ધૂતારાઓ મહિને 15 કિલો વજન ઉતારવાની જાહેરાતો કરતા હોય છે. પણ ડાયેટીંગ કરીને મહિને ત્રણ કિલો કરતાં વધુ વજન ઉતારવું મુશ્કેલ છે. આમ થિયોરીટિકલી છ મહિનામાં 18 કિલો વજન ઉતરી શકે પણ થોડી છૂટછાટ સાથે બારથી પંદર કિલો વજન ઉતરશે, એવી આશા વધુ વાસ્તવિક ગણાય.
અહીં બે વાત પર ધ્યાન દોરવા માંગું છું.
શરીરની જરૂરિયાત 2000 કેલેરીની હોય અને આપણે નિયમિત સરેરાશ 1500 જ ખાઈએ તો છ મહિને 10-12 કિલો ઉતરી જાય. પણ વજન ઉતાર્યા પછી ફરી 3000 કેલેરી ખાવાનું શરૂ કરી તો ફરી 15 કિલો વધતાં ત્રણ મહિના જ લાગે. વજન ઉતારવાની એક એક પળ તપ જેવી લાગે છે અને વજન વધવાની ક્રિયા આપણી જાણ બહાર ટપોટપ જોતજોતામાં થઈ જાય છે.
વજન ઉતારવું મુશ્કેલ છે અને ઉતરેલું વજન જાળવી રાખવું અતિ મુશ્કેલ છે.
એનો મતલબ એમ થાય કે છ મહિના સુધી 1500 કેલેરી ખાઈ 12 કિલો વજન ઉતાર્યા પછી જીવનભર 2000 કેલેરી ખાઈ, 300 જેટલી કેલેરી બર્ન કરશો તો જ વજન સ્થિર રહેશે..
“થોડા સમયમાં વજન ઉતારવું છે” એ વાક્ય મનમાંથી કાઢી નાખી “હવે જીવનભર પળેપળે વજન વિશે સભાન રહેવું છે” એ વાક્ય મગજ પર કોતરી લેવું જોઈએ.આવી સમજ કેળવવાથી એક્શન પ્લાન વધુ સારો બનાવી શકાય. ધારો કે એક યુવતી ‘અ' ચાર ફૂલકા રોટલી ખાય છે વજન ઉતારવા માટે એ નક્કી કરે છે કે હું હવેથી એક જ રોટલી ખાઈશ. ‘બ' નક્કી કરે છે હું 2 રોટલી ખાઈશ. ‘ક' નક્કી કરે છે કે હું 3 રોટલી ખાઈશ..
આમાંથી ‘અ'નું વજન વહેલું ઉતરશે, પણ એ ભૂખી રહીને જલદી કંટાળી જશે. અને નક્કી કરેલો ગાળો પૂરો થયા પછી અથવા એ ગાળો પૂરો થયા પહેલા જ કંટાળીને દબાયેલી સ્પ્રીંગ ઉછળે એમ ઓવર ઈટિંગ શરૂ કરશે..
‘ક'ને આ પ્રકારનો ત્રાસ બહુ નહીં થાય પણ એનું બેલેંસ બહુ નાજુક છે તેથી અઠવાડિયે એકવાર પણ ફરસાણ કે સ્વીટ ખાવાથી એનું બેલેંસ તૂટી જશે. એનું વજન મોટેભાગે ઉતરશે જ નહીં..
‘બ'નું વજન ઉતરશે પણ ‘અ' કરતાં બમણો સમય લાગશે. ‘ક'ની સરખામણીમાં ‘બ'ને થોડો સંયમ રાખવો પડ્યો હશે પણ એ ‘અ' જેવો એક્સ્ટ્રીમ ભૂખમરો ન હોવાથી એ લાંબો સમય આ ડાયેટ ફોલો કરી શકશે. વળી ધીરેધીરે વજન ઉતરવાથી શરીરમાં અશક્તિ નહીં આવે, પોષાક તત્વોની ખામી નહીં સર્જાય અને ચામડી શિથિલ નહીં થાય. આમ ડાયેટીંગ કરવા માટેની માનસિક તૈયારીની ચાવી છે કે મધ્યમ માર્ગી રહેવું.
માત્ર માનસિક રીતે નહીં, શારીરિક રીતે પણ ક્રેશ ડાયેટીંગ નુકશાનકારક છે.
