પ્રવાહ અને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રની સહિયારી સમજ અનુસાર, ગ્રામ સ્તરે પીવાના પાણી માટેની વિકેન્દ્રિત વ્યવસ્થા ઊભી કરવા માટે નિદર્શન યોજનાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે:
પ્રવાહ સંસ્થાની પ્રેરણાથી લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રએ પડકાર સમું ગામ પાંચતલાવડાં પસંદ કર્યું. રામજી મંદિરે ગામલોકો સાથે પ્રથમ બેઠક યોજાઈ. મહિલા દલિત સરપંચ શ્રીમતિ ઉજીબેન પરમારથી માંડીને સૌ આગેવાનો ભેગા થયા, આખી યોજના સમજાવવામાં આવી. ભૂતકાળના અનુભવે દુભાએલ ગ્રામજનોએ અત્યંત ટાઢો પ્રતિભાવ આપ્યો.
એ પછી લોકભારતીમાં ભણેલા અને આપબળે જ આગળ આવેલા ગામના વિદ્યાર્થી શ્રી જગદીશભાઈ બોરીચાએ ગામલોકોની સમજાવટ ચાલુ રાખી. પચીસેક વર્ષ પહેલાં આ ગામમાં ઘરે ઘરે નિર્ધમ ચૂલા કરાવીને પાંચતલાવડાંને ગુજરાતનું પહેલું ‘નિર્ધમ ગામ’ બનાવનારા, લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રના સ્થાપકનિયામક ડૉ. અરુણભાઈ દવે ઉપરના લોકોના ભરોસાએ પણ અસર કરી. બીજી, ત્રીજી બેઠક પછી ગામલોકોને નિદર્શનમાં વિશ્વાસ બેઠો.
એ પછી ગામના આગેવાનોની લાંબી ચર્ચાવિચારણાને અંતે નીચેના અગ્રતા ક્રમે કામોની વિચારણા કરીને દરખાસ્ત તૈયાર કરવામાં આવી.
પ્રવાહના તજજ્ઞો, ગ્રામજનો અને અમલીકરણ સંસ્થાએ ત્રણેક વખત બેઠકો કરીને જરૂરી ચર્ચા વિચારણા કરી, સ્થળ પર જઈ પૂરી ચકાસણીના અંતે યોજનાને આખરી સ્વરૂપ આપ્યું.
દરમિયાન આ યોજનાને પાર પાડવા માટે એક પાણી સમિતિ રચવામાં આવી. તેમાં સભ્યોનું કૌશલ્ય, અનુભવ, ઉત્સાહ, સંઘભાવના, કામનો પ્રકાર વગેરેને ધ્યાનમાં લેવામાં આવ્યાં. સાત ભાઈઓ અને પાંચ બહેનોની પાણી સમિતિ સર્વ સંમતિથી બનાવવામાં આવી. આ સમિતિના સભ્યોને કરવાનાં પાંચેય કામોની જવાબદારી સોંપી અને દરેક પેટા ટુકડીને જરૂર પ્રમાણે ગામના અન્ય સક્રિય લોકોનો સાથ લેવા સૂચવવામાં આવ્યું. પાણી સમિતિનું સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સણોસરામાં ખાતું ખોલાયું અને વહીવટ માટે બે ભાઈઓ અને એક બહેનને નિયુક્ત કરવામાં આવ્યાં. આ તમામ સભ્યો અને અન્ય સક્રિયકોની જરૂરી એવી ત્રણેક તાલીમ લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર, સણોસરા ખાતે ગોઠવવામાં આવી. આગાખાન ગ્રામ સમર્થન સાયલા વિસ્તારના ગામોમાં કરેલા પ્રેરણા પ્રવાસના પ્રભાવે સમિતિમાં અનેરો પ્રાણ પૂર્યો.
