સામાન્ય રીતે ઘરમાં યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવે તો અજવાળું રહે. ઘર અંધારિયું ન રહે તે માટે ઉજાસને મહત્વ આપવામાં આવે છે. પરંતુ માત્ર અજવાળું જ નહીં સૂર્યપ્રકાશ અને તડકો અમુક સમયગાળા સુધી ઘરમાં પ્રવેશવાની અસર તેમાં વસતા લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય ઉપર પણ થાય છે. જે બાબત વધુ સ્પષ્ટતાથી જાણીએ. સૂર્યપ્રકાશની હાજરીથી ઘરનાં ખૂણે-ખૂણામાં રહેલ નાની-મોટી જીવાંત પર અસર પહોંચે છે. ઉનાળાના તડકાવાળા, શુષ્ક વાતાવરણવાળા દિવસોમાં ઘરમાં તડકો-પ્રકાશ ન આવે તેવું આપણે ઈચ્છીએ છીએ. કેમકે સૂર્યના કિરણોની પ્રખરતા અને તાપમાનથી ગરમી, પરસેવાથી તકલીફ અનુભવીએ છીએ. પંખા, એરકૂલર કે એરકન્ડીશનર મશીનની મદદથી રૂમનું તાપમાન નીચે લાવ્યા બાદ રાહત રહે છે. પરંતુ સવારના સમયે સૂર્યનું બળ ઓછું હોય, તડકો કૂણો હોય તેવા સમયગાળા દરમ્યાન પડદા હટાવી, બારી બારણા ખોલી ઘરમાં પ્રકાશ અને હવા પ્રવેશે તે જરૂરી છે. સૂર્યકિરણોની અસરથી સૂક્ષ્માતિસૂક્ષ્મ બેક્ટેરિયા, ફુગ અન્ય જીવાંતનો નાશ થાય છે. રોજબરોજના વપરાશમાં આવતા ગાદલા, તકિયા, ઓશિકા, ખુરશી-સોફાના કુશન ઉપરાંત ઘરનાં છુપા-અંધારિયા ખૂણે જમા થતી ધૂળ, રજકણમાં બેક્ટેરિયા, ફુગ, અન્ય જીવાંત પેદા થવાની શક્યતા રહે છે. જે માત્ર ધૂળ લૂછવાથી કે ઝાપટવાથી દૂર થતી નથી. રોજબરોજના જીવનમાં વારંવાર કેમિકલયુક્ત જીવાણુનાશક છાંટવાથી તેની આડઅસર નાના બાળકો તથા શ્વસનતંત્રની બીમારીથી પીડાતા લોકો પર થાય છે.
ઘરનાં વાતાવરણમાં ઉડતા રજકણો, ફુગના સૂક્ષ્મકણો અન્ય સૂક્ષ્મ જીવાંતો જ્યારે શ્વાસોચ્છવાસ દ્વારા નાક-ગળાની અંત:ત્વચાના સંપર્કમાં આવે ત્યારે નાકમાંથી પાણી વહેવું, છીંકો આવવી, ખાંસી આવવી, ચામડીમાં લાલાશવાળો સોજો થવો, ખંજવાળ આવવી, ફોડકી થવી જેવી વિવિધ પ્રતિક્રિયા શરીર સ્વબચાવ માટે કરે છે. પરંતુ સ્ત્રાવ થવાથી, ખંજવાળથી સોજો અને લાલાશ અનુક્રમે રોગનું સ્વરૂપ પકડે છે. આથી જેઓની રોગ પ્રતિકારકશક્તિ ઓછી હોય તેઓ વારંવાર આવી નાની-મોટી તકલીફનો ભોગ બને છે. સમજવામાં સરળતા રહે તેથી તેને એલર્જીની બીમારીથી ઓળખવામાં આવે છે. ઘરનાં વાતાવરણમાં એલર્જીનું કારણ દૂર કરવા માટે સાફ સફાઈની સાથે ઘરમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવે તથા હવાદાર વાતાવરણ રહે તે જરૂરી છે.
ઉનાળાના દિવસોમાં એરકંડિશન મશીનની હવા જેમાંથી ફિલ્ટર થઈને આવે છે, તે જાળીઓની સફાઈ નિયમિત રીતે થવી જરૂરી છે. એરકંડિશનર કે એરકુલરનો ઉપયોગ યોગ્ય રીતે થવો જરૂરી છે. સવારના સમયે રૂમનું વાતાવરણ સૂર્યપ્રકાશ અને તાજી હવાથી શુદ્ધ થાય તે જરૂરી છે.
આટલી કાળઝાળ ગરમીમાં સૂર્યપ્રકાશનાં ગુણો વિશે જાણવું પણ આકરું લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ચામડી કાળી પડી જવાના ભયથી અને UV raysથી બચવા માટે વપરાતાં સનબ્લોક લોશનનો અતિરેક શરીરને સૂર્યપ્રકાશની ઘણી ફાયદાકારક અસરથી વંચિત રાખે છે.
હાડકા મજબૂત બને, વિટામીન ડી મળે, કોલેસ્ટેરોલ ઘટે, બ્લડપ્રેશર ઘટે તેવી અપેક્ષા સાથે સૂર્યકિરણોની પ્રખરતાનો સામનો શરીરની કુદરતી સહનશીલતાથી વિશેષ કરવાથી શરીરને નુકશાન થાય છે. ખાસ કરીને પિત્તનો ઉદ્દેક થવાથી અનેક પિત્તજનક રોગો થાય છે જેવા કે, માથાનો દુખાવો, ઉલટી-ઉબકા, ચામડીમાં લાલાશ-ફોડકી વગેરે.
વધુ તાપને કારણે વાળ-ત્વચાને નુકશાન થાય છે. ચામડીમાં કરચલી, કાળાશ અને કેન્સર જેવા રોગની સંભાવના વધે છે.
સ્ત્રોત: લેખક , યુવા ઐયર , ફેમિના, નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020