অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પિયત અંગેના પ્રશ્નોના ઉકેલ માટે ભાવી વ્યૂહરચના

પિયત અંગેના પ્રશ્નોના ઉકેલ માટે ભાવી વ્યૂહરચના

ભારત વિશ્વની વસ્તીના અંદાજે ૧૫ ટકા વસ્તી ધરાવે છે, પરંતુ તેની પાસે ફકત ચાર ટકા તાજા પાણીનો સ્ત્રોત છે અને તે પણ અવ્યવસ્થિતપણે વહેંચાયેલો છે. ભારતનો સરેરાશ વાર્ષિક વરસાદ અંદાજે ૧૧૦ મિ.મી. છે જેનો જથ્થો અંદાજે ૪000 બિલિયન ઘનમીટર જેટલો થાય. આમ તો ૫ ટકા જથ્થો વર્ષના જુનથી સપ્ટેમ્બર દરમ્યાન એટલે કે ફકત ૩ થી ૪ મહિનામાં જ ઉપલબ્ધ છે. ભારતના આયોજન પંચના જણાવ્યા મુજબ ભારત અંદાજે રરપ બિલિયન ઘનમીટર જમીન ઉપરના પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવે છે. આમ છતાં ભારતની માથાદીઠ જળસંગ્રહ ક્ષમતા ૧૯૦૦ ઘનમીટર છે જે અન્ય દેશો અમેરિકા (પ૯૯૧ ઘનમીટર), ઓસ્ટ્રેલિયા(૪૭૧૭ ઘનમીટર), બ્રાઝિલ (૩૩૮૮ ઘનમીટર અને ચીન (ર૪૮૬ ઘનમીટર) ની સરખામણીએ ઘણી જ ઓછી છે એટલે વહી જતાં પાણીનો વધુમાં વધુ જળસંગ્રહ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની તાતી જરૂરિયાત છે.

 

જળ પ્રાપ્યતા :

વાતાવરણના કુદરતી ચક્ર મુજબ ભારતની સરેરાશ જળ પ્રાપ્યતા લગભગ વત્તાઓછા પ્રમાણમાં સરખી રહે છે પરંતુ વસ્તી વધારાના કારણે વ્યક્તિદીઠ સરેરાશ જઈ પ્રાપ્યતા ઘટતી જાય છે. સને ૧૯૯૧ માં જળ પ્રાપ્યતા આશરે રર૦૦ સે.મી. હતી જે ઘટીને ૧૮૨૯ સે.મી. થઈ છે. આ ઘટ સને ર૦૧પ માં ૧૩૪૦ સે.મી. અને સને ર0પ૦ માં ૧૧૪૦ સે.મી. થશે તેવો અંદાજ છે. કેટલીક નદીઓ દ્વારા જળ પ્રાપ્યતા અંગેનો અંદાજ ચિંતાગ્રસ્ત છે. એક આંતરરાષ્ટ્રિય સંસ્થાના જણાવ્યા મુજબ જે પ્રદેશની વ્યક્તિદીઠ જળ પ્રાપ્યતા ૧૭૯૦ સે.મી. થી ઓછી હોય તે વિસ્તાર જળ તાણ (વોટર સ્ટ્રેન્ડ) હેઠળ અને વ્યક્તિદિઠ ૧000 સે.મી. જળ પ્રાપ્યતા ધરાવતો વિસ્તાર જળ અછત (વોટર સ્કેર્સ) હેઠળ આવે છે તે મુજબ જોતાં સને ર0રપ થી ર0પ0 દરમ્યાન ભારતની છ નદીઓવાળો પ્રદેશ જળ તાણ હેઠળ અને પાંચ નદીઓવાળો પ્રદેશ જળ અછત હેઠળ આવશે. ફકત ત્રણથી ચાર નદીઓના પ્રદેશો પૂરતું જળ ધરાવે છે. છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષો દરમ્યાન પાણીની જથ્થાત્મક અને ગુણાત્મક એમ બંને રીતે વાતાવરણીય પરિબળો તેમજ ગેરવ્યવસ્થાપનને કારણે જળ પ્રાપ્યતામાં ઘટાડો થવા પામ્યો છે. વાતાવરણીય બદલાવે આપણા પર્યાવરણને નુકસાન કર્યું છે. પાણીની અછત તથા પ્રદૂષણે માનવનાં જીવન, સ્વાથ્ય તથા રહેણીકરણી પર પણ અસરો કરી છે. નદીઓના જળસ્ત્રોત ઘટતા જાય છે, પાણીનો બગાડ વધતો જાય છે, પ્રદૂષણ વધતુ જાય છે. વ્યક્તિદીઠ જળપ્રાપ્યતા ઘટતી જાય છે જે એક ચિંતાનો વિષય છે.

