રોગ ત્યારે જ થઇ જાય છે,જ્યારે શરીરની સ્વબચાવની પ્રતિક્રિયા પાછી પડે છે.
‘ઈમ્યુનિટી' શબ્દ લેટીન ‘ઈમ્યુનિસ' પરથી આવ્યો. તેનો અર્થ થાય કર ભરવામાંથી મિલિટરી સેવાથી બીજી સાર્વજનિક સેવામાંથી બાકાત રહેવું. આમ સાદા અર્થમાં ઈમ્યુનિટી એટલે બચાવ, ઈ.પૂર્વે ૪૩૦માં એથેન્સમાં પ્લેગ ફાટી નીકળેલો તેનું વર્ણન થ્યુસિડાઈડસ (જેઓ ફાધર ઓફ સાયન્ટિફિક હિસ્ટ્રી તરીકે ઓળખાય છે) દ્વારા લખાયેલું છે. જેમાં પ્લેગ થવાથી બચી ગયેલા તથા પ્લેગ થયા બાદ સાજા થઇ ગયેલા રોગીઓ, જેઓ પ્લેગથી થતાં મૃત્યુથી બાકાત રહી ગયેલા તે વિશે આશ્ચર્ય અને કુતુહલ સાથે ઇતિહાસમાં રોગ સામે લડવાની શક્તિ, રોગથી થતાં મૃત્યુ સામે બચાવ, ઈમ્યુનિટીનું વર્ણન જોવા મળે છે. જોકે સમયાંતરે મિથ્રીડેટસ IV ઓફ પોલેન્ડે ઝેરી સાપથી સ્વબચાવ, ઝેરી સાપનો શિકાર કરી, આરોગતા પ્રાણીઓનું લોહી પીવાથી શક્ય બને છે, તેવી થીયરી રજૂ કરી. સંક્રમણથી થતાં ડીપ્થેરીયા તથા ટીટેનસ જેવા રોગ માટે પણ એન્ટીટોકસીનનું સંશોધન અનેક વૈજ્ઞાનિકોએ કર્યું. કાળક્રમે શીતળા જેવા ભયાનક રોગ સામે રક્ષણાત્મક શોધ Edward Jenner દ્વારા થઇ. આ યાત્રામાં લૂઈ પાશ્ચર જેવા ઘણા વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યુ અને ઇમ્યુનોથેરાપી, વ્યાધિક્ષમત્વ પર શોધની પરંપરા ચાલી.
ઈમ્યુનિટી શરીરનું રક્ષણ શી રીતે કરે છે. તેનાં જવાબો શોધાયા. આધુનિકોએ શરીરને બચાવવા કામે લાગી જતી બે મૂખ્ય શક્તિઓ વિશે જણાવી તેને 1. Innate Immunity અને 2. Adaptive Immunity એવી બે System વીશે જણાવ્યું. ઇનનેટ ઈમ્યુનિટીમાં કોષની પોતાની જ epithelial Barrier તરીકે ઓળખાતી ત્વચા રોગજનકોને કોષમાં પ્રવેશતા અટકાવવાનું કામ કરે છે. Circulating Plasma Proteins રોગજનકને રોકે છે. NK-Natural Killer કહેવાતા Iymphocyte આરોગ્યમય અવસ્થામાં વિકૃતિ માટે કારણરૂપ જીવાણુંને ખાઈ જઈ સ્વબચાવ કરે છે. જ્યારે આ સિસ્ટમને અવગણી અને રોગજનકો શરીરમાં દાખલ થવા સફળ બને છે. ત્યારે Adaptive Immunityનાં B-Lymphocytes દ્વારા રોગજનક એન્ટીજનનો સામનો કરવા એન્ટીબોડી ઉભા કરી, રોગ થતો અટકાવવા સક્રિય બને છે. અહીં સંક્ષિપ્તમાં ઈમ્યુનિટી સિસ્ટમ વિશે જણાવવાનો આશય એ છે કે, મારા લેખમાં વારંવાર શરીર માટે વપરાતાં વિશેષણો જેવાકે શરીર એક ‘સ્વયં સંચાલિત' મશીન છે. શરીરની પ્રાણરક્ષા માટે ‘સક્ષમતા' પાછળ રહેલાં વૈજ્ઞાનિક આધારનો ખ્યાલ આવે. કોઇપણ એવા ફેરફાર કે જે શરીરના આરોગ્ય સામે સંકટજનક હોય તે પછી શરીરના અંદરના કારણો હોય કે પછી બહારથી થતાં સંક્રમણ જેવા બાહ્યકારણો શરીર સ્વયં તેનો પ્રતિકાર કરવા લાગી જાય છે. રોગ ત્યારે જ થઇ જાય છે, જ્યારે શરીરની સ્વબચાવની પ્રતિક્રિયા પાછી પડે છે. આથી જ જ્યારે આરોગ્ય જાળવવું હોય, ત્યારે શરીરની વ્યાધિક્ષમતા સબળ હોવી જોઈએ.
આયુર્વેદ શરીરના બંધારણરૂપ રસથી શુક્ર સુધીની સાતેય ધાતુઓ (બોડી ટીશ્યુઝ)નાં સારભૂત કે જે પરમ તેજરૂપ સક્ષમ તત્વ છે, તે ‘ઓજ' ને શરીરની ઉત્પત્તિ અને સ્થિતિ ટકી રહેવા માટે કારણભૂત કહે છે. ઓજને તેની કામગીરીને ધ્યાનમાં રાખી ‘ઓજોબળ' કહે છે. આયુર્વેદ ખોરાકનાં પાચન બાદ બનતા આહાર રસમાંથી શરીરને ઉપયુક્ત રસ ધાતુમાંથી ધાતુપાક પ્રક્રિયા (મેટાબોલિઝમ)થી થતાં ધાતુઓના બંધારણ, પોષણ વિશે જણાવે છે. તે પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ ગુણો ધરાવતું, ચીકાશયુક્ત, સફેદ, મધુર રસવાળું, ઉષ્મા અને જીવરક્ત જેવા ઉપનામ ધરાવતું ધાતુઓના સારરૂપ દ્રવ્ય ‘ઓજ' શરીરને બે રીતે મદદ કરે છે.
શરીરના મૂળભૂત વાયુ, પિત્ત અને કફ તત્વો પૈકીના કફ તત્વનાં સ્નેહન-ચીકાશ, અનુબંધ, ક્લેદન ગુણો આધારિત શરીરોપયોગી કાર્યો એ આધુનિકો દ્વારા દર્શાવેલા Innate Imunity સાથે સામ્યતા ધરાવે છે.
ઓજ અને પ્રાકૃત કફના શરીરનું રક્ષણ કરવાના ગુણો જળવાઈ રહે તે ઈમ્યુનિટીની સક્ષમતા માટે જરૂરી છે. આ બાબત આયુર્વેદ વિજ્ઞાન આહાર અને આહારવિધિ પર વિશેષ ધ્યાન રાખવા સૂચવે છે.
આહાર દ્વારા પંચભૌતિક શરીરનું પોષણ અને જાળવણી યોગ્ય રીતે થઇ શકે તે માટે પાચન અને મેટાબોલિઝમ યોગ્ય રીતે થવું જરૂરી છે. પાચન-ધાતુપાકક્રિયા કરવા માટે શરીરમાં રહેલી સાહજિક શક્તિને ‘અગ્નિ' – પાચકાગ્નિ, ધાત્વાગ્નિથી ઓળખવામાં આવે છે. આથી અગ્નિની સાચવણી શક્ય બને તો શરીરની રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ માટે આવશ્યક શારીરિક-ક્ષમતા જળવાય..
આયુર્વેદ દોષ, ધાતુ, અગ્નિ જેવા જરૂરી ઘટકોની જાળવણી માટે ‘આહારવિધિ' ખોરાકનું પ્રકાર આધારિત પ્રમાણ, ભોજનનો સમય, વિધિ જેવી બાબતો સમજાવે છે.
સ્ત્રોત :ડો યુવા ઐયર ફેમિના, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020