অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉતરતે ઉનાળે જેને ઘામીયા ન થાય એ નસીબદાર ગણાય

ઉનાળાની ઋતુ પૂરી થવામાં હોય અને ચોમાસુ નજીક આવે ત્યારે ગરમીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા માંડે છે. પરસેવો ખૂબ થાય છે. વાદળોની આવન-જાવન આકાશમાં જોવા મળે છે.

ધામીયા - ગૂમડા

ચામડી પર પરસેવાને કારણે ચિકણું લેયર(સ્તર) થઈ જાય છે. અકળામણ આવે છે. આ સમયગાળામાં ચામડી પર ચણીબોરથી માંડી સોપારી જેટાં મોટાં ગૂમડાં થતાં હોય છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ગરમીને ઘામ કહે છે અને એટલે જ આ ઋતુ દરમિયાન થયેલા ગૂમડાને ધામીયા કહે છે.

કેમ થાય ?

ચામડી પરના વાળ-રુંવાટીના મૂળમાં એક પ્રકારનો ચેપ-ઈન્ફેક્શન થાય છે. એ ચેપથી આજુબાજુની ચામડી અને માંસમાં ગઠ્ઠો પેદા થાય છે. ચામડીની નીચેના ભાગે પસ-પરુ પેદા થાય છે.

શરૂઆતમાં આછા ગુલાબી રંગનું નાનું ગૂમડું જોવા મળે છે. તેમાં ધીમે ધીમે પરુ અને મૃતકોષો એકત્રિત થાય છે. બહારથી ગૂમડાના ઊંડાણનો ખ્યાલ આવતો નથી. તેનું ઊંડાણ ઘણીવાર બે ઇંચ જેટલું પણ હોઈ શકે છે. આ પ્રકારનાં ગુમડાં શરીરના કોઈપણ ભાગમાં જઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને આ પ્રકારનાં ગૂમડાં ઝડપથી થાય છે.

ગૂમડાં થતાં અટકાવવાં કેમ?

ઉનાળાની ઋતુમાં આમ પણ દિવસમાં બે-ત્રણ વાર શાવર લેવા જોઈએ, નહાવું જોઈએ. ચિકાશને કારણે વાળના મૂળમાં ફંગસ-ચેપ ઝડપથી થાય છે અને ગૂમડાની શરૂઆત થાય છે, માટે આ દર્દમાં સ્વચ્છતાનું ખૂબ મહત્ત્વ છે. ગૂમડાના ભાગને સ્પર્શ ના કરવો અને તેને લીમડાનાં પાનથી ઉકાળેલા પાણીથી વારંવાર ધોવું જોઈએ.

ખોરાકમાં શું ધ્યાન રાખવું ?

ગરમ કરી શકાય તેવી ખાદ્યચીજો ન ખાવી જોઈએ, જેમ કે મરચાં-મસાલાથી ભરપૂર ભાજીપાંવ, દાબેલી ઉપરાંત એવી તીખી તળેલી ચીજો, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, જેમાં ટામેટાં કે મેંદો વધારે આવતો હોય તેવી ચીજો આ ઋતુમાં ન ખાવી જોઈએ. લસણ-ડુંગળી ના ખાવાં- ચામાં ગરમ મસાલો કે આદુ નાખીને પીવાની ટેવ હોય તેમણે બંધ કરવી જોઈએ. ગંઠોડા-સૂંઠ-મરી જેઓ લેતા હોય તેમણે આ ઋતુ દરમિયાન ઓછા કરવા જોઈએ અથવા બંધ કરવા જોઈએ. ઉપરાંત દહીં પ ણ ન ખાવું જોઈએ.

ઉપચારક્રમ : ગૂમડું પૂરેપૂરું પાકે નહીં ત્યાં સુધી તેમાંથી પસ નીકળતું નથી અને દબાવવાથી દુ:ખાવો થાય છે. ગૂમડું ખૂબ મોટું થયું હોય તો ડોક્ટર પાસે ચેકો મૂકાવી પસ કઢાવી નાખવું જોઇએ અને નિયમિત ડ્રેસિંગ કરાવવું જોઈએ.

ગુલાબી મલમ : સિદ્ધયોગ સંગ્રહમાં ગુલાબી મલમનો ઉલ્લેખ છે, જેમાં રસકપૂર, કપૂર, ચંદનનું તેલ, સિંદૂર, પુષ્પાંજન અને સો વાર ધોયેલું ઘી મુખ્ય ઘટક ઔષધિઓ હોય છે.

આ બધાના સમન્વયથી ગુલાબી મલમ તૈયાર કરવામાં આવે છે. આ મલમ ધામીયા પર લગાડવાથી ઝડપથી પાકી જાય છે. અને પસ-પરુ નીકળવા માંડે છે. કોટન-રૂથી પસ સાફ કરીને લીમડાના પાણીથી સાફ કરી મલમ લગાડી દેવો આનાથી ધામીયા ઝડપથી મટે છે.

લઘુવસંત માલતી : શરીરમાં વધેલી ઉષ્માને શાંત કરવા લઘુવસંત માલતીની એક-એક ગોળી સવાર-બપોર-સાંજ લેવી જોઈએ.

વિરેચન ચૂર્ણ : રાત્રે સૂતી વખતે એક ચમચી વિરેચન ચૂર્ણ લેવાથી શરીરની ગરમી ઝાડા વાટે નીકળી જાય છે.

કાંચનાર ગુગળ : કાંચનાર ગુગળની બે-બે ગોળી ભૂકો કરીને સવારે-સાંજે લેવી. જેમને વારંવાર ગૂમડાં થતાં હોય તેઓ પણ આ ઉપચાર કરે તો હંમેશને માટે ફાયદો થાય છે.

ગરમ કરી શકાય તેવી ખાદ્યચીજો ન ખાવી જોઈએ, જેમ કે મરચાં-મસાલાથી ભરપૂર ભાજીપાંવ, દાબેલી ઉપરાંત એવી તીખી તળેલી ચીજો, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, જેમાં ટામેટાં કે મેંદો વધારે આવતો હોય તેવી ચીજો આ ઋતુમાં ન ખાવી જોઈએ.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate