આમળાંની સીઝન હવે શરૂ થઈ ગઈ છે. આમળાંમાં નારંગી કરતાં ૨૦ થી ૩૦ ગણું વિટામિન ‘સી’ હોય છે. આમળાં કોઈપણ સ્વરૂપમાં લેવામાં આવે તો પણ તેનું વિટામિન ‘સી’ નષ્ટ થતું નથી. વિટામિન ‘સી’નું શરીરમાં પ્રોડક્શન ન થતું હોવાથી તે સતત બહારનાં મધ્યમો દ્ધારા મેળવવું પડે છે વિટામિન ‘સી’ની ખાસિયતો: વિટામિન ‘સી’ એન્ટિઓકિસડન્ટ છે. શરીરમાં લોહી સાથે ફરતાં વિષાકત તત્વો-toxins જે શરીરમાંના કોઈને કોઈ અવયવોને નુકશાન પહોંચાડે છે, તેને શરીરની બહાર કાઢવાની કામગીરી વિટામિન ‘સી’ કરે છે. વ્યસન: તમાકુનું સેવન કરનારાઓના શરીરમાં ફ્રી રેડિકલ્સ એટલે કે નુકસાન કરતાં ઘટકો મોટી સંખ્યામાં જોવા મળે છે. તળેલા નાસ્તા: વધુ પડતી ચરબીવાળો ખોરાક, તળેલી ચીજો ખોરાકમાં લેનારાઓના શરીરમાં ફ્રી રેડિકલ્સ વધુ ફરે છે. એજિંગ: આ ફ્રી રેડિકલ્સ વધારે સમય સુધી શરીરમાં રહે તો એજિંગની પ્રોસેસ શરૂ કરી દે છે. એટલે કે વાળ ઝડપથી સફેદ થઈ જવા, મોં પર કરચલીઓ પડી જવી સાંદાના દુ:ખાવા વગેરે. સંશોધન: એક સંશોધન પ્રમાણે ફ્રી રેડિકલ્સ હાર્ડડીસીઝ, સંધિવા અને કેન્સર માટે પણ જવાબદાર છે. વિટામિન ‘સી’: શરીરને નુકસાન કરતાં આવાં Toxins વિટામિન ‘સી’ ના સંપર્કમાં આવતાં તેની સાથે ભળી જઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે.વિટામિન ‘સી’નું શરીરમાં પ્રોડક્શન ન થતું હોવાથી તે સતત બહારનાં મધ્યમો દ્ધારા મેળવવું પડે છે અને તે યુરિન વાટે શરીરની બહાર નીકળી જાય છે. શરીરમાં તેનો સંગ્રહ પણ થતો નથી. કોલેજન: વિટામિન ‘સી’ની એક મહત્વની કામગીરીમાં તે શરીરમાં એક મહત્વનું પ્રોટીન બનાવે છે. આ કોલેજન તરીકે ઓળખવામાં આવે છે. વિટામિન ‘સી’ થી બનતું કોલેજન નામનું પ્રોટીન જખમ(ઘા) રુઝવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત ચામડી રક્તવાહિનીઓ, લિગામેન્ટ (શરીરના સાંધાઓ પાસેના સ્નાયુઓ) બનાવવાની કામગીરી કરે છે. તેથી જ હાડકાં તૂટી ગયાં હોય ત્યારે વિટામિન ‘સી’ની ટેબ્લેટ અપાય છે. હાડકાં, દાંત અને કાર્ટિલેજ-પોચાં હાડકાંને રિપેર કરવાની અને જાળવણી કરવાની કામગીરી વિટામિન ‘સી’ કરે છે. વિટામિન ‘સી’ની ઉણપ વિટામિન ‘સી’ની ઉણપને કારણે શરીરમાં નીચે મુજબના ફેરફારો જોવા મળે છે: એનિમિયા- રક્તાલ્પતાનું જોખમ રહેલું છે. દાંતનાં પેઢાંમાંથી લોહી નીકળવાની તકલીફ થાય છે. શરીર પર ક્યાંક વાગે તો કાળાં ઝીમા પડી જાય છે. રોગપ્રતિકારક શકિત નબળી પડે છે. તેને કારણે રોગોનું સંક્રમણ ઝડપથી થઈ શકે છે અને વારવાર માંદગી આવી શકે છે. કોઈપણ જગ્યાએ પડેલો ઘા ઝડપથી રૂઝાતો નથી. વાળ સૂકા અને બરછટ થઈ જાય છે. વારંવાર નસકોરી ફૂટવાની સમસ્યા રહે છે. વિટામિન ‘સી’ના અભાવથી શરીરમાં ચયાપચયની ક્રિયા મંદ પડી જતાં વજન પણ વધી જાય છે ત્વચા રુક્ષ રહે છે. સાંધામાં સોજો આવી જાય છે અને સાંધામાં દુ:ખાવો થાય છે. દાંતનું ઈનેમલ ખરી પડવાની સમસ્યા થાય છે. યાદશક્તિ ઘટતી હોય એવું લાગે. વિટામિન ‘સી’ શેમાંથી મળે? શાકભાજી: ગાજર, કોબિઝ, ફલાવર, ટામેટાં, બટાકા. લીબું, પાલક, કેપ્સિકમ, લાલ મરચાંમાં વિટામિન ‘સી’ સારી માત્રામાં હોય છે. ફળો: જામફળ, પપૈયું, કિવી, નાંરગી, મોસંબી, દ્રાક્ષ, પાઈનેપલ, સ્ટ્રોબરી, રાસબરી, પ્લમ, આમળાં, દાડમ વગેરે. આમળાંનો મુરબ્બો: 500 ગ્રામ આમળાંને વરાળથી બાફીને ઠંડા પડવા દીધા પછી અંદરનો ઠળિયો કાઢીને પેશીઓ અગલ પાડી દેવી. 750mg ખાંડમાં પ્રમાણસર પાણી નાંખીને બે તારી ચાસણી બનાવીને અંદર આ બાફેલાં આમળાં, 5 લવીંગ+ તજના 5 ટુક્ડા નાખીને, આમળાંમાંનું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો. ઠંડુ પડ્યે તેમાં 15 ઈલાયચીનો પાવડર mix કરવો. ઠંડુ થયા બાદ ભરી લેવો. આમળાંની સીઝન ન હોય ત્યારે આ આમળાંનો મુરબ્બો નિયમિત ખાવાથી રોગો થતા નથી, પણ વાળ અને સ્કીનનું લસ્ટર-ચમક વધે છે. આમળાં-કેસર જામ: બાળકોને જામ ભાવતા હોય છે. આમળાં અને કેસરનો જામ ખૂબ સ્વાદિષ્ટ બને છે. રેસા વગરનાં આમળાંને પાણી વગર બાફીને, એના ઠળિયા કાઢીને બાકીનાં આમળાંને પલ્પ બનાવવો. એમાં સરખા માપે ખાંડ નાંખીને ખાંડ ઓગળવા દેવી. કેસરના તારને ઘૂંટીને એમાં ઉમેરવા. સોનેરી પીળા કલરનો આ પલ્પ હેલ્થી છે. લીબું પાણી: ૨૫૦ml પાણીમાં એક લીબું અને પા ચમચી સિંધવ પાવડર ઉમેરીને દિવસમાં એકવાર પીવાથી વજન ઘટતું જાય છે અને સોજા પણ ઉતરી જાય છે. લીબુંનું શરબત: કોઈપણ સર્જરી પછી અથવા વારંવાર શરદી થઈ જતી હોય એમણે ફ્રેશ લીબુંનું શરબત સિંધવ, સાકર, મરી પાવડર નાખીને રોજ પીવું જોઇએ. વિટામિન ‘સી’થી ટાંકા પાકતા નથી અને રોગ પ્રતિકારક શકિત વધતાં શરદી મટે છે. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com