આલ્કોહોલની માઠી અસરો અંગે શાળામાં શિક્ષણ આપવા સરકાર વિચારી રહી છે. આલ્કોહોલ નશાકારક પદાર્થ છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવી માહિતીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા અને તે અંગે જાગૃતિ ફેલાવવા માટે તેને શાળાના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે. આલ્કોહોલના દૂષણને ડામવાનો સરકારનો ઈરાદો છે.
આલ્કોહોલના દૂષણની માહિતી અભ્યાસક્રમમાં સમાવવા વિચારણા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકાઓ મુજબ નેશનલ આલ્કોહોલ પૉલિસી ઘડવા અને દેશમાં આલ્કોહોલ કે દારૂના દૂષણને ડામવા સરકાર ગંભીરતાપૂર્વક પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે તેને શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. સરકારની નવી આલ્કોહોલ પૉલિસીનો અસરકારક અમલ કરવા માટે નોડલ એજન્સી તરીકે કેંદ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને જવાબદારી સોંપવામાં આવશે. આલ્કોહોલથી થતી હાનિ અંગે ઇસ્પિતાલો અને ટ્રોમા સેન્ટરો તેમ જ પોલીસ સ્ટેશનો દ્વારા ડાટાબેઝ પણ ઊભો કરવામાં આવશે.
માધ્યમિક શિક્ષણમાં શાળાના અભ્યાસક્રમોમાં તેને સમાવવામાં આવશે. આ ઉપરાંત આલ્કોહોલને લગતી જાહેરાતો પર પ્રતિબંધ મુકવામાં આવશે અને આલ્કોહોલ ધરાવતા ઠંડાં પીણાંની પ્રોડક્ટ પ્લેસમેન્ટ પર નિયંત્રણો મૂકીને મીડિયામાં પ્રમોશનલ આર્ટિકલ્સ પર પણ પ્રતિબંધ મૂકવા વિચારણા કરાશે. આ સંદર્ભમાં બંધારણીય જોગવાઈઓને ધ્યાનમાં લઈને દેશમાં પૉલિસીનો અમલ કરાશે. આલ્કોહોલના દૂષણને અસરકારક રીતે રોકવા માટે આલ્કોહોલનું સેવન રોકાશે અને આલ્કોહોલના બંધાણીઓને સમયસર સારવાર આપીને તેમનું પુર્નવસન કરવાના પગલાં પણ લેવાશે.
સ્ત્રોત: સંદેશ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/11/2019