મધ્યપ્રદેશના આદિવાસી વાઘની તરાપ અને કરડવાથી લોહીલુહાણ થાય છે ત્યારે કુંવારપાઠાના પાનની ઉપરની છાલ કાઢી નાખી અંદર રહેલા ગાર્મ(Pulp)ને ગરમ કરી હળદર નાખી પહેલા ઘા પર બાંધે છે. જેનાથી થોડા દિવસોમાં ઘામાં રુઝાવા માંડે છે અને ઘામાં પાક પણ થતો નથી. ધૃત કુમારી: ગ્વારપાઠાને નામે જેને આદિવસીઓ ઓળખે છે, તેને બંગાળીમાં ધૃતકુમારીના નામે જાણે છે કારણ કે તેના હ્રષ્ટપુષ્ટ પાંદડાઓની વચ્ચે રહેલો ગર્ભ(પલ્પ) થીજી ગયેલા ઘી જેવો હોય છે. સંસ્કૃત પંડિતોએ તો વળી કુમારી અને ગૃહકન્યા જેવાં સોહામણાં નામ આપ્યાં છે. જેમ ઘરમાં કન્યા ઉપસ્થિત હોય ત્યારે જેમ ઘર ભર્યું ભર્યું લાગે અને ગૃહકાર્યમાં ઉપયોગી થાય તેમ આ કુંવારપાઠું શરીરને સ્વાસ્થ્યના રસથાળથી તરબતર રાખે છે. અનેક દર્દોમાં પણ ઉપયોગી યુવતીઓનું સૌંદર્ય વધારતું કુંવારપાઠું અનેક દર્દોમાં પણ ઉપયોગી છે : એલોવેરા ઉર્ફે કુંવારપાઠું સૂર્યના ઉગ્ર તાપ અને બર્ફીલી ઠંડી સામે રક્ષણ આપે છે. એટલે અમેરિકા અને યુરોપની યુવતીઓમાં Aloevera ના ઘટકવાળી મેક કિટ્સ પ્રિય થઈ ગઈ છે. કબજિયાત: તંદુરસ્ત જીવન જીવવાની કળા-કૌશલ્ય શીખવતા આપણા આયુર્વેદમાં કુંવારપાઠાના ઘણા ઉપયોગ દર્શાવ્યા છે. ઘણી રસ ઔષધિને કુંવાર પાઠાના રસથી સંસ્કારિત કરવામાં આવે છે. કુંવારપાઠું યકૃત-Liver, પ્લીહા-Spleenને ઉતેજિત કરીને તેના કાર્ય શૈથિલ્યને દૂર કરી સક્ષમ બનાવે છે. જેનાથી ભૂખ સારી લાગે છે. પાચનનું કાર્ય બરાબર થાય છે. મોટા આંતરડા અને ગુદનાલિકાની કાર્યક્ષમતા વધારી મળનું નિર્હરણ કરીને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે. માસિકની સમસ્યા : માસિક ઓછું આવવું, સ્પોટિંગ, બ્લિડિંગ, દુ:ખાવા સાથે માસિક આવવું, PCOS, નિયત સમય કરતાં મોડું માસિક આવવું વગેરે સમસ્યાઓમાં કુંવારપાઠાથી બનતી ઔષધિ ખૂબ સારું કામ આપે છે. કુંવારપાઠામાંથી કઢાયેલા સત્વને એળિયાના નામથી ઓળખવામાં આવે છે. ગુણમાં ઉષ્ણ અને તીક્ષ્ણ હોવાથી એળિયો ગર્ભાશયમાં લોહીનું સંવહન વધારી દે છે અને ગર્ભાશયની પેશીઓને ઉત્તેજિત કરીને એના સંકોચ-વિકાસની ક્રિયા વધારે છે. જેનાથી રોકાયેલું માસિક આવવા માંડે છે. કુમારીઆસવ, રજ: પ્રવર્તીની વટી, કન્યાલોહાદિવટી વગેરે ઔષધોમાં કુંવારપાઠાનો ઉપયોગ થયેલો છે. રોગ અને દોષની તીવ્રતા પ્રકૃતિ વગેરેને ધ્યાનમાં લઈ ઔષધ આયોજન કરવાનું હોય છે, માટે નજીકના વૈદ્યરાજનો સંપર્ક કરી ઉપર્યુક્ત ઔષધો લઈ શકાય. નોંધ : ગર્ભવતી સ્ત્રીઓએ આ ઔષધો ન લેવાં. ફાઈબ્રોઈડ્ઝ : આચાર્ય ભાવપ્રકાશના મત અનુસાર કુંવારપાઠું ગાંઠોને પણ ઓગાળે છે. અને ગર્ભાશયની ગાંઠો, ફાઈબ્રોઈડ્ઝ, ઓવરી સિસ્ટનું પણ કુંવારપાઠાના યોગો ઉપયોગી છે. ભૂખ ઓછી લાગવી: આદિવાસીઓથી માંડી આયુર્વેદના મહર્ષિઓએ કુંવારપાઠાને બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. અમૃતસર અને સૂરતના કેટલાક વિસ્તારોમાં કુંવારપાઠાના કકડાને મીઠામાં નાંખી તેનું અથાણું કરે છે. અને જેનાથી ભૂખ ઓછી થઈ ગઈ હોય તેઓને આપે છે. પ્રસાધનો : એલોવેરા- કુંવારપાઠાનો નહાવાના સાબુઓમાં, વાળ ધોવાના શેમ્પુઓ અને ચામડીને સુંવાળી અને ચમકતી રાખવા માટેના ક્રીમ અને લોશનોમાં ઉપયોગ થાય છે. એલોવેરાની જેવી તેની સ્નિગ્ઘતાને કારણે મોઈશ્ચરાઈઝર અને વેનીશીંગ ક્રિમના બેઝ મટિરિયલ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત તેમાં બેક્ટેરિયા અને ફંગસ વિરોધી તત્ત્વો રહેલાં છે. તેના એન્ટિઇન્ફલેમેટરી અને પેઇનકિલર તત્ત્વોનો કારણે ઘામાં પાક કે દુખાવો થતો નથી. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com