અખાત્રીજનાં વર્ષીતપનાં પારણામાં સમયસર પહોંચી શકાય એ માટે સવારથી તણાવ અનુભવતાં અમીબેન ઝડપથી ઘરમાં વ્યવસ્થાઓ ગોઠવી અને કાર સ્ટાર્ટ કરી તેમાં A.C. ચાલુ હોવા છતાં બહારની ગરમી અને સ્ટ્રેસ પછી પિયર પહોંચ્યાં ત્યારે લિફ્ટને આવવાની વાર લાગે એમ હોઇ ઝડપથી પાંચમા માળે પગથિયાં ચઢીને પહોંચી ગયાં. ભાભીને શેરડીના રસથી પારણું કરાવ્યું અને તરત જ ધબ્બ કરીને માથે હાથ દઈને બેસી પડ્યાં. આંખે અંધારાં આવે છે, ચક્કર આવે છે એવું માંડ ધીમેથી બોલ્યાં. એમની મમ્મીએ સાકર, પાણી, લીંબુનું શરબત આપ્યા પછી દસ મિનિટે આંખ ખોલવાની ઇચ્છા થઈ.
આ ગરમીના દિવસોમાં યોજાતી શાળાની પરેડમાં જો બાળકોને વધુ સમય ઊભાં રાખવામાં આવે તો તેમાંથી કોઈ બાળક આંખે અંધારાં આવી જવાથી પડી જતું હોય છે. પગથિયાં ચડવાથી કે સાધારણ શ્રમથી ઘણી વ્યક્તિઓના હૃદયના ધબકારા વધી જતા હોય છે. પરંતુ થોડીવાર પછી આરામની પળોમાં ધબકારા સામાન્ય થઈ જાય છે.
આવું કેમ થાય છે?
ઉનાળાના દિવસોમાં આપણને ઘણી જગ્યાએ પાણીની બૂમો સંભળાય છે. ખાસ કરીને ઊંચાઈવાળા ઘર, સોસાયટી કે ગામડાઓમાં વિશેષ હોય છે.
પાણીની પાઈપલાઈનમાં પાણીનો પ્રવાહ ઓછો હોય ત્યારે પૂરા ફોર્સથી - પૂરા દબાણથી પાણી આગળ વધતું નથી. પરિણામે છેવાડા કે ટોચના ઘર સુધી પાણી પહોંચતું નથી.
એ જ રીતે લોહીની ઓછપને કારણે કે રક્તવાહિની ઓછી શિથિલતાને કારણે હૃદય પૂરતા પ્રમાણમાં જોર કે દબાણ લાવી શકતું નથી. પરિણામે મસ્તિષ્ક - મગજ અને પગની પિંડીઓ સુધી પૂરતા પ્રમાણમાં લોહી પર્યાપ્ત માત્રામાં પહોંચતું નથી.
આમ, રક્તનું - રક્તપ્રવાહનું ઓછું જોર લોહીનું નીચું દબાણ કે લો-બ્લડ પ્રેશરનાં ચિહ્નો પેદા કરે છે.
લો-બ્લડપ્રેશરની વિશેષ ઓળખ
- આંખ આગળ કાળાં ટપકાં દેખાય. આંખે અંધારાં આવે.
- ચક્કર આવે
- બગાસાં આવે કામ કરવાનું મન ના થાય.
- થોડું કામ કરવાથી થાક લાગે કામ ન કર્યું હોય તો પણ થાક લાગે.
- હૃદયના ધબકારા વધી જાય.
- પગની પિંડીઓ દુ:ખે પાની દુ:ખે, ક્યારેક પગમાં વાઢિયા પડે
- કામદોર્બલ્ય - ગુપ્ત અંગોમાં ઉત્તેજના મંદ થાય.
- ક્યારેક ખૂબ ઊંઘ આવે સવારે ઊઠ્યા પછી શરીર સુસ્ત થાકેલું લાગે.
ઉપચારક્રમ
બ્લડપ્રેશર ઘટી જવાના ઉપર્યુક્ત ચિહ્નોમાંથી એકાદ બે ચિહ્નો જણાય ત્યારે બલ્ડપ્રેશર મપાવી તેના ઘરગથ્થુ ઉપચાર કરવા.
દોઢ કપ ગરમ પાણીમાં પા કપ, અડધી ચમચી કોફી પાવડર અને બે ચમચી ખાંડ ઉમેરીને લેવાથી આંખોના પોપચા ઢળી જવાની લો બી.પી.ની સમસ્યામાં ઝડપી સુધારો જોવા મળે છે.
તત્કાળ ઉપાય
- લીંબુના રસમાં સાકર, નમક, સંચળ, મરી પાવડર, ગ્લુકોઝ નાખીને શરબત પીવું. જે ચક્કર આવવાં, અંધારાં આવવામાં તરત રાહત આપે છે.
- સૂંઠ, ગોળ, ઘી સરખા પ્રમાણમાં લઈને લસોટીને અડધી પોણી ચમચી લેવું. સૂંઠના બદલે ગંઠોડા-પીપરામૂળ પણ લઈ શકાય.
- અગ્નિતુંડીવટી : અજમો, વાવડિંગ, યવસાર અને શુદ્ધ ઝેરકોચલા(નક્સ-વોમિકા) વગેરેથી અગ્નિતુંડીવટી બને છે.