કાયમી શરદીવાળો ૮ વર્ષનો અર્થ સ્કૂલથી ઘરે આવીને પહેલું પૂછે છે કે શું જમવાનું બનાવ્યું છે? જો પરોઠા- શાક કે ભાખરી શાક કે ખીચડીનો જવાબ મળે તો કહેશે, મને ભૂખ નથી. નથી જમવું. મોં પર થોડા કરોળિયાના સફેદ ડાઘ ધરાવતી ત્રણ વર્ષની મહેક બપોરે Paly groupમાંથી ઘરે આવીને દાળ-ભાત-શાક-રોટલી-છાશ બધું જમી લે છે, પણ સાંજના જમવામાં કજીયા કરે. મને ભૂખ નથી. મારે નથી જમવું અવારનવાર માથાના દુ:ખાવાની ફરિયાદ કરતો ૧૧ વર્ષનો આર્યન બપોરે ૩ વાગે સ્કૂલથી ઘરે આવે છે. આવીને ઠંડા પીણા કે જ્યુસ સાથે પિન્ઝા કે સેન્ડવીચ મળે તો જ ખાય છે. બાકી રોટલી-દાળ-ભાત- શાક સામે જોવાનું પણ એને પસંદ નથી. એ કહી દે છે કે મને ભૂખ નથી. મારે નથી જમવું. ૨૭ વર્ષની કોમ્પ્યુટર એન્જિનિયર પ્રાચીને ગરદન દુ:ખે છે. Lunchમાં તો થેપલાં કે પરોઠા શાક કે રોટલી શાક મન વગર પણ જમી લે છે, પણ સાંજે તો જમવામાં કંઈ નવી જ વેરાઈટી જોઇએ. ચાઈનીઝ વસ્તુઓ અતિપ્રિય છે. જો એ બધું ના હોય તો બહાર જમવા જાય કે ઓર્ડર કરે અથવા ‘મને ભૂખ નથી, મારે નથી જમવું’ જેવાં બહાનાં કાઢે. ગેસ-એસિડીટીની તકલીફવાળા ૬૦ વર્ષના બચુભાઈને રોજ જમવામાં ફરસાણ અને ગળપણ જોઇએ જ. નહીં તો મને ભૂખ નથી. મારે નથી જમવું એવું કહી દે. આ બધા અલગ-અલગ ઉંમરના દર્દીઓ છે. બધાની ખોરાકની રુચિ-પસંદગી અલગ છે, પણ બધાની ફરિયાદ એક જ છે. મને ભૂખ નથી મારે નથી જમવું. મંદાગ્નિ- અજીર્ણ : ખોરાક બરાબર ન પચે, ભારે અજીર્ણ થાય અને એના મૂળમાં મંદાગ્નિ હોય. તમારા પેટમાં –શરીરમાં રહેલો જઠરાગ્નિ મંદ પડી જાય ત્યારે રોગો પેદા થાય અને શરૂઆત ‘મને ભૂખ નથી, મારે જમવું નથી’- થી થાય. જઠરાગ્નિના પ્રકારો : જઠરાગ્નિ ચાર પ્રકારનો હોય છે. સમ,મંદ,તીક્ષ્ણ, અને વિષમ સમ-અગ્નિ સિવાયના ત્રણેય અગ્નિથી અજીર્ણ અપચો થાય છે. અંગ્રેજીમાં આ સમસ્યાને Indigestion કહે છે. મંદજઠરાગ્નિ : દર્દીના ચહેરા પર સોજા ન હોય, પણ થોથર જામેલી હોય તેવો મોટો થઈ જાય છે. પેટ અને શરીર ભારે લાગે છે. ઉલટી થશે તેવું થયા કરે. ખાધેલું ન પચ્યું હોય એવા ઓડકાર આવે. મળમાં ચિકાશ હોય તેવું લાગે. આ પ્રકારના અજીરણને આમાજીર્ણ કહે છે. જે મંદ જઠારાગ્નિ કારણે થાય છે. તીક્ષ્ણ જઠરાગ્નિ:ખાટા ઓડકાર આવે, પેટ-છાતીમાં બળતરા થાય ક્યારેક ચક્કર આવે, તરસ લાગે, પરસેવો વળે વગેરે સમસ્ચાઓ થતી હોય છે. જેને વિદગ્ધ અજીર્ણ કહે છે. તીક્ષ્ણ જઠરાગ્નિને કારણે થાય છે. વિષમ જઠરાગ્નિ : પેટ ન દુ:ખે, પેટ ફૂલી આફરો આવે, કબજિયાત રહે, વાછૂટ ના થાય, સોયો ભોંકાતી હોય તેવું લાગે, ક્યારેક દર્દી ભાન ગુમાવી દે વગેરે સમસ્યાઓ વિષ્ટબ્ધાજીર્ણ કહેવાય છે. જે વિષમ જઠારાગ્નિને કારણે થાય છે. સમસ્યા આ છે: આપણે જઠારાગ્નિની સ્થિતિને અવગણીને ખોરાક લઈએ છે. આજકાલની મમ્મીઓમાં ધૈર્ય- ધીરજ રહી નથી, માટે સ્કૂલથી આવેલા બાળકને તરત ‘ જમાડી લેવું’ એવું અભિયાન ચાલુ થાય. બાળકને ભૂખ છે કે નહીં તેની દરકાર મમ્મીઓ કરતી નથી. થોડા થોડા સમયના અંતરે નાસ્તા-દૂઘ-આઈસ્ક્રમ-ચોકલેટ-બિસ્કીટ વગેરે ખાધા કરવાની ટેવ ને કારણે બાળકો અપચા- અજીર્ણ અને મંદાગ્નિના ભોગ બને છે. સમશન: કોઈ શોકજનક ઘટના બની હોય અને તેના આધાતથી મન ક્ષુબ્ધ બન્યું હોય છતાં ખાવામાં આવે, કે ખૂબ કોધ પછીના ધૂંધવાટ સાથે લેવાયેલું ભોજન ને સમશન કહે છે. જે અજીર્ણપેદા કરી છે. વિષનાસન: ભૂખ લાગ્યા વિના ખાવું, પેટમાં ડોસી-ઠાંસીને ખાવું કે ભૂખ હોય તેના કરતાં ઘણું ઓછુ ખાવું વગેરેને વિષનાસન કહે છે જે અજીર્ણ પેદા કરે છે. અધ્યશન: પહેલાનું ખાધેલું પચ્યુ ન હોય અને થોડીવાર પછી ફરી ખાવમાં આવે તો શાસ્ત્રકારો તેને અધ્યશન કરે છે શું કરું છું: આજની જીવનશૈલીમાં શ્રમ-પરિશ્રમ ખૂબ ઘટવા માંડ્યા છે. બાળકો, ટી.વી કોમ્પયુટરને કારણે અથવા જગ્યાના અભાવે શારીરિક શ્રમ પડે તેવી રમતો રમતાં નથી. જેને કારણે ખાધેલો ખોરાક પૂરે પૂરો પચતો નથી. માટે સૌ પ્રથમ વ્યાયામ વધે તેવી પ્રવૃત્તિ કરવી. ઉજાગરા કરવા નહીં, દિવસે ઊંઘવું નથી. ઉપચાર ક્રમ: સૂંઠ, મરી,પીપર,હીંગ,, સિંધાલૂણને સરખા ભાગે ભેગાં કરીને ગરમ પાણીમાં mix કરીને પાતળી પેસ્ટ બનાવીને પેટ ઉપર નાભિની આસપાસ લગાડવું. શાસ્ત્રકારો કહે છે કે તેનાથી સર્વપ્રકારના અજીર્ણ અપતા મટે છે. જમ્યા પછી લીંબુના ચોથા ભાગના કટકા ઉપર સંચળ અને મરી ભભરાવીને ચૂસી જવાથી અથવા થોડા પાણીમાં Mixકરીને લેવાથી ખોરાક પચી જાય છે અને સાચી ભૂખ- રુચિ ઉઘડે છે. બૃહત શંખવટીની એક-એક ગોળી જમતી વખતે વચ્ચે પાણી સાથે લઈ. એનાથી વાયુનું અનુલોમન થતાં આફરો-ગેસ મટે છે. પેટના દુ:ખાવામાં ઝડપથી રાહત થાય છે. આરોગ્યવર્ધિની રસને કુવારંપાઠાના રસથી સંસ્કારિત કરવામાં આવે છે. તેનાથી લીવર-યકૃતની કાર્યક્ષમતા સુધરતાં ભૂખ સારી લાગે છે. તેમાં રહેલું કડુ નામનું ઔષધ દૂષિત પિત્તનું મળ માર્ગે નિર્હરણ કરે છે. તરસ લાગે, ભૂખ વાગે અને શરીર હલકું બને, કામ કરવાની ઇચ્છા થાય એ અજીર્ણ-અપચો મટ્યાની નિશાનીઓ છે. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com