વર્ષ પછીના દર્દીઓમાં આશીર્વાદરૂપ પરિણામ આપે છે. હાલના સમયમાં આ પરિસ્થિતિમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. ૨૦ થી ૪૦ વર્ષની ઉંમરના ઘણા યુવાન દર્દીઓ સાંધાની તકલીફો સાથે ઓર્થોપેડિક સર્જન પાસે જતા જોવા મળે છે. દુઃખાવો, હલન ચલનમાં તકલીફ અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ સાથે આ દર્દીઓની અપેક્ષાઓ પણ બદલાતી જાય છે. સાંધા બદલવાના ઓપરેશનો પછીના સારા પરિણામની અપેક્ષાઓ આ યુવાન દર્દીઓમાં વિશેષ જોવા મળે છે. આર્ટિફિશિયલ સાંધાના લાંબા આયુષ્ય સાથે લગભગ દરેક પ્રકારની રોજિંદી ક્રિયાઓ તેઓ સામાન્ય રીતે કરી શકે તેવી તેમની આશા હોય છે.

સ્ટીરોઈડ ની દવાઓ, દારૂની સેવન, થાપાના બોલની અકસ્માતમાં ઇજા-ફેક્ચર જેવા કારણોને લીધે હીપ જોઈન્ટ - થાપાના સાંધાની તકલીફ નાની ઉંમરે જોવા મળે છે. એમ. આર. આઈ અને બીજી યોગ્ય તપાસને લીધે જલ્દી નિદાન શક્ય છે. થાપાના બોલમાં લોહી ઓછું ફરવાની સ્થિતિને “એવાસ્ક્યુલર નેક્રોસિસ” કહે છે આ તકલીફમાં શરૂઆતના તબક્કામાં દવાઓ અને ક્યારેક નાની “ડ્રીલીંગ હોલ” જેવી સર્જરીથી સારું પરિણામ મળે છે. એડવાન્સ તબક્કામાં થાપાનો સાંધો વધુ ખરાબ થાય ત્યારે હીપ રિપ્લેસમેન્ટ - નવો સાંધો નાખવાનું ઑપરેશન કરવામાં આવે છે. સિરામીક મટીરિયલ્સ ના બોલ અને આધુનિક ડિઝાઇન ના સમન્યવથી હવે લગભગ બધીજ રોજિંદી ક્રિયાઓ દુઃખાવા વગર થયી શકે અને લાંબા સમય સુધી પરિણામ આપે તેવા ઓપરેશનો શક્ય બન્યા છે, જે યુવાનો માટે આશીર્વાદ સમાન છે.

બાળપણમાં થાપાના બોલની તકલીફો, જન્મજાત તકલીફને લીધે થાપાના યોગ્ય વિકાસ ન થવો જેવા કારણો પર યુવાનો માં થાપા બદલવાના ઓપરેશનો માટે જવાબદાર છે.

યુવાન વયે થાપાની તકલીફો સાથે ઘણા યુવાનોને ઘૂંટણ, ખભા અને કેણી ના સાંધાની તકલીફો થતી જોવા મળે છે. ફરતો વા - રૂમેટોઇડ આથ્રાઇટિસ - અને ઇજાને લીધે સાંધાની સપાટીમાં થતી ખરાબી ને લીધે આ સાંધા ખરાબ થયી જાય છે. રૂમેટોઇડ આથ્રાઇટિસ જેવા રોગો માટેની આધુનિક દવાઓને લીધે હવે આ રોગ યોગ્ય સમયસરની સારવારથી કાબુમાં આવી શકે છે અને સાંધાની ખરાબી થતી અટકવાને લીધે ઑપરેશન ની જરૂરિયાત પણ ઘટતી જોવા મળે છે.