સમયાંતરે થતી બેઠકો, મૂલ્યાંકનો, ન થયેલ કામનાં કારણો રજૂ કરવાં વગેરેને કારણે સમિતિના સભ્યોની ક્ષમતા અને ઉત્સાહ વધતાં ગયાં. કામોની ગુણવત્તાનો સૌથી વધારે ખ્યાલ રાખીને પોતિકાપણું જ્યારે સભ્યોએ અનુભવ્યું ત્યારે લોકભાગીદારીની અનિવાર્યતા સૌ સાથીદારો પામી ગયા. પ્રવાહ તરફથી નિયમિત રીતે નાણાકીય સહાય મળવાથી તમામ કામ ઘણી ઝડપથી, સમયસર પૂરાં થઈ શકયાં.
ગામના એક માત્ર આશાસ્પદ પાણીના સોત સમો આ કૂવો ૨૫ વર્ષ પહેલાં સરકારી યોજનામાં તૈયાર થયો હતો. ઢોરને પાણી પાવા, નાહવા, સંડાસ જવાના પાણી માટે અને પીવાના પાણી માટે એમ બધી રીતે, ખરા અર્થમાં, પાંચતલાવડાંની જીવાદોરી સમો હતો આ જળમ કૂવો. પરંતુ બન્યો ત્યારે ૧૧૦ ફૂટ ઊડો અને 30 ફૂટ વ્યાસનો આ જળમ કૂવો હવે પ૩ ફૂટની જ ઊંડાઈ ધરાવતો હતો. સરકારી યોજનાઓ અને ઈજનેરોએ જેને અવાવરુ કૂવો કહી પડતો મૂકેલો, એ લોકભાગીદારીના શિક્ષણ પરીક્ષણમાં પ્રથમ ક્રમે જ હતો. ગ્રામજનોના અત્ટ વિશ્વાસ સમા આ કૂવાની ધસેલી ભેખડોથી, પડેલા ગાળથી અને પડખામાં વસતા સાપોલિયાઓથી સૌના માટે એ નકામો બની ગયેલો. પાણી સમિતિએ ‘આ પડકાર રૂપ કાર્ય છે, પણ પાંચતલાવડાંનો ઉધ્ધારક પણ આ જ થઈ શકે તેમ છે' તેવા દૃઢતાથી આપેલા અભિપ્રાયે અમલીકરણ સંસ્થાને જોમ ચડાવ્યું. વર્ષોથી અશકય જણાતું એવું આ કામ ખૂબ જ ધીરજ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, સાહસથી, કુશળ કારીગરોથી અને પાણી સમિતિની એકધારી નિષ્ઠાવાન દોરવણીથી પૂરું કરવામાં આવ્યું. ગામલોકો માટે આ કામ ચમત્કારથી ઓછું નહોતું. કામ ખરેખર મુશ્કેલ હતું કેમ કે વર્ષોથી અવાવરુ રહેલા કૂવામાં સાપના દર હતા. કૂવા ખોદવા માટે કેડે દોરડાં બાંધીને કૂવામાં ઊતરેલા ભાઈઓને ઉપર ઉભેલા ભાઈઓએ ત્રણ-ત્રણ વાર સાપથી બચાવવા પડયા હતા. આવા કૂવામાં ચણતરકામ પણ મુશ્કેલ હતું. એ માટે ચારેક કોન્ટ્રાક્ટર આવ્યા અને કામ પડતાં મૂકી દીધાં. છેવટે જોખમી કામની ગંભીરતા સમજીને પાણી સમિતિએ કારીગરીનો એક લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો. વર્ષોથી ઝાંખરા, બાવળ, ગંદકી વગેરેથી ઘેરાઈ ગયેલા આ કૂવાને સાફ કરવામાં આવ્યો. ૪૫ ફૂટની પાકી દિવાલોવાળા, ૨૩ ફૂટ વ્યાસના કૂવાને આખરે ઘાટ મળ્યો. ઉપર ઢાંકણ કરવામાં આવ્યું. ગામલોકોને એક નજરાણું મળ્યાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો. કૂવામાં પૂરતું પાણી મળી રહેતાં, પાણીનો પ્રશ્ન હવે જથ્થાનો નહીં, વિતરણનો બન્યો.
