অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કોઈનું બાળપણ મરશો નહીં…

પૂર્ણવિરામને અંતે :

લ્યો, ફરી રસ્તા ઉપર રોતા દી’ઠા મેં બાળકો,

તેં જે સરજી’તી જગત માટે ખુશી ઓછી પડી.

હરિન્દ્ર દેવના આ શેર માટે દાદ મૂંગી થઈ જાય છે. ચગદાતા, ચીમળાતા, હીઝરાતા હતાશ કુમળા બાળકો રસ્તા પર, બજારમાં, ખેરતરોમાં, કારખાનાંઓમાં ઠેર ઠેર નજરે ચડે છે. ત્યારે આપણાં સમાજની દુર્દશાનો સાચો ખ્યાલ આવે છે. ગરીબીમાં સબડતા બાળકો-બાળમજૂરોના બાળહૃદયના ક્રંદિત થતા તારા ધ્રૂજ્યા કરે છે ને કરુણ સુરો રેલાય છે તો બીજી તરફ બાળમજૂરો બાબતે સંવેદન બધીર અને ઉદાસીન સમાજ જોવા મળે છે. ખરેખર રાષ્ટ્રની મહામૂલી સંપત્તિ વેડફાતી જાય છે, પણ આપણને કોઈને એની પડી નથી. જીવનનો મહામૂલો તબક્કો બાળપણ, પરંતુ કરોડો બાળકોની જિંદગીમાંથી તેનો છેદ ઊડી જતો હોય છે. બાળક તેના કુદરતી અધિકારોથી વંચિત રહી જાય અને આજ કારણ તેની જિંદગીને દારુણતમ્ બનાવી મૂકે છે.

છેલ્લા બે અઢી દાયકાથી બાળમજૂરીનો પ્રશ્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ચર્ચાતો થયો છે પરંતુ નક્કર પરિણામ માટે ફળદાયી પ્રયાસોનો અભાવ વર્તાય છે. બાળમજૂરીને વહેલી તકે દૂર કરવા કોઈ સંપૂર્ણ સંકલિત ખ્યાલ ઊભો થયો નથી કે આવશ્યક વલણો જોવા મળ્યા નથી. સમાજમાં બાળમજૂરો પ્રત્યેની અનુકંપા દેખાતી નથી અને તેને કારણે જ કાયદાઓનું પણ અસરકારક અમલીકરણ જોવા મળતું નથી. ભારતીય સંસ્કૃતિમાં તો જીવનના પહેલાં 25 વર્ષમાં બ્રહ્મચર્યાશ્રમ સ્વીકારાયો છે જેમાં વ્યક્તિએ જ્ઞાન ઉપાસના કરવાની હોય છે. સંસ્કૃતિના રક્ષણના ધ્વજધારીઓને પણ બાળમજૂર દેખાતા નથી ! કુટુંબ-સમાજનો વિકાસ અને રાષ્ટ્રની પ્રગતિ બાળકોની તંદુરસ્તી અને સુખાકરી પર આધારિત છે એ આપણે ભૂલવું ન જોઈએ. બાળમજૂરી અને બાળમજૂરોની વિગતો તપાસ્યા વિના એનો ઉકેલ મળે નહી. બાળમજૂરી એટલે શું ? જરા સમજીએ :

