অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

"વિશ્વ શાંતિ તરફ, બાળ વિકાસ દ્વારા"

"વિશ્વ શાંતિ તરફ, બાળ વિકાસ દ્વારા"

બાળધડતર થકી વિશ્વશાંતિ ? કોઇને આશ્વર્ય થાય પણ મને આ બાબતે કોઇ શંકા નથી. બાળકો ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. તેઓ અનુભવથી શીખે છે બાળપણમાં પ્રેમ પામે તો તેઓ પ્રેમ શીખે છે. બાળપણમાં હિંસાનો અનુભવ કરે તો તેઓ હિંસા શીખે છે. બાળપણમાં બાળક જે પામે તે સવાયુ થઇ સમાજને પાછું મળે છે. બચપણમાં વવાએલ પ્રેમ કે હિંસાનાં બી વટવૃક્ષ બની સમાજને પ્રેરે કે પીડે છે. ગાંધીજીનો જ દાખલો લઇએ. નોકરાણી રંભા પાસે બચપણમાં રામનામ શીખ્યા, જે છેલ્લા શ્વાસ સુધી સાથે રહ્યું. કઠિન વ્રતધારી માતા પાસેથી શીખેલા ઉપવાસનો વિનિયોગ આઝાદીના આંદોલનમાં સતત કર્યો. બચપણમાં જોએલી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ફિલ્મે તેમને સત્યના પૂજારી બનાવ્યા. પરિણામે કડામાંથી સોનુ ચોર્યા પછી પણ પિતા પાસે કબૂલાત કરે છે. પિતા હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી. માત્ર આંખમાંથી અશ્રુબિંદુ ટપકે છે. તેનાથી ભિંજાઇ મોહનદાસ અહિંસાનો પદાર્થપાઠ શીખે છે પરિણામે આવડા મોટા બ્રિટીશ રાજ સામે અહિંસાના હથિયારથી લડે છે. અને વિશ્વને અહિંસાની તાકાતનો પરિચય કરાવે છે. ગાંધીજી પાસે સત્ય અને અહિંસા સિવાયના વિકલ્પો ન હતા. કારણ કે બચપણમાં શીખેલુ આસાનીથી ભૂસાતુ નથી.
જે ગાંધીજી માટે સાચુ છે તે આપણા સૌ માટે સાચુ છે. આજે આપણે જે કંઇ છીએ તે બચપણમાં નકકી થઇ ગયું હોય છે. બાળકને થપ્પડ મારી ટીવી બંધ કરાવીએ ત્યારે બાળક શીખે છે કે હિંસાથી ધાર્યુ કરાવી શકાય છે. કોમી તોફાનો, સમાજમાં વિવિધ સ્વરૂપે જોવા મળતી હિંસા, યુધ્ધ તથા ત્રાસવાદ એ આપણા ઘરો અને શાળાઓમાં બાળકો સાથે આચરાતી હિંસાનું વિસ્તૃત સ્વરૂપ છે. બાળકો હિંસાનો ભોગ બને અને આપણો સમાજ હિંસામુક્ત રહે તે શકય નથી.
બાળધડતર એવું ક્ષેત્ર છે જેમાં યોગદાન આપી સામાન્ય ગણાતો દરેક સંવેદનશીલ વ્યકિત હિંસા અને ત્રાસવાદ સામેની લડાઇમાં સામેલ થઇ પોતાની રીતે પ્રદાન કરી શકે. બાળહિંસાનાં કારણો અને આજના સમાજ ઉપર પડી રહેલાં ઊંડા દૂરોગામી પરિણામોની ચર્ચા કરી આપણે બધા સાથે મળી ત્રાસવાદ સહિત સમાજમાં વ્યાપ્ત હિંસા સામેની લડાઇમાં શું કરી શકીએ તેની વાત કરીએ. યાદ રહે કે આપણામાંથી લગભગ દરેક વ્યકિત બચપણમાં હિંસાનો ભોગ બની હશે અને છતાં લગભગ આપણે દરેક, બાળકો સાથે સ્થૂળ-સૂક્ષ્મ હિંસા આચરીએ જ છીએ.

આપણે ત્યાં પટાવાળાથી માંડી પાયલોટ થવા માટે તાલીમ જરૂરી ગણાય છે. પરંતુ માતા-પિતા થવા માટે કોઇ તાલીમની જરૂર જણાતી નથી. આપણે એવું માનીએ છીએ કે બાળકો નાસમજ છે. તેઓમાં શિસ્ત આવે, તેમનો વિકાસ થાય, તેઓ જીવનમાં આગળ વધે તે માટે તેની સાથે સખત થવું પડે. એમાં કોઇ શંકાને સ્થાન નથી કે કડવી દવા તો માબાપે જ પીવડાવવાની હોય છે. પણ તે માટે સૂક્ષ્મ-સ્થૂળ હિંસાની હરગીઝ જરૂર નથી. બાળકના ભલા માટે ખડા રહેવા માટે માબાપે સજજતા કેળવવી પડે. તે કેળવાય તો હિંસાની જરૂર રહેશે નહિ.
બાળકો નિર્બળ હોવાથી હિંસાનો ભોગ સવિશેષ બને છે. તેઓ શારિરીક-માનસિક રીતે હિંસાનો સામનો કરવા સક્ષમ હોતાં નથી. આથી જ તો જે ભૂલ માટે આપણે પુખ્ત વ્યકિતને મારતા નથી, તે જ ભૂલ માટે બાળકને મેથીપાક મળે છે. એટલે જ તો શિસ્ત માટે શાળામાં હિંસાનો આશરો લેવામાં આવે છે, પણ કોલેજોમાં તેમ કરવામાં આવતું નથી. આપણી ચિંતાઓ, તાણ, સમસ્યાઓ, તકલીફો અને મુશ્કેલીઓની દાઝ ઉતારવા બાળકો સૌથી સોફટ ટાર્ગેટ છે. ઓફીસમાં કંટાળેલો પિતા કે પતિથી ત્રાસેલી માતા બાળકને ઢીબી નાખે છે.
આવું એટલા માટે થાય છે કે બાળકો સાથે આચરાતી હિંસાનાં દૂરોગામી પરિણામોથી આપણે અજાણ હોઇએ છીએ. આપણે તો એમ જ માનીએ છીએ હિંસાથી સરવાળે તો બાળકને જ ફાયદો થાય છે, તે શિસ્તબધ્ધ બને છે અને વિકાસ કરે છે. હિંસાનો ભોગ બનતું બાળક ડરપોક થાય છે, જૂઠ્ઠુ બોલતાં અને ખોટું આચરતાં શીખે છે. આપણે નિર્ભિક, સત્યનિષ્ઠ અને પ્રમાણિક નાગરિકો ઇચ્છીએ છીએ. પણ હિંસાના માધ્યમથી અપ્રમાણિકતા, ડર અને અસત્યના પાઠ શીખવીએ છીએ, તેનાં બીજ રોપીએ છીએ. પછી ભ્રષ્ટાચાર આપણી સામેની વિકરાળ સમસ્યા જ હોય ને ?
હિંસાનો ભોગ બનનાર બાળક ધણીવાર બળવાખોર થાય છે, પણ સત્ય માટે લડનાર નહિ, સત્યની સામે ઊભુ થનાર. કુછંદે ચઢેલા સ્વચ્છંદી યુવાનોની સમસ્યા બાળપણમાં અનુભવેલી હિંસાનાં પરિણામે જન્મેલી બળવાની ભાવનામાંથી પ્રગટેલી હોય છે. ગુનાખોરી છેવટે તો સમાજનાં નિયત ધોરણો અને મૂલ્યો સામેનો બળવો જ હોય છે. બાળકને હિંસાના માધ્યમથી કશુંક કરવા કે ન કરવા મજબૂર કરીએ, ત્યારે આપણે તેને શીખવીએ છીએ કે હિંસાથી ધાર્યુ કરાવી શકાય છે. તેથી જ તો યુવાન થઇ તે કોલેજની ઇમારતમાં તોડફોડ કરી, જાહેર સંપત્તિને નુકશાન કરી પોતાનું ધાર્યું કરાવે છે. ત્રાસવાદ પણ આ જ વિચારબીજનું વટવૃક્ષ છે અને યુધ્ધ તેનો વિશ્વવ્યાપી ચહેરો. ગીજુભાઇ બધેકા કહે છે. “ એક મા-બાપ જો પોતાના બાળક પ્રત્યેના વ્યવહારમાં ભૂલ કરે તો એક હજાર શિક્ષકો માટે પણ એ ભૂલ સુધારવાનું અશક્ય બની જાય છે. ”

મનુભાઇ પંચોળી “દર્શક” બાળધડતરને “વિશ્વશાંતિની ગુરુ કિલ્લી ” કહે છે: “માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્વોહનાં બીજ ચિત્તમાં વવાઇ જાય છે. આક્રમકતાના બીજ બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાતદી, દોડા કરીએ તો કેમ ચાલે ? ”
“હિટલરને હરાવનાર સેનાપતિએ શિક્ષકો માટે લખેલું છે કે, તમારુ કામ મને કામ વગરનો કરી મૂકવાનુ છે. શાંતિ સ્થાપવાનું કામ માત્ર આઇઝનહોવર, કુશ્વવેવ કે વિનોબાજી જ નથી કરતા, પણ રાનીપરજનાં ઝૂંપડાઓ વચ્ચે બાલવાડી ચલવનાર ગ્રામસેવિકા પણ કરી રહેલ છે, કારણ કે તે પોતાની સંભાળમાં મુકાયેલ ભૂલકાઓમાં આક્રમક વૃત્તિનાં બીજ ન રહે તેવી હિકમતથી કરી રહેલ છે. ”

“આક્રમક વૃત્તિનાં મૂળ બાલ્યાવસ્થામાં થયેલ નૈરાશ્યના અનુભવમાં છે. બાળકને જેટલીવાર નિરાશાનો અનુભવ આપણે કરાવીએ છીએ તેટલી તેની આત્મશ્રધ્ધાની ઇંટોને એક પછી એક ખસેડીએ છીએ. ને જેની આત્મશ્રધ્ધા ગઇ તે તક આવ્યે આક્રમક થાય છે, ને તક ન મળે ત્યાં સુધી અરજદાર રહે છે. બધા સમાન છે એમ આપણે કહીએ, પણ બાળકે નાનપણમાં અપમાન, હિણપતભર્યા અનુભવ કર્યા હોય છે. એટલે મોટી ઉંમરે તે કોઇને પીડિત કર્યા સિવાય રહી શકતો નથી.’’

“સંહારવૃત્તિનો અવેજ સર્જનવૃત્તિ છે. આક્રમણનો ઉપાય અંત:તૃપ્તિ છે. જે સમાજે પોતાનાં બાળકો માટે તેમની વય, તેમની વૃત્તિ, લક્ષમાં રાખીને સર્જનકાર્ય માટેની વ્યવસ્થા પોતાની શિક્ષણ વ્યવસ્થામાં યોજે છે તેને કોર્ટો, જેલો, લશ્કરોનું ખર્ચ ઓછું કરવું પડે છે. ” પ્લેટોએ કહ્યું કે “ જે સમાજ યોગ્ય શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરે છે તેને લશ્કર પાછળ ઓછું ખર્ચ કરવું પડે છે. ” ગરીબી શોષણની જન્મદાત્રી છે, શોષણ શાંતિનો સૌથી મોટો શત્રુ છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ગરીબી કેમ ? અજ્ઞાનના અંધકારમાં જ્ઞાનનો દીપક પ્રકટાવ્યા વિના ગરીબી હટવાની નથી. ઝુપડપટ્ટીઓમાં બાળપણ સડતું રહે તો વિકસિત ભારતનું સપનુ એમ સાકાર થાય ? અજ્ઞાન મા-બાપોની અવગણના અને શિક્ષિત મા-બાપોની અગણિત અપેક્ષાઓને કારણે બાળકમાં પડેલી અનંત સંભાવનાઓ મુરઝાઇ જાય પછી બધા જ પ્રયત્નો વ્યર્થ. ચાણકયે કહ્યુ છે : “ શિક્ષક કયારેય સાધારણ નથી હોતો પ્રલય અને ક્રાંતિનો જનક હોય છે” દરેક શિક્ષકને તેનો અહેસાસ થાય તો ?

મુરઝાએલું બાળપણ વિશ્વશાંતિ માટે ઘાતક પુરવાર થઇ રહ્યુ છે ત્યારે ચૂપ બેસવાથી ચાલશે નહિ. ઉઠી, જાગી અને વિશ્વશાંતિની દિશામાં પ્રદાન કરવા સંકલ્પ કરીએ.
મને ખ્યાલ છે, કે ઘણા બધા લોકો વ્યકિતગત કે સંસ્થાકીય સ્તરે આ મુદ્દે મથી રહ્યા છે. અનેક એવા છે જે કશુંક કરવા માગે છે પણ કઇ રીતે આગળ વધવું તે એમને ખબર નથી. આપણે સંગઠિત થઇએ તો નજરે જોઇ શકાય, અનુભવી શકાય તેવો ફરક પાડી શકીએ તેમ છીએ. આપણા રોજબરોજના જીવનમાં, આપણી આસપાસની દુનિયામાં નોંધપાત્ર પરિવર્તન આપણા જ પ્રયાસોથી શક્ય છે. આ વિશ્વ વધું સારું બની શકે તેમ છે. આવો, આપણે શું કરી શકીએ તે વિચારીએ અને એને અમલમાં મૂકીએ.

બાળકોને હિંસા સામે રક્ષણ પૂરું પાડવું, દમ્પતીઓને મા-બાપ થવાનું પ્રશિક્ષણ પૂરું પાડવું, હિંસા આચરતાં, તેનાથી દુખી થતાં પણ તેનાથી મુક્ત કેવી રીતે થવું તે ન જાણતા માવતરોની પડખે ઉભું રહેવુ, ગરીબ મા-બાપો વ્યસન મુક્ત થઇ બાળકોને પ્રેમ આપતાં થાય, તેમના શિક્ષણમાં ધ્યાન આપે, તેમને મજુરીએ ન મોકલે, ભણાવે, ગરીબ ઘરનાં બાળકો ભણીને આગળ વધે તે માટે શિક્ષકો દિલ રેડીને ભણાવે તે માટે પ્રયાસો કરવા. શિક્ષકોને તાલીમ આપવી, તાલીમ સામગ્રી (સાહિત્ય, ફિલ્મ, ઓડીયો, વીડિયો ઇત્યાદી) તૈયાર કરવી, બાળહિંસા, ત્રાસવાદ અને વિશ્વશાંતીના સબંધે જાગૃતિ કાર્યક્રમ કરવા, આ અંગેના કાયદાઓ વધુ સુદ્રઢ થાય અને હાલના કાયદાઓનો અમલ થાય વિગેરે પ્રયાસો માટે મારી સાથે જોડાવા ઉત્સુક વ્યકિતઓને મારી ખાસ વિનંતી છે.

આવો, વિશ્વશાંતિ માટે કટીબધ્ધ થઇએ. ત્રાસવાદની વાતો કરી, ચિંતા કરી અસુરક્ષિતતા ન અનુભવીએ. તેને રોકવા જવાબદાર અને સક્ષમ બનીએ. કુદરતે આપણને અમાપ શકિતઓ સાથે અહીં મોકલેલ છે. સતત લઘુતા અનુભવતા પોરબંદરના એક છોકરડાએ જ દક્ષિણ આફ્રિકાના રેલ્વે પ્લેટફોર્મ પર કડકડતી ઠંડીમાં નક્કી કર્યુ કે આ ચલાવી નહિ લઉ ત્યારે આખી દુનિયાને અહિંસાની તાકાતનો પરિચય થયો અને વિશ્વના અસંખ્ય દેશોએ આઝાદી પ્રાપ્ત કરી.

બે જ મહિનામાં ગુજરાતના ખૂણેખૂણે આ કામ શરૂ કરવું છે. શું કરવું જોઇએ તેની ચર્ચા નહિ, હું પોતે શું કરી શકું તે પ્રશ્ન જાતને પૂછી, તમે આ આંદોલનમાં કઇ રીતે સામેલ થવા માગો છો તે જણાવો. સમાન વિચારવાળા આપના મિત્રોને પણ આમા સામેલ કરો.

ચાલો આપણે સૌ વિશ્વશાંતિના આધારસ્તંભ બનીએ.

હવે આ અભિયાન આગળ ધપાવવા માટે નીચે મુજબના કામો કરવાના છે.

  • આ વિષયને લગતા હાસ્યલેખો, કવિતા તથા લેખોના પુસ્તકો સંપાદિત કરવા.
  • ફિલ્મો તથા ટી.વી. ધારાવાહિકો બનાવવી.
  • શેરી નાટક તથા ભવાઇ તૈયાર કરી ભજવવાં- કઠપુતળીના ખેલથી સંદેશો પ્રસરાવવો.
  • મા-બાપો તથા શિક્ષકોને તાલીમ આપવા માટેનું સાહિત્ય તૈયાર કરવું.
  • અભિયાનની વેબસાઇટ તૈયાર કરવી.
  • ‘વિશ્વશાંતિની ગુરુ કિલ્લી’ નો મરાઠી, હિન્દી, સિન્ધી, અંગ્રેજી વિગેરે ભાષામાં અનુવાદ પ્રકાશિત કરવો.
  • આ વિષયના સૂત્રો તૈયાર કરવા તેનુ પુસ્તક પ્રકાશિત કરવું.
  • સેલીબ્રિટિઝનો સંપર્ક કરી તેમની આમાં મદદ લેવી.
  • સેલીબ્રિટિઝનો સંપર્ક કરી તેમની આમાં મદદ લેવી.
  • ગુજરાતમા ઓછામાં ઓછા પાંચ જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ અભિયાન શરુ કરાવવું.
  • બાળકો તેમની સાથે થતી હિંસાનો અહિંસક રીતે સામનો કેવી રીતે કરી શકે તે માટેનું સાહિત્ય તૈયાર કરવું.
  • બાળકોને મદદ મળી રહે તે માટે હેલ્પ લાઇન શરુ કરવી.
  • આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને સન્માનિત કરવા માટે એવોર્ડ શરુ કરવો.
  • બાળ ઘડતરના ઉમદા સિધ્ધાંતો સાથે હિંસા વિના ચાલતી શાળાઓ તથા આવા શિક્ષકોને વાર્ષિક એવોર્ડ આપવા.
  • હાસ્ય કાર્યક્રમ, ડાયરો, કથા, કાવ્યપઠન, સંગીત ઇત્યાદિ કાર્યક્રમમાં વિષયને સમાવવા.
  • બાળ અધિકારના કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે જાગૃતિ કાર્યક્રમો કરવા.

આ પુસ્તકો સંપાદિત કરવા માટે લેખો, કવિતા, હાસ્ય લેખો પસંદ કરી મોકલી શકો. સાહિત્ય સર્જન અને પ્રકાશન કરી શકો. ફિલ્મ, નાટક, ભવાઇ ઇત્યાદી તૈયાર કરવામાં મદદ કરી શકો. વેબસાઇટ બાનવાવમાં ઉપયોગી થઇ શકો અથવા કોઇપણ ક્ષેત્રે મદદરુપ થઇ શકે તેવા લોકોનો સંપર્ક કરાવી શકો.

ઉપરોકત મુદ્દા દાખલારુપ છે. બાળકોનુ બાળપણ પ્રેમ આનંદ ઉત્સાહથી ભરપુર મુક્ત ગગનના પંખી જેવું બની રહે તેવી કોઇ પણ પ્રવૃતિ આવકાર્ય છે અને તે વિશ્વને શાંત અને સુંદર બનાવશે તેમાં શંકાને સ્થાન નથી.

ઉપરોકત મુદ્દઓનુ કામ બે-એક મહીનામાં પૂરુ કરવું છે. જેથી અભિયાન ગતિ પકડે અને નવાં પગલાં લઇ વધુમાં વધુ લોકોને તેમાં સામેલ કરી વધુ આગળ ધપાવી શકાય.

આપ કઇ રીતે ઉપયોગી થવા માગો છો તે જણાવશો.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate