શરદઋતુનું ૬૦ દિવસ દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા જીવનશૈલી અને ખોરાકમાં કેવો અને કેટલો ફેરફાર કરવો જોઈએ એ જાણીએ.
ચાંદની : રાત્રિના પ્રથમ પ્રહરની ચાંદની કોઈ ઔષધ ન કરી શકે તેટલી ઝડપથી પિત્તદોષની ઉગ્રતાને ઘટાડીને તેને શાંત કરી દે છે. એટલે શરદઋતુની ચર્યામાં રાત્રે ચાંદનીમાં વિહાર કરવો જોઇએ. શરદ પૂર્ણિમાએ ચાંદનીમાં વિહાર કરવાની પ્રથા પાછળ કદાચ આ જ કારણ છે.
શ્વેત-સફેદ રંગ મનની ઉગ્રતાને, વિહવહળતાને ઘટાડી મનને શાંત કરી દે છે. અને શાંત થયેલું મન રોગગ્રસ્ત પરિબળોનો સહેલાઇથી સામનો કરી શકે છે.
મિત્ર સંગોષ્ઠિ : Friends meet : મિત્રોની સાથે સંગોષ્ઠિ કરવી. ઋષિમુનિઓ કહે છે શરદ ઋતુમાં મનના મળેલા મિત્રોની સાથે વિચારોની આપ-લે કરવી. ઋતુના પ્રભાવથી તાણ અનુભવતું મન સંગોષ્ઠિથી હળવું પ્રફુલ્લિત બને છે.
ગુસ્સો : શરદ ઋતુના પ્રભાવથી શરીરમાં પિત્ત ઉગ્ર બને છે. જેનાથી માણસ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થયેલાનું પિત બમણું જોર કરે છે. આમ, આ ઋતુમાં પિત્ત અને ક્રોધને ગુણકાર થાય છે. થયે રાખે છે. શરદઋતુ ચર્યાને આચરણમાં મૂકવાથી ક્રોધ પર આપોઆપ નિયંત્રણ આવી જાય છે.
શ્રાદ્ધ : ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસો આવે છે. આ દિવસોમાં ખીર બનાવીને તેનું શ્રાદ્ધ કરાય છે. આપણી કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓને સ્વાસ્થ્ય સાથે વણી લેવામાં આવે છે. ખીર પિત્તને શાંત કરે છે. એટલે શરદઋતુમાં ખીરખાવી જોઈએ.
શરદપૂનમ : આસો મહિનાની પૂનમ - શરદપૂનમના નામે ઓળખાય છે. શરદપૂનમને દિવસે દૂધ-પૌંઆ ખાવાનું ખાસ મહત્ત્વ છે. દૂધ-પૌંઆ અને ચાંદની શરીરની શીતળતામાં વધારો કરે છે.
ટામેટા : ટામેટા ન જ ખાવાં. ટામેટાંમાંથી બનતા સૂપ, સલાડ, સોસ ન ખાવાં. ટામેટામાંથી બનતી ગ્રેવીવાળાં શાક, ભાજીપાવ, પીત્ઝા વગેરે ખાવાં ન જોઇએ.
સ્પાઈસીફૂડ- સ્ટેલ ફુડ : બર્ગર, દાબેલી, પાણીપુરી, ખમણ, ઢોંસા વગેરે ન ખાવાં જોઇ. વાસી ખીરૂ અને વાસી ચટણીઓથી આમ પિત્ત થાય છે, જે આખરે વિષની જેમ કામ કરે છે. પરિણામે પેટમાં દાહ, બળતરા, ખાટા ઓડકાર, માથું દુ:ખવું જેવી સમસ્યાઓ થાય છે.
દહીં : દહીંથી પિત્તની વૃદ્ધિ થાય છે. પરંતુ આ ઋતુમાં દૂધ વધારે પીવું. દૂધ અને એમાંથી બનતી ચીજો અવારનવાર ખાવી જોઇએ.
અન્ય : બાજરી, લસણ, ડુંગળી, રીંગણ, પપૈયું, સરગવો, સૂરણ, સૂંઠ, મરી, વગેરેના ગુણ ઉષ્ણ - તીક્ષ્ણ હોવાથી તેનું પ્રમાણ ઘટાડવું અથવા યુક્તિપૂર્વક સેવન કરવું. કેપ્સિકમ પણ ન ખાવાં જોઇએ.
ફળો : સીતાફળ, કેળાં, વિલિયમ પેર, ચીકુ, દાડમ ફળો આ ઋતુમાં લઈ શકાય.
કડવો રસ : મેથીની ભાજી, કારેલાં, કંકોડા વગેરે કડવા રસવાળાં શાકભાજીને શરદઋતુના આ ૬૦ દિવસ દરમિયાન આહારમાં અવારનવાર સ્થાન આપવું. શક્ય હોય તો કડવા શાકભાજીમાં ગાયના ઘીનો વઘાર કરવો.
शतम् जीव शरदः માટે જ, આપણા પૂર્વજો આશીર્વાદ આપતા કે સો શરદઋતુ તું હેમખેમ પાર પડી શકે તેવું આયુષ્ય ભોગવ.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020