অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચોળીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ચોળીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

અંગ્રેજી નામ Cow Pea વૈજ્ઞાનિક નામ : Vigna unguiculata રંગસૂત્રોની સંખ્યા : 2n=22

અન્ય અંગ્રેજી નામઃ Southern Pea, Black Eye Pea, Kaffir Pea, Choli, Chola, Alasandalu, Barbati, Chavli, Lobia, Asparagus Bean

વિશ્વમાં લેગ્યુમીનોસી  કુળમાં ૬૩૦ જાતિ તથા ૧૮૦૦૦ પ્રજાતિ નોંધાયેલ છે. જેમાંથી ભારતમાં ૯પ૧ જેટલી પ્રજાતિ નોંધાયેલ છે. જે પૈકી ત્રણ પ્રજાતિનું વ્યાપારિક ધોરણે વાવેતર કરવામાં આવે છે.(અનગ્યુકયુલાટા,સીલીન્દ્રીકા અને સેસ્કયુપેડાલીસ)

ભારતમાં ચોળીનું વાવેતર ૧.પ મીલીયન હેકટરમાં કરવામાં આવે છે જેમાંથી ૦.પ મીલીયન ટન જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાત રાજયમાં ર૩૯પ૪ હેકટર વિસ્તારમાં ચોળીનું વાવેતર કરવામાં આવે છે જેમાંથી ર.૪૭ લાખ મે. ટન જેટલું ઉત્પાદન અને ૧૦.૩પ ટન/હે. ઉત્પાદકતા નોધાયેલ છે.

ચોળીએ કઠોળ વર્ગનો અગત્યનો શાકભાજીનો પાક છે. આ પાકનું મૂળ વતન સેન્ટ્રલ આફ્રિકા માનવામાં આવે છે. તમામ કઠોળ પાકોમાં ચોળી અગ્રેસર છે કારણ કે તે પ્રોટીનની ઉણપનો પ્રશ્ન હલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તેથી તેની ગણના '' વેજીટેબલ મીટ '' તરીકે કરવામાં આવે છે. તે મજબૂત સોટી મૂળતંત્ર ધરાવે છે. ખૂબ વરસાદને સહન કરવાની શકિત ધરાવે છે.ચોળીની લીલી કૂણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જયારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. લીલી શીંગોમાં પ્રોટીન અને ખનીજ તત્વો સારા પ્રમાણમાં હોય છે. સૂકા દાણામાં ર૩ થી ર૯ ટકા જેટલું પ્રોટીન હોય છે. આ ઉપરાંત લીલી શીંગોમાં લોહ તત્વ તથા વિટામીન– એ પણ વિશેષ પ્રમાણમાં હોય છે. ચોળીની ખેતી મુખ્યત્વે બે હેતુ માટે કરવામાં આવે છે. સૂકા દાણા માટે અને લીલી શીંગો માટે. શાકભાજી માટેની ચોળીની શીંગો સુવાળી અને ઓછા રેસાવાળી જયારે સૂકા દાણા માટે ચોળીની શીંગો બરછટ અને રેસાવાળી હોય છે. સૂકા દાણાનો રંગ સફેદ હોવો જોઈએ. જો દાણાનો રંગ લાલ હોય તો આવી લીલી ચોળીનાં  શાકનો રંગ લાલાશ પડતો કાળો થઈ જાય છે.

ગુજરાત રાજયમાં લગભગ બધા જ જિલ્લાઓમાં ચોળીનું વાવેતર વધતા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે.

ચોળીના ૧૦૦ ગ્રામ ખાવાલાયક જથ્થામાંથી મળતા પોષક તત્વોઃ

પ્રોટીન(ગ્રામ): ૪.૩

ફોસ્ફરસ (મિગ્રા):૭૪

ચરબી (ગ્રામ) : ૦.ર

લોહ(મિગ્રા):ર.પ૦

ક્ષાર (ગ્રામ) :૦.૯

વિટામીન –એ(મિગ્રા):પ૬૪

રેષા(ગ્રામ) : ર.૦

વિટામીન બી–૧(થાયામીન)(મિગ્રા):૦.૦૭

કાર્બોહાઈડ્રેટસઃ ૮.૧

વિટામીન–બી–ર(રીબોફલેવીન)(મિગ્રા):૦.૦૯

શકિતઃ ૪.૮

વિટામીન –બી–૪(મિગ્રા):૦.૯

કેલ્શિયમ(મિગ્રા)ઃ૮૦

વિટામીન –સી (મિગ્રા):૧૪

આબોહવાકીય જરૂરિયાત : ચોળીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે. વધુ પડતી ઠંડી આ પાક સહન કરી શકતો નથી. સતત વરસાદ આ પાકને નુકસાનકર્તા છે. ખાસ કરીને ચોળીનો પાક ચોમાસુ અને ઉનાળુ બંને ૠતુમાં લઈ શકાય છે. ૧ર થી ૧પ૦  સે.ગેડ તાપમાન બીજના સ્ફૂરણ માટે ઉતમ છે.

જમીન અને જમીનની તૈયારી : ચોળીનો પાક બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય છે, પરંતુ સારા નિતારવાળી અને ફળદ્રુપ ગોરાડુ જમીન આ પાકને વધુ માફક આવે છે અને આવી જમીનમાં છોડનો વિકાસ સારો થાય છે. આ પાકને ખાસ કરીને ક્ષારીય કે ભાસ્મિક જમીન માફક આવતી નથી. જમીનમાં જરૂર મુજબ આડી ઉભી ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવણી માટે જમીન તૈયાર કરવામાં આવે છે. જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ થી ૧ર ટન છાણીયું ખાતર નાંખવું.

બિયારણનો દર : ૧પ કિ.ગ્રા.પ્રતિ હેકટર(ચોમાસુ માટે), રપ કિ.ગ્રા.પ્રતિ હેકટર(ઉનાળુ માટે)

બિયારણને રાઈઝોબીયમ કલ્ચરનો પટ : કઠોળ પાકોના મૂળ ઉપર નાની–નાની ગંડિકાઓ આવેલી હોય છે. આ ગંડિકાઓની અંદર રાઈઝોબીયમ નામના જીવાણુંઓ પોતાની વસ્તી બનાવીને રહે છે. તેઓ હવામાં રહેલ નાઈટ્રોજન લઈ લભ્ય સ્વરૂપની અંદર જમીનમાં  ઉમેરે છે. તેઓ  છોડના મૂળ ઉપર રહી પોતાનું જીવન વીતાવે છે. જેમ મૂળ ગંડિકાનું પ્રમાણ વધારે તેમ નાઈટ્રોજન મેળવવાનું કામ વધારે તેથી મૂળ ઉપર વધુમાં વધુ ગંડિકાઓનું નિર્માણ થાય તે હિતાવહ છે. મૂળ ઉપર વધુ ગંડિકાઓ મેળવવા બિયારણને જરૂરી રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવી જોઈએ . દરેક પાક માટે જુદા જુદા   રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવામાં     આવે છે.

રાઈઝોબીયમ જીવાણુની માવજત આપવા માટે સૌ પ્રથમ ૩૦ ટકા ગોળનું દ્રાવણ એટલે કે એક લીટર પાણીમાં ૩૦૦ ગ્રામ ગોળ પ્રમાણે જરૂરીયાત મુજબનું દ્રાવણ તૈયાર કરવું. આ તૈયાર થયેલ દ્રાવણમાં ભલામણ મુજબનું રાઈઝોબીયમ જીવાણુનું પેકેટ ઉમેરી હળવા હાથે મિશ્રિત કરી એકરસ બનાવવું, ત્યાર બાદ અગાઉથી નકકી કરેલ બીજનાં જથ્થાંને આ મિશ્રણમાં નાંખી બંને હાથથી સરખી રીતે હળવા હાથે મસળી પટ આપવો જોઈએ. રાઈઝોબીયમ જીવાણુ જયારે દરેક દાણા ઉપર પુરતા પ્રમાણમાં ચોંટી જશે ત્યારે દરેક દાણા ઉપર આછો કાળો રંગ જોવા મળે છે. બીજને માવજત આપ્યાં બાદ છાંયામાં સૂકવી દેવા જોઈએ અને જયારે બિયારણ સુકાય જાય ત્યારે વાવેતરના ઉપયોગમાં લેવુ જોઈએ.

સમગ્ર ભારત દેશ માટે ભલામણ કરેલ રાઈઝોબીયમની જાતો :

કઠોળ

રાઈઝોબીયમની જાતો

ચણા

એફ–૬,એફ–૭પ,એચ–૪પ,આઈ.સી.૭૬

મગફળી

સીસી–૧,એફ–૪,બીડીએન–એ–ર

સોયાબીન

એસ બી –૧૦૩,એસ બી–૧૧૯,યુએસ એસબી–૯

વટાણા

આરએલ (પી) –૧૧૪

મગ

એમ–૧૦,એમ બી એસ–૧,એમ ઓ –પ,એમ–૧૧

ચોળા

ડીસી –ર,ડીસી–૬,ડીસી–ર૮

અડદ

ડીયુ–ર,કેયુ–૧,બીડીએનએફ–

જૈવિક ખાતરની અગત્યતા :

  1. જમીનની ઉત્પાદકતા વર્ષો વર્ષ જાળવી રાખવા.
  2. નાઈટ્રોજન સ્થિત કરનારા જૈવિક ખાતરો હેકટરે ર૦–રપ કિલો હવામાના નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે.
  3. ફોસ્ફરસ દ્રાવ્ય કરનારા જૈવિક ખાતરો હેકટરે ૩૦–પ૦ કિલો જમીનમાંના અપ્રાપ્ય ફોસ્ફરસને  છોડ માટે લભ્ય બનાવે.
  4. વનસ્પતિ વૃધ્ધિકારકો છોડના વિકાસમાં મદદ કરે.
  5. જૈવિક ખાતરો કિંમતમાં સસ્તાં, બિનઝેરી અને વાતાવરણનું પ્રદુષણ ઘટાડે છે.
  6. જૈવિક ખાતરના વપરાશથી ઉત્પાદનમાં ૧૦–૧પ% વધારો થાય છે.
  7. જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે.
  8. રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડે અને તેની આડ અસર નિવારે.

જૈવિક ખાતર વાપરવાની રીત :

  • સામાન્ય રીતે એક હેકટર માટે જરૂરી બિયારણને જૈવિક ખાતરનો પટ લગાવવા ૧૭–રપ કિ.ગ્રામ જૈવિક ખાતરની જરૂર રહે છે. જૈવિક  ખાતરના ર૦૦–રપ૦ ગ્રામના પેકેટમાંના પાવડરને ર૦૦–૩૦૦ મિલી ચોખ્ખા પાણીમાં ઓગાળી મિશ્રણ બનાવો અને તેમાં બિયારણને (૮ થી ૧૦કિ.) એક સરખો પટ લાગે તે રીતે મિશ્ર કરો. પટ લગાવેલ બિયારણને ઠંડી જગ્યામાં સુકવી તેની વાવણી કરો.
  • હાલમાં બજારમાં મળતાં પ્રવાહી જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકાય
  • ચાસમાં ઓરીને  ૩ થી ૪ કિ.ગ્રા જેટલા જૈવિક ખાતરને આશરે પ૦ કિ.ગ્રા છાણિયા ખાતર તથા ખેતરની ભીની માટી જોડે સારી રીતે મિશ્ર કરી ચાંસમાં આપવાથી ઉભાપાકમાં વધુ અનુકૂળ રહે છે.

ફોસ્ફેટ પ્રાપ્ય કરનારા જીવાણું :

અં.નં.

જીવાણું

પ્રજાતિ

ભલામણ કરેલ પાક

૧.

બ્રસીલસ સરકયુલોન્સ

પીબીએ–૪

ચોળા

ર.

બ્રસીલસ કોએગ્યુલાન્સ

પીબીએ–૧ર

ચોળા

ચોળીની સુધારેલી જાતો :

પુસા ફાલ્ગુની : કેનેડાથી આયાત કરવામાં આવેલ કલ્ચરમાંથી તૈયાર કરવામાં આવેલ જાત છે. ફાગણ મહિનામાં વાવેતર માટે ઉત્તમ જાત છે.ચોમાસુ તેમજ ઉનાળુ આમ બંને ૠતુમાં સમગ્ર ગુજરાત માટે છોડની ઉંચાઈ ૬પ સે.મી. જેટલી છે.વાવણી માટેની અનુકૂળ એવી શાકભાજી માટેની જાત છે. આ જાતની શીંગો સુંવાળી, ઓછા રેસાવાળી અને પ્રમાણમાં દાણાના ઓછા ભરાવાવાળી જાત છે. જેથી શીંગોમાં દાણા ઉપસી આવતા નથી. આ જાતના છોડ નીચા અને ઘટાદાર, નિયંત્રિત વૃધ્ધિવાળા હોય છે. શીંગો ઘાટી લાલી, સીધી અને  ૧ર.પ સે.મી જેટલી લંબાઈની હોય છે.દાણાનો રંગ સફેદ હોય છે. તથા દાણા નળાકાર હોય છે.  વાવણી પછી લગભગ ૬પ થી ૭૦ દિવસે શીંગો મળે છે. આ જાત હેકટરે ૧૦૦૦૦ થી ૧ર૦૦૦ કિ.ગ્રા. લીલી શીંગોનું ઉત્પાદન આપે છે.૧૦૦ દાણાનું વજન પ.૬ ગ્રામ જેટલું છે.

પુસા બરસાતી : ફીલીપાઈન્સથી આયાત કરવામાં આવેલ કલ્ચરમાંથી તૈયાર કરેલ જાત છે. ચોમાસુ પાક માટે માફક આવતી વધુ ઉત્પાદન આપતી જાત છે. વાવણી બાદ ૪પ દિવસમાં શીંગો વીણવા માટે તૈયાર થાય છે. શીંગો રપ થી ર૮ સે.મીે. લંબાઈની હોય છે. સામાન્ય રીતે ર થી ૩ વીણી મળે છે. સરેરાશ ઉત્પાદન ૯૦થી ૯પ કવી/ હેકટર મળે છે.

પુસા કોમલ : પી ૮પ–ર×પીયુ ર૬ના સંકરણથી તૈયાર કરેલ હાઈબ્રીડ જાત છે.આ જાતના છોડ પણ ઠીંગણા(૩૦ થી ૪પ સે.મી. ઉંચાઈ) અને નિયંત્રિત વૃધ્ધિવાળા હોય છે. શીંગો આછા લીલા રંગની,કૂમળી આશરે રપ થી ૩૦ સે.મી. લાંબી અને આછા પીળા રંગના દાણાવાળી હોય છે. વાવણી બાદ પ્રથમ૪પ દિવસે ફૂલ આવે છે. વાવણી બાદ પ્રથમ વીણી પપ થી ૬૦ દિવસે મળે છે.પરિપકવ શીંગ ચીમળાઈ જાય છે પણ દાણા ખરી પડતા નથી ચોમાસુ તેમજ ઉનાળુ આમ બંને ૠતુમાં વાવણી માટે અનુકૂળ તથા બેકટેરીયલ બ્લાઈટના રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી જાત છે. સરેરાશ ઉત્પાદન ૧૦૦ થી ૧૧પ કવી/ હેકટર મેળવી શકાય છે.

પુસા દો ફસલી : બન્ને ૠતુમાં અનુકૂળ છે. ૩પ દિવસેમાં ફૂલ આવે છે. વાવણી બાદ૪પ દિવસમાં શીંગો તૈયાર થાય છે. શીંગ ર૬થી ર૮ સે.મી લાંબી હોય છે. ર થી ૩ વીણી મળે છે. ૭પ થી ૮૦ કવી/ હેકટર ઉત્પાદન મળે છે.ઉનાળામાં ઉત્પાદન ઓછુ મળે છે. હાઈબ્રીડ જાત છે.

અરકા સમૃધ્ધિઃ આઈ.આઈ.એચ.આર., બેંગલુરૂ ધ્વારા ભલામણ કરેલ જાત છે.છોડ ઉભા,ઠીંગણા તથા ફોટોઈન્સેન્સીટીવ છે.શીંગ લીલી,મધ્યમ જાડી,મધ્યમ લાંબી ગોળ,કૂમળી, માવાદાર પાર્ચમેન્ટ વગરની છે. રાંધવા માટે સારી જાત છે. ઉત્પાદન ૧૯ ટન/હેકટર મેળવી શકાય છે.

અરકા ગરીમા : આઈ.આઈ.એચ.આર. બેંગલુરૂ ધ્વારા ભલામણ કરેલ જાત છે. છોડ ઉંચા હોય છે. શીંગો આછા લીલા રંગની, લાંબી , જાડી, ગોળાકાર અને માવાદાર  છે.આ જાત બંને ૠતુ માટે અનુકૂળ છે તથા થર્મોફોટોઈનસેન્સીટીવ જાત છે. છાણીયા ખાતરના વપરાશની જગ્યાએ આ જાતનો લીલો પડવાશ કરવાથી ઉતમ પરીણામ મળી શકે છે. શાકભાજી તરીકે ખૂબ જ સારી જાત છે. હેકટરે ૧૮ ટન જેટલું ઉત્પાદન આપે છે. ગરમી સહન કરી શકે છે. અનગુકયુલાટા અને સેસ્કયુપેડાલીસના બેક  ક્રોસથી મેળવેલ જાત છે.

આણંદ શાકભાજી ચોળી –૧:છોડ ઠીંગણા અને ઘટૃ હોય છે. પાન ગાઢા લીલા રંગના હોય છે. પાન પહોળા હોય છે. શીંગ મધ્યમ કદની હોય છે. શીંગ કૂમળી, સુંવાળી અને રંગે લીલી હોય છે. દાણા પણ લીલા રંગના હોય છે. સરેરાશ ઉત્પાદન ૧ર થી ૧પ ટન / હેકટર જોવા મળે છે.આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી વર્ષ ર૦૦૭ માં બહાર પાડવામાં આવેલી પુસા  ફાલ્ગુની  કરતાં પ૧ % વધુ ઉત્પાદન આપે છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મણીપુર, મેઘાલયા, મીઝોરમ,નાગાલેન્ડ,સિકકીમ,ત્રિપુરા,અંદામાન અને નિકોબાર ટાપુ વિગેરે વિસ્તાર માટે પણ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.

પી.કે.એમ.–૧: તામીલનાડુ  એગ્રી. યુનિવર્સિટી તરફથી બહાર પાડવામાં આવેલ જાત છે. પ્યોર  લાઈન પસંદગીથી બહાર પડેલ જાત છે. શીંગની લંબાઈ ખૂબ વધારે (૪પ સેં.મી.) છે. સરેરાશ રપ ટન/હેકટર લીલી શીંગનું ઉત્પાદન મળે છે.દાણા ૮ થી ૧ર મીમી લંબાઈના હોય છે.

કાશી કંચનઃ આઈઆઈવીઆર, વારાણસી ધ્વારા ભલામણ કરેલ જાત છે. ઢીંગણી જાત છે. (પ૦ થી ૬૦ ઉંચાઈ). ફોટોઈન્સેન્સીટીવ જાત છે.બન્ને ૠતુમાં વાવી શકાય. ૪પ દિવસમાં ફૂલ આવે છે. પપ દિવસમાં શીંગ કાપણી માટે તૈયાર થાય છે. એક છોડ પર થી ૪૦–૪પ શીંગનું ઉત્પાદન મળે છે. શીંગની લંબાઈ ૩૦ સે.મી. જેટલી હોય છે. શીંગ ગાઢા લીલા રંગની હોય છે.પાર્ચમેન્ટ મુકત હોય છે. વાયરસ રોગ સામે પ્રતિકારક જાત છે. હેકટરે ૧પ૦ થી ર૦૦ કવીન્ટલ ઉત્પાદન મળે છે.

કાશી ઉન્નતિઃ આઈઆઈવીઆર વારાણસી ધ્વારા ભલામણ કરેલ જાત છે. ફોટોઈન્સેન્સીટીવ જાત છે. છોડ ઠીંગણા હોય છે.(૪૦ થી ૪પ સે.મી. ઉંચાઈ). ૧રપ થી ૧પ૦ કવી/ હેકટર ઉત્પાદન મળે છે. બંને ૠતુમાં વાવેતર માટે અનુકૂળ છે. ૩૦ દિવસમાં ફૂલ આવે છે. ૪પ દિવસમાં શીંગ કાપણી માટે તૈયાર થાય છે. શીંગ ઝાંખા લીલા રંગની હોય છે. પાર્ચમેન્ટ મુકત હોય છે.

કાશી ગૌરીઃ આઈઆઈવીઆર, વારાણસી ધ્વારા બહાર પડેલ જાત છે. ફોટોઈન્સેન્સીટીવ જાત છે. બન્ને ૠતુમાં વાવણી માટે અનુકૂળ છે. ૩પ થી ૪૦ દિવસમાં ફૂલ આવે છે અને ૪પ થી પ૦ દિવસે શીંગ કાપણી લાયક બને છે. એક છોડ પરથી ૩પ થી ૪૦ શીંગ મળે છે.શીંગની લંબાઈ આશરે રપ સે.મી. હોય છે.માવાદાર હોય છે. વાયરસ રોમ સામે પ્રતિકારક જાત છે.હેકટરે ૧૦૦ થી ૧રપ કવી. લીલી શીંગોનું ઉત્પાદન મળે છે.

યાર્ડ લોંગબીન/એસ્પરેગસ બીનઃ વેલા ટાઈપની પ્રજાતિ છે. જેનું વાનસ્પતિક નામ વીગ્ના સેસ્કયુપેડાલિસ છે. શીંગ લટકતી હોય છે. ૧૦૦ સે.મી. લાંબી શીંગ થાય છે. શીંગ માવાદાર ફૂલેલી અને રેસા વગરની હોય છે. દૂરના બજારમાં મોકલવા માટે અનુરૂપ નથી.સુધારેલી જાતમાં અર્કા મંગલા નો સમાવેશ થાય છે. મોડી પાકતી જાત છે. શીંગ સહેલાઈથી તૂટી જાય છે. દાણાનો આકાર કીડની જેવો હોય છે. યુ.પી.માં વ્યાપારિક ધોરણે ઉગાડવામાં આવે છે.

ગુજરાત ચોળી –રઃ ઉચાઈ ૭પ સે.મી, પાકવાના દિવસો ૬પ થી ૭૦, ૧૦૦ દાણાનું વજન ૬.પ ગ્રામ, દાણાનો રંગ ચોકલેટી, ઉત્પાદન ૧ર૦૦ થી ૧પ૦૦કિ પ્રતિ હે., શીંગો ટૂંકી અને લીલા રંગની

ગુજરાત ચોળી –પઃ ર૦૦પના વર્ષમાં ભલામણ કરેલી જાત છે. દાણા માટેની જાત છે. ઉત્પાદન ક્ષમતા ૧પ૦૦ કિ/ હેકટર જેટલી છે.

કૃષિ યુનિવર્સિટી ધ્વારા વિકસાવેલ ચોળીની ડયુલ પરપઝ (દાણા+ શાકભાજી) જાતોઃ

ગુણધર્મો

ગુજરાત ચોળી–૧

ગુજરાત ચોળી–૩

ગુજરાત ચોળી–૪

ઊંચાઈ (સે.મી.)

૪૦–૪પ

પ૦–પપ

૩પ–૪પ

પાકવાના દિવસો

૬પ–૭પ

૭૦–૮પ

પ૮–૭૦

શીંગની સંખ્યા/છોડ

૧ર–૧પ

રપ–૩૦

૧૦–૧પ

દાણાની સંખ્યા/શીંગ

૧ર–૧૪

૧ર–૧૪

૧ર–૧૩

શીંગની લંબાઈ (સે.મી.)

૧ર–૧૪

૧ર–૧૪

૧ર–૧૩

દાણાનો રંગ

સફેદ

આછો સફેદ

સફેદ

હેકટરે સરેરાશ લીલી શીંગોનું ઉત્પાદન (કિલો)

૮૦૦૦–૧૦૦૦૦ કૃમિ સામે પ્રતિકારક શકિત ધરાવતી જાત છે.

૧૦૦૦૦–૧ર૦૦૦

૧૦૦૦૦–૧ર૦૦૦

 

જાત

છોડની ઉંચાઈ(સે.મી.)

પાકવાના દિવસો

દાણાનો રંગ

સરેરાશઉત્પાદન (કિ./હે.)

લાક્ષણિકતા

વી.૧૬

૩પ થી ૪પ

૯૦ થી ૯પ

સફેદ અને મોટા કદના

૧૪૦૦–૧૬૦૦

દક્ષિણ ગુજરાત માટે અનુકૂળ છે.

આ ઉપરાંત બિધાન બરસાતી–૧, નરેન્દ્ર લોબીયા–૧, કાશી શ્યામલ, અર્કા સુમન, બિધાન બરસાતી–ર, અર્કા ગ્રીન, પુસા સુકોમલ(હાઈબ્રીડ જાત),  બીરસા શ્વેતા, ચોળા –ર૬૩, ફીલીપાઈન્સ અર્લી, પુસા ૠતુરાજ, અંકુર ગોમતી વિગેરે જાતો પણ છે.

પ્રકારઃ

  1. ડયુલ–૧:  શાકભાજી +સૂકાં બીજ માટે
  2. ડયુલ–ર :ઘાસચારા +સૂકાં બીજ માટે
  3. ડયુલ–૩: ઘાસચારા+ શાકભાજી માટે

ઘાસચારા માટેની જાતોઃ

  1. ગુજરાત ઘાસચારા ચોળા–૧ અને ગુજરાત ઘાસચારા ચોળા–૩: બંને જાતો ખરીફ ૠતુમાં ઘાસચારા  માટે ભલામણ કરેલ છે.
  2. ગુજરાત ઘાસચારા ચોળા–ર અને ગુજરાત ઘાસચારા ચોળા–૪: બંને જાતો ઉનાળુ ૠતુમાં ઘાસચારા  માટે ભલામણ કરેલ છે.
  3. ઈસી– ૪ર૧૬ : ઘાસચારાની આ જાત ખરીફ તેમજ ઉનાળુ ૠતુમાં વાવી શકાય છે.

ઘાસચારાની ચોળી માટે કુલ બે કાપણી મળી શકે છે. પ્રથમ કાપણી ૪૦ થી૪પ દિવસે કરવામાં આવે છે.

ઉત્પાદન : આ બધી જાતો અંદાજે ૩૦૦ થી ૪૦૦ કિવન્ટલ લીલા ઘાસચારાનું ઉત્પાદન આપે છે.

વાવણી સમય : ચોમાસામાં વરસાદની શરૂઆત થયા બાદ આ પાકની વાવણી જુલાઈમાં અને ઉનાળામાં ૧પ મી ફેબ્રુઆરી થી ૧પ મી માર્ચ સુધીમાં કરવામાં આવે છે.શાકભાજીનાં પાક માટે ચોળાનું વાવેતર ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર માસ દરમ્યાન કોઈ પણ સમયે કરી શકાય છે.

વાવણી અંતર : ચોળીનું વાવેતર બે હાર વચ્ચે ૪પ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ર૦ સે.મીે અંતર રાખી કરવું. ચોમાસામાં ૬૦×૧પ અને ઉનાળામાં ૩૦× ૧પ સેં.મી. ના અંતરે વાવણી કરી શકાય.

સંકલિત ખાતર વ્યવસ્થા : હેકટરે ૧ર થી ૧પ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવાની ભલામણ છે. રાસાયણિક ખાતરમાં હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન (૪૩.પ૦૦ કિ.ગ્રા. યુરીયા) અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (રપ૦ કિ.ગ્રા.સીંગલ સુપર ફોસ્ફેટ) પાયાના ખાતર તરીકે વાવણી પહેલા ચાસમાં ઓરીને આપવું. વધુ પડતો નાઈટ્રોજન આપવાથી પાકની વાનસ્પતિક વૃધ્ધિ વધુ થાય છે અને ઉત્પાદન ઉપર વિપરિત અસર થતી હોવાથી ચોળીના પાકને પૂર્તિ  ખાતરની ખાસ જરૂર રહેતી નથી. ઝીંકની ઉણપ માટે વાવણી સમયે ૧૦ થી ૧પ કિલો ઝીંક સલ્ફેટ આપવાની ભલામણ છે.

પિયત : ચોમાસાની ૠતુમાં વરસાદ ખેંચાય તો પિયત આપવું. જયારે ઉનાળુ ૠતુ દરમ્યાન ૧૦ થી ૧પ દિવસના અંતરે પિયત આપવું.ફૂલ બેસવાની અવસ્થા (૩૦ દિવસ) તથા દાણાના વિકાસની અવસ્થા (પ૦ દિવસ)કટોકટીની અવસ્થા ગણાવી શકાય આ તબકકે અવશ્ય પિયત આપવું.

આંતર ખેડ અને નીંદામણ : શરૂઆતના ર૦–રપ દિવસ પાકને નીંદણ મુકત રાખવો જરૂરી છે. ચોળીના પાકમાં ર થી ૩ વખત હળથી આંતરખેડ તેમજ એક બે વખત હાથથી નીંદામણ કરી પાકને નીંદામણ મુકત રાખવો.

લીલી શીંગોની વીણી : વાવણી બાદ લગભગ ૪૦ થી પ૦ દિવસે લીલી શીંગો ઉતારવા લાયક થાય છે. શીંગો જયારે કૂણી હોય ત્યારે  વીણી કરવી. પાકી શીંગોમાં દાણા ઉપસી આવવાથી બજાર  બજારભાવ ઓછા મળે છે.તેમજ શીંગનો બગાડ જલ્દી થાય છે. પાંચ થી સાત દિવસના અંતરે નિયમિત લીલી શીંગોની વીણી કરવી. સૂકી ચોળી માટે મોટા ભાગની શીંગો પાકી થાય ત્યારે છોડની કાપણી કરવી અથવા ઉભા છોડ પરથી સૂકી શીંગો વીણી લેવી.સરેરાશ ૮થી ૧૦ વીણી મળતી હોય છે. શીંગ ધારણ પછી ૧પ દિવસે શીંગની કાપણી કરવાથી સારી ગુણવત્તા મેળવી શકાય છે.

ઉત્પાદન : હેકટર દીઠ સરેરાશ ૮ થી ૧૦ ટન લીલી શીંગોનું ઉત્પાદન મળે છે.      હેકટર દીઠ સરેરાશ ૧.ર થી ૧.પ ટન દાણાનું  ઉત્પાદન મળે છે.

જુદા જુદા કઠોળ પાકની નાઈટ્રોજન સ્થિર કરવાની ક્ષમતાઃ

કઠોળ પાક

નાઈટ્રોજન સ્થિરીકરણ કિ.ગ્રા.નાઈટ્રોજન/ હે.

આલ્ફા આલ્ફા

૧૦૦–ર૦૦

તુવેર

૧૬૮–ર૦૦

કલોવર

૧૦૦–૧પ૦

ચણા

૮પ–૧૧૦

ચોળા

૮૦–૮પ

મગફળી

પ૦–૬૦

મગ/અડદ

પ૦–પપ

વટાણા

પર–૭૭

સોયાબીન

૬૦–૮૦

આંતર પાક અને મિશ્રપાક પધ્ધતિ પર થયેલ સંશોધનના તારણોઃ

અ.નં.

મુખ્ય પાક

આંતર પાક

આંતર પાકમાં હારનું પ્રમાણ

નોંધ

1૧

જુવાર

(સીએસએચ–પ)

ચોળી

(ઘાસચારા માટે)

રઃર

બંને પાકનું વાવેતર ૩૦ સે.મી. ના અંતરે કરવું

લીલા પડવાશના પાકોઃ શણ,ઈકકડ,ગુવાર, ચોળા જેવા પાકો લીલા પડવાસ તરીકે લઈ શકાય છે. રજકાના પાકનો છેલ્લો વાઢ કાપ્યા સિવાય તેને જમીનમાં દાટી દઈ તેનો લીલા પડવાસ તરીકે ઉપયોગ થઈ શકે છે.આ ઉપરાંત જંગલ વિસ્તારમાંથી ઝાડની કુમળી કાળીઓ અને પાન એકત્રિત કરી ખેતરમાં લાવી જમીનમાં દાટી દઈ લીલો પડવાસ કરી શકાય છે. ડાંગર ની કયારીમાં ઈકકડ અથવા ગ્લીરીસીડીયાના પાન અથવા કુમળી ડાળીઓ જમીનમાં દબાવી લીલો પટવાશ કરી શકાય. લીલા પડવાસના પાકની પસંદગી કરતાં પહેલાં તેમાંથી મળતો માવો અને પોષક તત્વો લક્ષમાં લેવો જરૂરી છે.

ચોળાઃઆ પાક હેકટરે ર.૩ ટન જેટલું સૂકુ ઉત્પાદન આપે છે. ચોળાના છોડમાં ૦.૭૧ % નાઈટ્રોજન, ૦.૬પ%  ચૂનો ,૦.૧પ% ફોસ્ફરસ અને ૦.પ૮% પોટાશ હોય છે. એક એકરે ૧ર હજાર રતલ લીલો પડવાસ આપતા ચોળાના પાકમાં આશરે ૦.૪૯% નાઈટ્રોજન હોય છે. તેના વડે એકરે પ૦ રતલ નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે.

અ.નં.

પાકનું નામ

એકરે લીલો પદાર્થ

(રતલ)

ભેજના ટકા  

એકરે નાઈટ્રોજન જમીનમાં ઉતારે (રતલ)

ચોળા

૧ર૦૦૦

૮૬

પ૦

લીલા પડવાસના પાકોનું ઉત્પાદન અને નાઈટ્રોજન તત્વનો ઉમેરોઃ

પાકનું નામ

કેટલા દિવસે જમીનમાં દબાવવા

સૂકું ઉત્પાદન (ટન/હે.)

નાઈટ્રોજન (%) સુકા પદાર્થમાં

નાઈટ્રોજનનો ઉમેરો (કિ.ગ્રા./ હે.)

ચોળા

૬૦

ર૩.ર

૦.૭૧

૭૪

નીંદણ નિયંત્રણઃ ફલુકલોરેલીન અથવા પેન્ડીમીથેલીન ૧ કિલો/ હે. અથવા એલાકલોર ૧.પ કિલો/ હે વાવણી બાદ તરતજ (ર.૩ દિવસમાં ) પ્રીઈમર્જન્સ તરીકે છાંટવુ.

પાક સંરક્ષણ :

જીવાતો :

૧. મૂળ/ થડની માખી

ઓળખ,જીવન ક્રમઃ

  • પુખ્ત માખી ચળકતી,લીલાશ પડતા કાળા રંગની  અને ર મીમી લાંબી હોય છે, જે આછા બદામી રંગની આંખો ધરાવે છે/
  • માદા માખી અંડાકાર, સફેદ રંગના ઈંડા પાનની નીચેની બાજુએ, પાનની નસો પર સુક્ષ્મ ઈંડા મૂકે છે.
  • ઈંડા સેવાતા તેમાંથી સફેદ ચમકતી પાતળી ઈયળ નીકળે છે, જયારે પૂર્ણ વિકસિત ઈયળ ઘાટા પીળા રંગની હોય છે.
  • ઈયળ પાનની નસમાં દાખલ થઈ છોડની નીચેની તરફ જઈ ખોરાક મેળવતી અને છાલની નીચેના ભાગે સુરંગ  જેવો રસ્તો બનાવી મૂળ પ્રદેશ સુધી  પહોંચે છે.
  • જીવાત છોડના મૂળ પ્રદેશ સુધી પહોંચી, ત્યાં ચમકતા બદામી રંગના કોશેટા બનાવે છે.

નુકસાનનો પ્રકારઃ

  • ઈયળ (મેગટ) છોડના થડ અને મૂળની છાલ નીચે સુરંગ બનાવીને ખાતી હોવાથી પાકની શરૂઆતમાં કુમળા છોડ સુકાઈને મરી જાય છે.
  • આ જીવાત ના નુકસાનથી છોડના મૂળની છાલ રેસા જેવી થઈ જાય છે, જેના લીધે છોડ  અવિકસિત રહે છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.

નિયંત્રણ વ્યવસ્થાપનઃ

  • પાકની કાપણી બાદ છોડના મૂળીયા / જડિયા વીણીનાશ કરવો.
  • જયાં આ જીવાતનો ઉપદ્દવ હોય ત્યાં ઉંડી ખેડ કરી જમીનને તપવા દેવી.
  • બિયારણનો ૩૦ ટકા વધુ જથ્થો ઉપયોગ કરવો, જેથી આ જીવાતને કારણે મરી જનાર છોડાની નુકસાની ભરપાઈ કરી શકાય .
  • શેડા પર થતાં ગોખરુ પણ આ જીવાતની ખાધ વનસ્પતિ  છે માટે ગોખરૂ નો નાશ કરવો.
  • વધુ પડતો ઉપદ્દવ થતો હોય તો પાકની વાવણી પહેલા કાર્બાફયુરાન ૩ જી (૩૩ કિલો/ હેકટર) અથવા ફોરેટ ૧૦ જી (૧૦ કિલો/ હેકટર) જેવી દાણાદાર દવા ચાસમાં આપવી.

પોડ બોરર :

  • મારુકા ટેસ્ટુલાસીસ:     પોડ બોરરનો ઉપદ્રવ જોવા મળેતો ફલુબેન્ડામાઈડ ૩૯ એસસી ૧ લીટર પાણીમાં ૧મીલી નાંખી બે છંટકાવ કરવા.(પ્રથમ છંટકાવ પ૦ ટકા ફૂલ આવે ત્યારે તથા બીજો છંટકાવ પ૦ ટકા શીંગ બેસે ત્યારે).
  • ૧પ લીટર પાણીમાં સ્પીનોસાડ ૭ મીલી અથવા  ઈન્ડોક્ષાકાર્બ ૧પ મીલી નાંખીને પણ છંટકાવ કરી શકાય.
  • શિંગો કોરી ખાનાર ઈયળોનો નિયંત્રણ માટે એમામેકટીન બેન્ઝોએટ પ ડબલ્યુજી % ૦.૦૦રપ % (પ ગ્રામ / ૧૦ લિટર પાણી) (૭.પ ગ્રામ સ.ત. / હેકટર) અથવા ફલુબેન્ડીઆમાઈડ ૪૮૦ એસસી % ૦.૦૧ (ર મિ.લિ. / ૧૦ લિટર પાણી) ( સ.ત. ર૮.૮ ગ્રામ / હેકટર) જીવાતના ઉપદ્રવની શરૂઆત થયે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

૩. લીલી ઈયળઃ

આ બહુભોજી જીવાતનું પુખ્ત (ફૂદું) પીળાશ પડતા ભૂખરાં રંગનું હોય છે. તેની આગળની પાંખ પર કાળા ડાઘા અને લીટીઓ હોય છે. બીજી જોડ પાંખ આછા સફેદ રંગની  અને પાતળી હોય છે. તેની નાની ઈયળો પીળાશ પડતા સફેદ રંગની અને શરીર પર આછા નારંગી રંગની લીટીઓ ધરાવે છે. મોટી ઈયળો લીલાશ પડતા ભૂખરા રંગની હોય છે. તે શરીર પર છૂટાંછવાયાં  આછા સફેદ રંગના વાળ ધરાવે છે. ઈયળો પાકમાં શીંગ અવસ્થાએ દાણા ખાઈને નુકસાન કરે છે.

પાકમાં શીંગ અવસ્થાએ લીલી ઈયળના ફેરોમોન ટે્રપ (ર૦ નંગ/ હે.) ગોઠવી નર ફૂદાં આકર્ષી તેનો નાશ  કરવો.  ખેતરમાં ટ્રાઈકોગ્રામા ભમરીને (૧ થી ૧.પ લાખ/હે.) છોડવાથી જીવાતનો તેની ઈંડા અવસ્થામાં નાશ થાય છે. તે સિવાય ઈયળો નાની હોય ત્યારે એન.પી.વી. (રપ૦ ઈયળ આંક / હે.) નો છંટકાવ સાંજના ઠંડા પહોરે કરવાથી ઈયળોમાં રોગ લાગુ પડતા તેની વસ્તીમાં ઘટાડો થાય છે. શરૂઆતમાં ઈયળોનો  ઉપદ્રવ ઓછો હોય તો લીંબોળીના મીંજમાંથી બનાવેલ પ ટકા દ્રાવણનો છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો કિવનાલફોસ ૦.૦પ ટકા અથવા કલોરપાયરીફોસ ૦.૦૪ ટકા (ર૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા ડાયકલોરવોસ ૦.૦પ ટકા (૭ મિ.લિ./૧૦ લિટર પાણી) નો જરૂર મુજબ છંટકાવ કરવો. લીલી ઈયળથી થતું નુકસાન ખૂબ જ વધારે હોય તો સાયપરમે્રથીન,ડેકામિથ્રિન કે અન્ય સિન્થેટીક પાયરેથ્રોઈડ જૂથની દવાનો એકાદ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક રીતે નિયંત્રણ થાય છે. લીલી ઈયળના નિયંત્રણ માટે એમામેકટીન બેન્ઝોએટ પ ડબલ્યુજી % ૦.૦૦રપ % (પ ગ્રામ / ૧૦ લિટર પાણી) (૭.પ ગ્રામ સ.ત. / હેકટર) અથવા ફલુબેન્ડીઆમાઈડ ૪૮૦ એસસી % ૦.૦૧ (ર મિ.લિ. / ૧૦ લિટર પાણી) ( સ.ત. ર૮.૮ ગ્રામ / હેકટર) જીવાતના ઉપદ્રવની શરૂઆત થયે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

મધ્ય ગુજરાત વિસ્તારમાં શાકભાજી માટેની ચોળીની ખેતી કરતાં ખેડૂતોને શીંગ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે નીચે પૈકી કોઈપણ એક જંતુનાશકનો પ્રથમ છંટકાવ ફૂલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ બે છંટકાવ ૧પ દિવસના અંતરે કરવાની ભલામણ કરવામાં આવે છે.

  1. ૧. ફલુબેન્ડીયામાઈડ ૪૮૦ એસ. સી.  % ૦.૦૧૪ %  (૩ મિ.લિ. / ૧૦ લિટર પાણી)
  2. ર. કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.પ એસ.સી % ૦.૦૦૬ %  (૩ મિ.લિ. / ૧૦ લિટર પાણી)

ફલબેન્ડીયામાઈડ અને કલોરાન્ટ્રાનીલીપ્રોલના છેલ્લા છંટકાવ અને વીણી વચ્ચેનો ગાળો ૧ દિવસનો જાળવવો.

૪. સફેદ માખી :

ઓળખ,જીવન ક્રમઃ

  • માદા કીટક પાનની નીચેની સપાટી પર એકાંકી  રીતે કે સમૂહમાં ઈંડા મૂકે છે.
  • બચ્ચાં આછા પીળા રંગના, લંબગોળ ભીંગડા જેવા ચપટાં અને શરીરની કિનારી પર રૂંવાટીવાળા હોય છે.
  • બચ્ચાં થોડો સમય પાન પર આમ તેમ ફરે છે. અને ખોરાક મેળવવા યોગ્ય જગ્યા પસંદ કરી મુખાંગો પાનમાં ખોસી એક જગ્યાએ સ્થિર થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત કર્યાબાદ તે પગ વગરના બને છે.
  • પુખ્ત સફેદ માખી ૧ થી ૧.રપ મીમી જેટલી લાંબી અને ૦.પ મીમી પહોળાઈ ધરાવે છે. તેની પાંખ અર્ધપારદર્શક હોય છે. જેના પર સફેદ મીણના પાવડરનો છંટકાવ કર્યા હોય તેવી હોવાથી તે દુધિયા સફેદ રંગની દેખાય છે. જયારે ઉદરપ્રદેશ પીળા રંગનું હોય છે.
  • વધુ પડતા ઉપદ્દવ વખતે છોડને સહેજ હલાવવાથી તે ઉડે છે અને તુરતજ ફરીથી નીચેના ભાગે બેસી જાય છે.

નુકસાનનો પ્રકારઃ

  • બચ્ચા પાનમાં પોતાના મુખાંગો ખોસી રસ ચૂસે છે.
  • બચ્ચાં અને પુખ્ત કીટક સતત રસ ચૂસવાથી છોડના પાન નીચેની તરફ કોકડાઈ જાય છે.
  • મગ,મઠ ચોળા તથા તુવેરમાં પીળા પચરંગિયા (મોઝેક) રોગના વિષાણું ફેલાવવામાં સફેદમાખી અગત્યનો ભાગ ભજવે છે.
  • આ જીવાતના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે. તે પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકાશ પામે છે. પરિણામે  પ્રકાશસંશ્લેષણની ક્રિયા  અવરોધાય છે અને પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે.

નિયંત્રણ વ્યવસ્થાપનઃ

જૈવિક નિયંત્રણ :

  • લેડી બર્ડ બીટલ – આ પરભક્ષી કીટક મોલોને ખાઈ જઈ તેનું નિયંત્રણ કરે છે.
  • ક્રાયસોપા – આ પરભક્ષી ઈયળ મોલો અને તડતડિયાની  વસ્તીને કાબુમાં રાખે છે.
  • એન્કાર્સિયા – આ  ભમરી સફેદ માખીના કોશેટાઓનો નાશ કરે છે.

વનસ્પતિ જન્ય પેદાશો :

  • લીંબોળીના મીંજનું પ ટકાનું દ્રાવણ ૧૦ લી. પાણીમાં પ૦૦ ગ્રામ
  • લીંમડાની બનાવટની દવા ૦.૧પ ટકા ૧૦ લી. પાણીમાં પ૦ મી.લી.
  • લીંમડાની બનાવટની દવા ૦.૩ ૧૦ લી. પાણીમાં રપ મી.લી.
  • લીંમડાની બનાવટની દવા ૧.૦ ૧૦ લી. પાણીમાં ૭.પ મી.લી.

રાસાયણિક નિયંત્રણ :

  • પાકની વાવણી પહેલા કાર્બોફયુરાન ૩ જી દવા ૩૩ કિ.ગ્રા/હે. મુજબ ચાસમાં આપવાથી પાકને શરૂઆતની અવસ્થામાં ચૂસિયાં પ્રકારની જીવાતો  સામે રક્ષણ મેળવી શકાય છે.
  • જો જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો નીેચેના પૈકી કોઈપણ એક શોષક પ્રકારની જંતુનાશક દવા ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • ડાયમીથોએટ ૩૦ ઈસી  – ૧૦ મીલી
  • એસીટામીપ્રીડ ર૦ એસ પી –ર ગ્રામ
  • થાયામીથોકઝામ રપ ડબલ્યુ જી –૪ ગ્રામ
  • ઈમીડાકલોપ્રીડ ર૦૦ એસ એલ – ૪ મીલી
  • એસીફેટ ૭પ એસ પી –૧પ ગ્રામ

ભૂરા પતંગીયા(બ્લ્યુ બટર ફલાય) :

યજમાન પાકોઃ મગ, ચોળા અને તુવેર

ઓળખ અને જીવન ક્રમઃ

  • ઈંડા લીલાશ પડતા વાદળી રંગના ગોળ, રકાબી આકારના અને એકલ દોકલ હોય છે.
  • ઈયળ ઝાંખા લીલા રંગની,સુવિકસિત માથા વાળી અને શરીર ેરૂંવાટી વાળી હોય છે. જે દેખાવે ગોકળ ગાયને મળતી આવે છે.
  • પતંગીયા સુંદર, મધ્યમ કદના અને તેના નામ મુજબ ભૂરા કે આછા જાંબલી રંગના હોય છે.

તેની પાછળની પાંખો પર ત્રણ કાળ,દેખાવે આંખ જેવા અને ગોળાકાર ટપકાં જોવા મળે છે.

નુકસાનઃ

  • તાજી નીકળેલી ઈયળો ફૂલે કે કળીમાં કાણું પાટી તેમાં પ્રવેશી તેની અંદરનો ભાગ કોરી ખાય છે. પરિણામે કળી માંથી દાણા બને તે પહેલાંજ સુકાયછે.
  • જયારે  મોટી ઈયળો કુમળી શીંગો માં મધ્યમ કદના ગોળ કાંણા પાડી વિકસતા દાણાને કોરી ખાયને નુકસાન કરે છે.
  • તેનો  ઉપદ્રવ ઓકટોબર – નવેમ્બર મહિના દરમ્યાન વધુ માત્રામાં હોય છે.

નિયંત્રણ વ્યવસ્થાપનઃ

  • ઉપદ્રવિત ભાગોને કાપી બાળીને નાશ કરવો.
  • વનસ્પતિજન્ય જંતુનાશકોમાં લીંબોળી ના મીંજનું પ ટકાના દ્રાવણના બે કે ત્રણ છંટકાવ કરવા.
  • લીંબોળીનું તેલ ૦.૩ ટકાનો ૩૦ મિ.લિ. /૧૦ લીટર પાણી મુજબ મિશ્ર કરી છંટકાવ કરવો.
  • રાસાયણિક જંતુનાશકોમાં કિવનાલફોસ રપ ઈસી ર૦મિ.લી. પ્રમાણે અથવા પાણીની અછત વાળા વિસ્તારમાં કિવનાલફોસ ૧.પ ટકા ભુકીનો રપ કિલો પ્રતિ હેકટર મુજબ  છંટકાવ કરવો.

૬. મોલો–મશીઃ

ઓળખઃ

  • મોલો કદમાં ૧ થી ર મીમી લાંબી, પોચા શરીરવાળી અને લંબ ગોળ હોય છે.
  • બચ્ચાં તેમજ પુખ્ત મોલો કાળાશ પડતા રંગની અને તેના શરીર ના પાછળના ભાગમાંથી નળી જેવા બે ભાગ  બહાર આવેલા દેખાય છે. જે'કોર્નિકલ્સ' તરીકે ઓળખાય છે.
  • માદા અસંયોગીજનન (સીધે સીધો) દ્વારા અસંખ્ય બચ્ચાંન ેજન્મ આપે છે. જેના લીધે અસંખ્ય કાલોનીઓ બની જાય છે.

નુકસાન :

બચ્ચાં અને પુખ્ત કુમળા પાન ,ડૂંખ, ફૂલ,શિંગો વગેરે ભાગો ઉપર ચોંટી રહી તેના મુખાંગોનો સુંઢ જેવો ભાગ કુમળા ભાગોમાં ખોસી તેમાના ે રસ ચૂસે છે. પરિણામે પાન પીળા પડી જાય છે. અને છોડની વૃધ્ધિ અટકે છે.

મોલો પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પખાર્થ બહાર કાઢે છે જે પાંદડાની સપાટી પર ચોટે છે અને પાન ચમકતા દેખાય છે. જેને ખેડૂતો મધિયો આવ્યો તેમ કહે છે. આ પદાર્થ પર કાળી ફૂગ વિકાસ પામે છે. તેથી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઉભો થાય છે. જેથી છોડની વૃધ્ધિ  અવરોધાતા ઉત્પાદન પર માઠી અસર થાય છે.

નિયંત્રણઃ

ચોળીના પાકમાં લેડીબર્ડ બીટલ (દાળિયા) નામના  પરભક્ષી કીટક સક્રિય હોય છે. આ પરભક્ષી  કીટકની ઈયળ  અને પુખ્ત (બીટલ) એમ બન્ને અવસ્થા મોલોનું ભક્ષણ કરી તેની વસ્તીમાં કુદરતી રીતે જ ઘટાડો કરે છે. જો આવા પરભક્ષી કીટકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં  હોય તો કીટકનાશક દવાઓ છાંટવાનું મુલવતી રાખવું .ઉપદ્રવ વધુ જણાયતો ડાયમીથોએટ ૦.૦૩ ટકા (૧૦ મિ.લિ. /૧૦ લિટર પાણી), ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એલ.એલ(૪ મિ.લિ. /૧૦લિટર પાણી), થાયોમેથોકઝામ રપ ડબ્લ્યુ જી (૪ ગ્રામ/૧૦ લિટર પાણી),એસીફેટ ૭પ એસપી (ર૦ ગ્રામ /૧૦લિટર પાણી) પૈકી કોઈ પણ એક શોષક વિષનો છંટકાવ જરૂર મુજબ કરવાથી મોલોનું નિયંત્રણ થાય છે.

મોલોના નિયંત્રણ માટે નીચે જણાવેલ પૈકીની કોઈપણ એક જંતુનાશકનો પ્રથમ છંટકાવ ૧.પ મોલો આંકને અનુસરીને અને બીજો છંટકાવ ૧પ દિવસે કરવાની ભલામણ કરવામાં આવે છે.

  1. ડાયમેથોએટ ૩૦ ઈ.સી. ૦.૦૩% (૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણી) (૧પ૦ ગ્રામ સ.ત./ હેકટર)
  2. ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ જી. ૦.૦૧૪% (ર ગ્રામ/ ૧૦ લિટર પાણી) (૭૦ ગ્રામ સ.ત./ હેકટર)
  3. થાયામેથોક્ષામ રપ ડબલ્યુ જી. ૦.૦૧% (૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી) (પ૦ ગ્રામ સ.ત./ હેકટર)

૭.  તડતડિયાં :

ઓળખ અને જીવન ક્રમ :

  • પુખ્ત કીટક ર થી ર.પ લાંબુ, ફાચર આકારનું અને આછા લીલા રંગનું હોય છે. જેની પાંખની પહેલી જોડની પાછળની ધારે કાળા ટપકાં હોય છે.
  • બચ્ચાં તેમજ પુખ્ત પાન પર ત્રાંસા ચાલે છે.
  • માદા  પાનની નીચેની સપાટીએ નસની અંદર પોતાના અંડનિક્ષેપકને ખોસીને ઈંડા મૂકતી હોય છે.
  • લગભગ બે અઠવાડિયામાં કીટકનું જીવનચક્ર પુરૂ થાય છે.

નુકસાનઃ

  • બચ્ચાં તેમજ પુખ્ત પાનની નીચે તેમજ ઉપર રહી રસ ચૂસે છે. જથી પાનની કિનારીઓ પીળી પડી પાન અંદરના ભાગે વળીને કપ જેવા થઈ જાય છે.
  • વધુ ઉપદ્રવ હોય તો પાન તામ્રવર્ણના થઈ સુકાઈ ને ખરી પડે છે.

નિયંત્રણઃ  સફેદ માખી મુજબ

૮.  થ્રીપ્સઃ

ઓળખઃ

  • આ જીવાતના બચ્ચાં અને પુખ્ત  કાળા રંગના આશરે ૧ મીમી લંબાઈના હોય છે. પીળા ફૂલ ઉપર તે નરી આંખે જોઈ શકાય છે.
  • થ્રીપ્સના પુખ્તની પાંખો સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોતાં પક્ષીના પીછા જેવી દેખાય છે.

નુકસાન :

  • બચ્ચાં તેમજ પુખ્ત ફૂલ,કળીઓ અને કુમળી ડૂખોમાં તેના મુખાંગોથી ઘસરકા કરી તેમાંથી નીકળતો રસચૂસે છે.
  • તેથી ફૂલ અને કળીઓ ફલીજીકરણ થયા વગર જ સૂકાઈ ખરી પડે છે.જેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે.

નિયંત્રણઃ  સફેદ માખી મુજબ

૯ . ગેલીરૂસીડ બીટલ :

આ બહુભોજી જીવાત છે. પુખ્ત કીટક પાન ઉપર નુકસાન કરી તેના ઉપર ચાળણી જેવા ગોળ કાણાં પાડે છે. સાંજના સમયે, રાત્રીના સમયે તથા વહેલી સવારે આ બીટલ સક્રિય હોય છે. આનો કીડો જમીનમાં છોડના મૂળ તથા ગાંઠને ખાયને નુકસાન કરે છે.

નિયંત્રણઃ

ફોરેટ ૧૦ જી હેકટરે ૧૦ થી ૧૮ કિલો વાવણી સમયે આપવું અથવા કાર્બોફયુરાન ૩ જી હેકટરે ૩૩ કિ.પ્રમાણેવાવણી સમયે આપવું .

રોગ :

૧. કાલવ્રણ (એન્થ્રેકનોઝ)ઃ

રોગકારક : કોલેટોટ્રાયકોમ લીન્ડેમુથીયાનમ :

ઓળખ :

  • આ રોગના લક્ષણો પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળે છે.
  • રોગની શરૂઆત પાન અને શીંગો પર સામાન્ય ટપકાં રૂપે થાય છે.
  • ત્યારબાદ આ ટપકાં જુદા જુદા આકારના, બદામી રંગના તેમજ ઘેરા કાળા રંગનું કેન્દ્ર અને ઘેરા લાલ, પીળી કે કેસરી રંગની કિનારી વાળા બને છે.
  • સામાન્ય રીતે આ ટપકાં પાનની નીચેની સપાટીએ દેખાય છે.
  • નાના છોડમાં આ રોગ લાગુ પડે તો છોડ સુકાઈ જાય છે.

સાનુકૂળ પરિબળો :

  • આ રોગ બીજજન્ય તેમજ જમીન જન્ય છે.
  • ગરમ અને ભેજવાળુ વાતાવરણ રોગને માફક આવે છે.

નિયંત્રણ વ્યવસ્થાપન :

  • વાવણી માટે રોગમુકત અને પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો.
  • વાવણી પહેલા થાયરમ કે કેપટન દવાનો ૩ગ્રામ/ ૧કિ.ગ્રા બીજ મુજબ બીજ માવજત આપવી.
  • રોગ દેખાય તરત જ કાર્બેન્ડેઝીમ દવા ૧ ગ્રામ પ્રતિ ૧ લીટર પાણી મુજબ મિશ્ર કરી છંટકાવ કરવો.

ર.પાનના જીવાણુંથી થતા ટપકાં :

ઓળખ :

  • આ રોગના તેના નામ મુજબ જીવાણું થી થાય છે.રોગની શરૂઆતમાં પાન પર ગોળ કે અનિયમિત આકારના ટપકાં જોવા મળે છે. જે સમય જતા રતાશ પડતા રંગના અને પાનની બંને સપાટી તરફ ઉપસેલા દેખાય છે.
  • ત્યારબાદ આ ટપકાં પર્ણદંડ, ડાળી અને થડ પર લાંબી પટ્ટી સ્વરૂપે જોવા મળે છે.

સાનુકૂળ પરિબળ : ગરમ અને ભેજવાળુ વાતાવરણ રોગને માફક આવે છે.

નિયંત્રણ વ્યવસ્થાપન :

  • વાવણી માટે રોગમુકત બીજનો ઉપયોગ કરવો.
  • રોગ દેખાય કે તરત જ સ્ટ્રેપ્ટોસાયકલીન દવા ર ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

૩.ભૂકી છારો :

રોગ કારક : ઈરીસીફી પોલીગોની

ઓળખઃ

  • આ રોગ પાકની દરેક અવસ્થાએ લાગુ પડે છે. પણ ફૂલ ઉગવાની અવસ્થાએ તેની તીવ્રતા વધુ જોવા મળે છે.
  • રોગિષ્ટ છોડના પાન પર તેમજ અન્ય ભાગો પર સફેદ ફૂગનો પાવડર જોવા મળે છે.
  • નવા કે નાના છોડમાં ઉપદ્રવથી છોડનો વિકાસ અટકે છે.
  • ખૂબ જ ઉપદ્રવમાં છોડના પાન જાંબલી રંગના થઈને સુકાય છે જયારે રોગનો ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ સુકાય જાય છે.

સાનુકૂળ પરિબળોઃ  ઠંડુ અને ભેજવાળુ હવામાન આ ફૂગના વિકાસ માટે માફક આવે છે.

નિયંત્રણ વ્યવસ્થાપન :

ખેતર સ્વચ્છ રાખવું, સમયસરનું વાવેતર કરવું, પાકની ફેરબદલી કરવી. રાસાયણિક નિયંત્રણ માટે ફૂગનાશકો વેટેબલ સલ્ફર ર૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ દવા ૧૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મિલિ પ્રતિ  ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી પંદર દિવસના આંતરે રોગની શરૂઆતથી ત્રણ છંટકાવ કરવા.

૪.પાનના ફૂગથી થતા ટપકાં :

(સરકોસ્પોરા) :

ઓળખ :

  • આ રોગના ફૂગથી થાય છે.
  • પાન પર બદામી રંગના ટપકા દેખાય છે. તેનું રાખોડી રંગનું કેન્દ્ર અને લાલાશ પડતા બદામી રંગની કિનારી હોય છે.
  • વધુ ઉપદ્રવમાં પાન પર ટપકાંની સંખ્યા  અને કદમાં વધારો થતા પાન અપરીપકવ અવસ્થાએ ખરી પડે છે.
  • રોગિષ્ટ શીંગોમાં દાણાનો વિકાસ અટકે છે તેથી દાણા કદમાં નાના રહે છે.

નિયંત્રણ વ્યવસ્થાપન :     રાસાયણિક નિયંત્રણ માટે ફૂગનાશકો કાર્બેન્ડાઝીમ દવા ૧૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મિલિ પ્રતિ  ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી રોગની શરૂઆતથી પંદર દિવસના આંતરે બે છંટકાવ કરવા.

પ.પાનની કરચલી  (વિષાણુ) :

રોગકારક : વાયરસ

ઓળખ :

  • આ રોગનો ઉપદ્રવ  પાક એક માસનો થાય ત્યારબાદ જોવા મળે છે.
  • જેમાં રોગિષ્ટ  છોડના પાન તેના સામાન્ય કદ કરતા મોટા અને કરચલીવાળા દેખાય છે.
  • આ પાનની જાડાઈ વધુ અને દેખાવે ચામડા જેવા હોય છે.
  • અસરગ્રસ્ત છોડમાં ફૂલની ડીંટી જાડી અને રંગે વધુ લીલી દેખાય છે. શીંગો સંખ્યામાં ઓછી હોય છે.
  • આવો છોડ વંધ્યત્વનો ભોગ બને છે. અને છોડ કાપણી સુધી જીવતા રહે છે

નિયંત્રણ વ્યવસ્થાપન :

  • તંદુરસ્ત ખેતરમાંથી બિયારણની પસંદગી કરવી. શકય હોય તો પ્રમાણિત બિયારણ જ વાપરવું
  • રોગિષ્ટ છોડને ઉપાડીને નાશ કરવો.
  • આ રોગના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા જેમકે ઈમીડાકલોપ્રીડ ૧૭.પ% ઈસી ૩ મીલી કે ડાયમીથીયોટ ૩૦% ઈસી ૧૦ મી લી કે લીમડા આધારિત જંતુનાશક (૧પ૦૦ પીપી એમ) ૪૦ મીલી પ્રતિ  ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

૬.પીળો પચરંગીયાનો રોગ (વિષાણુ)ઃ રોગકારક : વાયરસ

ઓળખઃ

  • પાન પર અનિયમિત આકારનાં, છૂટા છવાયા પીળા રંગના ટપકાં દેખાય છે. જે સમય જતા કદમાં વધારો થવાથી એકબીજી સાથે ભેગા મળવાથી આખુ પાન પીળુ થયેલુ જીવા મળે છે.
  • રોગિષ્ટ પાન જાડા અને કદમાં નાના હોય છે.
  • છોડ પર નવી ફૂટતી કૂપણો સંપૂર્ણ પીળી તેમજ પાન નાના ટપકાંવાળા દેખાય છે.
  • રોગિષ્ટ છોડમાં ઓછા ફૂલ બેસે છે. તેમજ શીંગો અને દાણાનું કદ નાનુ રહે છે.
  • પાકમાં આ રોગથી ૮૦ થી ૧૦૦% જેટલું નુકસાન થઈ શકે છે.
  • જે ખેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ હોય ત્યાં આ રોગ વધુ જોવા મળે છે.

નિયંત્રણ વ્યવસ્થાપન :

  • રોગિષ્ટ છોડને ઉપાડીને નાશ કરવો. રોગમુકત વિસ્તારમાંથી બિયારણની પસંદગી કરો.
  • રોગપ્રતિકારક  જાત મગ કે –કે ૮પ૧ ની વાવણી કરો.
  • આ રોગના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા જેમકે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મીલી  થવા ડાયમીથોએટ ૩૦ ઈસી દવા ૧૦ મીલી કે લીમડા આધારિત જંતુનાશક (૧પ૦૦ પીપીએમ) ૪૦ મીલી પ્રતિ  ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

બીજ ઉત્પાદન કાર્યક્રમઃ

સ્વપરાગિત પાક છે. એક એકર બીજ ઉત્પાદન કાર્યક્રમ માટે પાયાના તેમજ પ્રમાણિત બીજ માટે પાંચ કિલો બિયારણની જરૂરીયાત રહે છે. પાયાના બીજ માટે પ૦ મીટર અને પ્રમાણિત બીજ માટે રપ મીટર અલગીકરણ અંતર રાખવું.હેકટરે ૧૦ થી ૧ર કિવન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે.

મૂલ્ય વર્ધન :

ચોળાફળી :ચોળાફળી બનાવવા માટે ચોળા દાળ (૮૦%) અને અડદ દાળ (ર૦%) દળીને, ૧ કિ.ગ્રામ માટે પ૦ ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ, પ૦ ગ્રામ મીઠુ, ર૦ મિ.લિ. તેલ તેમજ જરૂર મુજબ પાણી ઉમેરીને, રોલ બનાવી પાપડની જેમ જ તૈયાર કરવામાં આવે છે. ચોળાફળી સામાન્ય રીતે ર–૧૦ સે.મી. માપના લંબચોરસ આકારમાં હોય છે.

શાકભાજી સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર  દાંતીવાડા  કૃષિ યુનિવર્સિટી,જગુદણ અને કૃષિ સારથિ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate