એવું ક્યારેક બને છે કે તમે કેટલીક બાબતે જિંદગીમાં બહુ જ કન્ફ્યુઝ થયા હોવ. એ તમારું કુટુંબ, તમારા જીવનસાથી, બાળકો, સાસરિયાં, ઓફિસ, આરોગ્ય અંગે હોઈ શકે અને તમારા તમામ પ્રયાસો કરવા છતાં, સખત મહેનત કરવા છતાં તમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ કે રિઝલ્ટ્સ મળે નહીં એમ બને. મને ખાત્રી છે કે આપણા પૈકીના મોટા ભાગના આ ફેઝમાંથી ગયેલા જ હોય. ત્યારે ખરેખર શું કરો છો? કોઈ ઉકેલ નથી મળતો માટે તમે ભાગી શકો નહીં, કે છોડી દઈ શકો નહીં કે આપઘાતનો વિચાર સરખો ન કરી શકો. આપણે હંમેશાં આવા મુશ્કેલ
તબક્કામાંથી બહાર નીકળવાનો વિચાર કરીએ છીએ. કદાચ આપણે ઇશ્વર તરફ પણ વળી જઈએ. કંઈક પૂજાપાઠ કરવા, બાધા રાખવી, દાનપુણ્ય કરવું વગેરે કરીએ છીએ. પણ મારા મતે એમ કરીને કેવળ સાયકોલોજિકલ સંતોષ મેળવીએ છીએ. મને લાગે છે કે આપણને દર્દ અને પીડા એની તરફ લઈ જાય છે એટલે ઇશ્વર વ્યસ્ત રહે છે.
ઘણા દારૂ, ડ્રગ્સ, ધૂમ્રપાન કરીને તેનાથી નાસવા મથે છે, જે બીજો એક રસ્તો હોઈ શકે.
મારા માટે, જ્યારે આવી કોઈ સ્થિતિ ઊભી થાય, તો થોડીક વાર હું અપસેટ થઈ જાઉં છું, રડી લઉં છું અને ફ્રસ્ટ્રેટ થાઉં છું. પણ પછી, કોઈ મંદિરે ગયા વિના, કોઈ પૂજા વિના કે દારૂનું સેવન કર્યાં વિના કે અન્ય કોઈ વસ્તુ કર્યા વગર જાણે જાદુ થાય છે. અચાનક જાણે કોઈ મારી અંદરથી મને ગાઇડ કરે છે, કહે છે કે પૂર્વી, આ જિંદગીનો માત્ર એક તબક્કો છે, એને પાર કરી જા. એ જલદીથી પસાર થઈ જશે. બસ તું શાંત રહે, ઠંડક રાખ. એની સાથે ગુસ્સે કે અપસેટ થયા વિના હકારાત્મક રીતે ડીલ કરતાં શીખ.
મેં હંમેશાં અનુભવ્યું છે કે શ્રેષ્ઠ સલાહકાર, મિત્ર, માતા-પિતા જો કોઈ હોય તો તે તમારી અંદર રહેલ તમે પોતે છો. તમારે કોઈ મંદિરે જવાની કે ઇશ્વરને પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. એ હંમેશાં તમારી અંદર જ રહેલ છે. એને અનુભવો અને પછી ચમત્કાર જુઓ.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/20/2020