অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્તનપાન: અદ્દભુત માતૃત્વનો અમૂલ્ય અનુભવ

સ્તનપાન: અદ્દભુત માતૃત્વનો અમૂલ્ય અનુભવ

સ્તનપાન અને તેનાથી થતા લાભ

સ્તનપાન માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છે. આમ તો જન્મ અગાઉ જ માતા અને બાળક વચ્ચે એક ગહન અને મધુર સંબંધ બની જાય છે પણ સ્તનપાન પછી આ સંબંધ વધુ ગાઢ બને છે. સ્તનપાન શિશુ અને માતા બંને માટે જીવનદાયી છે. તેનાથી બાળકનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. આ સાથે જ તેનાથી માતાને પણ અનેક લાભ થાય છે અને તેથી માતા પોતાના બાળકને આદિ કાળથી દૂધ પીવડાવતી આવી છે.

વિશ્વ સ્તનપાન સપ્તાહ (1-7 ઓગસ્ટ 2018)

વિશ્વમાં 1થી 7, ઓગસ્ટ સુધી ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ' મનાવવામાં આવે છે. ભારતમાં પણ તેના માટે વિવિધ સ્તરે સંબંધિત વિભાગો દ્વારા પ્રચાર-પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષનું થીમ – બ્રેસ્ટ ફીડિંગ: ફાઉન્ડેશન આૅફ લાઈફ (સ્તનપાન ‘જીવનનો પાયો') છે પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે જો આપણે માતૃત્વ મૃત્યુદર અને શિશુ મૃત્યુ દર ઓછો કરવો હોય તો એવા કાર્યક્રમો વર્ષભર ચલાવવા પડશે.

શિશુ માટે અમૃત છે સ્તનપાન

જન્મ પછી છ થી આઠ મહિના સુધી બાળક માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે. આ માતા અને બાળક બંને માટે લાભદાયી હોય છે. પ્રસૂતિ પછી, માતાના સ્તનોમાંથી નીકળનારૂં પ્રથમ પીળું ઘાટું દૂધ શિશુ માટે સૌથી વધુ લાભદાયી હોય છે. માતાના પ્રથમ દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહે છે. આ દૂધમાં શિશુની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની અદભૂત તાકાત હોય છે, જેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનીથી લડી શકે છે. પરંતુ આપણા દેશમાં આજે પણ સ્તનપાનને લઈને મહિલાઓમાં અનેક ખોટી ધારણાઓ વ્યાપેલી છે જેના કારણે માતા અને બાળક બંનેને સ્તનપાનના ફાયદાથી વંચિત થવું પડે છે. આંકડાઓ મા જોઈએ, સેંકડો બાળકોને અકારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માત્ર એટલા માટે થાય છે કેમકે તેમને માતાનું દૂધ મળતું નથી. જો તમામ નવજાત શિશુ પ્રથમ 6 મહિના ફક્ત માતાનું દૂધ પીએ તો દર વર્ષે સેંકડો બાળકોનું જીવન બચાવી શકાય છે અને લાખો અન્ય બાળકોનાં સ્વાસ્થ્ય અને વિકાસને ઘણા ખરા અંશે સુધારી શકાય છે.

એ માન્યતા બદલી નાખો કે સ્તનપાન કરાવવાથી માતાને નુકસાન થાય છે. માતાનું દૂધ જ શિશુ માટે સર્વોત્તમ દૂધ હોય છે. મહિલાઓમાં સ્તનપાન પ્રત્યે જાગૃતિના હેતુથી દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે જેમાં મહિલાઓને સ્તનપાનના મહત્ત્વ અંગે જણાવવામાં આવે છે અને શિશુઓને જન્મના છ મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવડાવવા માટે ખાસ કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. છ મહિના ઉપરાંત શિશુને ઉપરનો ખોરાક આપવો જોઈએ જેથી ઉછરતા અને વિકસિત થતા બાળકોને પર્યાપ્ત પોષણ પ્રાપ્ત થઈ શકે.

સ્તનપાનનું મહત્ત્વ – માતાના દૂધના લાભો

  • તે હંમેશા સ્વચ્છ હોય છે.
  • શિશુને બીમારીઓથી બચાવે છે.
  • શિશુની બૌદ્ધિક ક્ષમતા વધારે છે.
  • શિશુ માટે 24 કલાક ઉપલબ્ધ છે તેમજ કોઈપણ પ્રકારની તૈયારીની જરૂર નથી.
  • માતા અને શિશુ વચ્ચે વિશિષ્ટ સંબંધ બનાવે છે.
  • માતાનું દૂધ યુગલોને બાળકો વચ્ચે અંતર રાખવામાં મદદ કરે છે.
  • સ્તનપાન માટે અધિક કેલોરી નો ઉપયોગ થાય છે અને તે પ્રાક્રુતિક પદ્ધતિસર સ્થૂળતા કે વધુ વજન થી બચવામા મદદ કરે છે.

