સામાન્ય રીતે કોઈને પણ ઘુંટણ દુ:ખે એટલે તે X-Ray કરાવી તપાસ કરાવતાં હોય છે. પરંતુ X-Ray માં માત્ર ઘુંટણનાં હાડકાંની સાચી પરિસ્થિતિની જાણકારી મળે છે. નહીં કે ઘુંટણની ગાદી ઘસાઈ ગયા વિષે! ઘણી બઘી વખત એવું જોવા મળે છે કે બે હાડકાં વચ્ચેની જગ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હોવા છતાં દર્દીને ઘુંટણનો દુ:ખાવો થતો હોતો નથી. ઘણી બધી વખત X-Rayમાં ઘુંટણ તદ્દન સામાન્ય હોય એટલે કે જગ્યા એકદમ જ નોર્મલ હોય, તેમ છતાં દર્દીને ખૂબ જ દુ:ખાવો થતો હોય છે. તેથી માત્ર અને માત્ર X-Rayની તપાસ કરીને ઘુંટણમાં ગાદી ઘસાઈ ગઈ છે તથા તેમાં સર્જરી કરાવવી પડશે તેવો નિર્ણય લેવો યોગ્ય નથી. X-Rayમાં માત્ર બે હાડકાં વચ્ચે જગ્યા ઓછી થઈ હોય તે નવાં હાડકાં બન્યાં હોય એ (લુઝ બોડી) તથા સબકોન્ડલ સ્કલેરોસીસ જ વિષે જ માહિતી મળી શકે છે. તેથી ઘુંટણમાં ઘસારો, વા કે ઓસ્ટીઓ આર્થાઈટીસ સિવાય ઘણા બધા રોગ થતા હોય છે, જેનું મુખ્યત્વે કારણ સ્નાયુ અને બે ઘુંટણ વચ્ચે આવેલાં લિગામેન્ટ કે મેનિસ્કસમાં રહેલું હોય છે. જેનાથી કોઈપણ રીતે ગભરાવવાની જરૂર હોતી નથી. આ રોગનાં લક્ષણો પણ ઘુંટણના વા (ઓસ્ટીઓ આર્થાઈટિસ)થી મળતાં આવતાં હોય છે. ચાલો આપણે આવા રોગ વિષે જાણીએ.
બરસાઈટીસ/ ટેન્ડનાઈટીસ:
આ કન્ડીશન મુખ્યત્વે ઘુંટણના દુ:ખાવાવાળા દર્દીઓમાં જોવા મળે છે. જેમાં દુ:ખાવો મુખ્યત્વે ઘુંટણમાં મુવમેન્ટ સાથે થતો હોય છે. એટલે ચાલવામાં કે બેસવા-ઊઠવામાં જોવા મળે છે. આ દુ:ખાવો રાત્રે વધી જતો હોય છે. અમુક ચોક્કસ પ્રકારના સમયે તથા સાંધાની મુવમેન્ટમાં દુ:ખાવો થાય અને ક્યારેક એ સંપૂર્ણ પણ મટી પણ જતો હોય છે. આ રોગની લાક્ષણિકતા એ છે કે આ રોગમાં સાંધાનાં હાડકાંમાં કોઈ જ પ્રકારની તકલીફ જોવા મળતી નથી. આ રોગનું મુખ્ય કારણ સાંધાની આસપાસ આવેલા તથા સાંધાને બાંધી રાખતાં ટેન્ડન તથા બર્સામાં આવેલો સોજો હોય છે. જેનું મુખ્ય કારણ ચાલવાની ખોટી પદ્ધતિ, વધારે પડતી સીડી ચડવી વગેરે છે. કોઈક રીતે બેસીને ઊભા થવામાં આવે તો પણ પ્રકારનો દુ;ખાવો થવાની સંભાવનાં રહેલી હોય છે.
મેકેનિકલ ઇન્ટરા આર્ટિક્યુલર કન્ડીશન:
આ પ્રકારની તકલીફમાં વારવાર સાંધાની આસપાસ સોજો આવી જતો હોય છે. ઘણી બધી વખત તો સાંધો ‘લોક’ થઈ જતો હોય છે. સાંધો લોક થઈ જવાથી માણસ ચાલતાં ચાલતાં ઊભો રહી જાય છે અને તેનાથી ચાલવાનું ખૂબ જ તકલીફ ભર્યું બની જાય છે. એક મિનિટમાં આ સાંધો ‘અનલોક’ પણ થઈ જતો હોય છે અને ચાલવાનું ખૂબ જ સરળ બની જતું હોય છે. પરંતુ આ તકલીફ ખૂબ જ પીડાદાયક હોય છે. ઘણી બધી વખત દર્દીને સાંધો છટકી જતો હોય એવો પણ અનુભવ થતો હોય છે. જેનાથી ચાલવામાં બેલેન્સ પણ જતું રહેતું હોય છે અને પડી જવાનો ભય રહેતો હોય છે. સાથે સાંધામાં દુ:ખાવો પણ ખૂબ જ રહેતો હોય છે. આ રોગનું મુખ્ય કારણ સાંધામાં મિકેનિકલ ઇન્ટ્રા આર્ટિક્યુલર તકલીફ હોય છે, આ તકલીફોમાં સાંધાના લિગામેન્ટ તથા કોલેટર લિગામેન્ટમાં ઢીલાશ હોવી, સાંધાની આસપાસના સ્નાયુમાં મજબુતાઈનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. સ્નાયુ નબળા હોવાને લીધે આ તકલીફો ઊભી થતી હોય છે. દુ:ખાવાને કારણે સાંધો વાળવો તથા પગ સીધો કરવાની પ્રકિયામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. દુ:ખાવો પણ થતો હોય છે.
રુમેટીઈડ આર્થાઈટિસ (સંધિવા)
આ એક રોગ પીડાકારક રોગ છે. તેની લાક્ષણિકતા એ છે કે દર્દી સવારમાં ઊઠે વ્યારે સાંધામાં ખૂબ જ સ્ટીફનેસ (જકડાયેલ) લાગતી હોય છે. પરંતુ એકાદ કલાક પછી તે સ્ટીફનેસ ઓછી થતી જતી હોય છે. ‘સામાન્ય રીતે આ રોગ નાના સાંધા એટલે કે હાથ અને પગનાં આંગળાંમાં વધારે જોવા મળતો હોય છે, પરંતુ તેની સાથે એ ઘણી બધી વાર ઘુંટણનાં હાડકાંમાં પણ તે જણાતો હોય છે. તેથી એવું કહેવાય છે કે ઘુંટણમાં માત્ર એક ઘસારો પડે એટલે દુ:ખે છે એવું માની લેવાની જરૂર નથી તથા સર્જરી કરાવવી પડશે એ વાત પણ સાચી નથી. સર્જરી માટે ઘુંટણના દુ:ખાવાને બીજા રોગોથી ડિફરન્સિયેટ(અલગ) કરવો ખૂબ જ જરૂરી હોય છે. હવે પછી આપણે ઘુંટણમાં થતા અન્ય સામાન્ય દુ:ખાવા વિશે જાણીશું.
વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com