પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ આપણે જાણીએ છીએ કે, જુદા જુદા પાકોને જુદા જુદા અંતરે વાવવામાં આવે છે. માટે અંતરને અનુરૂપ અને પાકની જરૂરીયાત મુજબ જુદી જુદી પિયત પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી પિયત પધ્ધતિ નીક પાળા પધ્ધતિ : આ પધ્ધતિ ખાસ કરીને વધારે ઢાળવાળી, વધારે નિતારવાળી, હલકી જમીન અને નાના મશીનો અથવા ઈલે. મોટર ધ્વારા મર્યાદીત પાણીના વહન માટે ઉપયોગી થાય છે. આ પધ્ધતિમાં નાના નાના કયારા બનાવી નીક ધ્વારા પિયત આપવામાં આવે છે. જેથી પાણીના બગાડ વગર પાકને એક સરખું પિયત આપી શકાય છે. લાંબા કયારા પધ્ધતિ :આ પધ્ધતિમાં કયારા પ્રમાણમાં ઘણા લાંબા (લગભગ ખેતરની લંબાઈ જેટલા) બનાવી પિયત આપવામાં આવે છે. દા.ત. ઘઉં, લસણ, ડુંગળી, ઉનાળુ મગફળી અને ઘાસચારાના પાકો વગેરે. આ પધ્ધતિ ઓછી નિતાર, સપાટ જમીન અને વધારે પાણીના પ્રવાહ માટે અનુકૂળ છે પરંતુ લાંબા કયારાના કારણે જમીનનું ધોવાણ અને પાણીનો બગાડ થતો હોવાથી યોગ્ય ન હોઈ, ઓછી લંબાઈના કયારા બનાવવાથી પાણીની કરકસર કરી શકાય છે. ગોળ ખામણા (રીંગ) પધ્ધતિ :આ પધ્ધતિ ખાસ કરીને વધારે અંતરે વાવવામાં આવતા અને જમીન પર પથરાતા વેલાવાળા પાકો જેવા કે દૂધી, કારેલી, તૂરીયા, ગલકાં વગરે માટે અનુકૂળ છે. ખામણામાં જ પિયત આપવામાં આવતું હોવાથી પાણીનો બચાવ સારા પ્રમાણમાં થઈ શકે છે. શેરયા ( ફરો) પધ્ધતિ : આ પધ્ધતિ ખાસ કરીને શેરડી, બટાટા, સકકરીયા વગેરે પાકો માટે વધુ અનુકૂળ છે. જમીનનો ઢાળ, નિતાર અને પાણીના પ્રવાહને ધ્યાનમાં લઈ યોગ્ય લંબાઈના ધોરીયા પાળા (રીઝીંગ ફરો) બનાવવાથી પાણીનો બચાવ થઈ શકે છે. ફુવારા પિયત પધ્ધતિ : આ પધ્ધતિમાં પાણી પાઈપ લાઈન ધ્વારા પાઈપમાં ફુવારા ગોઠવી પાણીનાં ઉંચા દબાણથી ફુવારા ધ્વારા વરસાદની માફક પાકને પાણી આપવામાં આવે છે. આ પધ્ધતિનો ઉપયોગ કરવાથી રપ–૩૦ ટકા જેટલો પાણીનો બચાવ થાય છે. આ પધ્ધતિ અમુક પાકને પરિસ્થિતિમાં ખૂબ અનુકૂળ છે. સુચનાઓ ખેતીમાં પાકને અસરકારક પિયત મળી રહે તે માટે નીચેની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવો. જમીનનો ઢાળ, જમીનનો પ્રકાર અને પાણીના પ્રવાહને ધ્યાનમાં લઈ યોગ્ય માપના કયારા બનાવવા. દા.ત. વધારે નિતારવાળી રેતાળ જમીન, વધારે ઢાળ અને ઓછો પાણીનો પ્રવાહ હોય તો ટૂંકા કયારા બનાવવા વગેરે. ખેતરમાં જમીનને તૈયાર કરતી વખતે સપાટ અને એકસરખો ઢાળ મળી શકે તે રીતે કયારા બનાવવા. જેથી દરેક કયારામાં એકસરખું પાણી પાકને મળી રહે. પાક પ્રમાણે યોગ્ય પિયત પધ્ધતિ પસંદ કરી, પધ્ધતિ પ્રમાણે અસરકારક રીતે પિયત આપવાનું આયોજન કરવું. નીંદણને પાણીની ખૂબ જ જરૂરીયાત રહેતી હોઈ, નીંદણ નિયંત્રણના બધા ઉપાયો કરવા. પાકને જરૂરીયાત પૂરતું જ પિયત આપવું. વધુ પિયત આપવાથી પાક ઉત્પાદન વધારવાને બદલે રોગ–જીવાત–જમીનના પ્રશ્નો ઉભા થાય છે. જે તે પાકને તેની કટોકટીની અવસ્થાએ પિયત આપવું. શેરડી, કપાસ જેવા લાંબાગાળાના પાકોમાં આંતર પાકો વાવવા. જમીનનો ભેજ જાળવી રાખવા આવરણ (મલ્ચ) નો ઉપયોગ કરવો. સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય