অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સેન્દ્રીય ખેતી નીતિ વિષે જાણો

ગુજરાત સરકાર દ્વારા એક વર્ષ સુધી સેન્દ્રિય કૃષિ નીતિ બનાવવા મથામણ ચર્ચા બેઠકો કર્યા બાદ ફળ સ્વરૂપે મે-૨૦૧૫માં ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ-૨૦૧૫ જાહેર કરી. ભારત દેશમાં આઠ રાજયો જેવા કે કેરળ,આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કીમ, મિઝોરમ, મધ્ય પ્રદેશ અને નાગાલેન્ડ પછી ગુજરાત સજીવ ખેતી નીતિ જાહેર કરનાર નવમું રાજય બન્યું છે. રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે સજીવ ખેતીના પ્રોત્સાહન માટે ૧૦ કરોડ રૂપિયાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતમાં સેન્દ્રિય ખેતીની શક્યતાઓ :

ગુજરાત રાજયનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧૯૬ લાખ હેકટર છે, જે પૈકી ૯૮.૦૧ લાખ હેકટર જમીન વાવેતર હેઠળ છે. વાવેતર ઘનિષ્ટતા ૧૩૦% સાથે કુલ પાક વાવેતર વિસ્તાર ૧૨૮ લાખ હેકટર છે. ખેડાણલાયક વિસ્તારનો ૪૩ % ભાગ પિયતની સુવિધા ધરાવે છે. કુલ જમીન ખાતેદારો ૪૭.૩૮ લાખ છે જે પૈકી મોટા ભાગના નાના અને સીમાંત ખેડૂતો છે. ખાતેદારો સરેરાશ ૨.૧૧ હેકટર જમીન ધરાવે છે. સેન્દ્રિય ખેતીના પ્રોત્સાહન માટે રાસાયણિક ખાતરોના ઓછા વપરાશવાળા વિસ્તારો જેવા કે સૂકી વરસાદ આધારીત ખેતી  ડુંગરાળ વિસ્તાર જે વાવેતર વિસ્તારોનો પ૭% હિસ્સો છે તેની મહત્ત્વની ભૂમિકા છે.આમ વિચારીએ તો આમ વિચારીએ તો રાજયનો પૂર્વ ભાગ જેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જીલ્લાનો સમાવેશ થાય છે તેનો મદ ભાગ સેન્દ્રિય ખેતી માટેનો સૌથી યોગ્ય વિસ્તાર છે. કારણ કે ત્યાંના ખેડૂતોની આર્થિક સામાજિક સ્થિતિ અને પાક વાવેતરની પરંપરાગત પદ્ધતિ એવી છે કે ત્યાં સહજ રીતે કૃષિ રસાયણોનો ઉપયોગ નહિવત થાય છે.રાજયની વિવિધ પ્રકારની હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત રાજયને ૮ કૃષિ હવામાન વિસ્તારમાં વહેંચવામાં આવેલ છે, જેમાં અનેકવિધ પાકો ઉગાડવાની તક રહેલ છે. આ બાબતને લક્ષમાં લેતાં સેન્દ્રિય ખેતી માટે શક્ય પાકોની માહિતી કોઠામાં દર્શાવેલ છે. છે જે ખેડૂતો માટે દિશાસૂચક બની રહેશે.

સેન્દ્રિય કૃષિ નીતિ ૨૦૧૫ના લક્ષ્યાંકો:

  • આ નીતિ કૃષિ પેદાશના ઉત્પાદન પ્રક્રિયા, પ્રસંસ્કરણ- સંગ્રહ અને વેચાણ વ્યવસ્થા માટે વૈજ્ઞાનિક રીતે પ્રસ્થાપિત સેન્દ્રિય ખેતીના કૃષિ કાર્યોને ટેકો આપશે.
  • સેન્દ્રિય ખેતીના લાભાર્થી પ્રાકૃતિક સ્રોતોના ઉપયોગને તાંત્રિક રીતે મજબુત, આર્થિક રીતે પોષણક્ષમ પર્યાવરણનું જતન કરનારા અને સામાજીક દ્રષ્ટિએ સ્વીકાર્ય વ્યવસ્થાને કેન્દ્રમાં રાખશે.
  • આ નીતિ ખેડૂત ખેતરમાં કામ કરનારા અને તેમના પરિવારોના વ્યાજબી જીવન ધોરણને સુદ્રઢ કરવા ઉપરાંત સેન્દ્રિય ખેતીમાં પરિવર્તિત કરવા જમીનની ફળદ્રુપતાને પોષવા, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે, ગ્રામીણ અર્થતંત્રને મજુબત બનાવવા, ઉદ્યોગોના વિકેન્દ્રિકરણ થકી ખેતપેદાશોના મૂલ્ય વર્ધનને પ્રોત્સાહિત કરવા માટે છે.
  • આ નીતિ ખાસ લક્ષ્યાંકન વિસ્તારોને વિશેષ રીતે તૈયાર કરેલ વ્યુહરચના થકી ઓછું કમાવી આપતી ખેતપેદાશોને વધુ માંગવાળી ઊંચા ભાવની બ્રાન્ડમાં રૂપાંતર કરવા માટે સેન્દ્રિય ખેતી પેદાશોની મૂલ્ય સાંકળનો પ્રસ્તાવ મૂકે છે.
  • આ બેઝ લાઈનની સરખામણીમાં આગામી પાંચ વર્ષમાં સેન્દ્રિય ખેતી હેઠળના વિસ્તારમાં ક્રમશઃ દશ ગણો વધારો કરવાનું લક્ષ ધરાવે છે.

સેન્દ્રિય નીતિના ઉદ્દેશો:

  • ખેત વ્યવસ્થાતંત્રમાં સુક્ષ્મ જીવો તેમજ જમીન અંદરની સજીવ સૃષ્ટિને સક્રિય કરીને જૈવિક ચક્રોને સમૃદ્ધ બનાવી જમીનની ફળદ્રુપતાનું જતન કરવું.
  • સેન્દ્રિય ખેતી માટે યોગ્ય પાકો અને વિસ્તારોને ઓળખવા. સેન્દ્રિય ખેતી માટે ખેતીકાર્યોના પેકેજનો વિકાસ કરવો. સેન્દ્રિય ખેતી માટે બીજ મેળવવા આદર્શ સેન્દ્રિયખેતર  વાડી તૈયાર કરવા.
  • ગુણવત્તા સભર સેન્દ્રિય ખેત સામગ્રીના ઉત્પાદન અને પૂરવઠાની ખાતરી આપવી.
  • નીંદણ-કીટક-રોગ નિયંત્રણ માટે જૈવિક અને યાંત્રિક રીતો સ્વીકાર્ય બનાવવી.
  • સેન્દ્રિય ખેતી માટે પરંપરાગત અને કોઠાસૂઝ આધારિત સ્થાનિક જ્ઞાનનો ઉપયોગ કરવો.
  • સેન્દ્રિય ખેતી માટે તાલીમ કાર્યક્રમો-જાગૃતતાનિદર્શન-મોડલ ફાર્મ દ્વારા માનવશક્તિનો વિકાસ કરવો, ગુણવત્તા સભર ખેતપેદાશો થકી ખેડૂતની આવક વધારવી.
  • વિવિધ સેન્દ્રિય ખેત-સામગ્રી-ખેતપેદાશોની નિયમન વ્યવસ્થા ઊભી કરવી.
  • જૂથ પ્રમાણનને પ્રોત્સાહન આપવું.

ખેતર વાડીના નિવસનતંત્રનું વ્યવસ્થાપન :

સફળ સેન્દ્રિય ખેતી માટે નિવસનતંત્રની (Ecology) દ્રષ્ટિએ સંતુલિત ફાર્મમાં સ્થાનિક વિસ્તારને છે. ખેતર/વાડીમાં થતા હોય તેવા-પશુચારા-ઈમારતી લાકડું-બળતણ- જૈવ જથ્થાની માંગને પહોંચી વળવા ઉપરાંત પક્ષીઓ, મિત્ર કીટકોને રહેઠાણ માટે વિવિધ વૃક્ષોનું વાવેતર મહત્ત્વનું છે. મિશ્રપાક પદ્ધતિ, કૃષિવાનિકી, મધમાખી પાલન, જીવંત વાડ, જળવિસ્તાર, શેઢે પાળે વૃક્ષનું વાવેતર, સજીવોના રહેઠાણને મહત્ત્વ આપવામાં આવશે. સ્થળ પર જળસંરક્ષણ કરવા માટે પ્રોત્સાહન, ગોચર-સહિયારી જમીનની માલિકી અને સંરક્ષણ માટે ગ્રામ પંચાયત, ગ્રામ સભા, જૈવ વિવિધ્ય સમિતિ જેવા સ્થાનિક સમુદાયને ભૂમિકા ભજવવા પ્રોત્સાહન અપાશે.

જમીન પોષણ વ્યવસ્થાપન :

  • જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આ નીતિ પાકની ફેરબદલી અને સેન્દ્રિય ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપશે.
  • જમીનમાં કાર્બન તત્વના સંરક્ષણ અને સંવર્ધન માટે છાણીયું ખાતર, પોલ્ટી ખાતર, શહેરી કમ્પોસ્ટ, ગ્રામીણ કમ્પોસ્ટ, બાયોગેસ રબડી, વર્મિકમ્પોસ્ટ, એન્ઝાયમ બેઈઝ કોમ્પોસ્ટ જેવા સેન્દ્રિય ખાતરોના પૂરવઠાની ખાતરી માટે પ્રયત્નો કરવામાં આવશે.
  • જમીનમાં કાર્બન તત્વના સંરક્ષણ અને સંવર્ધન માટે છાણીયું ખાતર, પોલ્ટી ખાતર, શહેરી કમ્પોસ્ટ, ગ્રામીણ કમ્પોસ્ટ, બાયોગેસ રબડી, વર્મિકમ્પોસ્ટ, એન્ઝાયમ બેઈઝ કોમ્પોસ્ટ જેવા સેન્દ્રિય ખાતરોના પૂરવઠાની ખાતરી માટે પ્રયત્નો કરવામાં આવશે.
  • આ નીતિ પાકના અવશેષના પુનઃચક્રીકરણ અને જમીનમાં તેનો ઉમેરો થાય તે બાબતે પ્રોત્સાહન આપશે. લીલો પડવાશ, પાક અવશેષોના ટુકડા કરનાર યંત્રો, કઠોળ વર્ગના આંતરપાક, જૈવિક ખાતરનો ઉપયોગ તેમજ જમીન-જળનું સંરક્ષણ થાય તે માટે ભાર મૂકવામાં આવશે.
  • વાતાવરણમાંથી તત્વ રૂપ નાઈટ્રોજનને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવનાર બેકટેરીયા, રાઈઝોબિયમ, એઝેટોબેકટર, વામ, બ્લ્યુ ગ્રીન આલ્મી, અઝોલા જેવા જૈવિક ખાતરોનું મોટા પાયે ઉત્પાદન કરવા પ્રોત્સાહન અપાશે. આ માટે ખેડૂતોના જૂથો-સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ-ઉદ્યોગસાહસિકોને બાયોડાયનેમિક, પદાર્થો-પ્રવાહી-છંટકાવ- દરિયાઈ શેવાળના ચક્રના ઉપયોગને વધારવા ઉત્પાદન કરાતી પ્રયોગશાળા એકમોને ટેકો પુરી પાડશે.
  • પંચગવ્ય, અમૃતમાટી, જીવામૃત, બીજામૃત, ગૌવંશ આધારીત ખેતી, સંકલિત જૈવ પોષણ વ્યવસ્થાપનને પ્રોત્સાહન અપાશે.
  • સેન્દ્રિય ખેતી માટે યોગ્ય એવા બીજની ઓળખસંરક્ષણ-સંશોધન અને સંવર્ધન ઉપર ભાર મૂકવામાં આવશે. આ માટે કૃષિ યુનિવર્સિટી, પ્રમાણન એજન્સી અને બીજા વિકાસ નિગમને જવાબદારી સોંપવામાં આવશે. બીજની પરંપરાગત સ્થાનિક જાતો, ખેડૂત પરિવારોએ સાચવેલ જાતો, જર્મપ્લાઝમને ખેડૂતના ખેતરે અને સંશોધન કેન્દ્ર પર જરૂરી સંરક્ષણ-સંવર્ધન માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ગ્રામ્ય વિસ્તારોમાં ઊર્જા સલામતી હાંસલ કરવા સૂર્ય અને જૈવ જથ્થા ઊર્જાના બિન પરંપરાગત અને વૈકલ્પિક સ્ત્રોત મહત્ત્વની ભૂમિકા ધરાવી શકે તેમ છે. આ અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ યોજનાનો સંપાત-હેઠળ-પગભર એકમો શરૂ કરવા ખેડૂતો, પાંજરાપોળ, ગૌશાળા, ખેત ઉત્પાદન બજાર સમિતિ, ખેડૂત સંસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રાપ્ય ખેત-સામગ્રી ઉપર આધાર રાખે છે. આ નીતિ સેન્દ્રિય ખાતરો, કમ્પોસ્ટ, વર્મિકમ્પોટ, એન્ઝાયમ બેઈઝ કમ્પોસ્ટ વગેરે ખેડૂતો, સ્વસહાય જૂથો, સખી મંડળ દ્વારા ઉત્પાદન થાય તેને ઉત્તેજન અપાશે.
