જ્યારે પ્રતિકૂળ તત્વો શરીરમાં દાખલ થાય ત્યારે શરીર તેનો વિરોધ કરી તેને આત્મસાત કરવા તૈયાર થતું નથી. શરીર માટે આવાં તત્વો વિજાતીય હોય છે. એ તત્વોને બહાર હડસેલવા શરીર જોરદાર પ્રતિકાળ કરે છે. ક્યારેક તો રીતસરનું યુદ્ધ શરૂ કરી દે છે. સ્વાસ્થ્યના દુશ્મનો પર શ્વેતકણો જોરદાર હુમલો કરે છે. જો ચેપનાં સૂક્ષ્મ જંતુઓ કે વિજાતીય તત્વોને નિષ્ક્રિય બનાવવામાં કે તેને ગળી જવામાં શ્વેત કણો સફળ થાય તો ચેપની અસર થતી નથી. પરંતુ આ યુદ્ધમાં શ્વેતકણો પરાજિત થાય તો વિજાતીય તત્વો શરીરમાં સાગમટે પ્રવેશે છે અને તેની વસતી બહોળા પ્રમાણમાં વધવા માંડે છે અને જે તે વ્યક્તિ ચેપનો ભોગ બને છે. ઈયોસિનોફિલ કોષો શરીરમાં પ્રવેશેલાં પ્રતિકૂળ તત્વોને બહાર કાઢવાની પ્રક્રિયારૂપે લોહીમાં રહેલાં ત્રણ પ્રકારનાં શ્વેતકણો બેઝોફિલ, ન્યુટ્રોફિલ અને ઇયોસિનોફિલ કાર્યરત થાય છે. ઇયોસિનોફિલ લોહીમાંનાં શ્વેતકણોના પ્રમાણના ત્રણ-ચાર ટકા જેટલું હોય છે. પરંતુ ક્યારેક આ કાઉન્ટ સાત-આઠ-દસ ટકા કે એથી પણ ઘણું વધી જાય છે. કારણો : શરીર જ્યારે કેટલાંક વિજાતીય તત્ત્વોને આત્મસાત નથી કરતું ત્યારે પેદા થતી પ્રતિક્રિયા - એલર્જીને કારણે ઈયોસિનોફિલ્સ કોષો વધે છે. જેમાં શ્વાસ લેતી વખતે પ્રવેશતાં ધૂળ-ધૂમાડાનાં સૂક્ષ્મકણો, ફૂલોની સુગંધ, ખોરાકમાં આવતી પ્રોટીનયુક્ત ખાદ્યચીજો કે માફક ન આવતાં હોય તેવાં ઔષધો એલર્જી માટે જવાબદાર હોઈ શકે છે. પેટ- આંતરડામાં વિવિધ પ્રકારના કરમિયા થતા હોય, તો ઈયોસિનોફિલ્સ શ્વેતકણોનું પ્રમાણ વધે છે. ફેફસાં-શ્વાસનળી પર ચેપ કે એલર્જીની અસર થાય તો પણ ઇયોસિનોફિલ્સની સંખ્યા વધે છે. એલર્જીક આર્ટિકેરિયા(શીળસ) ખરજવું કે ચામડીનાં કેટલાક દર્દોમાં ઇયોસિનોફિલ્સનું પ્રમાણ વધે છે. હાથીપગા માટે જવાબદાર ફાયલેરિયાનાં કૃમિઓ લોહીમાં પ્રવેશવાથી ઇયોસિનોફિલ્સ કોષોના પ્રમાણમાં ખૂબ વધારો થાય છે. કેટલાક પ્રકારની કેન્સર, હોજ કિન્સ ડિસિઝ તરીકે ઓળખાતા લસિકા ગ્રંથિના કેન્સરમાં ઇયોસિનાફિલ્સ વધે છે. લક્ષણો : ઈયોસિનોફિલ્સનું પ્રમાણ વધ્યું છે કે નહીં તે લોહીની તપાસમાં જાણી શકાય છે. જેમના લોહીમાં તેનું પ્રમાણ વધુ હોય તેવા દર્દીઓમાં કેટલાંક ચિહ્નો વારંવાર જોવા મળે છે, જેમ કે - સૂકી ઉધરસ આવે. ખાસ કરીને રાતત્રે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં ખાંસીના ઉપરા-ઉપરી વેગ આપતાં હોય છે. મોંમાંથી ફિણ-ફિણ જેવો કફ નીકળે છે જે વાયુનું વિચિત્ર લક્ષણ છે. ક્યારેક છીંકો આવે ક્યારેક નાકમાંથી પાણી પણ પડે છે. થોડો તાવ પણ આવી જાય. શ્વાસ અદ્ધર રહેતો હોય એવું લાગે છાતીમાં દુ:ખે. પગની પીંડીઓ-સાંધાઓ પણ દુ:ખે. સારવાર : આયુર્વેદની દૃષ્ટિએ જોઇએ તો આ વિકારમાં મુખ્ય દોષ વાયુ હોય છે. વાયુ સાથે કફ પણ સંકળાયેલો હોય છે. વાયુ અવરોધ પામીને ઉપર ચઢે છે, ત્યારે ખાંસીના વેગ આવે છે. વહેલી સવારનો સમય એ વાયુની ઉત્તેજનાનો સમય છે. દર્દીને માત્ર પેટા પદાર્થો, હલકા ખોરાક ઉપર રાખવો. ખાંસીના એટેક આવે. મગનું પાણી, ઘઉંની રાબ, ચા, દૂધ સિઝનનાં ફળો, વેજિટેબલ સૂપ વગેરે આપવું અને સૂંઠ નાખીને ઉકાળેલું પાણી નરસ લાગે ત્યારે પીવા આપવું. સવારે ખાલી પેટે બેથી ત્રણ ચમચી દિવેલ - એરંડિયું ગરમ પાણી કે ચા અથવા દૂધ સાથે લેવું પણ આ પ્રયોગ તમારા વૈદ્યરાજને પૂછીને જ કરવો હરિદ્રાખંડ અવલેહ - ૧ ચમચી શ્વાસકાસ ચિંતામણિરસ - ૧ ગોળી સુવર્ણવસંત માલતી- ૧ ગોળી સિતોયલાદિ ચૂર્ણ - અડધી ચકચી બધું મિક્સ કરીને દિવસમાં લેવું. શ્વાસકાસચિંતામણિ વાયુનું શીઘ્ર અનુલોમન કરે છે. સુવર્ણવસંત માલતી બલ્ય અને રસાયણ ઔષધ હોવાથી શરીરમાં પ્રવેશતાં વિજાતીય તત્ત્વોનો સામનો કરવા ઇમ્યુનિટી પાવર વધારે છે. સિતોપલાદિ કફ દોષ માટેનાં શ્રેષ્ઠ ઔષધોમાંનું એક છે. હરિદ્રાખંડ અવલેહ એલર્જીની ખાસ દવા છે. આહાર - જીવનશૈલી ઈયોસિનો ફિલિયાના દર્દીએ દિવસ આથમે એ પહેલાં જમી લેવું અને હલકો સુપાચ્ય ખોરાક જ લેવો. તળેલું - ફરસાણ, મીઠાઈ બંધ કરવાં. શક્ય હોય તો દાળ-શાકમાં તેલના બદલે ગાયના ઘીનો વઘાર કરવો. ચોળી, ચણા, વાલ, વટાણા વગેરે કઠોળ ન ખાવાં. શિંગ, શિંગમાંથી બનેલી વસ્તુઓ ન ખાવી. પનીર, ચીઝ, મેંદો, ટામેટાં બંધ કરવાં. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com