વ્યાખ્યા – સમજૂતી

આમ તો બાળમજૂરીની સંપૂર્ણ – સર્વસ્વીકાર્ય વ્યાખ્યા મળતી નથી. સેન્સસ ઓફ ઈન્ડિયા, 1981માં જણાવ્યા મુજબ ‘આર્થિક દ્રષ્ટિએ ઉત્પાદક કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાયેલું બાળક એ બાળમજૂર છે.’ મજૂર પંચે નીમેલા અભ્યાસુ જૂથે (સ્ટડી ગ્રૂપ) આપેલ વ્યાખ્યા મુજબ, ‘જે બાળક શાળાએ જતું નથી તે બાળમજૂર છે, કારણ કે તે પછી કુટુંબમાં મજૂર જ બની રહે છે.’ નવા એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના માઈક્રોપીડિયા ભાગ-2માં જણાવ્યા પ્રમાણે, બાળમજૂરી એટલે કાયદેસર રીતે નક્કી કરાયેલી ઉંમર કરતાં ઓછી ઉંમરનાં બાળકોને કામ પર રાખવાં.’ એન્સાયક્લોપીડિયા અમેરિકા (1967)માં આપેલ વ્યાખ્યા મુજબ, ‘બાળમજૂરી એટલે છોકરો કે છોકરીઓ જ્યારે કામ પર જવા માટે બહુ નાના હોય કે એ ઉંમરના બાળકો માટે જે કામ બરાબર અનુરૂપ કે સલામત ન ગણાય અને તેમના કલ્યાણ માટે હાનિકારક ગણાય ત્યારે કે તેવા કામ પર નોકરીએ રાખવા.’ આમ, કોઈ સર્વસ્વીકૃત વ્યાખ્યા ન હોલા છતાં બાળમજૂર માટે એવું કહી શકાય કે બાળક જે 6 થી 14 વર્ષની ઉંમરનો હોય, શાળાએ ન જતો હોય અને કામમાં રોકાયેલો હોય પછી ભલે તેને નાણાં મળતાં હોય કે મળતાં હોય, આર્થિક પ્રવૃત્તિમાં સંકળાયેલો હોય કે અન્યમાં તેને બાળમજૂર કહેવાય. આવા બાળકો બાળમજૂરી કરવા મજબૂર હોય છે. બાળમજૂરી માટે ટૂંકમાં એટલું કહી શકાય કે જે ઉત્પાદક કામ કે સેવા બાળકના વિકાસને રૂંધે છે તેને બાળમજૂરી કહેવાય.

ભારતમાં બાળમજૂરી

આમ તો બાળમજૂરીનું ચોક્કસ પ્રમાણ જાણવા વ્યવસ્થિત મોજણી કે સંશોધનો થયા નથી. સરકાર તથા સ્વૈચ્છિક સંગઠનોના આંકડાઓમાં બહું મોટો તફાવત દેખાઈ આવે છે. 5મી ફેબ્રુઆરી, 2000ના ઈન્ડિયન એક્સપ્રેસન અહેવાલમાં કાયદામંત્રીએ દેશમાં બે કરોડ બાળમજૂર હોવાનું કબૂલ્યુ હતું. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં CACL દ્વારા રજૂ થયેલા અહેવાલમાં ભારતમાં બાળમજૂરોનો આંક 7 થી 8 કરોડ અંદાજવામાં આવ્યો હતો. ભારતમાં બાળમજૂરોનો સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પ્રકાશિત બિનસત્તાવાર આંકડો 10 કરોડનો છે. 10 થી 14 વર્ષની ઉંમરના બાળમજૂરો વધારે જોવા મળે છે. જો કે નાના ઉદ્યોગોમાં 5 થી 9 વર્ષના બાળમજૂરો જોતરાતા હોય છે. બાળમજૂરીની વાત કરતા આપણું ધ્યાન કારખાના તરફ જ તરત જાય છે. પરંતુ સૌથી વધુ 42 ટકા બાળમજૂરો ખેતી, પશુપાલન ક્ષેત્રે રોકાયેલા છે. દેશના 30 ટકા લોકો શહેરોમાં વસે છે. છતાં દેશના બાળમજૂરોમાં 5.5 ટકા બાળમજૂરો જ શહેરમાં છે. બાકીના મોટાભાગના બાળમજૂરો ગ્રામીણ વિસ્તારમાં જોતરાયેલા છે. ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સંસ્થાઓએ આ બાબતે ધ્યાન ખેંચવાની તાતી આવશ્યકતા છે.

