થર્ડજેન્ડરને વિવિધ ક્ષેત્રમાં સમાન તક મળવી જોઈએ એવી વાતો અને માગણી ઘણાં વર્ષથી આ દેશમાં થઈ રહી છે, પરંતુ હવે લાગે છે કે આ દિશામાં ભારતે ડગલાં માંડવાની શરૂઆત કરી દીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે એક કિન્નર (ટ્રાન્સજેન્ડર) શિક્ષણવિદ્ને રાજ્યની એક કૉલેજના પ્રિન્સિપાલ તરીકે નિયુક્તિ આપી છે. રાજ્ય સરકારની આ પહેલને કિન્નરોને સશક્ત બનાવવાની દિશામાં ઉઠાવાયેલું એક મોટું પગલું માનવામાં આવે છે. દેશમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની છે. માનબી બંદોપાધ્યાય નામનાં કિન્નર શિક્ષણવિદ્ને કૃષ્ણાનગર મહિલા કૉલેજનાં પ્રિન્સિપાલ તરીકે નિમણૂક મળી છે.
તેઓ આવતા મહિને કામગીરી સંભાળશે. માનબી હાલ વિવેકાનંદ સતોવાર્ષિકી કૉલેજમાં બંગાળી ભાષાના સહ પ્રાધ્યાપક છે. પોતાની આ સિધ્ધિથી સ્વાભાવિક રીતે જ ખુશ થયેલાં માનબીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પોતે સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રોફેસર હતાં. મહત્ત્વની વાત એ છે કે માનબી બંદોપાધ્યાયે ટ્રાન્સજેન્ડરના વિષય પર જ પીએચ.ડી. કરીને ડૉક્ટરેટની ઉપાધી મેળવી છે. બંગાળી ભાષામાં માસ્ટર્સ કરનાર બંદોપાધ્યાય ૧૯૯૦ના દાયકાના અંતભાગમાં લેક્ચરર તરીકે જોડાયાં હતાં. ૨૦૦૩-૨૦૦૪માં શ્રેણીબદ્ધ ઑપરેશન કરાવીને સ્ત્રીત્વ માનબી આ અગાઉ સોમનાથ તરીકે ઓળખાતા હતા, પરંતુ ત્યારે તેમની સંપૂર્ણ ઓળખ કિન્નર તરીકેની જ હતી.
એટલું નિશ્ચિત છે કે દેશમાં ટ્રાન્સજેન્ડરની સમાનતાની દિશામાં એક સીમાચિહ્ન પગલું બની રહેશે, કેમકે હજુ થોડા સમય પહેલાં જ રાષ્ટ્રીય સ્તરે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકાર ખરડો, ૨૦૧૪ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો. ૪૫ વર્ષમાં પ્રથમવાર રાજ્યસભામાં સર્વસંમતિથી એક ખાનગી બિલ પસાર કરવામાં આવ્યું હતું. કદાચ તે સાથે જ અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા આ સમુદાય માટે સન્માનજનક જીવન માટેનો માર્ગ મોકળો થયો હતો.
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020