<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <p class="ptxtkj">દૂધને ‘સંપૂર્ણ આહાર' કહેવામાં આવે છે, કારણ કે તેમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે. નવજાત શિશુ અને બધાં જ સસ્તન પ્રાણીઓનાં બચ્ચાં શરૂઆતમાં કેવળ માતાનાં દૂધ પર જ નભે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, પોટેશિયમ, વિટામિન B-12 વગેરે શરીર માટે આવશ્યક એવા ઘટકો રહેલાં છે. શાકાહારી લોકો માટે તો દૂધ અને તેની વિવિધ બનાવટો જેવી કે, દહીં, માખણ, ઘી વગેરે કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. દૂધના નિયમિત સેવનથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે અને ઓસ્ટિયોપોરોસિસ થવાનું જોખમ ઓછું થાય છે. દૂધમાં રહેલી શર્કરા એસિડિટીને દૂર કરે છે અને પિત્તજન્ય રોગોમાં રાહત આપે છે. ભાદરવા મહિનામાં પિત્ત વધુ થાય છે એટલે જ આપણે ત્યાં આ મહિનામાં આવતા શ્રાદ્ધ અને શરદપૂનમ દરમિયાન ખીર, દૂધપાક, દૂધપૌંઆ જેવી વાનગીઓ ખાવાનો રિવાજ છે.</p> <p class="ptxtkj">ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ વધુ સારું છે, કારણ કે તેમાં તમામ આવશ્યક એમિનો એસિડ રહેલાં છે અને તેમાં ફેટ ઓછી હોવાથી તે પચવામાં પણ સરળ છે. વધુ વજન કે હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા લોકોએ સ્કીમ્ડ મિલ્ક(ચરબી વિનાનું) દૂધ પીવું હિતાવહ છે.</p> <p class="ptxtkj">સ્ત્રોત: ફેમિના</p> </div>