<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <h3>વાછરડાં-પાડાંના ઉછેરની માહિતી</h3> <ul> <li style="text-align: justify; ">વાછરડાં/પાડાંના જન્મ બાદ નાળને બે ઈંચ અંતરે કાપી દોરા વડે બાંધી ટીંચર આયોડીન લગાડવું.</li> <li style="text-align: justify; ">વાછરડાં/પાડાંને પહેલાં અડધા કલાકમાં ખીરું ધવડાવવાથી બચ્ચાને રોગપ્રતિકારક શક્તિ અને પોષક તત્ત્વો વધુમાં વધુ મળે છે. જો કોઈ સંજોગોમાં</li> <li style="text-align: justify; ">બચ્ચું ઊભું થઈને ન ધાવતું હોય તો ૩૦૦ મીલી જેટલું ખીરું પીવરાવવું.</li> <li style="text-align: justify; ">ત્રણ દિવસ સુધી બચ્ચાને દિવસમાં ચાર વખત ધવડાવવું.</li> <li style="text-align: justify; ">સામાન્ય રીતે જન્મ બાદ બે માસ સુધી વાછરડાં/પાડાંના વજનના દશ ટકા</li> <li style="text-align: justify; ">જેટલું દૂધ દરરોજ ધવડાવવું. ત્યારબાદ તેમાં ક્રમશઃ ઘટાડો કરવો.</li> <li style="text-align: justify; ">વાછરડું/પાડુ ૩૦ દિવસનું થાય એટલે થોડું કુમળુ ઘાસ ખવડાવવું. તથા ઉત્તમ પ્રકારનું સુપાચ્ય દાણ દૂધમાં પલાળીને આપો.</li> <li style="text-align: justify; ">વાછરડું/પાડું શરૂઆતમાં ૧૦૦ ગ્રામ દાણ ખાઈ શકે. તેમાં ક્રમશઃ વધારો કરી રોજનું એક વર્ષનું થાય ત્યાં સુધી એક કિલો સુધી દાણ આપવું. આ ઉપરાંત ખાઈ શકે એટલો સારો સુપાચ્ય લીલો/સૂકો ચારો આપવો.</li> <li style="text-align: justify; ">છ માસની ઉંમરે ગાંઠીયો તાવ, ગળસૂંઢો, ચાર માસની ઉંમરે ખરવામોવાસા રોગની રસી મુકાવી દેવી તથા વાછરડાં/પાડાંના જન્મ બાદ દશમા દિવસે, ત્રણ મહિને અને છ મહિને તથા બાર માસે કરમીયાની દવા પીવડાવવી.</li> </ul> <h3>પશુ રહેઠાણના આયોજનમાં આટલું ધ્યાને રાખવું</h3> <ul> <li style="text-align: justify; ">રહેઠાણ હંમેશા જમીન પરના પાણીનો નિકાલ થતો હોય તેવી ઉંચાઈવાળી જગ્યાએ રાખો</li> <li style="text-align: justify; ">રહેઠાણમાં હવાની આવનજાવન (વેન્ટીલેશન) બરાબર થતી હોવી જોઈએ.</li> <li style="text-align: justify; ">રહેઠાણની લંબાઈની દિશા પૂર્વ-પશ્ચિમ રાખવી.</li> <li style="text-align: justify; ">દરેક પુખ્ત પશુદીઠ સાડા ચાર ચો.મી. જગ્યા પૂરી પાડવી જોઈએ. (ત્રણ મીટર લંબાઈ, દોઢ મીટર પહોળાઈ).</li> <li style="text-align: justify; ">દિવાલ, ગમાણ તથા ગટરના બાંધકામના છેડા ગોળાકાર બનાવવા જોઈએ.</li> <li style="text-align: justify; ">ગમાણ એક મીટર ઉંચાઈ પર તથા ઉંડાઈ ૨૫ થી ૩૦ સે.મી.ની બનાવવી.</li> <li style="text-align: justify; ">રહેઠાણનું ભોંયતળિયું સરખું અને તિરાડ વગરનું હોવું જોઈએ. ૧:૬૦નો ઢાળ હોવો જોઈએ. ૫ ફૂટ લંબાઈએ ૧'' જેટલું ભોંયતળિયું નીચું હોવું જોઈએ, જેથી મૂત્રનો નિકાલ તથા સફાઈના પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય.</li> <li style="text-align: justify; ">ખૂબ જ ગરમ વાતાવરણ (૪૦ સેન્ટીગ્રેડ તાપમાનવાળા) પ્રદેશમાં છાંયડા માટે ઝાડ ઉગાડો તથા છાપરું જો પતરાવાળું કે ધાબાવાળું હોય તો ઉપર ઘાસ કે પરાળના પૂળાં પાથરો. બપોરના સમયે પશુને વૃક્ષોની છાયામાં બાંધો. શક્ય હોય તો ૧૨.૦૦ થી ૧૪.૩૦ કલાકના સમયગાળામાં પાણી છાલક મારી પશુને ઠંડક કરો.</li> <li style="text-align: justify; ">શિયાળાની ઋતુમાં અતિશય ઠંડા સીધા પવનથી પશુઓને બચાવવા કંતાન કોથળાનો ઉપયોગ કરો.</li> <li style="text-align: justify; ">પશુઓના મળ-મૂત્ર તથા પશુઓને નવડાવવા તથા ભોંયતળિયું ધોવામાં વપરાયેલા પાણીનો સિંચાઈના પાણીમાં ભેળવીને ઉપયોગ કરો. તથા છાણનો ગોબરગેસ બનાવવામાં ઉપયોગ કરો.</li> <li style="text-align: justify; ">રહેઠાણમાં જ પશુઓને પીવાની પાણીની વ્યવસ્થા કરો. શિયાળામાં એકદમ ઠંડા પાણીને બદલે હુંફાળું પાણી પીવડાવો અને ઉનાળામાં ઠંડુ પાણી પીવડાવો.</li> </ul> <h3>દૂધ દોહનમાં લેવાની કાળજી</h3> <ul> <li style="text-align: justify; ">પશુને સવાર સાંજ ચોક્કસ સમયે દોહવાનું રાખો.</li> <li style="text-align: justify; ">દોહતાં પહેલાં પશુના શરીરનો પાછળનો ભાગ સાફ કરવો. આઉ અને આંચળ ચોખ્ખા હુંફાળા પાણીથી ધોઈને ચોખ્ખા કપડાંથી સાફ કરો.</li> <li style="text-align: justify; ">મુઠી પદ્ધતિથી અંગૂઠો અંદર રાખીને દોહવાથી આંચળમાં ગાંઠ થવાની શક્યતા રહે છે. તેથી અંગૂઠો બહાર રાખીને, આખી મુઠીથી દોહવાનું રાખવું. નાના આંચળવાળા પશુને ચપટી પદ્ધતિથી દોહવાનું રાખો.</li> <li style="text-align: justify; ">દૂધ દોહન ઝડપી અને સ્વચ્છ વાતાવરણમાં કરો.</li> <li style="text-align: justify; ">એકથી વધુ દૂઝણાં પશુઓને દોહવાનાં હોય તો એક પશુને દોહ્યા બાદ હાથ ધોયા પછી જ બીજા પશુનું દોહન કરવું.</li> <li style="text-align: justify; ">રોગમાં સપડાયેલ પશુને અલગ કરી તેના ખાવા-પીવાની અલગ વ્યવસ્થા કરો. રોગિષ્ટ પશુનું દૂધ જમીન ઉપર ન કાઢતાં અલગ વાસણમાં કાઢી તેને દૂર ફેંકી દેવું અથવા દાટી દેવું.</li> <li style="text-align: justify; ">પશુ દોહનાર વ્યક્તિના નખ કાપેલા હોવા જોઈએ. જેથી આંચળને ઈજા ન થાય, દોહનાર વ્યક્તિએ પશુને દોહતાં પહેલાં હાથ સ્વચ્છ પાણીથી ધોવા.</li> <li style="text-align: justify; ">આઉ અને આંચળના નાનામાં નાના જખમ તરફ દુર્લક્ષ ન સેવતાં તેની સારવાર કરાવો. આઉ અને આંચળના રોગમાં ક્યા પ્રકારના જીવાણું છે તેનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવી સારવાર કરાવો.</li> <li style="text-align: justify; ">વારંવાર આઉનો રોગ થતો હોય તેવા પશુની છટણી કરો.</li> </ul> સ્ત્રોત : <a class="ext-link-icon" href="https://www.aau.in//" target="_blank" title="Click Here">આણંદ કૃષિ યુનીવર્સીટી</a> <ul> </ul> </div>