સામાન્ય સ્થિતિમાં થતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર કે જે અસ્વસ્થતા કે અશક્યતા પેદા કરે અથવા જીવંત સજીવના સ્વાસ્થ્યને બગાડે તેને રોગ કહેવામાં આવે છે. વૈકલ્પિક રીતે શરીર કે શરીરના ભાગોનું ચોક્કસ નિશાનીઓ સાથેની ખરાબ ક્રિયાશીલતાને રોગ કહેવાય છે. ઑફ્સફર્ડ અંગ્રેજી ડિક્ષનરી અનુસાર શરીરનાં કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જે તેઓનાં કાર્યોમાં ખલેલ પહોંચાડે અથવા તેમને અવ્યવસ્થિત કરે છે. રોગોને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે જે નીચે મુજબ જોઈએ : ચેપી રોગો: ચેપી રોગોમાં સહેલાઈથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગ ફેલાય છે. ચેપી રોગો એ વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવો અને કૃમિઓ અઈડ્સ જેવા જીવલેણ રોગકારકોને લીધે થાય છે. બિનચેપી રોગો: બિનચેપી રોગો એ વ્યક્તિઓમાં જ વિકસે છે અને વ્યક્તિ પુરતાજ મર્યાદિત રહે છે. અન્ય વ્યક્તિમાં ફેલાતા નથી. કૅન્સર શરીરની નિશ્વિત પેશીની અનિયંત્રિત વૃદ્વિને કારણે થતો બિનચેપી રોગ છે જેને લીધે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. મહત્વના કેટલાક સામાન્ય રોગો ટાઈફોઈડ: ટાઈફોઈડ સામાન્ય બૅક્ટેરિયાજન્ય રોગ છે. જે સળી જેવા બૅક્ટેરિયા સાલ્મોનેલા ટાઈફી દ્વારા થાય છે. આ બૅક્ટેરિયા રોગગ્રસ્ત સ્થિતિમાં મનુષ્યના આંત્રમાર્ગમાં જોવા મળે છે. આ રોગ 1-15 વર્ષના બાળકોમાં સામાન્ય છે. દર વર્ષે લગભગ 2.5 મિલિયન લોકો આ રોગથી પીડાય છે. ટાઈફોડનો ફેલાવો કેવી રીતે થાય છે? ચાલો જાણીએ દર્દીઓના મળથી પ્રદુષિત થયેલા પાણી અને ખોરાક દ્વારા આ રોગ ફેલાય છે. આ રોગકારકનું મળ પરથી, ખોરાક, દુધ અને પાણીમાંથી ઘરમાખી દ્વારા વહન કરે છે. રોગકારક સજીવો મુખ દ્વારા શરીરમાં પ્રવેશે છે અને આંતરડામાં પહોંચે છે. જ્યાંથી રુધિર દ્વારા બીજાં અંગોમાં પહોંચે છે. આંતરડાની દીવાલમાં જખમ પેદા કરે છે. બૅક્ટેરિયાના સેવનકાળનો સમયગાળો 1-3 અઠવાડિયાંનો છે. સરેરાશ 2 અઠવાડિયા. ટાઈફોઈડ ના ચિહ્નો(લક્ષણો) સામાન્ય લક્ષણોમાં પહેલા અને બીજા અઠવાડિયામાં તીવ્ર તાવ આવ આવવો અને તેને અનુસરીને ત્રીજા અને ચોથા અઠવાડિયે તાવ ક્રમિક ઘટે છે. માથાનો દુ:ખાવો, અત્યંત નબળાઈ, જઠરમાં દુ:ખાવો, કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે. યકૃત અને બરોળ મોટાં થાય છે. ટાઈફોઈડ વિડાલ કસોટી દ્વારા નક્કી થાય છે. એન્ટીબાયોટિકની સારવાર લઈ શકાય છે. ન્યુમોનિયા મનુષ્યમાં સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનીએઈ અને હિમોફીલસ ઈન્ફ્લુએન્ઝી જેવા બૅક્ટેરિયા દ્વારા થાય છે. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનીઅઈ સામાન્ય રીતે ન્યુમોકોક્સ કહેવાય છે. ન્યુમોનિયા શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે. વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે. જેના પરિણામે ફેફસાંને જીવવા માટે પૂરતો ઑક્સિજન મળતો નથી. ન્યુમોનિયાનો ફેલાવો કેવી રીતે થાય છે? ચાલો જાણીએ આ રોગ દર્દીના ગળફા દ્વારા ફેલાય છે. ન્યુમોકોકાઈ શ્વાસમાં લેવાય છે અને શ્વાસવાહિનીઓમાં અવરોધાય છે. વાયુકોષ્ઠીય દીવાલમાં બળતરા થાય છે, જે પ્રોટીન સભર પ્રવાહીનો સ્ત્રાવ કરે છે ત્યાર પછી બૅક્ટેરિયા માટે તે સંવર્ધન માધ્યમ તરીકે વર્તે છે અને શ્વાસવાહિકાઓને રુંધે છે. સેવનકાળ ફક્ત 1થી3 દિવસનો છે. ન્યુમોનિયા સામાન્ય રીતે વૃદ્વોમાં જોવા મળે છે. ન્યુમોનિયાના ચિહ્નો(લક્ષણો) રોગને અનુસરીને તાવ આવે છે, શ્વાસોશ્વાસમાં દર્દ, કફ અને માથાનો દુ:ખાવો, કેટલાક કિસ્સામાં હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે. ન્યુમોનિયામાં ઘણી વાર અપૂરતા પોષણ, આલ્કૉહૉલ અથવા દવાની વિષારીતા અથવા ઈન્ફલુએન્ઝા જેવા અન્ય રોગોના ચેપના કારણે શરીરની પ્રતિકારકતા ઘટે છે. ગળફા લોગીયુક્ત હોય છે. શરદી માનવીના ચેપી રોગો પૈકીનો આ એક અગત્યનો રોગ છે. આ રીહનોવાઈરસથી થાય છે. આ વાઈરસ નાક અને શ્વસનમાર્ગને ચેપ લગાડે છે. પણ ફેફસાંને ને લગાડી શકતા નથી. શરદીનો ફેલાવો કેવી રીતે થાય છે? ચાલો જાણીએ ચેપગ્રસ્તની છીંક, ખાંસી દ્વારા અથવા ચેપગ્રસ્તની પેન, ચોપડીઓ, કપ, કમ્પ્યુટરનું કી-બોર્ડ, માઉસ વગેરે વાપરવાથી તંદુરસ્તને ચેપ લાગે છે. શરદીના ચિહ્નો(લક્ષણો) શરદીના સામાન્ય લક્ષણોમાં નાસિકા કોતરનો સ્ત્રાવથી ભરાવો, ગલાની બળતરા, ઓછી ધ્રાણસંવેદના, કફ, માથાનો દુ:ખાવો, થાક વગેરે. તે ઓછામાં ઓછા 3-7 દિવસ રહે છે. સ્ત્રોત: ગુજરાત બોર્ડ બ્લોગ પોસ્ટ