યુનિસેફના અંદાજ પ્રમાણે ભારતમાં દર ત્રણ ઘરોમાંથી એક ઘરમાં બાળમજૂર છે. 5 થી 15 વર્ષની વયનાં દર ચાર બાળકોએ એક બાળક મજૂરી કરે છે. મોટાભાગના બાળમજૂરો ખેતી-પશુપાલન તથા ગૃહઉદ્યોગો તથા શાકભાજીની લારી, સ્કૂટર રિપેરિંગ, હોટલ, ચાની લારી, રસનો કોલુ જેવી જગ્યાએ હોય છે. ઘણા બાળકો સરકારે ગણાવેલા જોખમકારક ઉદ્યોગો સાથે આજે પણ સંકળાયેલા છે. શિવાકાશીના દીવાસળી-ફટાકડાના ઉદ્યોગ, અલીગઢના ઘડિયાળનાં કારખાના, તાળા ઉદ્યોગ, લખનૌમાં તૈયાર કપડાં બનાવવાનાં કારખાના, જમ્મુ-કાશ્મીરમાં ગાલીચા વણાટ ઉદ્યોગ, જયપુર તથા સુરતમાં રત્નપોલિશનો ઉદ્યોગ, કેરળમાં કાથી ઉદ્યોગ, ફિરોઝાબાદનો કાચ ઉદ્યોગ, પિત્તળની વસ્તુ બનાવવાનો ઉદ્યોગ, મોરાદાબાદમાં મંદસોરનો સ્લેટ ઉદ્યોગ, મીરજાપૂર – દોહીનો હાથવણાટુ ગાલીચા ઉદ્યોગ તથા ઉદ્યોગામાં અકીક ઘસવા, મીઠું પકવવા, માછીમારી, જીનીંગ ફેક્ટરી, અગરબત્તી વણવી, ઈંટ બનાવવી, શેરડીના વાઢ કાપવા, માલધારી, બુકબાઈન્ડિગ, સિમેન્ટ, ચાના બગીચા, ઘરકામ, સિરામિક ઉદ્યોગ, બંગડીનું કારખાનું વગેરે જેવા ઉદ્યોગોમાં બાળકોનું બાળપણ વહેરાય જતું હોય છે.

બાળમજૂરોની દુર્દશા

હાડમારીની જિંદગીમાં દરેક વ્યક્તિ પોતાના બાળપણના સ્મરણોની ભીનાશથી શાતા મેળવતો હોય છે. બાળમજૂરના ભાગ્યમાં તો નથી હોતું ઉલ્લાસભર્યું – બિંદાસ્ત બાળપણ કે તેના શાતાદાયક સ્મરણો. કમરતોડ મહેનતથી વળતાં પરસેવાનાં બિંદુઓ બાળમજૂરના ચહેરા પરની માસૂમ રેખાઓ ધોઈ નાખતા હોય છે. સતત કામથી હાથ પર પડેલા ફરફોલામાં ભાગ્યરેખાના કોઈ ઠેકાણાં રહેતા નથી. દારુણ અવસ્તામાં જીવતા બાળમજૂર માટે જિંદગી નર્કાગાર બની જતી હોય છે. તેના જીવનમાં વિકાસ જેવી કોઈ વસ્તુ સંભવતી નથી.

બાળકો સાથે ધૃણાસ્પદ વર્તન કરવામાં આવતું હોય છે. ગજા બહારનું કામ ગેરકાયદેસર રીતે વધુ કલાક સુધી અતિ ઓછા વેતને કરાવાતું હોય છે. તેનું આર્થિક તેમજ શારીરિક શોષણ થતું હોય છે, કામની જગ્યાએ સંકડાસ, ભીડ, ગંદકી, હવાઉજાસનો અભાવ, બિનઆરોગ્યપ્રદ વાતાવરણ, ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પેદા થતી ગરમી, ભેજ, રજ, અવાજ, રેસા, ધૂળ, ગેસ વગેરે આરોગ્ય માટે ખતરનાક હોય કાયમી ખોડખાંપણની અને અકસ્માતે મોતની સંભાવના તેના પર ઝળુંબતી રહેતી હોય છે. બાળમજૂરો નાની ઉંમરે ઘરડા-બિનકાર્યક્ષમ બની જતા હોય છે. બાળમજબૂર થાક, અપૂરતો આરામ, અપૂરતો ખોરાક, અને ઓછી ઊંઘથી પીડાતો હોય છે. ચેપી રોગ તેના પર ઝડપથી ત્રાટકે છે.

બાળમજૂર જો છટકીને ભાગી જવાની કોશિશ કરે તો તેને ક્રુર રીતે સજા કરવામાં આવે છે. ધોલ-ધપાટ અને ગાળાગાળી તો તેના નસીબનાં રોજિંદું બની ગયું હોય છે. ગરીબીમાં ઊછરેલું (આમ તો જીવતું રહી ગયેલું) બાળક કાચી વયે કામ પર ચડી જાય છે ત્યારે તેની પાસે કામની પસંદગીનો અવકાશ મર્યાદિત હોય છે. બચપણથી અમુક નિશ્ચિત ઘરેડમાં જોતરાઈ જવાથી માહિતી-જાણકારી તથા કૌશલ્યોની ક્ષિતિજો સાંકડી થઈ જાય છે. શ્રમ બજારમાં કૌશલ્યવાળા કામોના જ ઊંચા દામ ઉપજતા હોય છે. કમનસીબે બાળમજૂર અમૂક કામથી ટેવાઈ ગયેલો હોવાથી એણે એક વર્તુળમાં જ જીવનચક્ર ચલાવવું પડે છે. ગરીબી છે છેક સુધી તેનો કેડો મૂકતી નથી અને અંતે તેનું બાળક પણ બાળમજૂર થવાના ભાગ્ય સાથે જ પૃથ્વી પર અવતરે છે. બાળમજૂરીનું આ વિષચક્ર ચાલ્યા કરે છે. બાળમજૂરનો દીકરો પણ બાળમજૂર જ બને છે. આ કરુણાંતિકાનો અંત આજસુધી આવ્યો નથી !

>મીરજાપૂર – દોહીનો હાથવણાટુ ગાલીચા ઉદ્યોગ તથા ઉદ્યોગામાં અકીક ઘસવા, મીઠું પકવવા, માછીમારી, જીનીંગ ફેક્ટરી, અગરબત્તી વણવી, ઈંટ બનાવવી, શેરડીના વાઢ કાપવા, માલધારી, બુકબાઈન્ડિગ, સિમેન્ટ, ચાના બગીચા, ઘરકામ, સિરામિક ઉદ્યોગ, બંગડીનું કારખાનું વગેરે જેવા ઉદ્યોગોમાં બાળકોનું બાળપણ વહેરાય જતું હોય છે.

 

બાળમજૂરીની અસરો

બાળમજૂરીની વીજળીક અસર બાળક-બાળમજૂર પર થાય છે પરંતુ તેની ખરાબ અસરોથી સમાજ અને રાષ્ટ્ર પણ બાકાત રહેતું નથી.

અસંગઠિત ક્ષેત્રોનાં ઉત્પાદન એકમોમાં પ્રવર્તતી અસ્વચ્છતા, બિનઆરોગ્યપ્રદ કામની સ્થિતિ, પ્રદૂષિત પાણી-હવા, યોગ્ય જળવમીનો અભાવ, પૂરતા પોષણક્ષમ ખોરાકના અભાવમાં કામ કરતાં બાળકોની અવિકસિત અને અપરિપકવ જૈવિક સ્થિતિના લીધે તે જૈવિક-ચેપી અને ભયંકર રોગોનો જલદી શિકાર બને છે, શરીરનાં મહત્વનાં અંગો હાથ, મગજ, મૂત્રાશયને નુકસાન થાય છે. ક્યારેક કાયમી અસર પણ રહી જતી હોય છે. જોખમકારક ઉદ્યોગોમાં કામ કરવાથી આનુષાંગિક રોગના ભોગ બને છે.

હૂંફાળું અને આવકારદાયક વાતાવરણ, પ્રેમ-વાત્સલ્ય, યોગ્ય કેળવણી, સંસ્કાર સિંચન એ બાળકોના સામાન્ય માનસિક વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. મુક્તતા, સ્વતંત્રતા, બીજા બાળકો સાથે હળવા મળવા-રમવાની આંતરક્રિયા અને શીખવાની પૂરતી તકો બાળકોના માનસિક વિકાસ માટે આવશ્યક છે. તેની સામે બાળમજૂરના બાળહક્કો તો છીનવાઈ જ જાય છે, તે શિક્ષણ પણ પામતું નથી. ઉપરાંત કામનો બોજ, સતત ડર નીચે સખત કામ, માલિક તથા સહકર્મચારીઓ દ્વારા થતા અમાનવીય વર્તાવથી બાળક સંવેદનહીન બની જાય છે. તેનો માનસિક વિકાસ અટકી જાય છે અને વિકૃતિઓ પેદા થવા લાગે છે. મર્યાદિત જ્ઞાન ક્ષિતિજ, કુંઠિત શરીરશક્તિ, મર્યાદિત શ્રમ કૌશલ્ય અને સંતૃપ્ત ચેતનાતંત્રવાળા બાળશ્રમિકો એક વિશિષ્ટ પ્રકારના વિકલાંગ બની જાય છે. પાંચ-છ વર્ષે કામે ચડી જતું બાળક 40-50 વર્ષે સાવ ઘસાઈ જાય છે. જીવલેણ બીમારીઓનો શિકાર બને છે. બિનકુશળ મજૂરોના ભાગ્યમાં સૌથી ઓછું વેતન, સૌથી વધારે અસલામતી અને કામનો ઢસરડો હોય છે. બાળમજૂર જીવનભર બિનકુશળ જ બની રહે છે. ઓછા વેતનનાં કામોમાં જીવનના સારાં એવાં ઊર્જાવાન વર્ષો ખર્ચાઈ જાય છે. બાળમજૂર વહેલો વૃદ્ધ બની જાય છે.

બાળમજૂરીથી સમાજ પર ખરાબ અસર થાય છે. માલિકો તથા ઉપરી કર્મચારીઓ બાળમજૂર સાથે તોછડું,ઉદ્ધત અને અમાનવીય વર્તન રાખે છે જેની બાળમાનસ પર ખરાબ અસર પડે છે. તેનું ચેતનતંત્ર બહેરું બની જાય છે, તેની સંવેદનશીલતા બુઠ્ઠી બની જાય છે. બાળકો વ્યસની અને વ્યભિચારી બની જાય છે. એક પ્રકારની નફરતની નજરથી જોતું થઈ જાય છે. માનસિક વિકૃતિને કારણે તેનામાં આક્રમકતા અને અસામાજિકતા આવી જાય છે, તે અસામાજિક કૃત્યો તરફ વળે છે, નશાખોર બની જાય છે. અભાવ અને અસંતોષની લાગણીથી પેદા થતી વિકૃતિ તેનામાં અપરાધી વલણો વિકસાવે છે. ટૂંકમાં કહેવું હોય તો બાળમજૂરી અપરાધીકરણની તાલીમશાળા બની જાય છે. આનાથી વ્યક્તિને તો નુકસાન થાય છે પરંતુ સમાજમાં પણ અસામાજિકતા અને અપરાધીકરણ વધી જાય છે. બાળમજૂરીને લીધે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધતી જાય છે. જેનાં લાંબા ગાળે ભયંકર પરિણામ આવી શકે છે.

બાળમજૂરીનું દૂષણ રાષ્ટ્ર માટે કલંક સમાન છે. બાળમજૂરીને કારણે બેરોજગારી વધતી જાય છે. પુખ્તવયના મજૂરોને રોજગારી કે પૂરતા વેતન મળતા નથી. ગરીબી વધતી જાય છે. બેકાર-ગરીબ લોકોમાં ભૂખમરાની સ્થિતિ ઊભી થાય છે, તો બીજી તરફ અપરાધીકરણ વધી જાય છે. સમાજમાં નશાખોરી વધે છે. રાષ્ટ્રમાં અસમાનતાનું પ્રમાણ વધતું જાય છે.

રાષ્ટ્રની મહામૂલી સંપત્તિ તો વેડફાય છે ઉપરાંત રાષ્ટ્રનું ભાવિ ગણાતા બાળકોની દૂર્દશા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય સામે પ્રશ્નાર્થો પેદા કરે છે :

બાળમજૂરીના કારણો

સામાન્ય રીતે બાળમજૂરીના બે કારણો ગણાવાતા હોય છે; એક, ગરીબી અને બીજું, વ્યાપક પ્રાથમિક શિક્ષણની સુવિધાનો અભાવ. વિશ્વ બેંકના દસ્તાવેજમાં પણ લખેલું છે કે ‘ગરીબી તથા શિક્ષણની નબળી ગુણવત્તા અને ઉપલ્બધતા બાળમજૂરીના વ્યાપ માટે કારણભૂત છે.’ બાળમજૂરી જે તે વિસ્તારની આર્થિક, સામાજિક, ભૌગોલિક પરિસ્થિતિ પર આધારિત છે. પરંતુ બાળમજૂરી પાછળ કારણભૂત છે શોષણના પાયા પર રચાયેલા સમાજ તથા બાળક પ્રત્યેની લાગણી-જાગૃતતાનો અભાવ. ગરીબ મા-બાપ માટે બાળક એક આવકનું સાધન બનતું હોય છે. તેઓ ઝાઝા હાથ રળિયામણામાં માનતા હોય છે. નાના-ગૃહ ઉદ્યોગોમાં મોટાઓ બાળકોનો સાથ-ટેકો ઈચ્છતા હોય છે. ખેતી જેવા ક્ષેત્રોમાં ગરીબી ન હોવા છતાં પરચૂરણ કામો બાળકો કરે એવી અપેક્ષા ખુદ કુટુંબીજનોની હોય છે. જો કે માતા-પિતા માટે સંતાન પાસે કામ કરાવવું એ અંગત પસંદગી નહીં, પરંતુ સામાજિક પસંદગી હોય છે. વળી, આપણી જે શિક્ષણ પદ્ધતિ છે તે ગરીબ બાળક માટે કોઈ મોટી તક લાવી આપતું નથી. અંતે પોતાના પિતાને વ્યવસાય જ અપનાવવો પડે છે. એટલે બાળકને ભણાવવાની બાબતમાં માતા-પિતાની ઉદાસિનતા જોવા મળે છે.

જ્ઞાતિના સંગઠનો-નાતોમાં પણ બાળમજૂરો માટેની અનુકંપા જોવા મળતી નથી. અમુક જ્ઞાતિમાં નાતના નિયમો ઘણા કડક હોય છે, છતાં બાળમજૂરી રોકવાને બાળકને ફરજિયાત ભણાવવા એવા નિયમો ઘડવાની જાગૃતતાનો હજી અભાવ જોવા મળે છે.

માલિકો પણ બાળમજૂરોને જ વધુ પસંદ કરતા હોય છે, કારણ કે બાળમજૂર કહેવા મુજબ કર્યા કરે છે, વધુ કલાકો સુધી કામ લઈ શકાય છે, મૂંગા મોંએ ઝુલમો સહી લે છે, અસંગઠિત હોય છે, ગરજવાન હોવાથી ગમે તેટલી મજૂરી કરાવી શકાય છે, સસ્તા વેતને ઉપલબ્ધ હોય છે અને ગમે ત્યારે કાઢી શકાય છે. માલિકોની પસંદગીને કારણે પણ બાળમજૂરી વધુ ફૂલેફાલે છે.

એક અહેવાલ મુજબ, જે રાજ્યમાં માથાદીઠ આવક વધુ હોય તેમજ રોજગારીની તકો વધારે હોય ત્યાં પણ બાળમજૂરની સંખ્યા વધુ જોવા મળે છે.

વાળશોષણ માટે સંસ્થાકીય નિષ્ફળતા પણ જવાબદાર છે. રાજનેતાઓ માટે તો પ્રજા એટલે મતદારો, બાળમજૂર મતદાર ન હોવાથી તેઓને તેના કલ્યાણમાં રસ પડતો નથી એવું જોવા મળે છે. બાળમજૂરી નાબૂદ કરવાની ઝુંબેશ ચલાવવાનો સમય તેઓ પક્ષીય રાજકારણમાંથી ફાળવી શકે તેમ નથી ! સ્વીસ બેંકનું બેલેન્સ વધતું રહે પછી રાષ્ટ્રની સંપત્તિની તમને દરકાર નથી. બંધારણની જોગવાઈ મુજબ દરેક બાળક પ્રાથમિક શિક્ષણ મેળવી શકે એવી સુવિધા આઝાદીના પાંચ-સાડા પાંચ દાયકા પછી પણ ઉપલબ્ધ કરાવી શક્યા નથી. એથી મોટી નિષ્ળતા બીજી કઈ ગણાવવી ?

બાળમજૂરી નાબૂદ કરવાના પ્રયત્નો

છેલ્લા અઢી દાયકાથી બાળમજૂરી સામેનો વિરોધ ગતિમાં આવ્યો છે. ભારતમાં આઝાદી આવી તે પહેલાં બાળમજૂરી દૂર કરવાના પ્રયત્નો થયા હતા.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાએ બાળકો અને યુવાનો અંગેના 18 ઠરાવો અને 9 ભલામણો પસાર કરી છે. ઈ.સ. 1990માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા દ્વારા બાળમજૂરીના સામાજિક દૂષણને ડામવા માટે આંતરરાષ્ટ્રીય બાળમજૂરી નાબૂદી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો. ‘આઈપેક’ ટૂંકા નામથી જાણીતો આ કાર્યક્રમ ભારત સહિત છ દેશોમાં ચલાવાઈ રહ્યો છે. આઈપેક હેઠળ સરકારો, કામદારો, સંચાલક મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ, કેળવણીકારો, માતા-પિતા અને બાળકોને ઝુંબેશ હાથ ધરવાનો અનુરોધ કરવામાં આવે છે.

આપણે ત્યાં 17 જેટલા કાયદાઓમાં બાળમજૂરી નાબૂદી માટે જોગવાઈ છે. બંધારણમાં કલમ-45માં દશ વર્ષની સમય મર્યાદામાં 14 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ આપવા રાજ્યને આદેશ છે. વધુમાં 1986માં બાળમજૂરી વિરોધી ધારો પણ ઘડવામાં આવ્યો છે. કાયદાકીય રીતે જોખમકારક વ્યવસાયોમાં બાળકોને કામ પર રાખવા એ ગુનો બને છે. જો કે કાયદાના અસરકારક અમલ બાબતે તંત્રની ઉદાસીનતા અને સમાજની લાપરવાહી કે જાગૃતિના અભાવે તે અસરકારક નથી એ હકીકત છે.

રાષ્ટ્રીય બાળ મજૂર પ્રયોજના (NCLP) ચલાવાય છે જે બાળમજૂરને શિક્ષણ તરફ વાળી તેને વ્યવસાયિક કૌશલ્યો શીખવી ઉત્પાદક સભ્ય બનાવવા કાર્યરત છે. આ પ્રયોજના અંતર્ગત અવૈધિક શિક્ષણ આપતી શાળા ચલાવાય છે. જેમાં વ્યવસાયિક તાલીમ આપે છે અને બાળમજૂરોને પૂરતા પોષણની વ્યવસ્થા કરે છે.

ગુજરાતમાં પણ બાળમજૂરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે દૂર કરવાના પ્રયાસોમાં યુનિસેફ, ગણતર, શૈશવ, સર્જન, માનવસાધના, કિલ્લોલ, સેવ ધ ચિલ્ડ્રન જેવી સંસ્થાઓ કાર્યરત છે. નિ:શુલ્ક ફોન સેવા પૂરી પાડતી ચાઈલ્ડ લાઈનનો પ્રયોગ પણ છેલ્લાં બે-અઢી વર્ષથી ચાલે છે, જેમાં બાળમજૂર ફોન નંબર જોડી પોતાની આપવીતી-મુશ્કેલી જણાવે તો તેની મદદ માટે એક ખાસ ટીમ પહોંચી જાય છે. આમ પ્રયાસો તો ચાલુ છે, છતાં નક્કર પરિણામ-બાળમજૂરીની નાબૂદી વિના સંતોષ માનવામાં ન આવે એ જરૂરી છે.

બાળમજૂરીના ઉકેલ

દેશના કરોડો બાળકોને ભરડામાં લેતા બાળમજૂરીના દૂષણને દૂર કરવા ઉકેલો વિચારવા પડશે. આમ તો શોષણના પાયા પર રચાયેલી સમાજ વ્યવસ્થા જ બાળમજૂરી માટે કારણભૂત છે, ત્યારે સમગ્ર સમાજ વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન લાવવું જરૂરી છે પરંતુ આ લાંબાગાળાની પ્રક્રિયા છે. પહેલા ટૂંકાગાળાના ઉપાયો વિચારીએ. આ મુજબનાં પગલાં ઝડપથી લઈ શકાય : એક, જોખમી ઉદ્યોગોમાંથી બાળકોને હટાવવા. બીજું, અન્ય ક્ષેત્રોમાં કાર્યરત બાળકોના કામના સ્થળની સ્થિતિ સુધારવી. ત્રીજું, બાળકો માટે આરોગ્યની સુવિધા તેમજ શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી તથા ચોથું, ઉદ્યોગોમાંથી છૂટા થતા બાળમજૂરોની પુન: સ્થાપના માટે વ્યવસ્થા કરવી. સનત મહેતા દ્વારા રચાયેલી સમિતિએ બાળમજૂરી નાબૂદ કરવા બાળમજૂરો માટે અવૈધિક શિક્ષણ, ફરજિયાત આરોગ્ય તપાસ અને વ્યવસાયિક તાલીમની ભલામણ કરી હતી.

કેન્દ્ર દ્વારા ગઠિત કોઠારી પંચે અહેવાલમાં જણાવેલું કે એક પેઢીને શિક્ષણ આપવાથી બાળમજૂરી દૂર કરી શકશે. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે રોકાણ કરવું જોઈએ. પંચે જીડીપીના 9 ટકા જો પ્રાથમિક શિક્ષણ માટે રોકવામાં આવે તો પાંચ-દસ વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષણ માટે રોકાણ કરી લેવું જરૂરી છે જેનાથી એક આખી પેઢી શિક્ષણ મેળવે તો પછી બાળમજૂરી આપોઆપ દૂર થશે એવું સૂચન કરેલું.

બાળકોને શાળાએ જતા કરવા મધ્યાન ભોજન અને નિ:શુલ્ક પુસ્તકો, શિષ્યવૃત્તિ જેવી આકર્ષક યોજનાઓ અમલમાં મૂકવી જરૂરી છે. વસ્તી વધારો પણ બાળમજૂરી માટે કારણભૂત છે ત્યારે કુટુંબ નિયોજન અંગે જાગૃતતા ફેલાવવી જોઈએ.

પ્રફુલ્લ ત્રિવેદી બાળમજૂરી નાબૂદી માટે ત્રિસૂત્રી કાર્યક્રમ સૂચવે છે :

(1) વાલીઓને પૂરતી રોજગારી પૂરી પાડવી.

(2) બાળકોને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવું અને

(3) બાળકો પાસે કામ કરાવનારાને સખતમાં સખત શિક્ષા આપવી તથા તેમના ઉત્પાદનોનો બહિષ્કાર કરવો.

આ બધા ઉકેલો ત્યારે જ ફળે જ્યારે સામાજિક જાગૃતિ હોય. સમગ્ર સમાજ-રાષ્ટ્રમાં બાળમજૂર માટે અનુકંપા-કરુણતા જાગવી જોઈએ. બાકી બાળમજૂરી વિરોધી કાયદાઓ તો છે જ છતાં અમલીકરણ નથી થતું એવી સ્થિતિ આવીને ઊભી રહે. બાળમજૂરીના જન્મદાતા એવા ગરીબી અને બેરોજગારી જેવા સવાલોને પ્રાથમિકતા મળવી જોઈએ અને ઉકેલવા જોઈએ.

પૂર્ણવિરામ પહેલા

બાળમજૂરોની તસવીરો અને માનવીય સંવેદનાના સ્તર પરની વાર્તાઓ અખબારમાં પ્રકાશિત થયા કરે છે. પરંતુ બાળમજૂરોની સંખ્યા અને સ્થિતિનો સર્વાંગી અભ્યાસ કે વિગતે સંશોધનો થયા નથી તે થવા જોઈએ. જે બાળમજૂરી નાબૂદી માટે સંશોધન પુરાવાઓની તાતી જરૂરિયાત હોય છે.

બાળમજૂરી નાબૂદી અંગે મજૂરપંચે નિમેલ અભ્યાસુ જૂથના સૂર એવો હતો કે બાળમજૂરને શોષણ સામે રક્ષણ આપવા માત્રનું જ વિચારવાનું નથી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની ખાતરી બંધાવવાના વલણથી વાચારવં જોઈએ.

બાળમજૂરી દૂર કરવા વિષચક્રમાં ફસાયેલા ગરીબ-પછાત લોકોને ઉગારવા પડશે. સાથે સાથે વ્યાપક લોકો શિક્ષણ પણ એટલું જ જરૂરી બની જાય છે.

બાળક સંપૂર્ણ, સંવેદનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પરિપકવતા અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે. જીવનમાં સમજદારી, આત્મવિશ્વાસ અને સ્વમાન જાગે અને જળવાઈ રહે. જીવન માટે સમતોલ દ્રષ્ટિ કેળવાઈ તથા રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયામાં તેની શું ભૂમિકા છે તે પણ સમજી શકે એવો નાગરિક બને એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી આવશ્યક છે. આ કાર્ય પડકારરૂપ છે જેને આપણે ઉકેલવાની છે અને આપણે ઉકેલી શકીએ એમ છીએ. જરૂર છે માત્ર આપણી સંવેદના અને સક્રિયતાની.

-દિવ્યેશ વ્યાસ

(સાદર ઋણસ્વીકાર : ‘આસ્થા’માંથી)

સ્ત્રોત: માયગુજરાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate