ચોમાસામાં આરોગ્ય સંબંધિત નાની મોટી તકલીફો ઊભી થતી હોય છે. ઘણી વાર કેટલાક ઘરેલુ ઉપાયો આ તકલીફોને દૂર કરવા માટે કારગત નીવડે છે. તમે પણ અજમાવી જુઓ.
પેટનો દુખાવો દૂર કરવા
ઈલાયચી પાચનશક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે. પેટનાં દુખાવામાં પણ રાહત અપે છે તેમ જ પેટની અંદરની લાઈનિંગને આરામ આપે છે. જેનાથી એસિડનું ઉત્પાદન ઓછું થાય છે. ઈલાયચીનાં દાણાને છાલ સહિત વાટી લો. ત્યારબાદ પાણીમાં નાખીને ઉકાળી લો. ઠંડું થયા પછી ગાળીને પી લેવું. તરત જ રાહત મળશે.
બ્લોટિંગથી છૂટકારો
વરિયાળીમાં ડાઈયૂરેટિક ગુણ હોય છે, જે કિડનીમાંથી સોડિયમ અને પાણીને સ્ત્રવિત કરે છે. એક કપ ગરમ પાણીમાં એક ટીસ્પૂન વરિયાળી નાંખો અને ૧૦ મિનિટ માટે ઢાંકી દો. હવે આ પાણીને ગાળીને દિવસમાં ત્રણ વખત પીઓ જેનાથી બ્લોટિંગ નહીં થાય.
શરદી-ખાંસીને મટાડવા
ગરમ પાણીમાં તુલસી, આદુ, મરી, ફુદીનો, મધ અને લીંબુ નાંખીને ઘરે હર્બલ ટી બનાવો. દિવસમાં બે વખત એક કપ આ ગરમ હર્બલ ટી પીવાથી શરદી - સળેખમ તો દૂર થશે જ, સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધશે અને સ્ફૂર્તિ પણ મળશે.
અક્સીર એલોવેરા
એલોવેરા જેલનો એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મ ખીલ, ફોડકી જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. તે ચેપ કે બળતરાથી પણ છૂટકારો અપાવે છે. દાદર, ત્વચા પરનો કાપો કે ઘા, જીવજંતુનો ડંખ કે પછી સૂર્યના આકરા તાપથી જ્યારે ચામડી દાઝે ત્યારે ત્યાં એલોવેરા જેલ લગાવવાથી ઝડપથી રુઝ આવશે.
સ્ત્રોત: નવગુજરાત હેલ્થ