- ડાયેટીંગ માટે કાર્બોહાઈડ્રેટ (મીઠાશ, અનાજ) ઓછા કરવા જરૂરી છે પણ સુગર લો થાય તો મગજની એકાગ્રતા ઓછી થાય. તેથી ડાયેટીંગ કરતી વખતે મિનિમમ માત્રામાં અનાજ જરૂરી છે. ફળોમાંથી જે એંટી-ઓક્સીડંટ કે વીટામીન્સ મળે છે તે બીજે ક્યાંયથી મળતાં નથી તેથી શક્ય હોય તો દિવસમાં સો ગ્રામ જેટલું ફળ (એક કેળું,એક સંતરા અથવા અડધુ સફરજન, રાતે સૂતીવેળા અથવા કસરત પહેલાં) ખાવું જોઈએ..
- ડાયેટીંગ માટે ફેટ (તેલ, ઘી, બટર, ચીઝ) ઓછું કરવું અનિવાર્ય છે પરંતું આપણા તમામ ન્યૂરો કેમિકલ્સ ફેટમાંથી બને છે, સાંધાઓની સ્વસ્થતા માટે ફેટ જરૂરી છે. વીટામીન એ, ડી, ઈ અને કે માટે ફેટ જરૂરી છે. હાઈ ફેટ (ભેંસનું) દૂધ વજન વધારે છે. પરંતુ શાકાહારીઓ માટે દિવસમાં 150 થી 250 મિલી દૂધ અનિવાર્ય છે. દૂધ સિવાય વીટામીન બી કોમ્પ્લેક્સનો બીજો કોઈ સારો સોર્સ નથી. લો ફેટ દૂધ ગાયનું, અથવા સ્કીમ્ડ મિલ્ક વાપરવું જોઈએ.
- ડાયેટીંગ માટે પ્રોટીન ભરપૂર ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમાં મિક્સ્ડ કઠોળ, પનીર અને જેમને સ્વીકાર્ય હોય એમને માટે એગ વ્હાઈટ, અને ચિકન ખાવાનું કહેવામાં આવે છે. પ્રોટીન પચાવવા માટે કીડની પર બોજ આવે છે. કિડનીની પ્રોટીન પચાવવાની એક લિમિટ હોય છે. તેથી જેટલા કિલો વજન હોય એનાથી વધારે ગ્રામ પ્રોટીન ન ખાવું જોઈએ. પ્રોટીનના મોંઘા ડબ્બાઓથી ફાયદો અવશ્ય થાય પણ એ વેચનારને થયેલો આર્થિક ફાયદો હોય છે. આ પાવડર પીવા કરતાં સીંગ-ચણા કે એગ વ્હાઈટ વધુ હેલ્ધી છે..
તેલ ઘી કેટલું નુકશાન કરે છે એમાં મતભેદ છે. પરંતુ આટલી વસ્તુ યાદ રાખો.
- ઊંચા તાપમાને તળેલ તેલમાં ફ્રી રેડિક્લ્સ ઉત્પન્ન થાય છે જે ખૂબ નુકસાન કરે છે.
- ખોરાયેલું (રેન્સીડ) અને એકવાર ગરમ થયા પછીનું વાસી (ફરસાણનું, અથાણાનું) તેલ નુકસાન કરે છે. દાળ શાકમાં વપરાયેલ ફ્રેશ તેલ નુકસાન કરતું નથી.
- થોડા તેલમાં વઘાર કરીને દાળ-શાકમાં ઉપરથી તેલ (ગરમ કર્યા વગરનું) નાખવાથી ઓછું નુકસાન થાય છે.
- ડાલડા ઘી અને પામ ઓઈલ (પામોલીન) કોલેસ્ટેરોલ વધારવા માટે જવાબદાર છે.
- માપસર લેવાયેલું દેશી ઘી ફાયદાકારક છે.
- બટર-ચીઝ સાવ ઓછા પ્રમાણમાં લઈએ તો નુકસાનકારક નથી..
ચોકલેટ
ભોજન પેટની અને શરીરની જરૂરિયાત છે, જીભનો અને મનનો આનંદ છે. પ્રમાણસર લઈએ તો એ જીવનરક્ષક છે અને વધુ લઈએ તો એ ભક્ષક છે. .
સ્ત્રોત ડો રઈશ મણિયાર,ફેમિના