હવે સ્વેટર અને સ્કાર્ફ્સ કાઢવાનો સમય આવી ગયો છે કારણ કે શિયાળો બેસી ગયો છે. આ ઋતુમાં આપણે ઠંડી હવા અને ગરમ પીણાં ની માજા તો માણીએ છીએ પરંતુ તેની સાથે સાથે અને પ્રકારની બીમારી કે આરોગ્યને લગતી સમસ્યાઓ પણ લાવે છે. આમાં કેટલીક બીમારીઓ એવી છે કે જે ઘણા લોકોમાં જોવા મળે છે. શરદી: શિયાળામાં તાપમાન નીચું હોવાથી અમુક પ્રકારના વાઇરસ એક્ટિવ થઇ જાય છે. આવા વાઇરસનો ચેપ લગતા નાકમાંથી પાણી જવું, ગળામાં ખીચ ખીચ, માથું દુખવું, ખાંસી આવવી જેવા ચિન્હો જોવા મળે છે. મોટા ભાગે શરદી ૩-૫ દિવસ સુધી વધે છે અને ૭-૧૦ દિવસમાં બધા ચિન્હો સુધારા પર આવવા લાગે છે. આમાં મોટા ભાગે કોઈ દવાની જરૂર નથી રહેતી, પરંતુ જો લાંબો સમય ચિન્હો રહે તો ડોક્ટરની સલાહ જરૂર લેવી. શરદીને રોકવાના ઉપાયો: નિયમિત હાથ ધોવા. નાક લુછવા મેટા બને તો ડિસ્પોઝેબલ નેપકીન વાપરવા મોં ને છીંક કે ઉધરસ ખાતી વખતે કવર કરવું. બીમાર હોય ત્યારે ભીડ વાળા વિસ્તારોમાં જવું ટાળવું. ફલૂ: શિયાળામાં ફલૂ થવું એ ખુબ સામાન્ય છે. ફલૂ થાય ત્યારે વ્યક્તિ થોડા દિવસ માટે પથારીવશ થઇ જાય છે અને નબળાઈના લીધે કોઈ કામ કરી શકતો નથી. આવા વખતે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે જેથી દવાઓ લઈને ચિન્હોમાંથી રાહત મેળવી શકાય. આ ઉપરાંત યોગ્ય ખોરાક, ઊંઘ અને કસરત kari આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી જેથી આવા રોગથી દૂર રહી શકાય. અસ્થમા અટેક: જો તમે અસ્થમાના દર્દી છો તો તમને ખ્યાલ હશે કે શિયાળામાં અસ્થમા એટેકનું પ્રમાણ વધી જાય છે. શિયાળામાં ઠંડી અને સૂકી હવાના લીધે શ્વસન તંત્ર માં રહેલી શ્વાસવાહિનીઓ કઠણ થઇ જાય છે અને એના લીધે શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. અસ્થમાના દર્દીએ શું ધ્યાન રાખવું: શ્વાસ માટે નિબ્યુલાઇઝર નિયમીત લેવા, ખાસ કરીને શિયાળામાં નિયમિત દવાઓ લેવી ધુમાડાવાળી જગ્યાએ થી દૂર રહેવું જો બહાર જવાનું થાય તો મોં પર માસ્ક પહેરવું અસ્થમાના ચિન્હો વધે તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી સાંધાનો દુખાવો: ઠંડીની ઋતુમાં ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં સાંધા જકડાઈ જવાની તકલીફ જોવા મળતી હોય છે. આ તકલીફ જેને આર્થરિટિસ કે વા ની બીમારી હોય તેમ વધારે જોવા મળે છે. શિયાળામાં આ વધારે થવાનું કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જાણવા મળ્યું નથી પરંતુ એક થીઅરી પ્રમાણે બેરોમેટ્રિક પ્રેશરમાં ધટાડો થવાના કારણે શરીરના સ્નાયુઓ તથા ટેન્ડન્સ એક્સપાન્ડ થઇ જાય છે અને સાંધા આસપાસની જગ્યામાં સાંકડી જગ્યાના લીધે આવો દુખાવો જોવા મળે છે. આને રોકવા માટે: આપણા શરીર અને પગ તથા પગના તળિયાને ગરમ રાખવા. આના માટે ગરમ કપડાં પહેરવા. પૂરતા પ્રમાણમાં પાણી પીવું. બને તો બહાર જવાને બદલે ઘરની અંદર કસરત કરવી. વજન ઓછું કરવું. સૂર્ય પ્રકાશમાં સમય વિતાવવો. હૃદય રોગ: મોટા ભાગના લોકો જાણતા નથી કે શિયાળાની ઋતુમાં હૃદયરોગના સૌથી વધુ બનાવો જોવા મળે છે. ઠંડીની ઋતુમાં જેમ તાપમાન નીચું જાય છે તેમ તેમ શરીરમાં રક્તવાહિનીઓ સંકોચાય છે અને આના લીધે હૃદય માટે બલ્ડ પમ્પ કરવું મુશ્કેલ થઇ જાય છે. અને આના પરિણામે હૃદયરોગનો હુમલો આવે છે. આના માટે શું તકેદારી રાખવી જોઈએ: એક્સપર્ટસ કહે છે કે, શિયાળામાં ૩૦ વર્ષથી વધારે ઉંમરના લોકોએ અતિ શ્રમ કરવાનું ટાળવું જોઈએ શિયાળામાં વહેલી સવારે ચાલવા જવાના બદલે થોડો સૂર્યપ્રકાશ હોય ત્યારે ચાલવા માટે નીકળવું. વધારે પડતો ખોરાક લેવાના બદલે થોડી માત્રામાં અને થોડી થોડી વારે લેવો. વજન વધવું: શિયાળામાં લોકો ઘી તથા ચરબીવાળો ખોરાક વધારે લે છે, અને ઠંડીના લીધે કસરત કરવાનું ટાળે છે. તેના લીધે આ ઋતુમાં મોટા ભાગના લોકોનું વજન વધી જાય છે, કે જેને પછી ઘટાડવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે. આના માટે શિયાળાની શરુઆતથીજ તકેદારી લેવી જરૂરી બનેછે. જેમાં વધુ ઘી કે કે ચરબીવાળો ખોરાક ના લેવો, યોગ્ય કસરત કરવી, સવારમાં નિયમિત ચાલવા જવું વગેરે જેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે. સ્ત્રોત: ડૉ.અભી વોરા(ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ)