ચરોતરમાં મગફળીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થતું હોય છે. જો વાવેતર યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. પાકની પદ્ધતિ વિષે જાણીએ.
સારી રીતે નિતાર શક્તિ ધરાવતી રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીને વધુ માફક આવે છે. વધુ પડતી કાળી ચિકાશાવાળી તેમજ ક્ષારવાળી જમીન માફક આવતી નથી. મગફળીના સારા ઉગાવા માટે છોડની પૂરતી સંખ્યા મેળવવા, મગફળીની સારી વૃદ્ધિ માટે અને ડોડવાના સારા વિકાસ માટે જમીનને પોચી અને ભરભરી બનાવવી જરૂરી છે. માટે આડી-ઊભી (દાંતી વડે) ટ્રેકટર અથવા હળની ખેડ કરી, કરબ મારી, આગલા પાકના જડીયાં, મૂળિયાં વગેરે વીણી પોચી અને ભરભરી બનાવવી. જે જમીનમાં ધૈણ જેવી જીવાતોનો ઉપદ્રવ થતો હોય ત્યાં ફોરેટ 10 જી નામની દાણાદાર દવા હેકટર દીઠ 20 કી.ગ્રા. પ્રમાણે જમીનમાં ચાસમાં આપવી.
ચોમાસુ મગફળીને હેકટર દીઠ 10 ટન ગળતીયું (કોમ્પોસ્ટ અથવા છાણિયું) ખાતર અથવા એક ટન દિવેલી ખોળ આપવો. રાસાયણિક ખાતર હેકટર દીઠ 12.5 િક.ગ્રા. નાઇટ્રોજન અને 25 કિ.ગ્રા. ફોરફોરસ વાવતા પહેલાં ચાસમાં ઓરીને આપવાં. જો ગંધક તત્વની ઉણપ હોય તો હેકટર દીઠ 20 કિ.ગ્રા. સલ્ફર આપવું. મધ્ય ગુજરાતની જમીનમાં મુખ્યત્વે લોહ અથવા જસતની ઉણપ જોવા મળે છે. જસતની ઉણપ માટે ઝિંક સલ્ફેટ 8 થી 10 થી 20 કિ.ગ્રા. પ્રતિ હેકટર મુજબ પાયાના ખાતર તરીકે જમીનની તૈયારી સમયે આપવું. ખરેખર તો જમીનના નમૂનાનું જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથ્થકરણ કરાવવું અનેે તેના આધારે કરેલ ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવહ છે.
જમીન અને વરસાદની પરિસ્થિતિની સાથોસાથ વાવેતર સમયને અનુકૂળ આવે તેવી મગફળીની સુધારેલી જાત પસંદ કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ઉભડી, અર્ધ વેલડી ને વેલડી એમ ત્રણ પ્રકારની મગફળીનું વાવેતર થાય છે.
વધુ ઉત્પાદન મેળવવા માટે ચોમાસામાં વરસાદ થાય તે પહેલાં મે મહિના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી પિયત આપીને મગફળીનું આગોતરૂ વાવેતર કરવું હોય તો જીએયુ જી-10, જીજી-11, જીજી-12, જીજી-13 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું. 15 થી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી થવા અર્ધ વેલડી એમ કોઇપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય છે. માટે અર્ધ વેલડી જીજી-20ને પ્રાધાન્ય આપવું. જુલાઇ માસમાં થોડો વરસાદ થાય તો વહેલી પાકની જીજી-2 અથવા જીજી-7 જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય.
પાક ઉત્પાદન વધારવા માટે નવી સુધારેલી જાતોના બિયારણનો ફાળો 10 થી 15 ટકા રહેલો છે. ચોમાસું મગફળી માટે અગાઉ જણાવેલ જાતો પૈકી જે તે વિસ્તાર માટે ભલામણ કરેલ યોગ્ય જાતની પસંદગી કરવી જોઇએ. બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી રફુકરણશક્તિવાળું, કોઇ પણ જાતોની ભેળસેળ વગરનું અને ખાતરીલાયક હોવું જોઇએ, બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.
મગફળીના પાક વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં પુરતા અને સપ્રમાણ છોડની સંખ્યા જાળવવી જરૂરી છે. જેના માટે કોઠામાં દર્શાવ્યા પ્રમાણે બીજનો દર ને વાવણી અંતર રાખવું.
દર વર્ષે એકજ જમીનમાં મગફળીનું વાવેતર કરવાથી જમીન તથા બીજજન્ય રોગો કે ઉગસુક તથા થડના કહોવારાનું પ્રમાણ વધતું જાય છે જેના પરિણામે છોડની સંખ્યા ઘટવાથી ઉત્પાદન ઓછું મળે છે. રોગોને અટકાવવા માટે એક કિ.ગ્રા. બીજ દીઠ3 થી 4 ગ્રામ થાયરમ અથવા બાવિસ્ટીન અથવા મેન્કોઝેબ અથવા કેપ્ટાર્ન જેવી ફુગનાશક દવાનો પટ આપવા છતાં પણ રોગનું નિયંત્રણ થતું નથી. તેનું મુખ્ય કારણ બીજને યોગ્ય રીતે પટ આપ્યો હોય તેવું બની શકે. બીજને સારી રીતે પટ આપવા માટે સીડ ડ્રેસર વાપરવું. જો સીડ ડ્રેસર હોય તો પતરાના પીપમાં દાણા અને દવા યોગ્ય પ્રમાણમાં નાંખી બરાબર હલાવી પટ આપી શકાય.
મગફળીના પાકમાં નીંદામણથી 30 થી 50 ટકા જેટલું ઉત્પાદનમાં નુકશાન થાય છે. મગફળીના પાકને પ્રથમ 45 દિવસ સુધી નીંદણ મુક્ત રાખવો ખૂબ જરૂરી છે. માટે વાવેતર કર્યા પછી 15-20 દિવસના અંતરે બે આંતરખેડ અને હાથ નીંદામણ કરી પાકને નીંદણ મુક્ત રાખવો જરૂરી છે.
ચોમાસા દરમિયાન વરસાદ પૂરતો અને સપ્રમાણમાં વહેંચાયેલ હોય તો મગફળીના પાકને વધારાનાં પિયત આપવાની જરૂરિયાત નથી પરંતુ ફૂલ અવસ્થા, સૂયા ઉતરવા અને ડોડવામાં દાણાના વિકાસ અવસ્થાએ વરસાદ હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો વધારાનું પિયત આપવાથી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.
સારી રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીને વધુ માફક આવે છે.
સ્ત્રોત: કૃષિ ભાસ્કર, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020