આપણે વરસાદ પહેલાં વાતાવરણમાં થતો ફેરફાર જોઈ શકીએ છીએ, જેમ કે બહુ જ બફારો થવાથી સ્કિન ચીકણી થઈ જાય છે અને આપણી પાચનક્રિયા મંદ પડી જાય છે. સામાન્ય રીતે ચોમાસામાં પાચનક્ષમતા (ડાયજેશન કેપેસિટી) ધીમી થઈ જાય છે અને ખોરાક બરાબર પચતો નથી. એટલે, આપણે માટે એ જાણવું જરૂરી છે કે આ મોસમમાં ખરેખર શું શું ખાવું જોઈએ. મોનસુન એવી સિઝન છે જે આપણને બધાંને સૌથી વધારે ગમે છે. મઝાની સાથે સાથે, એમાં સૌથી વધારે જીવજંતુઓ-બેક્ટેરિયા ફાલે છે જેનાથી વાઇરલ ઇન્ફેક્શન, ડાયેરિયા, અપચાની તકલીફો, ફ્લુ અને કફ વગેરે થાય છે. એટલે આપણે માટે આપણી ઇમ્યુનિટીનું લેવલ વધારવું અગત્યનું બની રહે છે. ભલે આપણે હેલ્ધી ડાયેટ ખાતા હોઈએ, પણ એ વધુ અગત્યનું છે કે જે ખોરાક મોન્સુનમાં ખાવાનો હોય તેની પસંદગી કરવી જેથી બીમારી ન આવે. શરીરની તંદુરસ્તી: પ્રથમ તો, આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. આપણે જે ફૂડ સિલેક્ટ કરીએ તેની ક્વોલિટી અને ક્વોન્ટિટી સમજવી મહત્ત્વનું છે. ઓછું ખાવ પણ વધારે વાર ખાવ જેથી એનર્જી લેવલ ઘટી ન જાય અને ખોટો આહાર ખાવાથી બચી શકો. શરીરને સ્વચ્છતાથી તંદુરસ્ત રાખો. એનો અર્થ એ કે નખ, અંગૂઠા, કોણીના સાંધા વગેરે (જ્યાં સૌથી વધારે પરસેવો થતો હોય તે બધી જગ્યા)ને સ્વચ્છ અને કોરી રાખવી. ખોરાકની પસંદગીઃ મોનસુનની સિઝનમાં ફળો વધુ ખાવા હિતાવહ છે જેથી એનર્જી રિસ્ટોર થાય. ફળોમાં પેર, સફરજન, દાડમ, કિવી વગેરે ખાઈ શકાય. મોસમી ફળો (સિઝનલ ફ્રૂટ્સ) પસંદ કરવાં. આખો દિવસ પૂરતું પાણી પીવો. દૂધી, ગલકાં, તૂરિયાં વગેરે જેવાં પચવામાં હલકાં અને જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવાં શાકભાજી વધારે ખાવાં.. કાચાં શાકભાજી એક્ટિવ બેક્ટેરિયા અને વાયરસ ધરાવતાં હોઈ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન ફેલાવનાર હોવાથી કાચાં કરતાં બાફેલાં શાકભાજી ખાવાં. . રોજ એક બાઉલ ગરમ હેલ્ધી સૂપ લેવો. કોઈ પણ શાકભાજી મિક્સ કરો અને દિવસમાં એક વાર સૂપ લો. હેલ્ધી સૂપ્સમાં વિવિધ પોષક તત્ત્વો હોય છે જેનાથી ચોક્કસપણે શરીરની ઇમ્યુન સિસ્ટમમાં વધારો થાય છે અને તે શરીરને ફ્લુથી દૂર રાખે છે.આ સિઝનમાં લીમડો, કારેલાં જેવી કડવી ચીજો ખાવાનું રાખો, જેથી સ્કિન ઇન્ફેક્શન્સ અને એલર્જીસથી બચી શકાય. આ અદ્ભુત ઉપાયથી તમામ પ્રકારનાં સ્કિન ઇન્ફેક્શન્સથી દૂર રહી શકાય છે. હંમેશાં શાકભાજી ચાલુ પાણીમાં વ્યવસ્થિત રીતે ધોવાં અને ખાસ તો જો કાચાં ખાવાનાં હોય તો તેમને કોરાં કરી લેવાં. હર્બલ રેમેડીઝઃ ભારતીય વનસ્પતિઓ જેમ કે આદુ, તુલસી, ફૂદીનો, મરી, લેમનગ્રાસ, મધ વગેરેથી બનેલ હર્બલ ટીનો વધારે ઉપયોગ કરો. વધુ પડતાં ચા-કોફીથી શરીરનું પાણી ચૂસાઇ જાય છે (ડીહાઇડ્રેટ થાય છે) એટલે ઓછા પ્રમાણમાં લેવાં જોઈએ. . હળદર એ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ તરીકે કામ કરે છે. આ મેજિકલ હર્બ રોજ રાત્રે ગરમ દૂધમાં નાંખીને પીવાનો પ્રયાસ કરો. રાત્રે શક્ય તેટલા જલદી જમી લેવાનું રાખો. . કાચા લસણથી શરીરની ઇમ્યુનિટી વધે છે. શાકના સૂપમાં લસણ ઊમેરી શકાય.. આટલું ટાળોઃ કોબી, ફુલેવર જેવાં શાકભાજી ટાળો કેમ કે આવાં શાક પચવામાં ભારે હોય છે અને ગેસ્ટ્રિક તકલીફ કરે તેવું બને. પાલક, મેથી જેવી ભાજીઓ પણ આ સિઝનમાં ન ખાવી કેમ કે તેમાં જીવાત હોવાની શક્યતા હોય છે. કોઈ સ્ટ્રીટ ફૂડ ન ખાવું. . સૌથી અગત્યનો મુદ્દો: વરસાદ દરમિયાન કોઈ પણ હિસાબે એક્સરસાઇઝ બંધ ન કરવી. એનું ફૉર્મ બદલી શકો જેમ કે યોગ, જીમ, ઝુમ્બા વગેરે ઇન્ડોર એક્સરસાઇઝ કરવી. . વરસાદની મઝા ફેમિલી અને ફ્રેન્ડઝ સાથે માણો અને તમારો કાયાકલ્પ થવા દો!!!. સ્ત્રોત : નવગુજરાત સમય