પિયત માટે પાણી :

ભારતના ભાગલા વખતે સને ૧૯૪૭ માં દુષ્કાળ દરમ્યાન અનાજની અછત હતી. આ બાબત ધ્યાને લઈ ખેતી માટે પિયત અંગે માળખાકીય સુવિધા પર ભાર મુકવામાં આવ્યો. ભારતે તેની પ્રથમ પંચવર્ષિય યોજનામાં ૨ લાખ કરોડ રૂપિયા પિયત સુવિધા ઊભી કરવા માટે ફાળવેલ. ભારત સરકારે ૧૯૯૬ – ૯૭ માં એસીલરેટેડ ઈરિગેશન બેનિફિટ પ્રોગ્રામ અધુરી પિયત યોજનાઓને પૂર્ણ કરવા માટે રજૂ કર્યો જે હેઠળ ડિસેમ્બર, ૨૦૧૨ સુધીમાં રૂપિયા પપ,૪૧૬ કરોડ ફાળવેલ. આ પ્રોગ્રામ હેઠળ માર્ચ ૨૦૧૧ સુધીમાં મુખ્ય, મધ્યમ અને માઈનોર સિંચાઈ પ્રોજેકટસ થકી ૬૭,૨૨,૫૦૦ હેક્ટરની પિયત ક્ષમતા ઊભી કરવામાં આવી. સને ૧૯૫૦-૫૧ માં નેટ પિયત વિસ્તાર ર૦૮.૫ મિલિયન લાખ હેક્ટર હતો. જે ર00૪-૦૫ માં પ૮૫.૪ લાખ હેક્ટર થયો જયારે કુલ પિયત વિસ્તાર અનુક્રમે રરપ.૬ લાખ હેક્ટરથી વધીને ૭૯૫.૧ લાખ હેક્ટર થયો. સને ૧૯૯૦-૯૧ માં કુલ પાક વાવેતર વિસ્તારના ૩૪ ટકા વિસ્તાર પિયત હેઠળ આવેલ જે સને ર૦૦૮-૦૯ માં વધી ૪૫.૩ ટકાએ પહોચેલ છે.

ભૂગર્ભ જળ :

એક અંદાજ મુજબ ભારતના પિયતના પાણીની ૭૦ ટકા અને ઘરવપરાશના પાણીની ૮૦ ટકા જરૂરિયાત ભૂગર્ભજળ પુરી પાડે છે. ખેતીનો મોટો ભાગ આ જળ આધારીત છે. જમીનમાં પાણીનું સ્તર ઘટતું જાય છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજયોમાં કૃષિ માટે ટયુબવેલથી ખેડૂતો મુકત રીતે પાણી મેળવે છે. આ માટે વીજળીમાં રાહત કે સબસિડી પણ આપવામાં આવે છે. ખેતી માટે ભૂગર્ભજળ વધુ પ્રમાણમાં ખેંચાવાથી મોટા પાટે પર્યાવરણને નુકસાન થવા સંભવ છે. નાસાના વૈિજ્ઞાનિકોએ ઉપગ્રહ મારફતે ભારતના ઉત્તર પશ્ચિમ વિભાગના ખેતીકીય વિસ્તારમાં વર્ષે સરેરાશ ૩૩ ઘન કિ.મી. જમીનના પાણીનું સ્તર ઘટે છે તેમ જણાવેલ જે ભારત સરકારે આપેલ અંદાજ કરતાં વધુ છે. સેટેલાઈટ મારફતે ૬ વર્ષ (ઓગસ્ટ 2009 થી ઓકટોબર ૨૦૦૮ નો સમય) માં થયેલ એક અભ્યાસ મુજબ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ૧૦૮ ઘન કિ.મી. ભૂગર્ભજળનો ઘટાડો થવા પામ્યો છે.

પિયત માટે વ્યૂહરચનાની જરૂરિયાત :

ભારત દેશ અને પિયત અંગે રાજકીય અને વહિવટી કૂનેહ અપનાવી નીચેની બૂહરચના અપનાવવી જોઈએ.

અપૂર્ણ પ્રોજેકટસ :

ચોથી પંચવર્ષિય યોજનાના અંતે પણ અપૂર્ણ સિંચાઈ પ્રોજેકટની સંખ્યામાં વધારો થયો છે જેની સંખ્યા અંદાજે પ00 થી 500 જેટલી છે. છઠ્ઠી પંચવર્ષિય યોજનાને અંતે તેમાં ઘટાડો થયો પરંતુ તેની સંખ્યા તો વધી છે. હજુ પપ૭ સિંચાઈ પ્રોજેક્ટસ પુરા કરવાના છે. જેનો અત્રે દર્શાવેલ કેટલાક રાજયોના પ્રોજેકટની વિગતો પરથી ખ્યાલ આવશે.

રાજ્ય

ફાળવેલ પ્રોજેક્ટ ની સંખ્યા

પૂર્ણ કરેલ પ્રોજેક્ટ ની સંખ્યા

આંધ્રપ્રદેશ

૧૦૫

૧૭

કર્ણાટક

૩૦૫

૩૩

મહારાષ્ટ્ર

૧૮૬

૯૪

મધ્ય પ્રદેશ

૨૪૨

૯૦

આ પ્રોજેકટસ પૂર્ણ ન થયાના કારણોમાં પ્રોજેકટ કમ્પોનન્ટસનું અયોગ્ય મેળાપીપણું, ટેન્ડરની કાર્યવાહીમાં ઢીલાશ, કોન્ટ્રાકટ વ્યવસ્થાની ખામી, જમીન સંપાદનમાં અવરોધ, રેલ્વે હાઈવે ક્રોસિંગના બાંધકામમાં ઢીલાશ વગેરેનો સમાવેશ થાય છે.

સમય અને ખર્ચમાં વધારો:

પ્રોજેક્ટ ડીલે થતાં કોઈપણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે વધુ સમય જાય અને નાણાંનો વધુ ખર્ચ થાય છે જે એક ખરાબ બાબત છે. ભારતના આયોજન પંચે ૧૨ પ્રોજેક્ટસના એક અભ્યાસ મુજબ પ્રોજેકટસ કરેલ માટે આકારેલ મૂળ ખર્ચ કરતાં ૧૩૮ ટકા ખર્ચ વધુ થવા પામેલ હતો. સને ૧૯૮૫ માં શરૂ થયેલા પ્રોજેક્ટસમાં સરેરાશ ર00 ટકા જેટલો ખર્ચ વધવા પામેલ. મુખ્ય પ્રોજેકટસ અને ૨૪ જેટલા મધ્યમ પ્રોજેકટસના ખર્ચમાં પ00 ટકા જેટલો વધારો થવા પામેલ હતો.

પિયત ક્ષમતાનો ઉપયોગ :

પ્રથમ પંચવર્ષિય યોજનાથી જ પિયતની ક્ષમતા અને પિયતના ઉપયોગ વચ્ચેનો તફાવત વધતો જાય છે. વર્તમાન સંજોગોમાં પિયત ક્ષમતાને ઉપયોગ ફક્ત ૩.૩૯ ટકા (૮00 લાખ હેક્ટર વિસ્તાર) થાય છે જયારે પિયત ક્ષમતા ૧૦૯૦ લાખ હેક્ટરની છે. પિયત ક્ષમતા કરતાં ઓછો ઉપયોગ થવા અંગેના કારણો જાણવા માટે અમદાવાદ, બેંગ્લોર, લકત્તા અને લખનૌની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા એક અભ્યાસ કરવામાં આવેલ તે મુજબ યોગ્ય સહકાર અને જાળવણીની ખામી, પાણીની અપૂર્ણ વહેંચણી પદ્ધતિ, કેનાલના કામો સમયસર પૂર્ણ ન થવાં, પાક પદ્ધતિમાં થયેલ ફેરફાર, ખેતીની જમીનનો અન્ય ઉપયોગ વગેરે કારણો જણાય છે. પિયત માટેનાં પાણીની જે તે સ્થળેથી ખેતર સુધીની વહેંચણી કરવા માટેના પ્રોજેક્ટસ માટે તેમજ તેની જાળવણી માટે બજેટમાં પુરતા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવતાં નથી તે પણ એક હકીકત છે.

પિયત વ્યવસ્થા :

ખેતીમાં સંકલિત જળસ્ત્રોત વ્યવસ્થા  (ઈન્ટિગ્રેટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ) અપનાવવી જરૂરી છે કે જેના થકી પિયત સ્ત્રોતના વિકાસ, ફાળવણી અને દેખરેખ ઉપર નજર રાખી શકાય અને તેની સાથોસાથ આર્થિક, સામાજીક અને પર્યાવરણીય હેતુઓ બર લાવી શકાય. આવી સંકલિત જળસ્ત્રોત વ્યવસ્થાનો અમલ ઘરવપરાશ અને ઔદ્યોગિક વપરાશ માટે ઓસ્ટ્રેલિયા, મેકિસકો, કોરીયા વગેરે દેશોમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે. ભારતમાં મોટા પાયા પર નદીઓના પ્રાપ્ય પાણી સ્ત્રોતનો તેમજ વરસાદી પાણી અને ભૂગર્ભજળના વપરાશ અંગે સંકલિત જળસ્ત્રોત વ્યવસ્થાનો ખેતીમાં અમલ કરવો જરૂરી છે કે જેથી પાણીની સમાન વહેંચણી થતાં તેના વધુ લાભો મેળવી શકાય. આવી સંકલિત જળસ્ત્રોત વ્યવસ્થાના અમલ માટે જરૂરી કાયદા ઘડવા, તેની તાલીમ અંગેની વ્યવસ્થા માટે સંસ્થાઓ ઊભી કરવી તથા ખેડૂતોને સાથે રાખી તે અંગેની જાણકારી અને સમજ આપવી જરૂરી છે. પિયત અંગેના પ્રોજેક્ટસના સારા અમલ માટે સરકારે એક અલગ જળવા તંત્ર સ્થાપી સામાજીક અને ખાનગી સંસ્થાઓનું સંકલન કરવું જોઈએ. પિયત વ્યવસ્થા માટે ખેડૂતોના વોટર યુઝર્સ એસોસીએશન એટલે કે પિયત વપરાશકાર સંસ્થાઓ મંડળીઓ સ્થાપવી જોઈએ. મહિલાએ પણ ખેતી તેમજ બિન-ખેતી હેતુ માટે વપરાતા જળ અંગેની વ્યવસ્થા અને સંકલન માટે પોતાનો અસરકારક ફાળો આપી શકે તેમ છે.

વોટર યુઝર્સ એસોસિએશન :

ભારત સરકાર દ્વારા ૧૧ મી પ્લાન યોજનામાં ૧૦૩ર૬ કરોડ રૂપિયા પિયત માટે ફાળવવામાં આવેલ અને પિયત પાણીની વ્યવસ્થા અને વપરાશ માટે ખેડૂતોને સહભાગી બનાવવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક અને ઓરિસ્સા એમ છ રાજયોમાં વોટર યુઝર્સ એસોસિએશન અંગેના કાયદાઓ અમલમાં આવેલ. તેમ છતાં સિંચાઈ ખાતા દ્વારા સહભાગી સિંચાઈ વ્યવસ્થાનો અમલ હજુ વ્યવસ્થિત રીતે થયેલ નથી. આવા વોટર યુઝર્સ એસોસિએશન લોકશાહી રીતે કાર્ય કરે, કાયદાઓનો અમલ કરે, સિચાઈ ખાતા જોડે પારદર્શી વ્યવહાર કરે, નિયમિત રીતે બેઠકો યોજે, નાના ખેડૂતો અને છેડેના વપરાશકારનું રક્ષણ કરે તે ઘણું જ જરૂરી છે. આવા સંગઠનોને પિયત વ્યવસ્થાના સંચાલન માટે અભિપ્રેરિત કરવા માટે તેઓને જરૂરી મદદ પણ પૂરી પાડવી જોઈએ.

સહભાગી સિંચાઈ ની મુશ્કેલીઓ :

આર્થિક મુશ્કેલીઓ

  • પિયત દર ચૂકવતી વખતે નાણાં ન હોવા.
  • પિયત સહકારી મંડળી અન્ય કોઈ નાણાં સંસ્થા પાસેથી ક્રેડિટની વ્યવસ્થા કરતી નથી. ફિલ્ડ કેનાલ વગેરેની જાળવણી અને મરામત અંગેનો ખર્ચ મોઘો પડે છે.

વહીવટી મુશ્કેલીઓ :

  • રાત્રી દરમ્યાન ફિલ્ડ કેનાલ વગેરેને નુકસાન થાય છે.
  • છેવટના સભ્યને પિયત માટે કેનાલ દ્વારા પૂરતું પાણી મળતું નથી.
  • પિયત માટે પાણીનો પૂરવઠો અનિયમિતપણે મળે છે.
  • જયાંથી પાણી અપાય ત્યાંથી ખેતર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.
  • પિયતની ક્ષમતા કરતાં ઓછા વિસ્તારમાં પિયત હેઠળ આવરી શકાય છે.
  • કેનાલની સફાઈનો પ્રશ્ન છે.
  • વરસાદની ખેંચ વખતે અથવા પાકની કટોકટીની અવસ્થાએ પાણી પુરૂ પાડવામાં આવતું નથી.
  • કેટલાક માથાભારે ખેડૂતો પાણીની વહેંચણીમાં આડખીલી ઉભી કરે છે.
  • કેનાલની યોગ્ય રીતે જાળવણી અને મરામત થતી નથી.

તાંત્રિક મુશ્કેલીઓ :

  • સતત પાણી મળવાથી અને વધુ પિયતને કારણે જમીન બગડી છે. નીંદામણનો મોટો પ્રશ્ન થયો છે. આધુનિક કૃષિનો તાંત્રિકતા અને પિયત વ્યવસ્થાની પદ્ધતિઓ વિષે પૂરતું સાહિત્ય આપવામાં આવતું નથી. પિયત સહકારી મંડળી મારફતે કૃષિ તાંત્રિકતા તથા પિયત વ્યવસ્થાની પદ્ધતિઓ અંગે કોઈ તાલીમ ગોઠવવામાં આવતી નથી.
  • પિયત માહિતી માટે પિયત સહકારી મંડળી મારફત ફિલ્ડ ટ્રીપ ગોઠવવામાં આવતી નથી.
  • પિયત સહકારી મંડળીની કચેરી ખાતેથી કોઈ તાંત્રિક માહિતી ઉપલબ્ધ થતી નથી.

વ્યક્તિગત મુશ્કેલીઓ :

  • રાત્રીના સમયે પિયત વ્યવસ્થા કરવી મુશ્કેલી છે.
  • પિયત માટે રાત્રિના સમયે મજૂરો મળતા નથી.
  • પયિત સહકારી મંડળીના સભ્યો પાકના પિયત પત્રક મુજબ યોગ્ય રીતે પિયત આપતા નથી. ઉપરોકત મુશ્કેલીઓના નિવારણ માટે સહભાગી સિંચાઈ વ્યવસ્થા અંતર્ગત યોગ્ય પગલાં હાથ ધરવા જોઈએ કે જેથી પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે અને સર્વ ખેડૂતો તેનો લાભ મેળવી શકે.

પિયત અંગેના સુધારાઓ :

પિયત વિકાસ માટે લાગતો સમય ઓછો કરવા તથા ખર્ચ ઘટાડવા માટે સહભાગી સિંચાઈ વ્યવસ્થાનો અમલ કરવા માટે જરૂરી સુધારાઓ કરવા જોઈએ જે માટે પિયત અંગેના આયોજન, ડીઝાઈન, વ્યવસ્થાપન, જળસ્ત્રોત અંગેની યોજનાઓ વગેરેમાં ખેડૂતો અને પાણીના વપરાશકારોનો પણ સાથસહકાર લેવો જોઈએ. આમ કરવાથી પાણીની સમાન વહેંચણી થશે, પાણી અંગે થતાં ઝઘડાઓ ઓછો થશે, પિયતની સમયસર સારી વ્યવસ્થા કરી શકાશે, પાક ઉત્પાદન વધશે, ખેતીમાં આવક વધશે, સ્થાનિક રોજગારીને વેગ મળશે વગેરે જેવા અનેક ફાયદાઓ થશે. ભારતના ૧૫ રાજયોમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થા અમલ કરવામાં આવેલ જે પૈકી મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઓરિસા રાજયોએ સહભાગી સિંચાઈ વ્યવસ્થા અંગે મળેલ સફળતાના રીપોર્ટ આપેલ છે.

અન્ય પગલાંઓ :