નાની ઉંમરે ઘૂંટણના શરૂઆતના ઘસારામાં દવા, ઈન્જેકશન, ફિજીયોથેરાપી વિવિધ પ્રકારના બાહ્ય સપોર્ટ (ની કેપ Splint) ની મદદથી રાહત મળી શકે છે. વજન ઘટાડવું એ આ તકલીફની પ્રાથમિક જરૂરિયાત ગણાય. ૩૦ થી ૫૦ વર્ષ સુધીના દર્દીઓમાં એંગલ બદલવાનું ઑપરેશન - ઓસ્ટીઓટોમી - ૧૦ થી ૧૫ વર્ષ સુધીના સારા પરિણામ આપી શકે છે. હવે અર્ધા સાંધા બદલવાનું ઑપરેશન “ Uni Replacement” પણ ઝડપથી સ્વીકાર્ય બનતું જાય છે. પ્રમાણમાં નાનું ગણાતું અને ઝડપી રિકવરી આપતું આ પ્રકારનું ઑપરેશન યુવાનોની જરૂરિયાતને સંતોષી શકે તેવું પરિણામ આપે છે.

દુઃખાવો, હલન ચલનમાં તકલીફ અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ સાથે આ દર્દીઓની અપેક્ષાઓ પણ બદલાતી જાય છે

થાપાના બોલની જેમ ઘૂંટણ ના ઓપરેશનોમાં પણ બાયો મેડિકલ એન્જિનિરીંગ શાખાનો વિશેષ ફાળો રહ્યો છે. એન્જીનીયરો અને ડોક્ટરોની ટીમ લેબોરેટરી માં થતા સંયુક્ત સંશોધનોને લીધે હવે ડિઝાઇન અને મટીરીયલ્સ ની આધુનિક શોધને લીધે લગભગ સંપૂર્ણ વળી શકે તેવા આર્ટિફિશ્યલ સાંધા બન્યા છે. દુઃખાવા વગરની સારી મુવમેન્ટ સાથે લાંબુ આયુષ્ય એ આ નવી ડિજાઇનના સાંધાનું અગત્યનું પરિબળ છે. વિજ્ઞાનની આ શોધ સાથે મેડિકલ ક્ષેત્રના અનુભવોને આધારે હવે આ સર્જરી નાના કાપાથી થાય છે અને ઝડપી રિકવરી શક્ય બને છે. આજના બદલતા જમાનામાં સૌને ખાસ કરીને યુવાનોને મુંઝવતો પ્રશ્ન છે - કેટલો સમય આરામ કરવો પડશે ? સચોટ ઑપરેશન ની પદ્ધતિ અને નવી ડિજાઇનના સાંધાને લીધે હવે ઑપરેશન પછી ખુબ ઝડપથી હલન ચલન ચાલુ કરી શકાય છે.

નવી શોધો આશીર્વાદરૂપ છે જ પણ યુવાનોને આ તકલીફોથી બચવા માટે થોડું ઘણું આત્મમંથન જરૂરી છે. ઘણી બીમારીના કારણો કુદરતી છે પણ શક્ય હોય ત્યાં સુધી આપણી પોતાની સાચવણીથી આપણે રોગથી બચી શકીએ. આલ્કોહોલ - દારૂનું વ્યસન , સ્થૂળતા (ઓબેસિટી) વધારે વજન, શરીરનું વજન વધારવા માટે વપરાતી અયોગ્ય દવાનું સેવન વિ. કારણો નાની ઉંમરે સાંધાને ખરાબ કરી શકે છે. “પહેલું સુખ તે જાતે નર્યા” , હરતા ફરતા રહીએ, સારું જીવન જીવીએ. “विना दैन्येन जीवनम्” , પરવશતા વગરની જિંદગી જીવી શકાય છે, તમારો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.

નવી શોધો આશીર્વાદરૂપ છે જ પણ યુવાનોને આ તકલીફોથી બચવા માટે થોડું ઘણું આત્મમંથન જરૂરી છે. ઘણી બીમારીના કારણો કુદરતી હોય છે પણ શક્ય હોય ત્યાં સુધી આપણી સાવચેતીથી આપણે રોગને દૂર રાખી શકીએ.

સ્ત્રોત: ડૉ. યુવરાજ લકુમ. ઓર્થોપેડિક સર્જન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/26/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate