અંડાશયની નાની ગ્રંથિની કામગીરી બંધ થવાથી માસિક સ્ત્રાવ અટકી જવાથી મહિલાઓમાં કાયમ માટે રજોનિવૃત્તિકાળમાં પ્રવેશ કરે છે. “Menopause” (મેનોપોઝ) લેટિન શબ્દ “meno” એટલે મહિનો અને “pausia” એટલે કે સ્થિગત થઈ જવા પરથી ઉતરી આવ્યો છે. આ સાથે મહિલા એનાં જીવનનાં પ્રજોત્પાદકમાંથી બિનપ્રજોત્પાદક તબક્કામાં પસાર થાય છે. આ પરિવર્તન જીવનનાં ઉત્તરાવસ્થા દરમિયાન શરૂ થાય છે, જે રજોનિવૃત્તકાળ અગાઉ શરૂ થાય છે અને પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી ચાલે છે. વસતિ-સંબંધિત અભ્યાસોમાં રજોનિવૃત્તકાળ મહત્ત્વપૂર્ણ પાસું છે, કારણ કે એ મહિલાઓનાં કુદરતી પ્રજોત્પાદક તબક્કાનાં અંતિમ વર્ષનાં ચિહ્ન સ્વરૂપે ભૂમિકા ભજવે છે. જોકે નિયંત્રિત પ્રજોત્પાદકતા સાથે સમાજમાં મહિલાઓ રજોનિવૃત્તિકાળ અગાઉ તેમનાં જીવનનો પ્રજોત્પાદકતાનો તબક્કો પૂર્ણ કરે છે. રજોનિવૃત્તિકાળ એવો તબક્કો છે, જેમાં માસિક સ્ત્રાવ 12 મહિના માટે બંધ થઈ જાય છે અને મહિલાઓનાં શરીરમાં બે અતિ મહત્ત્વપૂર્ણ અંતઃસ્ત્રાવો એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટી જાય છે. તાજેતરમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ (ISEC)એ હાથ ધરેલા સર્વે મુજબ, આશરે 4 ટકા ભારતીય મહિલાઓ 29થી 34 વર્ષની વય વચ્ચે રજોનિવૃત્તિકાળનાં ચિહ્નો અનુભવે છે. એની સરખામણીમાં 35થી 39 વર્ષ વચ્ચેની વય ધરાવતી 8 ટકા મહિલાઓ આ ચિહ્નો અનુભવે છે. વધારે આંચકાજનક બાબત એ છે કે, સામાન્ય રીતે દુનિયાભરની મહિલાઓ 45થી 55 વર્ષની વય વચ્ચે એટલે કે સરેરાશ 51 વર્ષની વય રજોનિવૃત્તિકાળમાં પહોંચે છે. વહેલી રજોનિવૃત્તિ એસ્ટ્રોજેનનાં સ્તરમાં ઘટાડા સાથે સંબંધિત રોગોથી વહેલા મૃત્યુ થવાનું જોખમી પરિબળ બની શકે છે તથા ઓસ્ટિયોપોરોસિસ, હૃદયનાં રોગો, ડાયાબીટિસ, હાયપરટેન્શન અને સ્તનનાં કેન્સરમાં વધારો થઈ શકે છે. તાજેતરમાં હાથ ધરાયેલા વિવિધ અભ્યાસમાં જાણકારી મળી છે કે, રજોનિવૃત્તિ માટે કુદરતી વયમાં ફરક કેટલાંક પરિબળો સાથે સંકળાયેલી છે, જેમ કે આનુવંશિકતા, પ્રજોત્પાદક, સામાજિક-વસતિજન્ય અને ચોક્કસ પ્રકારની વર્તણૂકની અસરો. રજોનિવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય સામાન્ય પરિબળોમાં મહિલાઓનું શિક્ષણ અને વ્યવસાય, મહિલાઓ થોડાં બાળકો ધરાવે કે નિઃસંતાપન હોય સામેલ છે. વહેલાસર રજોનિવૃત્તિનાં કેટલાંક કારણો જાણીતા છે, છતાં કેટલીક વાર કારણ જાણી શકાતું નથી. આનુવંશિકતા : જો વહેલાસર રજોનિવૃત્તિનું કોઈ ચોક્કસ તબીબી કારણ ન હોય, તો આનુવંશિકતા જવાબદાર હોવાની શક્યતા છે. તમે વારસા મુજબ ચોક્કસ ઉંમરની આસપાસ રજોનિવૃત્તિ અનુભવો એવી શક્યતા છે. તમારી માતા કઈ ઉંમરે રજોનિવૃત્તિમાં પ્રવેશ્યા હતાં એની જાણકારી મેળવવાથી તમે રજોનિવૃત્તિકાળમાં પ્રવેશવાની શરૂઆત ક્યારે કરશો એની માહિતી મળશે. જો તમારી માતાએ વહેલાસર રજોનિવૃત્તિમાં પ્રવેશ કર્યો હશે, તો તમે મોટાં ભાગે એમનાં રજોનિવૃત્તિની વયની આસપાસ એનાં ચિહ્નો અનુભવશો. જોકે આનુવંશિકતા પરથી સંપૂર્ણ જાણકારી મળતી નથી, પણ અડધો અંદાજ મળે છે. જીવનશૈલી : જ્યારે તમે રજોનિવૃત્તિમાં પ્રવેશ કરો છો, ત્યારે એનાં પર જીવનશૈલીનાં કેટલાંક પરિબળો અસર કરી શકે છે. ધુમ્રપાન એન્ટિએસ્ટ્રોજન અસર ધરાવે છે, જે વહેલાસર રજોનિવૃત્તિ માટે જવાબદાર બની શકે છે. વર્ષ 2012માં કેટલાંક અભ્યાસ થયાં હતાં, જેનાં તારણો મુજબ, લાંબો સમય કે નિયમિત ધુમ્રપાન કરનાર મહિલાઓ વહેલાસર રજોનિવૃત્તિનો અનુભવ કરે એવી શક્યતા વધારે છે. ધુમ્રપાન ન કરતી મહિલાઓની સરખામણીમાં ધુમ્રપાન કરતી મહિલાઓ 1થી 2 વર્ષ વહેલા રજોનિવૃત્તિ અનુભવી શકે છે. બોડી માસ ઇન્ડેક્સ (BMI) : BMI પણ વહેલાસર રજોનિવૃત્તિ માટે જવાબદાર પરિબળ બની શકે છે. એસ્ટ્રોજનનો સંગ્રહ જાડી પેશીઓમાં થાય છે. બહુ પાતળી મહિલાઓનાં શરીરમાં ઇસ્ટ્રોજનનો સંગ્રહ ઓછો થાય છે, જે ઝડપથી ઘટી શકે છે. કેટલાંક સંશોધનો એવું પણ સૂચવે છે કે, શાકાહારી ભોજન, કસરતનો અભાવ અને જીવન દરમિયાન પર્યાપ્ત સૂર્યપ્રકાશનો અભાવ રજોનિવૃત્તિ વહેલાસર શરૂ થવા માટે જવાબદાર બની શકે છે. ક્રોમોઝોનની ખામી : ક્રોમોઝોન સંબંધિત કેટલીક ખામીઓ વહેલાસર નિવૃત્તિ તરફ દોરી શકે છે. ઉદાહરણ તરીકે, ટર્નર સિન્ડ્રોમ (મોનોસોમી X અને ગોનાડલ ડાયસ્જેનેસિસ તરીકે પણ ઓળખાય છે)માં અપૂર્ણ ક્રોમોઝોમ સાથે જન્મ જોડાયેલ છે. ટર્ન સિન્ડ્રોમ ધરાવતી મહિલાઓ અંડાશય ધરાવે છે, જે યોગ્ય કામગીરી કરતાં નથી. આ ઘણી વાર નાની ઉંમરે રજોનિવૃત્તિનાં અનુભવનું કારણ બને છે. ઓટોઇમ્યૂન રોગો : વહેલાસર રજોનિવૃત્તિ થાઇરોઇડનાં રોગ અને રુમેટોઇડ આર્થ્રાઇટિસ જેવા ઓટોમ્યૂન રોગોનાં ચિહ્નો હોઈ શકે છે. ઓટોઇમ્યૂન રોગોમાં રોગપ્રતિકારક વ્યવસ્થા નબળી હોય છે, જેથી જીવાણુઓનાં હુમલાઓની અસર ઝડપથી થાય છે. આમાંથી કેટલાંક રોગોથી સોજો કે બળતરા અંડાશયોને અસર કરી શકે છે. જ્યારે અંડાશયો કામ કરતાં અટકી જાય છે, ત્યારે રજોનિવૃત્તિકાળની શરૂઆત થાય છે. વહેલાસર રજોનિવૃત્તિનાં ચિહ્નો શું છે? વહેલાસર રજોનિવૃત્તિ ઝડપથી શરૂ થઈ શકે છે, કારણ કે તમે અનિયમિત માસિક સ્ત્રાવ કે સામાન્ય કરતાં લાંબા કે ટૂંકા ગાળામાં માસિક સ્ત્રાવનો અનુભવ શરૂ કરો છો. વહેલાસર રજોનિવૃત્તિનાં અન્ય ચિહ્નોમાં સામેલ છેઃ ભારે રક્તસ્ત્રાવ, ડાઘ, એક અઠવાડિયાથી વધારે સમય માસિક સ્ત્રાવ થવો, એક વર્ષ સુધી રકતસ્ત્રાવ ન થાય અને પછી માસિક સ્ત્રાવ થવો. આ પ્રકારનાં ચિહ્નોમાં તમારે અન્ય બિમારીઓ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, જેનાં માટે આ ચિહ્નો જવાબદાર હોઈ શકે છે. માસિક રક્તસ્ત્રાવનાં અન્ય સામાન્ય ચિહ્નોમાં સામેલ છેઃ મૂડીનેસ, જાતિય લાગણીઓ કે ઇચ્છાઓમાં ફેરફારો, યોનિમાં શુષ્કતા, ઊંઘ આવવામાં સમસ્યા, ગરમ ચમક, રાતે પરસેવો વળવો, મૂત્રાશયનું નિયંત્રણ ગુમાવવું વગેરે. વહેલાસર રજોનિવૃત્તિનું નિદાન સામાન્ય રીતે રજોનિવૃત્તિનાં નિદાન માટે પરીક્ષણો જરૂરી છે. મોટાં ભાગની મહિલાઓ એમનાં ચિહ્નોને આધારે રજોનિવૃત્તિનું સ્વનિદાન કરી શકે છે. ડૉક્ટર અંતઃસ્ત્રાવ સાથે સંબંધિત પરીક્ષણો કરવાનું કહી શકે છે, જેથી વહેલાસર રજોનિવૃત્તિને કારણે કે પછી અન્ય કોઈ સમસ્યાને કારણે તમે ચિહ્નો જોવા મળે છે એ નક્કી કરવામાં મદદ મળે. પરીક્ષણ કરવા માટે આ સૌથી સામાન્ય અંતઃસ્ત્રાવો છેઃ એસ્ટ્રોજેન. તમારાં ડૉક્ટર એસ્ટ્રાડાયોલ નામનાં સ્તરને ચકાસી શકે છે. રજોનિવૃત્તિમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટી જાય છે. ફોલિકલ-સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (FSH). જો તમારાં FSHનું સ્તર સતત 30 mIU/mL (મિલિ-ઇન્ટરનેશનલ યુનિટ પર મિલીલિટર)થી વધારે રહેતું હોય અને તમે એક વર્ષ સુધી માસિક સ્ત્રાવ ન અનુભવો, તો તમે રજોનિવૃત્તિમાં પહોંચી ગયાની શક્યતા છે. જોકે પરીક્ષણમાં FSHનું વધતું સ્તર રજોનિવૃત્તિનો સંકેન નથી. થાઇરોઇડ-સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (TSH). તમારાં ડૉક્ટર નિદાનની પુષ્ટિ કરવા TSHનાં તમારાં સ્તરનીચકાસણી કરી શકે છે. જો તમે અંડરએક્ટિવ થાઇરોઇડ (હાઇપોતાઇરોડિઝમ) હોવ, તો તમારાં શરીરમાં TSHનું સ્તર બહુ વધારે હોય છે. આ સ્થિતિનાં ચિહ્નો રજોનિવૃત્તિનાં ચિહ્નો જેવા હોય છે. સ્ત્રોત :ડૉ. અંશુ રાની (ગાયનેકોલોજિસ્ટ)