પાણીના એક માત્ર સોત જળમ કૂવામાંથી પાણી દરેક ફળિયે જાય, બગાડ ન થાય અને સૌ જરૂર મુજબ વાપરી શકે તેવી વ્યવસ્થા કરવામાં પાણી સમિતિએ ઘણી ચર્ચા વિચારણા કરીને એક અભિનવ વિચાર મૂકયો. ગામમાં ફરીને આઠ સ્થાનો નક્કી કરાયાં. આ આઠેય સ્થળોએ ૧૦થી ૧૨ હજાર લિટરની ક્ષમતાવાળા ભૂગર્ભ ટાંકા તૈયાર કરી, તેના ઉપર ડંકી બેસાડવાનું નક્કી થયું. આ ટાંકાઓને અંદરો અંદર જોડાણ આપી જળમ કૂવા સાથે જોડી દેવાનું આયોજન થયું. બહેનોને અને બીજા સૌને પાણીના કોઈ પણ ઉપયોગ વખતે જળમ કૂવે આવવું પડતું હતું એ મુશ્કેલી નિવારવા આ આયોજન વિચારાયું. કૂવામાં પાણી ન હોય તો ધક્કો થાય એ ધક્કો પણ આ યોજનાથી નિવારી શકાતો હતો, કારણ કે ટાંકામાં ૨૪ કલાક પાણી ઉપલબ્ધ રહેવાનું હતું. ગામમાં બે, ત્રણ વખત ફરીને સૌની સંમતિથી બિલકુલ કચવાટ વગર આ સ્થળો નક્કી કરવામાં આવ્યાં. આ આઠેય વિસ્તારના ટાંકા માટેની દેખભાળ રાખવા જે તે વિસ્તારનાં બહેનોની ટુકડીઓ પાડવામાં આવી અને દરેક ટાંકો જે તે ટુકડીને સોંપવામાં આવ્યો. વળી, દરેક ટુકડીએ પોતાના ટાંકા પાસે વૃક્ષારોપણ કરવાનું પણ સ્વીકાર્યું, યોજના મંજૂર થઈ અને શરૂ થઈ. ચાલુ કામે ખબર પડી કે સખત પાણાના કારણે પાણીના ટાંકા ખોદવા મૂશ્કેલ છે. પાણી સમિતિએ હાર ન સ્વીકારી. જેસીબી લાવ્યા, ટોટા ફોડયા અને જરૂરી શ્રમ યજ્ઞ ગોઠવ્યો. સૌના સહિયારા પૂરૂષાર્થથી ટાંકાઓ તૈયાર થયા, પલાસ્ટર થયું અને ઢાંકણાઓ પણ થયાં. ઉપર ડંકી બેસાડવામાં આવી. સૌના આશ્વર્ય વચ્ચે બહેનોએ એવી દરખાસ્ત કરી કે દરેક ટાંકા પર કપચી ફીટ કરવી, જેથી ‘ત્યાં કોઈ કપડાં, વાસણ ઉટકી શકે તેવી શકયતા જ ન રહે’. સૂચન પર તરત અમલ થયો.
ઘણાં વર્ષ પહેલાં, ગામના કૂવાઓને, ડંકીઓને અને ખાસ કરીને જળમ કૂવાને રિચાર્જ કરી શકે તેવા હેતુથી એક તળાવ વીસેક વીઘામાં તૈયાર કરવામાં આવ્યું હતું. તળાવનું મહત્વ પારખીને પ્રવાહના તજજ્ઞોએ તળાવની મરામત કરવાનું સૂચન કર્યું. શરૂઆતમાં એ સૂચન ગામલોકોને ગળે ના ઉતર્યું. જોકે અમલીકરણ સંસ્થાએ વિજ્ઞાન પર વિશ્વાસ રાખીને પ્રવાહને અનુસરવાનું નક્કી કરી સંબંધિતોને વિશ્વાસમાં લીધા. ખેડૂતોને તેનાં ફાયદાકારક પરિણામો સમજાવીને તળાવનો કાંપ એવી રીતે ઉપડાવ્યો કે તેમાંથી થએલી આવકથી લોકફાળાની મૂડીમાં રૂ. ૧૬૦૦૦નું યોગદાન મળ્યું. તજજ્ઞોએ સૂચવેલા તળાવના દોઢસોએક ફૂટના વ્યાસ ધરાવતા વિસ્તારને હજુ વીસેક ફૂટ ઊડો કરવાનું કામ પૂરું થાય ત્યાં વરસાદે તલાવડું છલકાવી દીધું. એ સાથે સૌના આશ્ચર્ય વચ્ચે તળાવ અને જળમ કૂવાની સપાટી એક થઈ ગઈ. સૌ ગામલોકોને વિજ્ઞાનમાં દૃઢ વિશ્વાસ બેઠો.
ઉકરડાઓ અને ઘરે ઘરેથી નીકળતા ગંદા પાણીના કારણે પાંચતલાવડાં ગામની શેરીઓમાં અને ચોકમાં સારી એવી ગંદકી જોવા મળતી હતી. પાણી સમિતિએ આ માટે ગામમાં ૨૭ જેટલા શોષખાડાઓ પચાસ ટકા લોકફાળાથી કરવાની દરખાસ્તને અમલમાં મૂકી. સખત પથરાળ ભૂમિના કારણે નાછૂટકે ખાડા તો જેસીબીથી જ કરવા પડયા, પણ સૌએ પોતાના વિસ્તારની સફાઈની જવાબદારી સ્વીકારી એ લોકજાગૃતિનું પરિણામ ગણાય.
પાણીના ટાંકાઓ સાથેના જોડાણ અને જૂના સ્નાનઘાટોના મરામતનું કામ પૂર્ણ કરવાનો લોભ પાણી સમિતિ રોકી શકી નહી. થોડાંક અધૂરાં કામો પૂરાં થાય તો સોનામાં સુગંધ ભળ્યાનો ભાવ સમજીને પાણી સમિતિની વિનંતીને ગ્રાહ્ય રાખીને પ્રવાહે વધારાની મંજૂર કરેલી રકમમાંથી આ કામો શકય બન્યાં છે. જૂના બે સ્નાનઘાટો અને દૂરના બે જૂના ટાંકાઓને પાઈપલાઈનનું જોડાણ આપવાનું કામ થઈ શકયું. પાણી સમિતિમાં જન્મેલા આત્મવિશ્વાસથી બોનસરૂપી આ કામ સંપન્ન થઈ શકયું.
ગામની એક હજારની વસ્તી સામે કુલ રૂ. ૪,૮૮,૧૧૦નાં કામ થયાં છે. એટલે કે ગામની વ્યક્તિદીઠ રૂ. ૪૮૮.૧૦નો ખર્ચ થયો છે. તેની સામે કુલ રૂ. ૬૭,પ૭પનો એટલે કે માથાદીઠ રૂ. ૬૭.૫૭નો લોકફાળો એકઠો થયો છે.
નિદર્શન હેઠળ ગામમાં થયેલી કામગીરી લાંબા સમય સુધી ગામલોકોને ઉપયોગી રહે તે માટે તેની નિભાવણીનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કામ |
નિભાવણીનું આયોજન
|
જળમ કૂવો |
પાણી સમિતિની દેખરેખ અને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રની માર્ગદર્શક દોરવણીથી ગ્રામ પંચાયત જરૂરી તમામ નિભાવણી કરશે. જરૂર પડે મરામત પણ કરાવશે.
|
ભૂગર્ભ સંગ્રહ |
ગામમાં વિસ્તારવાર સોંપેલી જવાબદારી પ્રમાણે જે તે વિસ્તારની જવાબદાર મહિલા ટાંકા ટુકડીઓ સ્વચ્છતા, મરામત, નિભાવણી અને પાણીના કરકસરભર્યા ઉપયોગનું સ્વચ્છતાના સંદર્ભે ધ્યાન રાખશે. પાણીના નિકાલ સંદર્ભે વૃક્ષ ઉછેરવાનું પણ પાણી સમિતિ માર્ગદર્શન નીચે ગોઠવશે. |
શોષખાડાઓ |
શોષખાડાઓ જે તે લાભાર્થીના ઘરે કરેલા હોવાથી તેઓ તેની સારસંભાળ રાખશે. |
વનીકરણ |
ગ્રામજનો તરફથી મૂકાયેલાં પાંજરાંથી વૃક્ષો રક્ષાયાં છે. ગામના યુવામંડળે આ જવાબદારી સ્વીકારી છે. |
તળાવ |
તળાવથી ગામને અકલ્પપ્ય ફાયદો થયો હોવાથી ગ્રામ પંચાયતના સીધા માર્ગદર્શનથી પાણી સમિતિ દર વર્ષે કાંપ ઉઠાવશે અને કાંપથી જે આવક થશે તેમાંથી તળાવની જરૂરી મરામત કરાવતા રહશે. |
પાણી વિતરણ |
પાણી વિતરણ એ અતિ અગત્યની અને કુનેહ માગી લે તેવી કામગીરી છે. આ માટે પંચાયતે રોકેલ માણસ ન્યાયી રીતે કામગીરી બજાવશે. દર ત્રણ મહિને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર તેની દેખભાળ-સંભાળ સંદર્ભે અવલોકન કરીને જરૂરી કાર્યવાહી કરશે. |
આ ઉપરાંત, લોકભારતીના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રના ભાગરૂપે ગ્રામમૂલાકાતો દરમિયાન પાંચતલાવડાં ગામે જાળવણી-નિભાવણી પર વિશેષ ધ્યાન આપે તેવું આયોજન વિચારવામાં આવ્યું છે.
વર્ષોથી લોકશક્તિ કેળવવાના કાર્યમાં સંકળાયેલી અમલીકરણ સંસ્થાએ નિદર્શનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કામગીરીનો બધો દોર પાણી સમિતિને સોંપ્યો હતો અને પોતે જ્યાં જરૂરી હોય ત્યાં જ, જરૂરી હોય એટલા જ પ્રમાણમાં માર્ગદર્શન આપીને ગામની પાણી સમિતિની લાંબા ગાળાની ક્ષમતા ઊભી થાય તેવો પ્રયાસ કર્યો. આ નિદર્શન દરમિયાન નીચે મુજબની પ્રક્રિયાઓ કરવામાં આવી છે.
તે ઉપરાંત, નિદર્શનનું શકય હોય ત્યાં સરકારી યોજનાઓ સાથે જોડાણ સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનાં ઉદાહરણ નીચે મુજબ છે.
નિદર્શન દરમિયાન અમલીકરણ સંસ્થા, પાણી સમિતિ તેમ જ ગામલોકોને ઘણી રીતે નવા બોધપાઠો જાણવા મળ્યા. અન્ય ગામો તથા સરકારને પણ તેની યોજનાઓના વિકેન્દ્રિત અમલમાં આ બોઠપાઠ ઉપયોગી નીવડે તેમ છે. પાંચતલાવડાં ગામે નિદર્શનની પ્રક્રિયા દરમિયાન, ચાવીરૂપ શિક્ષણ નીચે મુજબ રહ્યું.
વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય : Website: www.pravah-gujarat.org
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020