શિશુને સ્તનપાનના લાભ

માતાનું દૂધ સમસ્ત પ્રકારના કુપોષણને અટકાવે છે. બાળક માટે આ એન્ટિબોડીઝનું કામ કરે છે. જન્મ પછી છ મહિના સુધી બાળકને પાણી કે અન્ય પદાર્થ ન આપવો જોઈએ. માત્ર માતાનું દૂધ જ પર્યાપ્ત હોય છે. આ બાળકોમાં ડાયેરિયા ,ન્યુમોનિયા જેવી તમામ બીમારીઓ થવાના જોખમને 10-15 ગુણા ઓછુ કરી દે છે.

  • માતાનું દૂધ પીવાથી બાળકોમાં ચરબી જમા થતી નથી. સ્તનપાનથી જીવનના પછીના તબક્કાઓમાં લોહીનું કેન્સર, ડાયાબિટીસ, એલર્જી, અસ્થમા તથા હાઈ બીપીનું જોખમ ઓછું થઈ જાય છે. એક મહિનાથી એક વર્ષની વયમાં શિશુમાં SIDS (અચાનક શિશુ મૃત્યુ સહલશણ)નું જોખમ રહે છે. માતાનું દૂધ શિશુને SIDSથી બચાવે છે.
  • માતાના સ્તનોમાંથી નીકળતું પ્રથમ પીળું ઘાટા દૂધને કોલેસ્ટ્રમ(colostrum)કહે છે. આ દૂધને ઘણીવાર લોકો અંધવિશ્વાસના કારણે ગંદુ અને ખરાબ દૂધ કહીને નવજાત શિશુને તે આપતા નથી. જ્યારે કોલેસ્ટ્રમ બાળક માટે ખૂબ લાભદાયક હોય છે અને તેમાં ચેપથી બચાવતા તત્વો હોય છે. તે વિટામિન એથી ભરપૂર હોય છે તેમજ તેમાં દસ ટકાથી વધુ પ્રોટીન હોય છે. તેમાં ચરબી ઓછી અને યોગ્ય કાર્બોહાઈડ્રેટ હોય છે. આ દૂધને શિશુના જન્મના 1 કલાકની અંદર જ માતાએ પોતાના બાળકોને પીવડાવવું જોઈએ.
  • કોલેસ્ટ્રમ ઉપરાંત માતાનું સામાન્ય દૂધ માતા-શિશુ માટે કોઈ વરદાનથી ઓછું નથી કેમકે તેમાં સફેદ રક્તકોષો, મિનરલ્સ, વિટામીન અને એમિનો એસિડ જેવા પોષક તત્વો તેમજ પર્યાપ્ત પાણી હોય છે, જે બાળકની રોગ પ્રતિકાર શક્તિ વધારે છે.
  • માતાનું દૂધ સુપાચ્ય હોય છે જેને શિશુ આસાનીથી પચાવી લે છે.
  • જો માતા બીમાર હોય તો પણ શિશુને સ્તનપાન કરાવતા રહેવું જોઈએ જ્યાં સુધી ડોક્ટર દૂધ પીવડાવવા માટે મનાઈ ન કરે.
  • છ મહિના પછી શિશુને હળવો આહાર આપવાનું શરૂ કરો પણ સ્તનપાન ઓછામાં ઓછું એકથી બે વર્ષ સુધી કરાવતા રહેવું જોઈએ.
  • માતાની ત્વચાનો સંપર્ક શિશુમાં તાપમાન સુયોગ્ય રાખે છે.
  • ગરીબીના ચક્રને તોડવામાં મદદ કરે છે.

માતાને સ્તનપાન કરાવવા થી લાભ

સ્તનપાન માત્ર બાળક માટે જ નહી પણ માતા માટે પણ લાભદાયી હોય છે.

યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના એક સંશોધન અનુસાર દૂધ પીવડાવતી મોટાભાગની મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 10 ગણુ ઓછું થાય છે.

  • સ્તનપાન શિશુના જન્મ પછી થતી લોહીની ઉણપને ઓછી કરે છે. પ્રસૂતિ દરમિયાન પ્રસુતાઓના સૌથી વધુ મોત વધુ રક્તસ્ત્રાવના કારણે થાય છે, જેને તબીબી ભાષામાં ‘પોસ્ટમોર્ટમ હેમરેજ' કહે છે. જો પ્રસૂતિ પછી તરત માતા સ્તનપાન કરાવે તો ઓક્સિટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે, જેનાથી મહિલાનું ગર્ભાશય સંકોચાય છે. તેનાથી પ્રસવ પછી વધુ પડતા રક્તસ્ત્રાવની આશંકા ખૂબ ઓછી થઈ જાય છે.
  • ગર્ભાશયને તેના પૂર્વ આકારમાં આવવામાં મદદ કરે છે.
  • ભવિષ્યમાં ગર્ભાશય કેન્સર, સ્તન કેન્સર તથા અંડાશયના કેન્સરના જોખમને ઘટાડે છે.
  • કુદરતી રીતે ફરીવાર ગર્ભધારણ ટાળવામાં મદદ મળે છે. જો માતા શિશુને નિયમિત રીતે સ્તનપાન કરાવે તો છ મહિના સુધી ગર્ભધારણ થઈ શકતું નથી. સ્તનપાન કરાવવાથી મહિલાના શરીરમાંથી પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થતુ રહે છે જેનાથી સ્વાભાવિક રીતે મહિલાને છ મહિના સુધી ગર્ભધારણ થતું નથી.
  • સ્તનપાન કરાવવાથી માતા અને બાળક બંનેની તબીબી દેખરેખનો ખર્ચ ઓછો થાય છે કેમકે તેઓ ઓછા બીમાર પડે છે. માતાનું દૂધ સરળતાથી અને કોઈ ખર્ચ વિના ઉપલબ્ધ હોય છે. જ્યારે પેકિંગનું દૂધ ખરીદવું પડે છે.

સ્તનપાનના વિષયમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો

બાળકને સ્તનપાન ક્યાં સુધી કરાવવું, ઘણીવાર મહિલાઓને એ વાતનો ખ્યાલ હોતો નથી. જન્મ પછી તરત જ સ્તનપાન કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. એ સમયે બાળક સ્તનપાન કરતા સૌથી ઝડપથી શીખી શકે છે તથા તેને માતાનું પ્રથમ દૂધ એટલે કે કોલેસ્ટ્રમનો પૂરેપૂરો લાભ મળી શકે છે. બાળકને જન્મ બાદ ઓછામાં ઓછા છ મહિના સુધી સ્તનપાન કરાવતા રહેવું જોઈએ. જો શક્ય હોય તો બે વર્ષ સુધી માતાનું દૂધ પીવડાવવું જોઈએ પણ સાથે પૌષ્ટિક આહાર પણ આપવો જોઈએ.

અનેકવાર સ્તનોમાં દૂધ ભરાવાથી તે કઠણ થઈ જાય છે. એવું ન બને એ માટે બાળકને જલદી અને પુરેપુરું દૂધ પીવડાવવું જોઈએ. જો તેમ છતાં આવું બને તો વધારાના દૂધને કાઢીને તમે સુરક્ષિત રાખી શકો છો.

સામાન્ય તાપમાનમાં આ દૂધને ચાર થી છ કલાક સુધી રાખી શકો છો તથા ફ્રિજના ફ્રિજર કમ્પાર્ટમેન્ટમાં તેને પાંચ દિવસ સુધી રાખી શકો છો પરંતુ તેને ૩ દિવસ દરમિયાન વાપરી લેવુ એ હિતાવહ છે. બાળકને સ્તનપાન ‘ડિમાન્ડ ફીડ'(જ્યારે બાળક ને ભૂખ લાગે ત્યારે)પર જ કરાવવું જોઈએ. બંને સ્તનમાંથી ઓછામાં ઓછું 10થી 15 મિનિટ સુધી દૂધ પીવડાવવું જોઈએ.

સિઝેરિયન પ્રક્રિયાથી શિશુને જન્મ આપનારી મહિલા સ્તનપાન

સિઝેરિયન પ્રક્રિયાથી શિશુને જન્મ આપનારી મહિલા સ્તનપાન કેવી રીતે કરાવે.

  • સર્જરીથી શિશુને જન્મ આપનારી માતાઓ પણ સામાન્ય રીતે જ સ્તનપાન કરાવી શકે છે. આ સર્જરી તમારી સફળ સ્તનપાનની ક્ષમતા પર અસર કરતી નથી.
  • સર્જરીના ચાર કલાક પછી કે એનેસ્થેસિયાની અસર દૂર થયા પછી તમે સ્તનપાન કરાવી શકો છો.
  • સ્તનપાન કરાવવા માટે તમે એક બાજુએ સૂઈ શકો છો કે પછી તમારા શિશુને તમારા પેટ પર સૂવડાવીને સ્તનપાન કરાવી શકો છો.

સ્તનપાન શિશુ મૃત્યુદરને ઓછો કરે છે

  • પ્રથમ છ મહિના સુધી જો માતા પોતાના બાળકને દૂધ પીવડાવે છે તો તેનાથી નવજાત શિશુ મૃત્યુ દરને 20 ટકા સુધી ઘટાડી શકાય છે. નિયમિત રીતે સ્તનપાન દ્વારા ભારતમાં 1.5 લાખથી પણ વધુ શિશુઓને મોતથી બચાવી શકાય છે..
  • સરકારની પણ એ કોશિશ છે કે ભારતમાં અનેક હ્યુમન મિલ્ક બેન્કનું નિર્માણ થાય, જેનાથી પ્રીટર્મ નવજાત શિશુ તથા જે માતા સ્તનપાન કરાવી શકતી નથી તેમના શિશુને તેનાથી ભરપૂર લાભ મળી શકે.

સ્ત્રોત: ડૉ કીર્તિ નાહર. કન્સલ્ટન્ટ ઓબસ્ટ્રેટિક્સ & ગાયનેકોલોજિસ્ટ (રેફ.: નવગુજરાત હેલ્થ )

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate