આ યોજનાનો ઉદ્દેશ યોજના વિસ્તારમાં પશુપાલક ખેડૂતોને તેમના ઘર આંગણે જ પશુઓના કુત્રિમ બીજદાન, પશુઆહાર અને વ્યવસ્થાપન સેવાઓ ઉપલબ્ધ કરવાનો છે. આ સેવાઓ સંકલિત પશુધન વિકાસ (ILD) કેન્દ્રો મારફતે ઉપલબ્ધ કરાય છે. આ યોજના અંતર્ગત નવા કૃત્રિમ વીર્યદાન કેન્દ્રો વિકસાવવામાં આવ્યા છે. આવા પ્રત્યેક કૃત્રિમ વીર્યદાન કેન્દ્રોનું સંચાલન એ.આઇ. વર્કર(ગોપાલ) નામે ઓળખાતા સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવક મારફતે કરાય છે.
આનાથી, પ્રાયોજના વિસ્તારમાં તમામ પશુપાલક ખેડૂતોને ખૂબ જ આવશ્યક એવી કૃત્રિમ વીર્યદાનની અને પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ થયેલ છે. આ યોજનાનો ઉદ્દેશ પશુઓમાં કૃત્રિમ વીર્યદાન, પશુઆહાર અને પશુ-વ્યવસ્થાપનની સેવાઓ ઉપલબ્ધ કરવાનો છે, જેથી પશુ પાલકો જેમને પ્રવર્તમાન સેવાઓ ખૂબ જ નબળી છે તેમને માટે સુયોગ્ય આર્થિક અને ઉત્પાદક વાતાવરણ પ્રાપ્ત થાય. વધુમાં, આનાથી પશુ પાલકોને વધારે પશુઓની પ્રાપ્તિની તક મળી શકે, અને તે કારણે વધારે દૂધનું ઉત્પાદન થઈ શકે અને પશુપાલકોની આવકમાં ઉમેરો થાય અને તે પ્રકારે કુપોષણ ઘટાડવાના, ગરીબી દૂર કરવાના અને ગ્રામીણ શિક્ષિત યુવકોને એ.આઇ. વર્કર (ગોપાલ) તરીકે રોજગારી વધારવાના આપણા ઉદ્દેશ ફળીભૂત થઈ શકે.
સંકલિત પશુધન વિકાસ યોજના શરૂ કરીને તેમજ સંકલિત ડેરી વિકાસ યોજનાની સાથે જોડીને, પશુઓ માટે દૂધાળા પશુઓની ઓલાદ સુધારણા અને પશુ વિકાસ સેવાઓ યોજીને ડેરી ઉદ્યોગોને સફળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. સંકલિત પશુધન વિકાસ યોજનામાં આદિવાસી વિસ્તારોના પશુપાલક ખેડૂતો માટે કૃત્રિમ વીર્યદાનની સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરી આપી છે. સંકલિત પશુધન વિકાસ યોજના હેઠળ જન્મતા સારી ઓલાદનાં વાછરડાંને કારણે ગુજરાત રાજ્યમાં ગુણવત્તાયુક્ત દૂધાળાં પશુઓની સંખ્યામાં ઉમેરો થશે. આ યોજના અંતર્ગત કૃત્રિમ વીર્યદાન કેન્દ્રો ગુજરાતના સાત આદિવાસી જિલ્લાઓમાં જિલ્લા સહકારી સંઘોને દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/25/2019