પિયત અંગે કેટલાક મહત્ત્વના પગલાંઓ પણ લેવાં જરૂરી છે જેમ કે,

  1. પિયત અંગેની નીતિ અને કાર્યક્રમોમાં પાણીની સમાન વહેંચણી, દરેક પ્રકારના જળસ્ત્રોતની સંકલિત વ્યવસ્થા, નિર્ણય લેવા માટે લોકોની ભાગીદારી, નબળા લોકોની સુખાકારી વગેરેને ધ્યાનમાં લેવા જોઈએ.
  2. પિયત માટે ઉપલબ્ધ પાણીનો ૮૩ ટકા વપરાશ થાય છે પરંતુ નેશનલ કમિશન ફોર ઈન્ટિગ્રેટેડ વોટર રિસોર્સીસ ડેવલોપમેન્ટ પ્લાનના અંદાજ મુજબ સને ર૦૫૦ માં પિયત ક્ષેત્રના પ્રાપ્ય જળસ્ત્રોતના ૭૯ ટકાનો વપરાશ થશે. આમ વિવિધ પિયત પ્રોજેકટસમાં પિયત પદ્ધતિઓના અસરકારક અમલ અને સુધારણા કરવી જરૂરી છે. જો ખેતી માટેના પાણી વપરાશ અંગે ૧૦ ટકા જેટલો સુધારો કરવામાં આવે તો પાણીની પ્રાપ્યતા ૪૦ ટકા જેટલી વધી શકે. આમ સિંચાઈ પ્રોજેક્ટસમાં સુધારેલી જળ વ્યવસ્થાપન કામગીરી અને તેનો અમલ જરૂરી છે.
  3. વ્યક્તિદીઠ ફળ પ્રાપ્યતામાં થનાર ઘટાડો અને નદીઓના જળસ્ત્રોત વિસ્તાર પાણીની અછત વાળા પ્રદેશોમાં જશે તેવા ભયને ટાળવા સારી રીતે સંકલન થકી કુદરતી રીતે ચોમાસામાં વરસાદ દ્વારા પ્રાપ્ત થનાર જળની યોગ્ય વ્યવસ્થા પદ્ધતિ અપનાવી સંગ્રહ કરવો જોઈએ. આ માટે મોટા પાયા પર જળ સંરક્ષણના પગલાં અને ઉપાયો હાથ ધરવા જોઈએ. હાલના પિયત માળખાને સુદઢ બનાવવું જોઈએ, જળવપરાશની અસરકારકતા અને ઉત્પાદકતા વધારવી જોઈએ. ઓછા પાણીએ થતાં પાકોની ખેતી અપનાવવી જોઈએ, પાણી જળસ્ત્રોત વિસ્તારો તેમજ નદી અને કેનાલનાં બંને કાંઠે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ.
  4. ભારતમાં વાર્ષિક સરેરાશ ૪૫ ઈંચ જેટલો સારો વરસાદ પડે છે જેમાંનો પ૦ ટકા વરસાદ ફકત ૧૫ દિવસના ગાળામાં પડે છે અને ચોમાસાના ચાર માસ દરમ્યાન પડતા વરસાદ પાણીનો ૯૦ ટકા જથ્થો બિનઉપયોગી રીતે વહી જાય છે. આમ ફકત વાર્ષિક વરસાદના ૧૫ ટકા જેટલું પાણી પિયત માટે વપરાશ છે. જો વરસાદી પાણીનો યોગ્ય અને અસરકારક રીતે સંગ્રહ કરવામાં આવે તો ઓછા ખર્ચે ખેતીની ઉત્પાદકતા વધારી શકાય અને ભૂગર્ભજળના અમર્યાદિત વપરાશમાં ઘટાડો કરી શકાય.

પાછલા ઘણાં વર્ષોથી પાણી અંગેના કાયદાઓ, જળ સંરક્ષણ, જળ વપરાશ અસરકારકતા, જળની પ્રાપ્તિ અને તેના ઉપયોગ, માળખાકીય સુવિધાઓ વગેરે બાબતો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવેલ નથી. વર્તમાન પરિસ્થિતિ જોતાં અનેક સિંચાઈ પ્રોજેકટસ પરિપૂર્ણ થયા નથી પરિણામે ઉપલબ્ધ પિયત ક્ષમતાનો ઘણો ઓછો ઉપયોગ થાય છે અને તે પિયત વ્યવસ્થા અંગે ખર્ચેલ નાણાંનું યોગ્ય વળતર મળતું નથી. આમ સરકારશ્રી દ્વારા આગામી પંચવર્ષિય યોજનામાં આ બધા જ પ્રોજેક્ટસને યોગ્ય આયોજન અને પ્લાન દ્વારા પરિપૂર્ણ કરવા જોઈએ.

જો ભારત દેશને ખરા અર્થમાં સુજલામ સુફલામ અને શ્યામલામ બનાવવો હશે તો જળ અંગેની યોગ્ય નીતિ અને તેનો અમલ કરવો પડશે જેના થકી માનવ કલ્યાણની સાથે સામાજીક, આર્થિક અને પર્યાવરણીય ફાયદાઓ પણ થશે.

સ્ત્રોત : નવેમ્બર-૨૦૧૪, વર્ષ :, સળંગ અંક :૭૯૯, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate