অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોગ્ય સ્તનપાન મેળવેલા બાળકના સ્કૂલ પર્ફોમન્સ વધુ સારા

માતાનું દૂધ એટલે કે ધાવણ, નવજાત શિશુઓના સર્વાંગી વિકાસ અને આરોગ્યપ્રદ ઉછેર માટેનો આદર્શ ખોરાક છે અને તે શિશુના શારીરિક અને માનસિક બંને રીતે સંપૂર્ણ વિકાસ માટે આવશ્યક છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભલામણ કરી છે કે જન્મ પછીના છ મહિના સુધી શિશુને ખાસ સ્તનપાન કરાવવું જોઈએ જેનો અર્થ એ છે કે આ સમય દરમિયાન અન્ય કોઈ ખોરાક કે પ્રવાહી આપવાની જરૂર પણ રહેતી નથી. એટલું જ નહીં, શિશુ છ મહિનાનું થાય ત્યારે અન્ય ખોરાક આપવાનું શરૂ કરવામાં આવે ત્યારે પણ એક કે બે વર્ષની વય સુધી સ્તનપાન કરાવવું એ સલાહભર્યુ છે.

સ્તનપાન કરાવવાથી રોગોનું પ્રમાણ ઓછુ.

પાંચ વર્ષથી નીચેની વયના બાળકોમાં શ્વસન સંબંધિત ચેપ અને ઝાડા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે થતા મૃત્યુના દરમાં ઘટાડો કરવામાં સ્તનપાન મહત્વના પરિબળ તરીકેની ભૂમિકા ભજવે છે. તેના કારણે અસ્થમા કે ખોરાક સંબંધિત એલર્જીમાં પણ ઘટાડો થાય છે. તેનાથી પુખ્તવયે સ્થૂળતાનું જોખમ પણ ઘટે છે.

સ્તનપાન અને મગજનો વિકાસ

એવા બાળકો કે જેમને સ્તનપાન કરાવાયું હોય છે તેઓ ફોર્મ્યુલા મિલ્ક પીતા બાળકોના પ્રમાણમાં વધુ સારા I.Q. પરિણામો દર્શાવી શકે છે.

અનેક અભ્યાસોમાં જોવા મળ્યું છે કે જે બાળકોને સ્તનપાન કરાવાયું હોય છે તેઓ સ્કૂલમાં સ્કૂલ પર્ફોર્મન્સના અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લઈએ તો પણ સારા ગુણ મેળવી શકતા હોય છે. માતાના ધાવણમાં એક મહત્વપૂર્ણ તત્વ હોય છે જેને (DHA) કહે છે. (DHA) મગજના કોષોના ઉછેર અને વિકાસ તથા તેની સ્વસ્થતા અને જાળવણી માટેનું મહત્વનું પોષક તત્વ છે.

માતાના દૂધમાં એવા યોગ્ય પદાર્થો હોય છે જે માયલીન (Myelin) નું ઉત્પાદન કરી શકે છે જે ચેતાઓને સામાન્ય રીતે કાર્યરત રહેવા માટે આવશ્યક છે.

શિશુના જીવનના પ્રથમ બે વર્ષમાં મગજનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે અને જો એ સમય દરમિયાન પૂરતા પ્રમાણમાં તેને સ્તનપાન કરાવવામાં આવે તો મગજનો વિકાસ ઘણો સારો થઈ શકે છે.

માતાના ધાવણમાં તમામ પ્રકારના પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેનું શિશુ દ્વારા સરળતાથી પાચન થઈ શકે છે. આથી, સ્તનપાન કરતા શિશુઓને ભાગ્યે જ ઝાડા, કબજિયાત કે પેટમાં તકલીફનો સામનો કરવો પડે છે.

માતાનું દૂધ હંમેશા યોગ્ય તાપમાન ધરાવતું હોય છે. તે શુદ્ધ અને નિઃશૂલ્ક છે. જ્યારે પણ શિશુને તેની જરૂર પડે ત્યારે અને તે સ્થળે બોટલ્સની કોઈ આવશ્યકતા રહેતી નથી.

સ્તનપાન કરાવવામાં માતાના ધાવણનો કોઈ બગાડ થતો નથી અને એટલે પર્યાવરણ માટે પણ યોગ્ય છે.

સ્તનપાનના અનેક લાભો હોવાના કારણે WHO અને યુનિસેફ દ્વારા તેના અંગે ભલામણો કરાઈ છેઃ

  • જન્મના એક કલાકમાં જ સ્તનપાન કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ..
  • શિશુના જીવનના પ્રથમ છ મહિનામાં ખાસ સ્તનપાન કરાવવું જોઈએ.
  • છ મહિનાના શિશુને સ્તનપાન ઉપરાંત પોષણયુક્ત, પર્યાપ્ત અને સુરક્ષિત ખોરાક આપવાનું શરૂ કરવામાં આવે ત્યારે પણ આગામી એક કે બે વર્ષ સુધી સ્તનપાન કરાવતા રહેવું જોઈએ.
  • માતાનું ધાવણ ઊર્જા અને પોષક તત્વોનો ખૂબ સારો સ્ત્રોત હોય છે. છ મહિના સુધી સ્તનપાન કરાવવાથી શિશુને માટે આવશ્યક તમામ ઊર્જા તેને પ્રાપ્ત થાય છે. તેનાથી ૬-૧૨ મહિનાની વયના શિશુઓને અડધોઅડધ કે તેથી વધુ પ્રમાણમાં આવશ્યક ઊર્જા મળી રહે છે અને ૧૨થી ૨૪ મહિનાની વયના બાળકોને આવશ્યક ઊર્જામાં ચોથા ભાગની ઊર્જા પ્રાપ્ત થઈ શકે છે.

કોલસ્ટ્રમ:

માતાનું દૂધ નવજાત શિશુઓના પ્રથમ દિવસ અને આગળના દિવસ માટે સૌથી ઉત્તમ પોષણ આપનાર ખોરાક બની રહે છે. માતાનું દૂધ મહત્વનું કોલોસ્ટ્રમ તત્વ ધરાવતુ હોય છે જે આછા પીળા રંગનું હોય છે અને તે પ્રોટીનથી ભરપૂર હોય છે. આ મૂલ્યવાન પ્રોટીન રોગપ્રતિકારક શક્તિના વિકાસ માટે આવશ્યક હોય છે.

કોલસ્ટ્રમ એવા પરિબળો પૂરા કરે છે કે જેનાથી આંતરડાની સ્વસ્થતા અને સારૂં પાચન જળવાઈ રહે છે. કોલસ્ટ્રમ શિશુના જીવનના પ્રથમ બે ચાર દિવસમાં એક સૌથી ઉત્તમ પોષક તત્વ બની રહે છે.

તે સુપાચ્ય હોય છે અને શિશુના શરીર દ્વારા અને ખાસ કરીને મગજ દ્વારા સરળતાથી તેને શોષી લેવામાં આવે છે.

માતાનું દૂધ પોષક તત્વોની દૃષ્ટિએ તૈયાર કરાયેલા દૂધ (ફોર્મ્યુલા મિલ્ક) ની સરખામણીમાં ઘણું જ ઉત્તમ હોય છે.

માતાના દૂધમાં સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ફેટ્‌સ તેમજ કોલેસ્ટ્રોલ હોય છે જે મગજના કોષો અને ચેતાઓ માટે મહત્વપૂર્ણ ઘટક બની રહે છે. માતાના દૂધમાં રહેલી ફેટ તૈયાર કરાયેલા દૂધ કરતા વધુ સરળતાથી પચી શકે તેવી હોય છે.

માતાના દૂધથી મળતી ઊર્જા તૈયાર કરાયેલા (ફોર્મ્યુલા મિલ્ક) દૂધમાંથી મળતી ઊર્જા કરતા વધુ સારી રીતે શરીરમાં ઉપયોગમાં લેવાય છે. માતાના દૂધમાં પ્રોટીન સામેલ હોય છે જે શિશુને ઝાડા, ખોરાક પ્રત્યેની એલર્જી અને શ્વસન માર્ગ સંબંધિત ચેપ સામે પ્રતિકારશક્તિ પૂરી પાડે છે.

માતાના દૂધમાં IgA સામેલ હોય છે જે બેક્ટેરિયાજનિત રોગોને દૂર કરી શકે છે. તેમાં બાઈફિડ્‌સ (Bifidus) ફેક્ટર સામેલ હોય છે જે સારા બેક્ટેરિયાનો વિકાસ થવા દે છે અને તેનાથી ઉલટું હાનિકારક બેક્ટેરિયાના વિકાસને ઘટાડે છે, તેથી કોઈપણ પ્રકારના ચેપ સામે રક્ષણ મળે છે અને તેથી બીમારી થવાની શક્યતા ઘટે છે અને સાથે હોસ્પિટલમાં દાખલ થવાની ઘટનાઓ ઓછી બને છે.

સ્તનપાન કરતા શિશુઓમાં લેક્ટોઝ સામેની અસહિષ્ણુતા (Lactose intolerance) અને એલર્જી ઘટે છે.

માતાનું દૂધ કુદરતી રીતે જ સ્ટરીલાઈઝ્ડ (જંતુમુક્ત) હોય છે.

સ્તનપાન કરતા શિશુઓને ડાયપરના કારણે થતા રેશિસ (ચામડીમાં ઘસરકા)નો અનુભવ પણ ઓછો થાય છે.

સ્તનપાનના કારણે શિશુઓના જડબાં અને દાંતનો યોગ્ય વિકાસ થાય છે.

સ્તનપાન કરાવવાના મનોવૈજ્ઞાનિક ફાયદાઓ

સ્તનપાન કરતા શિશુઓ, તૈયાર કરાયેલા (ફોર્મ્યુલા મિલ્ક)નું સેવન કરતા શિશુઓની તુલનામાં સંવેદનાત્મક રીતે વધુ મજબૂત હોય છે કેમકે સ્તનપાન કરતી વખતે તે માતાના ખોળામાં કે પડખામાં હોય છે અને માતા અને શિશુ વચ્ચે આ રીતે સતત શારીરિક સંપર્ક રહે છે. જેના કારણે માતા-શિશુ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે. માતાના હાથમાં શિશુ વધુ સુરક્ષિતતા અનુભવે છે અને તેનાથી તેને જન્મ અગાઉથી જન્મ થયા પછીના જીવનમાં પણ સુરક્ષિતતાનો સતત અનુભવ થતો હોય છે અને તેને એટલા માટે માતાની સતત હાજરી પોતાની પાસે છે એવો ભરોસો ઉત્પન્ન થતો હોય છે.

આ ઉપરાંત માતાની આંખમાં તાકી રહીને શિશુ ખુદને સુરક્ષિત સમજે છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને એમ જણાવવાની કોશિશ કરે છે કે તે જાણે છે કે માતા તેની સંભાળ લઈ રહી છે.

પર્યાપ્ત માત્રામાં સ્તનપાન કરાવવામાં આવે તો માતના શરીરમાં હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે અને તેનાથી પણ માતાના દૂધનું ઉત્પાદન વધે છે અને આ સંવેદનાત્મક જોડાણ એટલા માટે માતાના દૂધમાંથી મળતા પોષક તત્વો જેટલું જ મહત્વપૂર્ણ બની રહે છે. જે બાળકના આગામી વર્ષોમાં તેના વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. માટે જ બાળક ના સંપૂર્ણ અને સમગ્ર વિકાસ માટે માતાઓ એ શક્ય તેટલા લાંબા સમય માટે પોતાના બાળકોને સ્તનપાન કરાવું જાઈએ.

ડો જ્યોતિન્દર કૌર. પિડીયાટ્રીશિયન એન્ડ નિયોનેટોલોજિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate