સંશોધકો કહે છે કે પુરુષની લાઈફ સ્ટાઇલ વધારે અન-હેલ્ધી હોય છે. એમનામાં કુટેવો જેમ કે ધુમ્રપાન, મદિરાનું પ્રમાણ વધારે હોય છે. ઉપરાંત પોતાની તબિયતને લઇ ને તેઓ વધારે બેદરકાર હોય છે અને એના કારણે તેઓ એના ડોક્ટરને મળવું ટાળે છે. એટલે ઘણા રોગોનું સમયસર નિદાન અને સારવાર રહી જાય છે. નસીબ જોગે ઘણા બધા એવા રોગો છે જે યોગ્ય સમયે નિદાન થાય તો અટકાવી શકાય અથવા પુરી રીતે સારવાર કરી શકાય છે. આના માટે પુરુષોને જાગૃત થવાની જરૂર છે. “International Man’s Day” દર વર્ષે ૧૯ નવેમ્બરના રોજ દુનિયાના ૭૦ દેશોમાં મનાવવામાં આવે છે. આ મનાવવાનો મુખ્ય હેતુ પુરુષો અને છોકરા આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, લિંગ સંબંધો સુધારવા, જાતીય સમાનતા ને પ્રોત્સાહન અને પુરુષ ને role model તરીકે પ્રકાશિત કરવા . હું આજે એક એવા રોગ વિષે વાત કરીશ કે જેનું નિદાન અને સારવાર યોગ્ય સમયે થાય તો એને પુરી રીતે નાબૂદ કરી શકાય છે. પ્રોસ્ટેર એક નાની ગ્રંથિ છે જે મૂત્ર માર્ગ ના પ્રથમ ભાગ ની આસપાસ આવેલી હોય છે. પ્રોસ્ટેર લગભગ અખરોટ ની કદની હોય છે અને ઉંમરની સાથે વધે છે.પ્રોસ્ટેટ સફેદ પ્રવાહી બનાવે છે જેનું કામ શુક્રાણુ સાથે ભળીને વીર્ય બનાવવાનું છે. પ્રોસ્ટરનું કેન્સર એ બધા કેન્સરમાં પહેલા ૧૦ માં આવતું કેન્સર છે. પ્રોસ્ટેટ કેન્સર એટલે શુ પ્રોસ્ટેટ ગ્રંથિ માં થતા કેન્સરને પ્રોસ્ટેટ કેન્સર કહે છે.શરીરમાં થતા બીજા કેન્સરથી એ અલગ છે કારણ કે તે ખુબ જ ધીમે ફેલાય છે અને ઘણા વર્ષો સુધી સુષુપ્ત રહી શકે છે. પ્રોસ્ટેટ કેન્સર નું કારણ અને જોખમી પરિબળો: મોટા ભાગના કેન્સરના કારણ આપણે જાણતા નથી પરંતુ હા એના જોખમી પરિબળો હોય છે. જેનાથી તે થવાની સંભાવના વધી જાય છે. ઉંમરઃ ૫૦ વર્ષ પછી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. અને વધતી જતી ઉંમર થી આ જોખમ વધે છે. વંશીયતઃ એશિયાના પુરુષ કરતા આફ્રિકન અમેરિકન અને શ્વેત પુરુષ માં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. કૌટુંબિક ઇતિહાસઃ જો પિતા, ભાઈ, દાદા અથવા કાકાને આ કેન્સર હોય તો તમને થવાની સંભાવના વધારે છે. કસરતઃ શારીરિક નિષ્ક્રિયતાથી આની સંભાવના વધી જાય છે. પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણ શું છે? શરૂઆત ના સ્ટેજ માં ઘણી વાર પ્રોસ્ટેટ કેન્સરના કોઈ પણ લક્ષણ જોવા મળતા નથી. ૫૦ વર્ષની ઉપર જો પેશાબ કરવામાં તકલીફ થતી હોય, અટકી ને પેશાબ આવતો હોય, વારંવાર જવું પડતું હોય, પેશાબ રોકી ના શકતા હોય અથવા તો લોહી આવતું હોય તો એને નકારવા ના જોઈએ અને તરત જ યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.વધી ગયેલા કેન્સર ના લક્ષણોમાં કમરમાં દુખાવો, ભૂખ ઓછી લાગવી , પેશાબ અટકી જવો, વજન માં ઘટાડો એ હોય છે. પ્રોસ્ટેટ કેન્સર નું નિદાન: મુખ્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર નું નિદાન મળાશય માર્ગથી પ્રોસ્ટેટની તાપસ (DRE) અને લોહીમાં PSAનું પ્રમાણ જોઈ ને થતું હોય છે. જો આ તાપસમાં કોઈ પણ તકલીફ જણાય તો આગળ ની તાપસ કરાવવી પડે છે. PSA એ પ્રોસ્ટેટ દ્વારા બનાવવામાં આવતું એક પ્રોટીન છે.જે નાના પ્રમાણ માં સામાન્ય રીતે લોહીમાં જોવા મળે છે.પ્રોસ્ટેટ કેન્સર ધરાવતા વ્યક્તિમાં આનું પ્રમાણ ઘણું વધારે હોય છે.ઉંમર વધવાથી પણ આનું પ્રમાણ વધે છે. કેન્સર સિવાય મૂત્રમાં ચેપથી, પ્રોસ્ટેટ ચેપથી, બાયોપ્સીથી, કેથેટર/શસ્ત્રક્રિયા થી પણ PSA નું પ્રમાણ વધારે આવી શકે છે. પ્રોસ્ટેટ કેન્સરને ૧૦૦% નિદાન માટે બાયોપ્સીની જરૂર પડતી હોય છે. મળમાર્ગ દ્વારા સોનોગ્રાફીની મદદથી પ્રોસ્ટરના ટુકડા લઇ તેનું માઇક્રોસ્કોપ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. બાયોપ્સીમાં કેન્સરનું નિદાન સિવાય એનો ગ્રેડ પણ ખબર પડે છે જે સારવારમાં મદદ કરે છે. નિદાન થયા પછી સ્ટેજિંગ માટે એમ આર આઈ , બોન (હાડકા) નો સ્કેન અને છાતીનો ફોટો (એક્સ-રે) કરવામાં આવે છે. પ્રોસ્ટેટ કેન્સર ના સ્ટેજીસ શુ છે સામાન્ય રીતે ૪ સ્ટેજ હોય છે. પહેલા સ્ટેજમાં કેન્સર ખુબ નાનું અને પ્રોસ્ટેટમાં જ હોય છે. બીજા સ્ટેજમાં કેન્સર હજુ પ્રોસ્ટેટમાં જ હોય પરંતુ મળાશયની તપાસમાં પકડી શકાય. ત્રીજા સ્ટેજમાં કેન્સર પ્રોસ્ટેટની બહાર હોય છે પરંતુ નજીકના અંગો સુધી ફેલાયેલું હોય. ચોથા સ્ટેજમાં દૂરના અંગો જેમ કે હાડકામાં ફેલાયેલું હોય છે. પ્રોસ્ટેટ કેન્સરની સારવાર શુ છે? શ્રેષ્ઠ સારવાર નક્કી કરવા માટે ઘણી બાબતો ધ્યાનમાં લેવાતી હોય છે. જેમ કે સામાન્ય સ્વાસ્થ્ય, સ્ટેજ, PAS, દર્દીની સારવારની આડઅસર વિશેની સમજણ અને મંજૂરી. આના વિકલ્પોમાં નિરીક્ષણ,શસ્ત્રક્રિયા ,રેડિયોથેરાપી હોય છે. સામાન્ય રીતે શરૂઆત ના સ્ટેજમાં આ સારવાર શક્ય હોય છે અને એટલેજ વહેલી તકે આ કેન્સરનું નિદાન કરવું જરૂરી હોય છે. રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમીમાં પ્રોસ્ટેટની સાથે આજુબાજુના અંગો પણ કાઢી નાખી સંપૂર્ણ ઈલાજ કરી શકાય છે. જે દર્દી ઓપેરશન માટે ફિટ ના હોય એમના માટે રેડિયોથેરાપી પણ એક વિકલ્પ છે.વધી ગયેલા કેન્સરમાં હોર્મોન થેરાપી આપતી હોય છે જે ઇન્જેક્શન, ગોળી અથવા નાની સર્જરીથીકરી શકાય છે. આગળની તાપસ: પ્રાથમિક સારવાર લીધા પછી નિયમિત રીતે લોહીમાં PSA ની તાપસ કરવાની હોય છે અને આનું પ્રમાણ આગળની સારવાર થતી હોય છે.નવેમ્બર મહિનો જયારે પુરુષ સ્વાસ્થ્ય AWERNESS મહિના તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપણે પણ આ જીવલેણ કેન્સર ના લક્ષણો વહેલી તકે જાણી અને યોગ્ય ઉપચાર કરી પુરુષોનું સ્વાસ્થ્ય સુધારીને આપનો ફાળો આપી શકીયે છીએ. પ્રોસ્ટેટ કેન્સરના 100% નિદાન માટે બાયોપ્સીની જરૂર પડતી હોય છે. મળમાર્ગ દ્વારા સોનોગ્રાફીની મદદથી પ્રોસ્ટરના ટુકડા લઇ તેનું માઇક્રોસ્કોપ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. બાયોપ્સીમાં કેન્સરનું નિદાન સિવાય એનો ગ્રેડ પણ ખબર પડે છે જે સારવારમાં મદદ કરે છે. લેખ : ડો. કેવલ એન પટેલ (યુરોઓન્કોલોજિસ્ટ)