મૂળ બ્રાઝિલનું વતની અનાનસ (પાઇનેપલ) આપણા દેશમાં વિશેષ કરીને દરિયા કિનારાના પ્રદેશોમાં વધારે ઉત્પન્ન થાય છે. તમે તેને એકવાર ફળ તરીકે ખાઓ કે રસ પીવો તમને તેનો ખટમીઠો સ્વાદ એટલો બધો સરસ લાગશે કે વારે વારે ખાવાનું મન થશે.
પાઇનેપલમાં જથ્થાબંધ પોષક દ્રવ્યો છે :
પાણી- ૮૬ ટકા, સાકર ૧૨% (સિમ્પલ ૪% ને કોમ્પ્લેક્ષ ૮%, જ્યારે પ્રોટીન અને ચરબી નહિવત્ છે.)
તેમાં વિટામીન એ (બીટા કેરોટિન), વિટામીન સી અને વિટામીન બી કોમ્પ્લેક્ષમાં વિટામીન બી-૧ (થાયમિન), વિટામીન બી-૬ (પાયરીડોક્સિન) અને વિટામીન બી-૮ (ફોલિક એસિડ) છે. મિનરલ્સમાં પોટાશ્યમ, મેગ્નેશ્યમ, કેલ્શ્યમ, આયર્ન (લોહતત્ત્વ), કોપર, ફોસ્ફરસ છે. આ ઉપરાંત બ્રોમેલીન ૮૭% જેટલો સાઇટ્રિક એસિડ અને ૧૩ ટકા મેલિક એસિડ અને ઇનસોલયુબલ ફાઇબર છે.
પાઇનેપલ ખાવાથી કે તેનો રસ પીવાથી થતા ફાયદા :
સાંધાનો વા (આર્થરાઇટિસ)ના દુ:ખાવામાં રાહત આપે છે: સ્નાયુના અને સાંધાના સોજામાં પાઇનેપલમાં રહેલું બ્રોમેલીન નામનું 'પ્રોટીઓલાયટીક એન્ઝાઇમ' તાત્કાલીક ફાયદો કરાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે : પાઇનેપલમાં પાવરફૂલ એન્ટી ઓક્સિડંટ વિટામીન સી અને વિટામીન એ છે જેને કારણે ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધે છે. બેક્ટેરિયા, વાઇરસ અને બીજા સૂક્ષ્મ જીવાણુને લીધે થનારા ચેપી રોગો સામે રક્ષણ મળે છે. વિટામીન સીને કારણે શરીરમાં ઇજા થઈ હોય તો જલ્દી રૃઝાઈ જાય છે.
મોના, ગળાના અને સ્તનના કેન્સર સામે રક્ષણ આપે છે : પાઇનેપલમાં વિટામીન એ, વિટામીન સી જેવા પાવરફૂલ એન્ટી ઓક્સિડંટ ઉપરાંત બ્રોમેઝીલન અને મેંગેનીઝ તેમજ ફ્લેવેનોઇડ્સ જેને કારણે કેન્સર સામે રક્ષણ મળે છે.
પાચન ક્રિયામાં મદદ કરે છે : પાઇનેપલમાં ફાઇબર છે અને બ્રોમેલીન છે જેને કારણે પેટના રોગો જેવા કે ગેસ, અપચો, ઉલ્ટી, ઉબકા, કબજિયાત, ઝાડા થઈ જવા વગેરેમાં રાહત આપે છે.
ઉધરસ અને શરદી સામે રક્ષણ આપે છે : આગળ જણાવ્યા પ્રમાણે પાવરફૂલ એન્ટિ ઓક્સિડન્ટ વિટામીન સીને કારણે શ્વસનતંત્ર (રેસ્પીરેટરી સિસ્ટીમ)ના રોગો સામે રક્ષણ આપે છે.
આંખોની જોવાની શક્તિ (વિઝન) સુધારે છે :પાઇનેપલમાં વિટામીન એ (બિટાકેરોટિન) છે જે પણ પાવરફૂલ એન્ટી ઓક્સિડંટ ગણાય છે જેનાથી આંખોના કોષ (રોડ્સ એન્ડ કોન્સ)ને ખૂબ પોષણ મળે છે તેથી વિઝન સુધરે છે.
હાડકાં મજબૂત થાય છે : પાઇનેપલમાં વિપુલ પ્રમાણમાં મેંગેનીઝ છે જેને કારણે હાડકા બનવાની, વધવાની અને તૂટી ગયા હોય તો સાંધવાની ક્રિયા સારી રીતે થાય છે.
મોં અને દાંત ચોખ્ખા રાખે છે : પાઇનેપલમાં વિટામીન સી અને બ્રોમેલીન છે જેને કારણે મોમાં કોઈ પણ જાતનો ચેપ નથી લાગતો અને મોં ચોખ્ખું રહે છે.
બ્લડપ્રેશર કાબૂમાં રાખે છે : પાઇનેપલમાં પોટાશ્યમ છે જેને કારણે લોહીની નળીઓમાં લોહી ફરવાની ક્રિયા સરળ રીતે થાય છે એટલે બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. પાઇનેપલમાં પોટાશ્યમ ઉપરાંત કોપર છે જેને લીધે લોહીના રક્તકણ એકદમ તંદુરસ્ત રહે છે.
હાર્ટ એટેક આવતો અટકે છે :પાઇનેપલને લીધે લોહીની નળીઓની અને તેમાં ફરતા લોહીના કામમાં કોઈ વાંધો આવતો નથી તેથી હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જાય છે.
સ્ત્રોત: શતદલ, ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020