નવરાત્રિ ગુજરાતનો સૌથી લાંબો ચાલતો તહેવાર છે. આ તહેવાર હવે તો દુનિયાના મોટા ભાગના દેશોમાં ઉજવવામાં આવે છે. નવરાત્રિપ્રેમીઓ મહિના પહેલાથી આયોજન કરે છે અને પોતાની સ્કિન અને શરીરના ફિગરની કાળજી લેવાનું શરૂ કરી દે છે. દર વર્ષે ગુજરાતીઓ ગરબા / દાંડિયાનાં નવાં સ્ટેપ્સ સાથે બહાર આવે છે. નવરાત્રિ દરમિયાન સ્વાસ્થ્યની કોઈ પણ સમસ્યા વિના સારી રીતે રમવા માટે મહત્વના કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે. આનાથી નવરાત્રિ સારી રીતે રમવા માટે મદદ મળશે. ગરબા રમ્યા પછી, ઘણાને સ્કૂલ / ઑફિસ જવું પડે છે અને મોટાભાગના ગરબા મધ્યરાત્રિ સુધી ચાલે છે. ઊંઘ ઓછી મળે અને ખોરાક પણ ઓછો, પરિણામે શક્તિમાં ઘટાડો થાય જેથી લોકોને થાક લાગે છે. નવરાત્રિ દરમિયાન શરીરનું એનર્જી લેવલ ખોરાકની પસંદગી પર આધાર રાખે છે. નવરાત્રિ માટે ખોરાક પસંદ કરતી વખતે દરેકે બહુ જ ધ્યાન રાખવું જોઈએ કેમ કે કેટલીક ચીજોમાં હાઈ કેલરીઝ અને ફેટ્સ હોય છે જેનાથી બહુ જલદી થાકી જવાય છે. એટલે, જેમાં ન્યુટ્રીઅન્ટ્સનું કોમ્બિનેશન બરાબર હોય તેવો આહાર પસંદ કરવો. નવરાત્રિપ્રેમીઓ માટે તો નવરાત્રિ દરમિયાન તેમના રોજના આહારની પસંદગી માટે વધુ સભાન રહેવું જરૂરી બની રહે છે. તો ચાલો, જોઈએ કે શું લેવું જોઈએઃ ફ્રૂટ્સ અને નટ્સ સ્મૂધીઃ દિવસની શરૂઆતમાં કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન લેવાનું રાખવું. એને માટે તમને ગમતું કોઈ પણ ફળ લો અને એમાં પસંદગીના નટ્સ મિક્સ કરી તે બધું લૉ ફેટ કર્ડમાં મિક્સ કરી સ્મૂધી બનાવો. મિક્સ ફ્લોર પરાઠાઃ તમને ગમતાં શાક લઈ ઘઉંના કે મલ્ટિગ્રેઇન લોટમાં ભેળવો અને એના પરાઠા બનાવી દૂધ સાથે લો. આ બ્રેકફાસ્ટ અનેક બેસ્ટ વિકલ્પોમાંથી એક છે. હેલ્ધી સૂપઃ તમારા રોજના ભોજનમાં કોઈ એક ફ્લેવરનો સૂપ લેવાનું રાખો. મોટા ભાગનાં શાકભાજી એન્ટિ-ઓક્સિડન્ટ હોવાથી અને બે ભોજન વચ્ચે સૂપ લેવાથી બિનજરૂરી ભૂખ ઘટાડશે. સ્પ્રાઉટેડ સલાડઃ કોઈ પણ કઠોળ રોજ ફણગાવવાં. એમાં લાલ-પીળાં કેપ્સિકમ, કાકડી, ટામેટાંસ બીટ, દાડમ, સફરજન જેવાં વિવિધ કલરફૂલ શાક/ ફળ ઉમેરવાં. ચપટીક બ્લેક સૉલ્ટ, ચિયા અને ફ્લેક્સ સીડ્સ ઉમેરવાં. શાળામાં લઈ જવાના નાસ્તા તરીકે વિદ્યાર્થીઓ માટે અથવા ઓફિસ જનાર માટે લંચ પહેલાં ખાવા માટે શ્રેષ્ઠ છે જેથી શરીરને લંચ સુધી થોડીઘણી એનર્જી મળી રહે. સ્ટફ પરાઠાઃ પોતાની પસંદગીથી પનીર, ટોફુ, બટાટા, કોબીજ વગેરેના સ્ટફ પરાઠા બનાવી શકાય. લંચ દરમિયાન રાયતા કે દહીં સાથે ખાવાં. એ સૌથી સારો સમય છે. ઘણાને ફૂલ લંચ ન લઈ જવું હોય કે રેગ્યુલર લંચમાં કોઇ ફેરફાર જોઈતો હોય તો આ સારું છે. નટ્સઃ સ્નેકબોક્સમાં મૂઠીભર નટ્સ લઇ જવાં. બપોરે 3 કે 4 વાગે શરીરને થોડા ફિલરની જરૂર પડે છે. એટલે ઓમેગા 3, પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર નટ્સ એનર્જી બૂસ્ટ કરવા મદદ કરે છે. ખાવા માટે સરળ છે. કેફિનઃ ચા / કોફી ભાવતી હોય તેમણે નાના કપમાં લેવી કેમ કે એ નેચરમાં ડાઈયુઅરેટિક (પેશાબ વધારે લાગે) હોવાથી શરીરમાંથી પાણી ઓછું થાય છે. એટલે ઘણી વાર લેતાં રહેવાથી શરીરમાં પાણી ઘટી જાય છે જેથી સ્ટેમિના ઓછો થાય છે. એટલે બહુ ઓછી માત્રામાં લેવી. ફળોઃ સફરજન, પેર, પપૈયાં, દાડમ, કીવી વગેરે એન્ટિ-ઓક્સિડન્ટ ફળો છે જે તમારા સેલ્સને રિજુવેનેટ કરે છે. એનાથી સ્કિનને ગ્લૉ મળે છે. ઓછી ઊંઘ આવવાથી સ્કિન ડલ થઈ જાય છે, આંખ નીચે કાળાં કુંડાળાં થાય છે. એટલે નવરાત્રિ ડાયેટ પ્લાનમાં એન્ટિઓક્સિડન્ટ ફળો ઉમેરવાં. મિલ્ક પ્રોડક્ટ્સઃ આ પ્રોડક્ટ્સમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર હોય છે. ડિનર માટે એમાંથી કોઈ પણ જેમ કે પનીર, દહીં વગેરે લઇને વાનગી બનાવી શકાય. ડિનરમાં પ્રોટીન વધારે અને કાર્બોહાઇડ્રેટ્સ ઓછાં હોવાં જોઈએ, જેમ કે પનીર-મગના ચિલ્લાં, પનીર સેન્ડવિચ અથવા સ્ટફ પરાઠા, પનીર ભુર્જી વગેરે લેવાં. 10. કઠોળઃ સોયાબીન, કાબુલી ચણા, રાજમા વગેરેમાં ભરપૂર પ્રોટીન હોય છે. સોયા ચંક ફ્રેંકી, હમસ સેન્ડવિચ(કાબુલી ચણામાંથી બનાવેલ), રાજમા રાઇસ અથવા પરાઠા વગેરે ડિનરમાં લઇ શકાય. આ કોમ્બિનેશન સ્ટેમિના વધારવામાં અને કાર્યક્રમના અંત સુધી એનર્જી લેવલ મેઇન્ટેઇન કરવામાં મદદ કરે છે. નવરાત્રિમાં ઊંઘ ઓછી થવાથી સ્કીન ડલ થઈ જાય છે, આંખ નીચે કાળાં કુંડાળાં થાય છે. એટલે નવરાત્રિ ડાયેટ પ્લાનમાં એન્ટિઓક્સિડન્ટ ફળો ઉમેરવાં. સ્ત્રોત : સોનલ શાહ , Stay Healthy.