অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ટ્રોક આવ્યા પછી સાડાચાર કલાકની અંદર સારવાર મળવી મહત્ત્વપૂર્ણ

સ્ટ્રોક આવ્યા પછી સાડાચાર કલાકની અંદર સારવાર મળવી મહત્ત્વપૂર્ણ

સ્ટ્રોક તબીબી કટોકટી છે. જ્યારે મગજમાં લોહીનાં પુરવઠામાં વિક્ષેપ ઊભો થાય છે અથવા ઘટી જાય છે, ત્યારે આ સમસ્યા ઊભી થાય છે. એનાં પરિણામે મગજને જરૂરી ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો પૂરતો પુરવઠો મળતો નથી, જેના કારણે મગજનાં કોષો નાશ પામી શકે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં બ્રેઇન સ્ટ્રોકમાં ચિંતાજનક દરે વધારો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વિવિધ ડૉક્ટરનાં જુદાં જુદાં રિપોર્ટ મુજબ, અત્યારે કુલ સ્ટ્રોકમાં 15થી 25 ટકા સ્ટ્રોકનો ભોગ 40 વર્ષથી ઓછી વય ધરાવતાં લોકો બને છે. આ હુમલાનાં સાડા ચાર વર્ષની અંદર મગજનાં કોષોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે સ્ટ્રોકની સારવાર મહત્ત્વપૂર્ણ છે. દર મહિને હોસ્પિટલમાં બ્રેઇન સ્ટ્રોકનાં આશરે 100 કેસ નોંધાય છે. સ્ટ્રોકનાં આ દર્દીઓમાંથી આશરે 20 ટકા દર્દીઓ 30થી 45 વર્ષની વયજૂથમાં હોય છે. મોટાં ભાગનાં આ દર્દીઓ હાયપરટેન્શન અને ડાયાબિટિસ જેવી લાંબા ગાળાની ગંભીર બિમારી ધરાવતાં હોય છે.

ભારતમાં સ્ટ્રોક ચિંતાજનક વાસ્તવિકતા છે, ખાસ કરીને યુવા પેઢીમાં. તણાવનાં સ્તરમાં વધારો, ભોજનની નબળી આદતો અને બેઠાડું જીવનશૈલીને કારણે એમાં ચિંતાજનક દરે વધારો થઈ રહ્યો છે. જો એની સારવાર ન કરાવવામાં આવે, તો એનાથી મગજનાં કોષોને હંમેશા માટે નુકસાન થઈ શકે છે. પરિણામે દર્દીઓમાં હલનચલન અને બોલવાની ક્ષમતાને નુકસાન થાય છે. એટલે હુમલાનાં સાડા ચાર વર્ષની અંદર સ્ટ્રોકનાં દર્દીઓની સારવાર કરાવવી મહત્ત્વપૂર્ણ છે. સ્ટ્રોકનાં દર્દીઓને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે તાત્કાલિક સારવાર મળે એ જરૂરી છે.

તમારાં મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી એનાં ચેતવણીજનક લક્ષણો તમારું શરીર આપે છે. સ્ટ્રોક કે “બ્રેઇન સ્ટ્રોક”નાં લક્ષણો નીચે મુજબ છેઃ

  • ચહેરા, હાથ કે પગ એકાએક જડ થઈ જવા કે નબળાઈ આવવી, ખાસ કરીને શરીરનાં એક ભાગમાં
  • એકાએક મૂંઝવણ થવી, કે વાત કરવામાં કે વાતને સમજવામાં મુશ્કેલી અનુભવવી
  • એક કે બંને આંખોની દ્રષ્ટિમાં એકાએક મુશ્કેલી પડવી
  • ચાલવામાં એકાએક મુશ્કેલી પડવી, કંટાળો આવવો, અથવા સંતુલન કે સંકલન ગુમાવવું
  • કોઈ પણ કારણ વિના માથાનો એકાએક દુઃખાવો થવો

અન્ય જોખમકારક લક્ષણોમાં ડબલ વિઝન, ઘેન ચઢવું અને ઊબકા કે ઊલટી થવી સામેલ હોઈ શકે છે. કેટલાક વાર વ્યક્તિ આ પ્રકારનાં લક્ષણો થોડી ક્ષણો અનુભવે છે અને પછી આ લક્ષણો દૂર થઈ જાય છે. આ ટૂંકા એપિસોડ ટ્રાન્ઝિઅન્ટ આઇસ્કેમિક એટેક કે TIAs તરીકે ઓળખાય છે, જેને “મિનિ-સ્ટ્રોક” પણ કહેવાય છે. આ એપિસોડ ટૂંકા હોવા છતાં તેમને ગંભીર ગણવામાં આવે છે, જે તબીબી સારવાર વિના દૂર થતાં નથી.

સ્ટ્રોકના બે પ્રકાર છેઃ

આઇસ્કેમિક સ્ટ્રોક અને હેમરેજિક સ્ટ્રોક. આઇસ્કેમિક સ્ટ્રોક માટે ધમનીઓમાં અવરોધ પેદા થવો કે સંકોચન જવાબદાર છે, જે મગજને લોહી પહોંચાડે છે. મગજમાં લોહીનો પર્યાપ્ત પુરવઠો ન મળવાને પરિણામે આઇસ્કેમિયા થાય છે. એમાં રક્તપ્રવાહમાં મોટો ઘટાડો થાય છે, જેથી મગજનાં કોષોને નુકસાન થાય છે. ઘણી વાર આ અવરોધોથી લોહીનાં ગઠ્ઠા જામી જાય છે, જે મગજની ધમનીઓમાં બની શકે છે. આ ગઠ્ઠા રક્તપ્રવાહમાં ભળે અને મગજની ધમનીઓને સંકુચિત કરે એ અગાઉ તેઓ અન્ય રક્તવાહિનીઓમાં જોવા મળી શકે છે. હેમરેજિક સ્ટ્રોક માટે મગજની ધમનીઓમાં લોહીનું લીકેજ થવું કે ધમનીઓ ફાટી જવું જવાબદાર છે. લીક થયેલું લોહી મગજનાં કોષો પર દબાણ કરે છે અને તેમને નુકસાન કરે છે. હેમરેજ પછી રક્તપ્રવાહ પણ ઘટી જાય છે, જે મગજની પેશીઓ સુધી પહોંચી શકે છે. રક્તવાહિનીઓ ફાટી શકે છે અને લોહી મગજમાં કે મગજની સપાટીની નજીક ફેલાઈ શકે છે, જે મગજ અને ખોપરી વચ્ચેની જગ્યામાં પહોંચી જાય છે.

નિદાનઃ

સ્ટ્રોકનાં લક્ષણોની તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. સ્ટ્રોક અનુભવતી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ નિદાન અને સારવારની જરૂર છે તેમજ તેમને લક્ષણો દેખાયા પછી 3 કલાકની અંદર હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ. અહીં શારીરિક પરીક્ષણ, લોહીનું પરીક્ષણ, CT સ્કેન, MRI સ્કેન, કેરોટિડ અલ્ટ્રાસાઉન્ડ, સેરેબ્રલ એન્જિયોગ્રામ અને ઇકોકાર્ડિયોગ્રામ કરવામાં આવે છે.

જોખમી પરિબળો

સ્ટ્રોકનાં કેટલાંક સૌથી વધુ મહત્ત્વપૂર્ણ અને સારવાર કરી શકાય એવા જોખમી પરિબળો નીચે મુજબ છેઃ

  • હાઈ બ્લડ પ્રેશર કે હાયપરટેન્શનઃ સ્ટ્રોક માટે સૌથી વધુ જોખમી પરિબળ હાયપરટેન્શન છે. 80 વર્ષની વય અગાઉ સ્ટ્રોકનાં જોખમમાં હાયપરટેન્શન બેથી ચાર ગણો વધારો કરે છે. એને કેટલીક રીતે ઘટાડી શકાય છેઃ
  • યોગ્ય વજન જાળવીને.
  • બ્લડ પ્રેશર વધારે એવા નશીલા દ્રવ્યોનું સેવન ટાળીને.
  • યોગ્ય ભોજન કરીનેઃ ભોજનમાં મીઠાનાં પ્રમાણમાં ઘટાડો કરવો અને પોટેશયિમ વધારવા ફળફળાદિ અને શાકભાજીનું સેવન વધારવું. વધારે કસરત કરવી.
  • ધુમ્રપાનઃ સિગારેટનાં સેવનથી આઇસ્કેમિક સ્ટ્રોકમાં આશરે બે ગણો વધારો થાય છે અને હેમરેજિક સ્ટ્રોકમાં ચાર ગણો વધારો થાય છે. આ કેરોટિડ ધમનીમાં ફેટ્ટી પદાર્થો (એથેરોસ્કલેરોસિસ) જામે છે, જે મગજને લોહીનો પુરવઠો પહોંચાડતી ડોકની મુખ્ય ધમની છે. આ ધમની બ્લોક થવી સ્ટ્રોકનું મુખ્ય કારણ છે.
  • હૃદયરોગઃકોરોનરી આર્ટરી ડિસીઝ, વાલ્વમાં ખામી, હૃદયનાં અનિયમિત ધબકારા (આર્ટિયલ ફાઇબ્રિલેશન) અને હૃદયનું એક કોષ્ઠનું કદ વધવું જેવી હૃદયની સામાન્ય સમસ્યાઓથી લોહીનાં ગઠ્ઠા જામી શકે છે, જેનાથી મગજમાં કે મગજમાં પુરવઠો પહોંચાડતી રક્તવાહિનીઓ ફાટી શકે છે અથવા એમાં અવરોધ ઊભો થાય છે. ડૉક્ટર તમારાં જોખમનાં પરિબળોનું મૂલ્યાંકન કરી શકે છે અને તમને એસ્પિરિન કે લોહીને પાતળું કરવાની અન્ય સારવારથી લાભ થશે કે નહીં એનો નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.
  • ડાયાબિટિસઃ તમે માની શકો છો કે, આ સમસ્યાથી શરીરની સુગર કે ગ્લુકોઝનો ઉપયોગ કરવાની ક્ષમતાને અસર થશે. પણ એનાથી મગજ સહિત સમગ્ર શરીરમાં રક્તવાહિનીઓમાં નુકસાનકારક ફેરફારો થઈ શકે છે. ડાયાબેટિક્સમાં હાયપરટેન્શન સામાન્ય છે અને તેમનાં સ્ટ્રોકનાં જોખમમાં ઘણો વધારો કરે છે. ડાયાબિટિસની સારવાર સ્ટ્રોકનાં જોખમમાં વધારો કરે એવી સમસ્યા શરૂ કરવામાં વિલંબ કરી શકે છે.
  • શારીરિક નિષ્ક્રિયતા અને મેદસ્વીપણું:હાયપરટેન્શન, ડાયાબિટિસ અને હૃદયરોગ સાથે મેદસ્વીપણું અને નિષ્ક્રિયતા સંકળાયેલ છે. જો નિતંબનાં ઘેરાવો અને કમરનો ઘેરાવોનો રેશિયો સરેરાશ રેશિયો જેટલો હોય કે તેનાથી વધારે હોય, તો આઇસ્કેમિક સ્ટ્રોકનાં જોખમાં ત્રણ ગણો વધારો થાય છે.

સ્ટ્રોકનાં ઘણાં જોખમી પરિબળોને નિયંત્રણમાં રાખી શકાશે, કેટલાંક જોખમોને સફળતાપૂર્વક નિયંત્રણમાં રાખી શકાય છે. કોઈ પણ વયમાં જોખમ સંપૂર્ણપણે ક્યારેય દૂર થતું નથી, છતાં તમારાં જોખમી પરિબળોને પર વહેલાસર નિયંત્રણમાં લેવાથી તમે સ્ટ્રોકથી તમારાં મૃત્યુ કે વિકલાંગતાનું જોખમ ઘટાડી શકો છો. સારાં નિયંત્રણ સાથે મોટાં ભાગનાં વયજૂથમાં સ્ટ્રોકનું જોખમ આકસ્મિક ઇજા કે મૃત્યુ માટે ઓછું જાળવી શકાશે.

ડો.રખીલ યાદવ(ન્યુરોલોજિસ્ટ) નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate