જાપાની એન્સીફેલાઇટિસનું વહન કઈ રીતે થાય છે? ડાંગરના ખેતરોમાં પ્રજનન કરતા મચ્છરોને (પ્રાથમિકપણે ક્યુલેક્સ ટ્રિટેનીયોરાઇન્કસ જૂથ) જાપાની એન્સીફેલાઇટિસ વાઇરસનો (સેન્ટ લૂઇસ એન્સીફેલાઇટિસ વાઇરસ સાથે પ્રતિ-જનીન સંબંધ ધરાવતા ફ્લેવિવાઇરસ) ચેપ લાગે છે અને મચ્છરો આ રોગનું વહન કરે છે. લોકોને જાપાની એન્સીફેલાઇટિસ કઈ રીતે થાય છે? જાપાની એન્સીફેલાઇટિસનો ચેપ ધરાવતા મચ્છરના દંશ દ્વારા. તેનું પાયાનું વહનચક્ર શું છે? જાપાની એન્સીફેલાઇટિસ વાઇરસનો ચેપ ઘરેલુ ભૂંડો અને જંગલી પક્ષીઓને લાગે છે, જેમના પર નભતા મચ્છરોને પછી આ ચેપ લાગે છે. ચેપી મચ્છરો જ્યારે માણસો અને પ્રાણીઓનું લોહી પીવે છે ત્યારે તેમનામાં જાપાની એન્સીફેલાઇટિસ વાઇરસનું વહન કરે છે. જાપાની એન્સીફેલાઇટિસ વાઇરસ ઘરેલુ ભૂંડો અને જંગલી પક્ષીઓના રક્તતંત્રોમાં બહુગુણીત થાય છે. તમને બીજી વ્યક્તિ દ્વારા જાપાની એન્સીફેલાઇટિસનો ચેપ લાગી શકે? ના. જાપાની એન્સીફેલાઇટિસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. દાખલા તરીકે, આ રોગ ધરાવતી વ્યક્તિને સ્પર્શવાથી કે ચુંબન કરવાથી કે આ રોગથી પીડાતી કોઈ વ્યક્તિની સારવાર કરનારા આરોગ્ય કાર્યકરથી તમારા શરીરમાં વાઇરસ પ્રવેશતો નથી. ઘરેલુ ભૂંડો, જંગલી પક્ષીઓ સિવાયના પ્રાણીઓ કે મચ્છર સિવાયના અન્ય જંતુઓ દ્વારા તમને જાપાની એન્સીફેલાઇટિસ થઈ શકે? ના. માત્ર ઘરેલુ ભૂંડો અને જંગલી પક્ષીઓ જ જાપાની એન્સીફેલાઇટિસ વાઇરસનું વહન કરે છે. જાપાની એન્સીફેલાઇટિસના લક્ષણો શું છે? હળવા ચેપમાં માથાના દુખાવા સાથેના તાવ સિવાયના કોઈ દેખીતા લક્ષણો હોતા નથી. વધારે તીવ્ર ચેપમાં રોગનું ઝડપી આગમન, માથાનો દુખાવો, સખત તાવ, ડોક જકડાઈ જવી, તંદ્રા, ગુંચવાડો, બેભાન અવસ્થા, ધ્રુજારી, પ્રસંગોપાત આંચકીઓ (ખાસ કરીને બાળકોમાં) અને સ્તબ્ધ (પરંતુ ક્વચિત શિથિલ) પક્ષાઘાતના લક્ષણો જોવા મળે છે. જાપાની એન્સીફેલાઇટિસ માટે રોગ કેટલા સમયમાં પ્રગટ થાય છે? સામાન્યપણે 5થી 15 દિવસમાં. જાપાની એન્સીફેલાઇટિસમાં મૃત્યુ દર કેટલો છે? આ રોગમાં મૃત્યુ દર 0.3% થી 60% છે. ભારતમાં જાપાની એન્સીફેલાઇટિસ (જેઈ) વાઇરસ સામે કોઈ રસી ઉપલબ્ધ છે? નિષ્ક્રિય ઉંદરના મગજમાંથી પ્રાપ્ત કરાયેલી જેઈ રસી ભારતમાં ઉપલબ્ધ છે. આ રસી હિમાચલપ્રદેશના કસૌલી ખાતે કેન્દ્ર સંશોધન સંસ્થામાં બનાવવામાં આવે છે.