પરિચય : કોથમીર એ ધાણાની પ્રાથમિક અવસ્થા છે. કોથમીરથી આપણે સહુ સારી રીતે પરિચિત છીએ. દરરોજ આવતા લીલાં મસાલામાં કોથમીર મુખ્ય હોય છે. દાળ, કઢી વગેરે વ્યંજનો જરૂરી મસાલા નાખીને સ્વાદિષ્ટ બનાવી શકાય; પરંતુ વ્યંજન ચૂલા પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર સમારીને નાખવી. કોથમીર નાખવાથી તેની સુગંધ આખા રસોડામાં ફેલાઇ જાય છે અને મગજને તાજગી મળે છે. ગુણધર્મ : કોથમીર તૂરી, સ્નિગ્ધ, મૂત્રલ, હલકી, કઠણ, તીખી, જઠરાગ્નિપ્રદીપક, પાચક, તાવનાશક, રુચિકર, ઝાડાને રોકનાર, ત્રિદોષનાશક અને પાચનને અંતે મધુર છે. તે તરસ, બળતરા, ઊલટી, શ્ર્વાસ, ખાંસી મટાડનાર, કૃમિનાશક, દુર્બળતા દૂર કરનાર, પિત્તનાશક, શરીરની તજા ગરમી મટાડનાર તેમજ ચક્ષુષ્ય છે. ઉપયોગ : આંખ આવે (લાલ થાય) ત્યારે કોથમીર વાટીને તેના તાજા રસનાં બે-બે ટીપાં આંખમાં નાખવાં. કોથમીર સ્વચ્છ લેવી. મરચાંની સાથે પડેલી કોથમીર ન લેવી. નજર ઓછી થતી હોય ત્યારે – આંખમાં દરરોજ બે-બે ટીપાં સવારે અને રાતે નાખવાં. ટીપાં નાખવાથી થોડી બળતરાં થશે, પરંતુ તે સહન કરવી. આંખો દુખતી હોય અને આંખોમાં ખંજવાળ આવતી હોય ત્યારે તેમજ ફૂલા અને ખીલની તકલીફમાં પણ કોથમીરનો રસ હિતકર છે. સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન