ક્યારેક ઝાડા તો ક્યારેક કબજિયાત નબળા પાચનતંત્રની સમસ્યા હોજરી અને નાના આંતરડાની વચ્ચેનો ભાગ જે ગ્રહણી કહેવાય છે, તેની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય ત્યારે આ રોગ લાગુ પડે છે ગ્રહણી એટલે શું? હોજરી (જઠર) અને નાના આંતરડાની વચ્ચે ગ્રહણી આવેલી હોય છે. જેને Duodenum તરીકે પણ ઓળખવામાં આવે છે. આહાર હોજરીમાં આવે, તેના પર પાચકરસો દ્વારા પાચનનું કામ થાય છે. ત્યાં પાચન એકથી દોઢ કલાક સુધી રહે છે. પછી હોજરીનું દ્વાર ખુલે છે અને આહાર રસ નાના આંતરડામાં જાય છે. આ રોગમાં હોજરી અને નાના આંતરડાની વચ્ચેનો ભાગ જે ગ્રહણી કહેવાય છે, તેની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય છે અને બદલે કાચો અને કાચો પકવાશયમાં છોડી દે છે. જઠારાગ્નિ: ગ્રહણી નબળી પડવાનું મુખ્ય કારણ જઠરનો અગ્નિનું મંદ પડવું તે છે. જઠરાગ્નિ મંદ પડતાં ખોરાકનું બરાબર પાચન થતું નથી, જેના કારણે પોષક તત્વોની ઉણપ સમગ્ર શરીર પર પડે છે. આયુષ્ય, આરોગ્ય, વીર્ય, શરીરની ધાતુઓ, બળ, ઓજ, શરીરનો વર્ણ આ બધા મજબૂત-સક્ષમ ગ્રહણીથી પુષ્ટ થયા કરે છે. ગ્રહણી રોગનાં ચિહ્નો દર્દીને ક્યારેક પાતળા ઝાડા થાય છે તો ક્યારેક મળ બંધાઇને આવે છે. ખોરાક પ્રત્યેની રુચિ તદ્દન ઘટી જાય છે. ક્યારેક જમ્યા પછી તરત લેટ્રીન જવાની ઇચ્છા થાય છે. અશકિત, માથાના દુ:ખાવાની ફરિયાદ રહે છે. આંખોની આસપાસ કુંડાળાં વધી જાય છે. ક્યારેક મોં પર તો ક્યારેક પગે સોજા આવે છે. ઝાડા, મરડો અને ગ્રહણી આ ત્રણેય દર્દો પાચનતંત્રની ગરબડ કારણે થાય છે. તેથી નજીક-નજીકનાં દર્દો કહેવાય છે. આમ, છતાં ત્રણેય તદ્દન ભિન્ન છે. જિહ્વાલૌલ્યમ : જીભની લોલુપતા, જીભના ચટાકા જેને કહેવાય છે તે, આ દર્દ થવા માટેનું મુખ્ય કારણ છે. સમયસર ભોજન ન કરવું ગમે ત્યારે ખાવું, ગમે ત્યાં ખાવું, પહેલાંનું, ખાધેલું ના પચ્યું હોય, મીઠાઈ વગેરે ભારે ખોરાક લીધા કરવો. મનોવશાદ: વિષાદયુક્ત મન દર્દને વધારે છે, તેથી જીવનમાં ચિંતાઓ- Stress આ દર્દને પ્રોત્સાહિત કરે, માટે વિષાદ-દુ:ખ-ચિંતા-Stressને દૂર કરવા અને દૂર રાખવા. એ માટે સંગીત, અધ્યાત્મ, તત્વજ્ઞાનના સંસર્ગમાં રહેવું. ઉપચાર ક્રમ: ચિત્રકાદિવટી- ચિત્રક, પીપરીમૂળ, જવખાર, પંચલવણ, સૂંઠ, મરી, પીપર, હિંગ, અજમો અને ચવકને દાડમ અને બીજોરાના રસમાં ઘૂંટીને ગોળી બનાવવામાં આવે છે. જેને ચિત્રકાદિ વટી કહે છે. આ ચિત્રકાદિવટીની બે-બે ગોળી જમતી વખતે વચ્ચે છાશ સાથે લેવી. આચાર્ય ભાવપ્રકાશ કહે છે કે ચિત્રકાદિવટીથી અપક્વ આહાર રસ (આમ)નું પાચન થાય છે અને જઠારાગ્નિ તત્કાળ પ્રદીપ્ત થાય છે. બિલ્વફળની પેસ્ટ: કાચા બિલાનો પાવડર, સૂંઠનો પાવડર સરખા ભાગે લઈ અને તેનાથી ડબલ ગોળ નાખીને લસોટીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટ એક-એક ચમચી છાશ સાથે લેવી. શાસ્ત્રકારો કહે છે કે તેનાથી અતિ ઉગ્ર ગ્રહણી રોગ પણ મટે છે. ઉપર્યુકત ઔષધો ઉપરાંત રસપપેટી, પંચામૃત પર્પટી, સુવર્ણપર્પટી , ભિલામાના યોગો, ક્રવ્યાદરસ વગેરે ઔષધો પણ યોજવામાં આવે છે, જે રોગની ઉગ્રતા, દર્દીની પ્રકૃતિ વગેરેને ધ્યાનમાં રાખીને આપવાના હોય છે, માટે તમારા નજીકના વૈદ્યરાજનો સંપર્ક કરીને ઓષધો લેવા. Food & life style: ગ્રહણી રોગને આધુનિકોના IBS (irritable Bowel Syndrome)ની નજીકનો રોગ ગણાય, જેમાં આહાર અને રહેણીકરણી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આહાર: છાશ એ આ દર્દનું શ્રેષ્ઠ ઔષધ છે. તાજા મોળા દહીંમાં ચાર ગણું પાણી નાખીને વલોવવું અને તરત પી જવી. મૂકી રાખવાથી છાશ ખાટી બની જાય છે. છાશમાં ઘાણાજીરૂ, અને સિંધાલૂણ નાખીને લેવી. હલકો સુપાચ્ય ખોરાક જેમ કે ચોખાનું ઓસામણ, મગનું પાણી, પાતળી દાળ, પ્રમાણસર મસાલા સાથે લેવાય. ઘઉં, અડદ,વટાણા, ચોખા પચવામાં ભારે છે, એટલે તેમાંથી બનતી ખાદ્ય ચીજો તકલીફ હોય ત્યાં સુધી ના લેવી. મશરૂમ, દૂધી, સૂરણ-બટાકા, અળવીનાં પાન, સરગવાની શીંગ, દ્રાક્ષ, નારિયેળનું પાણી, મધ, દૂધના લેવાય. દાડમ, જાંબુ, તાંદળજાની ભાજી લઈ શકાય. જીવનશૈલી: વધારે પડતી મહેનત કરવી નહીં. તાપમાં ફરવું નહીં દિવસે ઊંઘવું નહીં ઉજાગરા કરવા નહીં. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com