  • ખેતસામગ્રી ગુણવત્તા નિયંત્રણ તેમજ સગવડ ગુણવત્તા નિયંત્રણમાં કચાશ રહેવાથી અનૈતિક તત્વો-વિવિધ રીતે ગરીબ ખેડૂતોને છેતરવાની તક ઝડપે છે. આ નીતિ આ બાબતે ખાતરી આપે છે કે પોતાના નેજા હેઠળની તમામ સેન્દ્રિય ખેત સામગ્રીને આવરી લેતી વૈજ્ઞાનિક વ્યવસ્થા અને કાયદેસરનો ઢાંચો અમલમાં મૂકાશે.
  • સંશોધન માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ સેન્દ્રિય ખેતી સંબંધી ટેકનીકલ જોડાણોના કેન્દ્રબિંદુ તરીકે કામ કરશે.
  • સંશોધન તકોને વિકસાવવા સેન્દ્રિય ખેતી સંબંધી સર્વાગી સંશોધનો હાથ ધરવામાં આવશે.
  • સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતોની માહિતી, વિસ્તાર, પાક, ઉત્પાદન, વેચાણ, નિકાસ, આંકડા, જૈવ, ખેત સામગ્રીના ઉત્પાદનો અને વિતરકો, સ્વૈચ્છિક અને બિનસરકારી સંસ્થાઓ, ખેત પદ્ધતિઓ, આર્થિક સહાય યોજનાઓની માહિતી એકઠી કરવા, અપડેટ કરવા ડેટાબેઝ વ્યવસ્થા પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • સરકાર આ નીતિ અંતર્ગત ગુજરાતમાં સજીવ ખેતીનો વ્યાપ વધે તે માટે અનેકવિધ પગલાંઓ ભરશે જેમાં કેટલાક કાર્યક્રમ અને પગલાઓ નક્કી કરવામાં આવ્યા છે જેમાં સેન્દ્રિય ખાતરોનું ઉત્પાદન, તપાસણી અને ગુણવત્તા નિયંત્રણ કરશે. સજીવ ખેતીના ઉત્પાદન અને ખેતીની પેદાશોના વિતરણ માટે ગ્રામ યુવક મંડળો, મહિલા મંડળો, આદિવાસીઓ, ખેડૂત જૂથો, સ્વ સહાય જૂથોને વિશેષ પ્રોત્સાહન અને સહાય અપાશે.
  • સજીવ ખેતીના લાભનો અભ્યાસ અને તેના દસ્તાવેજીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરાશે. ખેડૂત ગ્રાહક જાગૃતતાના કાર્યક્રમો આઈ-કિસાન પોર્ટલ સાથે સાંકળવામાં આવશે.
  • સજીવ ખેતી શરૂ કરનાર ખેડૂતોને બદલવાના (ટ્રાજીશન પીરિયડ) દરમ્યાન મદદ માટે આર્થિક જોગવાઈ કરાશે.
  • સર્ટિફિકેશન માટે એપીએમસી, કોર્પોરેશન, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખેડૂતો મહિલાઓના જૂથોને પ્રોત્સાહન અપાશે. હાલમાં ગુજરાત ઓર્ગેનિક્સ પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી આ પ્રમાણન ક્ષેત્રે કામગીરી કરી રહી છે. નાના સીમાંત ખેડૂતો પ્રમાણનથી વંચિત ના રહે તેવી યોજનાઓને ઘડવામાં આવશે.
  • સજીવ ખેતીની પેદાશનું બ્રાન્ડિગ કરી ગુજ ઓર્ગેનિક, ગરવી ગુજરાત અને ઓર્ગેનિક ગુજરાત જેવી બ્રાન્ડ સાથે વેચવામાં આવશે. નિકાસની સાથે સ્થાનિક બજાર પણ ઊભું કરવામાં આવશે.
  • આ ઉપરાંત સજીવ ખેતી કરતા બાયો વિલેજ (સજીવ ગ્રામ) ઊભા કરી એગ્રો-ઈકો ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.

સ્ત્રોત:જાન્યુઆરી-૨૦૧૭,વર્ષ :૬૯,સળંગ અંક :૮૨૫, કૃષિગોવિદ્યા,

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate