માઈગ્રેન વિશે જાણો માઈગ્રેન ( આધાશીશી ) એ ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે. વારંવાર / અવારનવાર માથાનો ચોક્કસ પ્રકારનો દુખાવો થવો તે આ રોગની ખાસિયત છે. મહદ્અંશે તે અર્ધામાથામાં થતો હોવાથી તેને આધાશીશી પણ કહેવાય છે માઈગ્રેન મોટાભાગે ૨૫-૫૫ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. તેમ છતા બાળકોમાં આ રોગ થવાની શક્યતા નકારી શકાય નહી. ૧૫-૨૦% સ્ત્રીઓમાં અને ૯-૧૦% પુરુષોમાં જોવા મળે છે. માઈગ્રેન થવાનાં કારણોઃ આ રોગ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.તો પણ એવું માનવામાં આવે છે કેઃ મગજમાં દુઃખાવાનું નિયંત્રણ કરતાં કેન્દ્રો ( Trigeminal Vascular System ), કે જે મગજમાં લોહી પહોંચાડતી નળીઓના સંકોચન અને ફુલાવાની ક્રિયાનું નિયમન કરતા હોય છે, તેમાં રસાયણ અને તરંગોની અસ્થિરતાઊભી થવાને કારણે આધાશીશી થાય છે. આ અસ્થિરતા તાસીર પર આધારિત હોય છે મોટાભાગનાં દર્દીઓમાં આનુવંશિક હોય છે. આ ઉપરાંત ઘણાં બધાં કારણો તરંગોની અસ્થિરતા ઊભી કરી શકે છે જેવાં કે શરીર ને લગતાં કારણો : ઊજાગરો, ઉપવાસ / એક્ટાણાં કરવાથી, વધુ પડતી ઊંઘથી, માનસિક તાણ / ચિંતા, મેનોપોઝ / માસિક દરમિયાન, નિયમિત રોજિંદી ક્રિયાઓના સમયમાં ફેરફાર, પ્રવાસ વગેરે શારીરિક કારણે માઈગ્રેનને આમંત્રે છે. વાતાવરણને લગતાં કારણો : ઘોંઘાટ, સૂર્ય પ્રકાશ, ઋતુમાં ફેરફાર / ભેજવાળુ વાતાવરણ, તીવ્રવાસ વગેરે. ખોરાકને લગતાં કારણો : આલ્કોહોલ, ચીઝ-ચોકોલેટ, ખાટાં ફળો, ઘી / તેલવાળો ખોરાક, આથાવાળી વસ્તુ, ચાઈનીઝ ફૂડ, કોફી વગેરે. માઈગ્રેનનાં લક્ષણો માથાનો આ દુઃખાવા મોટાભાગે, અડધા માથામાં (જમણી / ડાબી બાજુ) થતો હોવાથી આધાશીર કહેવાય છે. પણ બંને બાજુ પણ થઈ શકે છે. એક તરફથી આંખ / કપાળના ભાગે પણ થઈ શકે છે. સબાકા / સણકા / લબકારા થાય. પ્રકાશ અને અવાજ સહન ન થાય. દુઃખાવો ૪ થી ૭૨ કલાક સુધી તકી રહે. ઘણીવાર ઊબકા/ઊલ્ટી થાય. ઊલટી થવાથી ઘણા દર્દીને દુઃખાવામાં રાહત થાય છે. આંખ સામે ઝબકારા કે અંધારા આવી શકે. મહિનામાં આશરે ૧ થી ૬ વાર થઈ શકે.જો યોગ્ય સારવાર ન લેવાય તો પછી તે ભવિષ્યમાં દરરોજ (Transformed Migraine) થઈ શકે છે. માઈગ્રેનની સારવાર માઈગ્રેનના હુમલા દરમ્યાન લેવાના ઔષધો / દવા આ દવાઓમાં મોટે ભાગે દુઃખાવાની દવા (pain killer) હોય છે. આ દવા માથું અતી દુઃખે ત્યારે જ લેવાની હોય છે. જે જરૂર મુજબ દિવસમાં બે થી ત્રણ વાર લઈ શકાય. ડૉક્ટરને મહિનામાં કેટલીવાર આ દવાઓ લેવી પડે છે તે જણાવવું. જો મહિનામાં ૧૦ થી વધારે ગોળીઓ ખાવી પડે તો તરત ડૉક્ટર ને બતાવવું. આધાશીર માટે જ, ખાસ પ્રકારની દુઃખાવાની દવાઓ પણ ઉપલબ્ધ છે. હુમલાને આવતો અટકાવવા માટેના ખાસ ઔષધો / દવા આવી દવાઓની જરૂરિયાત નીચેના દર્દીઓમાં પડે છે. જે દર્દીને મહિનામાં ત્રણ કે તેથી વધુ વાર દુઃખાવો થતો હોય. મહિનામાં ત્રણ કે તેથી વધુ દિવસ આધાશીશીના કારણે રોજિંદી ક્રિયા ન કરી શકતા હોય. હુમલા દરમ્યાન લેવાની દવા અઠવાડિયામાં બે થી વધુ વાર લેવી પડતી હોય / અસર ન થતી હોય. એવી આધાશીશીનો પ્રકાર કે જેનાથી મગજને નુકસાન પહોંચવાની શક્યતા હોય. આ દવાનો કોર્ષ ૬ મહિનાથી ૧ વર્ષ સુધીનો હોય છે, જે દર્દીને રાહત થયા બાદ ધીમે ધીમે બંધ થાય છે. આ દવાઓથી દુખાવો હંમેશાં માટે સંપૂર્ણ નાબૂદ થતો નથી. પરંતુ હળવો / નબળો તથા નડે નહીં તેવો થાય છે. આ કોર્ષ કરવાથી દુખાવાની દવાનો વધુ પડતો ઉપયોગ ટાળી શકાય છે, રોજનો દુઃખાવો ટાળી શકાય છે. માઈગ્રેનનાં દર્દીએ રાખવાની કાળજી નિયમિત દવા લેવી, ઉપવાસ / ઉજાગરા ન કરવા. તડકામાં જવાનું ટાળવું / ગોગલ્સ પહેરીને જવું. માથાના દુઃખાવાની અને હુમલા દરમ્યાન લેવાનાં ઔષધોની વિસ્તૃત નોંધ રાખવી. આહારમાં નિયમિતતા રાખવી, માથાનો દુઃખાવો થાય ત્યારે ૨૪ કલાક પહેલાં લીધેલા ખોરાકની નોંધ રાખવી અને જે ખોરાકથી દુઃખાવો થતો હોય તે લેવો નહીં. યોગાસન / પ્રાણાયામ કરવાં. ખટાશ / અથાણાં / ડુંગળી / આથાવાળી વસ્તુ (બ્રેડ / ઇડલી / ઢોકળા વગેરે) / ચીઝ / મેગી / ચાઈનીઝ / ચોકલેટ્સ વગેરે લેવા નહીં. બધાં દર્દીઓની તાસીર અલગ હોય છે ઉપર જણાવેલી જે વસ્તુ થી માથું દુઃખે તે ન ખાવી, બીજી વસ્તુઓ લઈ શકાય.