નેશનલ એપિલેપ્સી ડે-૧૭ નવેમ્બર "ઇન્ડિયન મેડિકલ અસોસિએશન" તથા "ઇન્ડિયન એપિલેપ્સી સોસાયટી" દ્વારા દર વર્ષે ૧૭ નવેમ્બરના દિવસને "નેશનલ એપિલેપ્સી ડે" તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે એપિલેપ્સી અર્થાત આંચકી, કે વાઇથી પિડીત દર્દિઓ તથા તેના સગા-સ્નેહીઓ માટે વિવિધ જન-જાગૃતી કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ સારવાર અંગેની સમજ આપવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ પ્રમાણે હાલ વિશ્વમાં પાંચ કરોડથી વધુ લોકો આચકીની બિમારીથી પિડાય છે. જે પૈકી ૮૦% લોકો ભારત જેવા વિકાસશિલ દેશમાંના છે. આંચકીની બિમારીમાં ૭૦% કરતા વધુ કેસમાં દવાઓ અકસીર પુરવાર થાય છે. પરંતુ દુર્ભાગ્યે અરધા કરતા વધુ લોકો સુધી જાગૃતીના અભાવે દવાઓ પહોંચી શકી નથી. તેઓ ગેરમાન્યતા ને લીધે માહીતીના અભાવે કે સાથે સંકળાયેલ પુર્વગ્રહની ભાવનાથી સારવારથી દુર રહે છે અને ક્યારેક ઓચિંતા રસ્તા પર અકસ્માતનો ભોગ બને છે. આંચકીના ઘણા પ્રકારો છે જેવાકે જનરલાઇઝ્ડ ટોનિક ક્લોનિક સિઝર, એબસેન્સ સિઝર, એટોનિક સિઝર, માયોક્લોનિક સિઝર. આ ઉપરાંત કેટલાક કેસમાં માથામાં ઇજા પછી કે કેટલાક રસાયણૉમાં ફેરફારથી આંચકી થઇ શકે છે. આ પૈકી જનરલાઇઝ્ડ ટોનિક ક્લોનિક સિઝર મુખ્ય છે. ખેંચ કે વાઇના લક્ષણો માં શરીરનું આંચકા સાથે હાથ-પગની તિવ્ર હલન-ચલન ની પ્રકિયા થવી, આંખોના ડોળાનુ ઉપર ચડી જવુ, મોં એ ફીણ આવવા મુખ્ય છે. ક્યારેક પેશાબ કે જાજરુ કપડામાં થવી કે જીભનુ કચડાઇ જવુ કે આંચકી દરમિયાન શારિરીક ઇજાઓ થવી જેવા લક્ષણૉ પણ જોવા મળે છે. જાણૉઃ આંચકીની બિમારી નું નિદાન ક્લિનીકલ છે. (અર્થાત દર્દિ અને સગા પાસેથી જાણવા મળેલ બિમારીના ચિન્હો ના આધારે કરવામાં આવે છે)જોકે કેટલાક કેસમાં મગજ ની પટ્ટીની તપાસ ઉપયોગી નિવડી શકે. પરંતુ તેનુ મહ્ત્વ દર્દિ અને સગાઓ એ વર્ણવેલ ચિન્હો કરતા ઓછુ આંકવામાં આવે છે. જ્યારે પણ દર્દિ તિવ્ર ઝોંટા નો અનુભવ કરતો હોય ત્યારે તેના હાથ- પગ પકડવા કે મોંમા કોઇ કડક વસ્તુ મુકવી વગેરે ન કરવુ જોઇએ. આથી હાથ- પગ ના હાડકાઓ માં ફ્રેકચર કે મોં માં ઇજા થઇ શકે છે. (જેમ ચાલુ પંખાને બંધ કરવા તેની સ્વિચ બંધ કરવી જોઇએ, તેના પાંખીયા પકડી તેને બંધ કરવાનો પ્રયત્ન કરવો નરી મુર્ખામી છે. એજ રીતે આંચકી દરમિયાન તિવ્ર ઝોંટાનો અનુભવ કરતા હાથ-પગ તો માત્ર પંખાના પાખીયા સમાન છે. અને તેની સ્વિચ તો મગજ માં હોય છે. જે દવા વડે જ બંધ થઇ શકે છે.) આંચકી દરમીયાન જીભ કચડાવી કે જીભને થતી ઇજા મોટાભાગે આંચકીની શરુઆત ના સમયમાં થાય છે. આથી એક વખત આંચકી શરુ થઇ ગયા પછી મોં ખૉલી તેમાં કોઇ કડક વસ્તુ મુકવાનો પ્રયાસ કરવાથી માત્ર ઇજા માં વધારો થાય છે. આંચકી/વાઇ ના દર્દિઓ એ વાહન ચલાવવુ, તરવું, જોખમી મશીન પર કામ કરવું વગેરે જોખમી સ્થળૉ કે વ્યવસાય થી દુર રહેવુ જોઇએ. આથી અચાનક આવતા આંચકી ના હુમલાથી પોતાને અને અન્યને થતુ નુકશાન અટકાવી શકાય છે. આંચકીના હુમલાઓ ને અવગણનાની ભુલ કદાપી ના કરવી. આથી શરીર અને મગજ ને લાંબાગાળે નુકશાન થઇ શકે છે. દવાઓ નિયમીત લેવી જોઇએ. દવાનો એક પણ ભુલાયેલ ડોઝ આંચકી નોતરી શકે છે. આથી દવાઓ નિયમીત લેવી જોઇએ. દવાઓ ના ભુલાયેલ ડોઝ ઉપરાંત ઉજાગરો અને ઉપવાસ ના લીધે પણ આંચકી નો હુમલો આવી શકે છે. જે ધ્યાન રાખવુ ઘટૅ. સામાન્ય રીતે આંચકી ની દવાનો કોર્ષ ૩ વર્ષ સુધી કરવાનો રહે છે. પરંતુ જો કોર્ષ દરમિયાન આંચકી આવે તો તે સમય થી નવેસર થી કોર્ષ ના ૩ વર્ષની ગણતરી શરુ થાય. (આથી દવાઓ નિયમીત લેવી. ઘણા દર્દિઓ એકાદ વર્ષ આંચકી ના આવતા જાતેજ દવાઓ બંધ કરી દે છે. પરિણામે ફરી આંચકી આવતા તેનો કોર્ષ ફરી શરુ કરવો પડે છે અને કેટલાક દર્દિઓને આ એન્ટીએપીલેપ્ટીક દવાઓ જીવનભર શરુ રાખવાની જરુર પડે છે. આંચકીની દવાઓ અકસીર માનવામાં આવે છે. લગભગ ૭૦-૮૦% દર્દિઓ આંચકીમુકત જીવન જીવી શકે છે. જ્યારે અન્ય ૧૫-૨૦% કેસમાં આંચકી ના હુમલાઓનુ પ્રમાણ ઘટે છે. સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો